Deshbhakti in Gujarati Magazine by Patel Vinaykumar I books and stories PDF | દેશભક્તિ

Featured Books
Categories
Share

દેશભક્તિ

દેશભક્તિ

સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે, " જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે." જે ભૂમિ, ધરતી પર મારો જન્મ થયો એ એટલે મારો દેશ. જેણે મને મારો ધર્મ, વારસો અને મારી ઓળખ આપી. એવો એક પણ માણસ ના હોય જેને પોતાના દેશ પ્રત્યે ગવૅ ના હોય. વિશ્વના કોઈપણ ખૂણે રહેલો માનવી પોતાના હ્રદયમાં કંઈક ખૂણે તો દેશ માટે લાગણી ધરાવતો હોય છે પણ આજના એકવીસમી સદીના વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં દેશભક્તિનો સાચો મહિમા ભૂલાયો છે.

આપણા દેશની આઝાદીમાં કેટલાય દેશભક્તોએ સાચા અર્થમાં દેશભક્તિ બતાવી પોતાના વતન માટે શહીદી વ્હોરી છે. જેમના થકી આપણને આઝાદી મળી. દેશભક્તિ એટલે કેવળ દેશ માટે લડવું, શહીદ થવું એટલું જ પૂરતું નથી પણ એથી વિશેષ પણ દેશના મૂલ્યોનું રક્ષણ, ફરજોનું પાલન અને તેની ગરિમા જળવાય તે માટેનો પ્રયત્ન. આ સમજણનું આપણે કેટલી હદ સુધી પાળીએ છીએ તે તો જાણવાનું જ રહ્યું.

દેશભક્તિ વાત કરવાની ચીજ નથી

સમય આવ્યે બતાવવાની હોય છે

દેશ માટે સાચો પ્રેમ અને યોગ્ય સમયે શૌર્ય બતાવવાની વૃત્તિ એટલે દેશભક્તિ. સામાન્ય માણસ પણ નાની બાબતોનું ધ્યાન રાખે તો તે પણ એક પ્રકારની દેશભક્તિ જ છે. દરેક માણસ દેશ માટે શહીદ થવાનું વિચારી શકતો નથી. આજે કેટલાક પ્રશ્નો જેવા કે ભ્રષ્ટાચાર, ગંદકી, આતંકવાદ, પ્રદૂષણ, બેકારી, વ્યસન, ફેશનનો સામનો દેશ કરી રહ્યો છે. આ બધી બાબતોનો વિચાર કરવો અને તે માટે પ્રયત્નો કરવા એ પણ દેશભક્તિ જ છે.

ભ્રષ્ટાચાર એ આજનો સૌથી સળગતો પ્રશ્ર્ન છે. નોકરીથી લઈ નાના-મોટા સરકારી કામો માટે લાંચ લેવી અને આપવી સામાન્ય બાબત બની ગઈ છે પણ જે વ્યક્તિ સાચો દેશ ભક્ત છે દેશના મૂલ્યોને માને છે તે માણસ પોતાની જાતના ઈમાનને ક્યારેય વેચતો નથી અને લાંચ ન લઈ પોતાની સંસ્કૃતિના મૂલ્યોને ટકાવી રાખે છે. પોતાની જાત પ્રત્યે વફાદાર રહી કામ કરવું એ દેશભક્તિ જ છે.

જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જ્યાં ત્યાં થૂંકવું, કચરો ગમે ત્યાં નાખવો એટલે ગંદકી ફેલાવવી. આ બાબતમાં પણ જાગૃતિ લાવી, જ્યાં ત્યાં સ્વચ્છતા જાળવવી જોઈએ. દરેક માણસે સ્વચ્છતાનો મંત્ર અપનાવી પોતાના ઘરથી શરૂઆત કરી ફળિયું, ગામ સ્વસ્છ રહે તે માટેનો પ્રયત્ન કરવો અને પ્રયત્ન કરાવવો જોઈએ. આ ઉપરાંત આ બાબતે જે માણસો અજ્ઞાન ધરાવે છે તેમને પણ જાગૃત કરવા જોઈએ. દુનિયામાં આપણો ભારત દેશ અસ્વસ્છ દેશ તરીકે છબી ધરાવે છે. એટલે જો આપણા દેશને વિશ્વના વિકાસશીલ દેશોની સરખામણીમાં લાવવો હશે તો સ્વસ્છતાની બાબતમાં ખૂબ ધ્યાન રાખવું પડશે તેમજ પોતાનો સ્વધમૅ સમજી ગંદકી દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ. આ પ્રયત્ન પણ છેવટે તો દેશભક્તિ જ છે.

