Apurntathi purnta taraf in Gujarati Short Stories by Heena Hemantkumar Modi books and stories PDF | અપૂર્ણતાથી પૂર્ણતા તરફ

Featured Books
Categories
Share

અપૂર્ણતાથી પૂર્ણતા તરફ

અપૂર્ણતાથી પૂર્ણતા તરફ

ભારે મથામણ પછી પણ આત્માજાબાની પ્રસુતિ થઇ નહીં. ડૉક્ટરે આત્મજાબાના પતિ રણધીરસિંહ અને સાસુ રાજશ્રીબાને પોતાની કેબિનમાં બોલાવી, સિઝેરિયન ઓપરેશન માટે મંજૂરી માંગી. આત્માજાબાએ બે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યા. સૂર્ય જેવાં તેજસ્વી બાળકોને જોતાં વેંત જ આખા ઓપરેશન થીયેટરમાં આનંદની જગ્યાએ સન્નાટો છવાય ગયો. સૌ કોઇ ડઘાઇ ગયા. ખુદ ડૉક્ટર પણ બાકાત ન રહ્યા. ઓપરેશન ક્રિયા પતાવી ડૉક્ટરે નર્સને કહ્યું “ જાઓ, પેશન્ટનાં સગાંને બોલાવો. હું એમની જોડે વાત કરીશ.” ડોક્ટરે જેવી વાત રજૂ કરી. એવી તરત જ રાજશ્રીબાએ રણધીરસિંહનાં કાનમાં ફૂંક મારી અને ફરમાવી દીધું “ એવું ક્યારેય નહીં બને. સૂર્યવંશી રાજપરિવારનાં ઇતિહસમાં આ પાનું ક્યારેય ન લેખાય એની જવાબદારી તારી રહેશે.”

આત્માજાબા ભાનમાં આવે એ પહેલાં બધાં રોટલા શેકાય ચૂક્યા હતા. રણધીરસિંહે આખા સ્ટાફને ૨૫૦૦૦-૨૫૦૦૦ રૂપિયાની લ્હાણી કરી અને ક્યારેય પણ ભવિષ્યમાં પણ મોં ન ખોલવાની ચીમકી પણ સાથે આપી દીધી. કે “ ક્યારેય પણ કોઇનું પણ મોં ખૂલ્યું તો એની ખેર નથી. ગોળીએ વીંધી દઇશ.” “આત્માજાબા એ માત્ર એક જ દીકરીને જન્મ આપ્યો છે.” એવું જણાવવા બધાંને ફરમાવી દીધું.