વિશ્વનો સૌથી ખતરનાક અને મૂંઝવતો પ્રશ્ન એટલે આતંકવાદ. આપણા દેશના જાગૃત નાગરિક તરીકે આપણે આતંકવાદ જેવા પ્રશ્ને સભાન રહેવું જોઈએ. ધમૅના નામે જે વ્યક્તિઓ પણ આ બાબતે જે દૂષણ ફેલાય છે તેમાં પણ ભોળવાવું ના જોઈએ. દેશને નુકસાન કરતી કોઈપણ પ્રવૃત્તિમાં મારો હાથ ના હોવો જોઈએ અને જો આવી પ્રવૃત્તિ થતી હોય તો તેનો સખત વિરોધ કરવો જોઈએ. જો કરોડો રૃપિયા મળતાં હોય તો પણ દેશ માટે પોતાની જાતને કદીય વેચવી ના જોઈએ. જો આપણે બધા એક થઈ, જાગૃત રહેશું અને દેશ માટે લડશું તો આતંકવાદનો પ્રશ્ન ઓછો મૂંઝવશે અને દેશનું ઋણ ચૂકવાશે.

વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં વિશ્વ આજે ગ્લોબલ વોમિઁગ, અનિયમિત વરસાદ જેવા કેટલાય પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. આજે ઠેર ઠેર હવા પાણીનું પ્રદૂષણ બહુ ફેલાઈ રહ્યું છે. જેના કારણે નવા નવા રોગો ઉદ્ભવ્યા છે. જો આપણે આપણું જીવન નિરોગી બનાવવું હશે તો પ્રદુષણ ઓછું થાય તે માટેના પ્રયાસો પણ જરૂરી છે. તો આપણે જે બાબતોથી પ્રદુષણ ફેલાય છે તેવી બાબતો ધ્યાનમાં લઈને તેનો ઉપયોગ ઓછો થાય તે માટે પ્રયત્નો કરવા જોઈએ અને બીજાને પણ તે માટે જાગૃત કરવા પડશે. આપણા સ્વાથઁ ખાતર અને સગવડ માટેના સાધનો ઓછા વાપરી ઓછું પ્રદુષણ ફેલાય તેમજ તેને દૂર કરવા માટેના પ્રયાસો કરવા એ પણ દેશભક્તિ જ છે.

વિશ્વમાં ભારત આજે સૌથી વધુ યુવાવર્ગ ધરાવતો દેશ છે પરંતુ દરેક ક્ષેત્રમાં ગળાકાપ સ્પધૉને કારણે દેશમાં બેકારીનું પ્રમાણ વધ્યું છે. એક યુવાન તરીકે આપણે આપણું કમૅ કૌશલ્ય જાણી નોકરી કે ધંધામાં ઝંપલાવું જ પડશે અને આપણા આ કમૅથી દેશને ફાયદો થાય તેવું કરવુ એ પણ દેશભક્તિ જ છે.

વ્યસન અને ફેશને પણ આજે બહું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દારૃ, સિગારેટ, તમાકું, પાનમસાલા જેવા અલગ અલગ વ્યસનોના રવાડે આજનું યુવાધન ચડયું છે જેથી કેન્સર, હૃદયરોગ જેવા મૃત્યુરુપી રોગોનું પ્રમાણ બહુ જ વધ્યુ છે. તેમજ યુવાનો પોતાના કતૅવ્ય માગૅ ભૂલી વ્યસનોથી પૈસા અને આરોગ્ય બગાડી રહ્યા છે. આ માટે મનમાં પાકી સમજણ મેળવી મારે વ્યસન છોડવું જ પડશે. જેથી તંદુરસ્ત આરોગ્ય મેળવી તેમજ પૈસાની બચત કરી દેશને મદદ કરતા થઇએ. આજની યુવતીઓ ફેશનને રવાડે ચડી છે જેના લીધે આપણે આપણા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું અધઃપતન થાય છે તેમજ બળાત્કાર, છેડતીના બનાવો તેના કારણે વધ્યા છે અને વિદેશી સૌદર્ય પ્રસાધનોનો ઉપયોગ પણ વધ્યો છે તો યુવતીઓએ સાદગીનો માગૅ અપનાવો જોઈએ. આપણી સંસ્કૃતિના મૂલ્યો ઘવાય નહીં તે રીતે રહેવું એ પણ દેશભક્તિ જ છે.

આપણે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુઓ અપનાવી આપણા રુપિયા વિદેશમાં જતા અટકે અને આપણા દેશની આર્થિક સમૃધ્ધિ વધે તેમજ તેનાથી રોજગારીની તકો નિર્માણ થતાં બેકારીનું પ્રમાણ ઘટશે. જેથી આપણે રોજિંદા જીવન જરૃરીયાતની સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો એ પણ દેશભક્તિ જ છે.

દેશ માટે શહીદ થવું કે સેનામાં જોડાઈને દેશની રક્ષા કરવી એ દરેક માણસના હાથની વાત નથી પણ જો આપણે નાની બાબતોમાં પણ માતૃભૂમિને લક્ષ્યમાં રાખી જીવીશું તો દેશભક્તિ થઈ જ જશે. ખરું કે નહીં?

ભારત માતા કી જય