તાબોટા પાડી હસીમજાક કરી રહેલાં કિન્નરોનાં ગઢમાં રણધીરસિંહની ગાડી પ્રવેશી. કિન્નરોનાં વડીલ અને મુખી એવાં ચંદનમાસીબાનાં એકમાત્ર ઇશારાથી બધાં કિન્નરો પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. રણધીરસિંહ એક ડોશી સાથે ચંદનમાસીબા પાસે ગયા. એમણે એક લાખ રૂપિયા રોકડાં અને ડોશીમાં એ પોતાનાં હાથમાંનું નવજાતશિશુ ચંદનમાસીબાનાં ખોળામાં મૂકી દીધું. ચંદનમાસીબા આખી વાત સમજી ગયા. રણધીરસિંહએ ક્યારેય મોં ન ખોલવાની ચીમકી આપી દમામભેર બહાર નીકળી રહ્યા હતા. ત્યાં તાબેટા પાડી ચંદનમાસીબા બોલ્યાં- “હાય રે હાય! મૂઆ! ભગવાને તને ઘણી ધનદોલત આપી છે. તું તારા બાળકનું ઓપરેશન થકી લીંગપરિવર્તન કરાવી શકે તેમ છે. આમ છતાં કંઇક વાંધો આવશે તો હું બેઠી છું તારું બાળક એ મારું બાળક. જા, આ મારું વચન છે.” માસીબા આક્રંદ કરી રણધીરસિંહને સમજાવી રહ્યા હતા. “ બેટા, સાંભળ! આ અમારા કબીલામાં ફક્ત વેદના છે. અમારે-કિન્નરોએ લોકોની ધિક્કારભરી નજરથી આખું જીવન વિતાવવું પડે છે. અમને કોઇ સ્વીકારતું નથી. અમારું કોઇ ભવિષ્ય નથી. અમારી મહત્વકાંક્ષા કે મહેચ્છાઓનું સમાજમાં કોઇ સ્થાન નથી. અમારું આકળવકળ ભર્યું જીવન કોઇ સમજી નથી શકતું. સાહેબ, મારી વાત માની લો. આ બાળકને તમારી પાસે રાખો. એને બાળપણ માણવા દો. એને માનું દૂધ પીવા દો. બહુચરમાની કસમ તમને આ બાળક ક્યારેય ભારે નહીં પડે. અને જો માને એવું જ મંજૂર હશે તો સમજ આવ્યે હું સામે ચાલીને એને તેડી જઇશ. પણ, હમણાં એનું બાળપણ નહીં છીનવો.” માસીબા રણધીરસિંહનાં પગે પડી આજીજી કરતા રહ્યા. પણ માસીબાની વ્યાકુળતા કે આક્રંદ સાંભળે એ બીજા. રણધીરસિંહ પોતાનાં ગળાની ચેઇન ચંદનમાસી પર ઘા કરી ચાલતા થયા. માસીબા રણધીરસિંહની પાછળ દોડતાં રહ્યા. રણધીરસિંહે એક હાથ ઊંચો કરી મોં બંધ કરવા સૂચન કર્યું. માસીબા તાબોટા પાડી બોલ્યાં “ મૂઆ! જા તારું નખ્ખોદ જાય.” રણધીરસિંહનો પારો સાતમે આસમાને પહોંચ્યો એ ત્રાટુક્યા “ બંધ કર તારો તમાશો. તમારા આ તાબોટાનાં તમાશાથી તો મને ભારે નફરત છે.” રણધીરસિંહ ત્યાંથી સડસડાટ નીકળી ગયા.

માસીબાનાં ગઢમાં બાળક દિનપ્રતિદિન મોટું થઇ રહ્યું હતું. માસીબા એ બાળકને પોતે જન્મ આપ્યો હોય એવું હેત વરસાવતા. એનાં અસલી મા-બાપ કોણ હશે? એની ગંધ સુધ્ધાં ગઢમાં કોઇને આવવા દીધી નહિં. માસીબાએ એનું નામ યુવરાજસિંહ રાખ્યું હતું. આખા ગઢમાં યુવરાજસિંહનું રાજ ચાલતું સૌ કોઇનો માનીતો અને લાડલો હતો.

વીસ વર્ષાનાં વ્હાણાં વીતી ગયા. રણધીરસિંહ દીકરી નવેલીને કોલેજ લેવા મૂકવા જતાં ડ્રાઇવરે નવેલીનું અપહરણ કર્યું. એ વાત આખા પંથકમાં વાયુવેગે પ્રસરી ગઇ. યુવરાજસિંહને પણ આ વાતની જાણ થઇ. એનું લોહી ઉકળી ઉઠ્યું. આક્રોશમાં આવી એણે આકાશપાતાળ એક કરી નાંખ્યા. નવેલીને હેમખેમ ડ્રાઇવરનાં સકંજામાંથી છોડાવી અને સહીસલામત રણધીરસિંહની હવેલીએ પહોંચાડી. યુવરાજસિંહનાં ગળામાંની ચેઇન જોઇ રણધીરસિંહ એને ઓળખી ગયા. રણધીરસિંહે નહીં તો યુવરાનો આભાર માન્યો કે નહીં તો ઇજાગ્રસ્ત એવાં યુવરાજ માટે સારવાર સુધ્ધાંની દરકાર કરી. ઇજાગ્રસ્ત, લોહીલુહાણ યુવરાજ પરત થઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં ફસડાઇ પડ્યો.

યુવરાજને લોકટોળાંએ હોસ્પીટલમાં ખસેડ્યો. માસીબાનાં ગઢમાં જાણ થતાં માસીબા સહિત હોસ્પીટલમાં બધાં હોંચી ગયા. આત્મજાબાને જાણ થતાં એમણે યુવરાજની ખબર-અંતર અને આભાર વ્યક્ત કરવા માટે હોસ્પીટલ જવાની જીદ્દ કરી. પરંતુ રણધીરસિંહનાં પેટમાં ફાળ પડી એમણે આત્મજાબા સાથે પોતે જ સાથે જવાનું નક્કી કર્યું. માસીબાની તીરછી નજર રણધીરસિંહને વીંધી રહી હતી. આત્મજાબા કંઇ સમજે વિચારે એ પહેલાં ત્યાંથી તેઓ નીકળી ગયા.

આજે માસીબાની વ્યથા પરાકાષ્ઠા તોડી આરપાર વહી રહી હતી. વર્ષોથી પોતાનાં પેટમાં દાબી રાખેલ વાત આજે એમની જીભે આવી પહોંચી. એમની સાથે હોસ્પીટલમાં રોકાયેલ રાખીમાસીબાને યુવરાજસિંહ અને રણધીરસિંહનાં સંબંધની વાત કરી. અર્ધબેભાન એવાં યુવરાજે ચંદનમાસીબાની વાત સાંભળી લીધી.

થોડાં દિવસ પછી શહેરમાં વાત પ્રસરી નવેલીનાં લગ્ન લેવાયા છે. આખી હવેલી રોશનીથી ઝગમગી રહી છે. બધાં કિન્નરોને હવેલીમાં જવાની ખૂબ ઇચ્છા થઇ રહી હતી. પરંતુ બધાં જાણતાં હતાં કે આજદિન સુધી વારે-તહેવારે ક્યારેય પણ આ હવેલીમાં ચંદનમાસીબાએ ડાફું લેવા જવાં દીધા નથી. છેવટે યુવરાજે લીડરશીપ લીધી. માસીબાની મંજૂરી વગર એક બપોરે બધાં કિન્નરો ભેગાં મળી હવેલીએ નવદુલ્હનને આશીર્વાદ આપવા અને હવેલીનાં જાહોજલાલીનાં દર્શન કરવા પહોંચી ગયા.

તાબોટાનાં આવાજથી રણધીરસિંહનાં કાન સરવા થઇ ગયા એમણે સિક્યુરીટી ગાર્ડને ત્યાંથી બધાંને ખદેડી પાડવાનો હુકમ કર્યો. તાબોટાં પાડી-પાડી કિન્નરો નવદુલ્હનને આશીર્વાદ આપતાં ગીતો ગાય રહ્યા હતા. મહેંદી રસમમાંથી ઊભાં થઇ બધી મહિલાઓ કિન્નરોને જોવા ચોકમાં આવી પહોંચ્યા. સિક્યુરીટી ગાર્ડનાં મારથી કિન્નરો પાછાં વળી રહ્યા હતા. યુવરાજ્સિંહની નજર નવેલી પર પડતાં એણે પોતાની ગળાની ચેઇન પોતાની બહેનને લગ્નભેટ માટે ફેંકી. એ ચેઇન આત્મજાબાનાં પગ પાસે આવી પડી. ચેઇન જોઇ આત્મજાબા ચોંકી ગયા આ ચેઇન એક સમયે રણધીરસિંહનાં ગળામાં હતી એમણે ઊંચકી બરાબર જોઇ તો રાજઘરાનાનાં ચિહનો જોતાં એ વિચારે ચડ્યા. એ વિચારે ચડ્યા આ ચેઇન આ કિન્નર પાસે ક્યાંથી પહોંચી હશે? આખી હવેલીમાં આ વાત ચકડોળે ચઢી. આત્મજાબા એ વાતનાં મૂળમાં જવાની ટેક લીધી. આખરે દાદી રાજશ્રીબાએ એમનું મૌન તોડ્યું અને પસ્તાવા સાથે આખી હકીકતની જાણ કરી.

સત્યહકિકતની જાણ થતાં આત્મજાબાએ ઘરનાં બધાં સભ્યોની એ જ દિવસે મીટીંગ બોલાવી. આત્મજાબાએ જીવનમાં પહેલીવાર પોતાનો હક્ક અને રૂઆબ જમાવ્યા. એકત્રીત બધાંની ગેરસમજ દૂર કરી. “એમણે કહ્યું આ ભૂલ એ માનવસર્જીત નથી. આ ભૂલ કુદરત થકી થઇ છે. જો શરમાવું હોય તો કુદરત પોતે શરમાય. એમાં રણધીરસિંહ, રજશ્રીબા કે અન્યએ શરમાવાની જરૂર નથી. એ બાળકને આપણે જન્મ આપ્યો છે તો એને હૂંફ આપવાથી માંડી એને મુશ્કેલીનો સામનો કરવાનું આપણે જ શીખવવું પડે. આપણે એનાં માતાપિતા છીએ. આપણે આવી રીતે નહીં તો મોં સંતાડી શકીએ કે નહિં તો જવાબદારીમાંથી છટકી શકીએ.

આપણે સાધનસંપન્ન અને ભણેલાગણેલા છીએ. આધુનિક વિચારસરણી કેળવી શકીએ એમ છીએ. આપણે બાળકને સાયકોલોજીકલ ટ્રીટ રીતે શકીએ એમ છીએ. આપણે બાળકને બીજાં બાળકની જેમ નોર્મલ લાઇફ આપી શકીએ એમ છીએ. તો પછી એને શું કામ પરિવારથી દૂર રહેવાની ફરજ પાડી?

ખેર! તમારી ના સમજ કે અહમથી તમે જેમ જે કર્યું તે કર્યું. પણ, હવે મારે આડે કોઇ પણ નહીં આવે. ખુદ રણધીરસિંહ પણ નહીં કે ખુદ ઇશ્વર પણ નહિં. હું મારાં સંતાનને નોર્મલ જીવન આપીને જ જંપીશ.

બધાંની બોલતી બંધ થઇ ગઇ. આત્મજાબા યુવરાજસિંહને લઇ અમેરિકા ગયા ત્યાં લીંગપરિવર્તનનું ઓપરેશન કરાવ્યું. ઓપરેશન ૬૦ થી ૭૦% સુધી સફળ રહ્યું. યુવરાજને સાયકોલોજીકલ ટ્રીટ કર્યો એનાંમાં આત્મવિશ્વાસ ભરપૂર ભરી દીધો. દુનિયામાં માથું ઊંચુ કરી સામી છાતીએ જીવી શકે એવો થનગનતો યુવાન બનાવ્યો. ૬ મહિનાની આકરી મહેનત પછી આત્મજાબા યુવરાજસિંહને લઇ હવેલીમાં આવ્યા. એક થનગનતો નવયુવાન જોઇ રણધીરસિંહ છોભીલાં પડી ગયા. એમને ખૂબ પસ્તાવો થયો. યુવરાજસિંહનાં ચારે તરફ ફેલાયેલ બહોળા ધંધાને સંભાળી લીધા. ધંધાઓ પણ સફળતાનાં આકાશને ચૂમવા લાગ્યા. આત્મજાબાનો સ્ત્રીઆર્થ ફળ્યો. આત્મજાબાનાં સ્ત્રીઆર્થ સામે રણધીરસિંહનાં પુરુષપણાનો અહમ્ ઓગળી ગયો. આત્મજાબાના સ્ત્રીઆર્થ થકી સમાજને એક નવી દિશા મળી. ખોખલી અને સમજ્યા વિના અનુકરણ કરી રહેલ એક પરંપરા તુટી.

પુરુષત્વનાં ખોખલાં મુખવટાને ઉતારી, તાબોટા પ્રત્યે નફરત કરનાર રણધીરસિંહ તાળીઓનાં ગડગડાટ સાથે બોલ્યાં “એક સ્ત્રી કે એક મા જ અપૂર્ણતાથી પૂર્ણતા તરફ મહાપ્રયાણ કરાવી શકે છે.”