Aatmvishwas vishe aalochana in Gujarati Motivational Stories by Nruti Shah books and stories PDF | આત્મવિશ્વાસ વિષે આલોચના

Featured Books
Categories
Share

આત્મવિશ્વાસ વિષે આલોચના

આત્મવિશ્વાસ વિષે આલોચના

મિત્રો, આજે તમે એક એવા વિષય વિષે જાણવા જઈ રહ્યા છો જે ક્યાંક ને ક્યાંક તમારા જીવન સાથે સંકળાયેલો હશે, અનુભવેલો હશે. થોડે ઘણે અંશે તમારામાં ક્યાંક ને ક્યાંક છુપાયેલો હશે,ક્યાં તો પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે કોઈ બીજી વ્યક્તિમાં તમે નોંધ્યો હશે--- તે છે આત્મવિશ્વાસ...

આત્મવિશ્વાસ એટલે શું? મિત્રો, આત્મવિશ્વાસ એટલે મન અને આત્મા ની અંદરના સાચા અવાજને અનુસરીને વ્યક્તિના સમગ્ર અસ્તિત્વ દ્વારા કરવામાં આવતી પ્રતિક્રિયા. વ્યક્તિ પોતાના આત્માને અનુસરીને સંપૂર્ણ વિશ્વાસ પૂર્વક કોઈ ભાવ અનુભવે તે છે ‘આત્મવિશ્વાસ’ ...આ ભાવમાં બહુ જ તાકાત રહેલી છે. મારા તમારા દરેકની અંદર આ ભાવ થોડે ઘણે અંશે મોજુદ હોવાનો જ.આત્મવિશ્વાસ વિનાનો મનુષ્ય એ હલેસાં વિનાની હોડી જેવો હોય છે. કઈ દિશામાં હોડી દરિયામાં તણાતી તણાતી જઈ ચડે એ કહેવું મુશ્કેલ હોય છે. એ જ રીતે મનુષ્ય આત્મવિશ્વાસ વગર એ હલેસાં વિનાની હોડી જેવો હોય છે. તેનું જીવન ગમે તે દિશામાં અથડાતું કુટાતું આગળ વધતું રહે છે પણ તે દિશાવિહીન જીવન પ્રાણ વિનાનું બની રહે છે. જો તે હોડીને હલેસાં દ્વારા વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવે તો ધાર્યા પ્રમાણે ની મંઝિલ સુધી સરળતાથી પહોંચી શકાય છે. તે જ રીતે જો મનુષ્યમાં આત્મવિશ્વાસનું બળ હશે તો જીવનમાં આવતા ગમે તેવા મોટા પડકારોનો પણ તે સામનો કરી શકશે અને પોતાની મંઝિલ સુધી પહોંચી શકશે.

આપણે એક નાનકડું અને સાદુ ઉદાહરણ જોઈએ તો એક નાનું ભાખોડિયા ભરતું બાળક છે. તેને ચાલવાની ઈચ્છા જાગે છે, તે ઉભું થાય છે અને કંઈક પકડીને ચાલવાની કોશિશ કરે છે. તે શરૂઆતમાં પડશે,વાગશે પણ તે હારશે નહિ – કારણ ---એટલા નાના બાળકમાં પણ આત્મવિશ્વાસ ભરપુર હોય છે કે હું ચાલીને જ રહીશ. ઉપરાંત તે ડરતું નથી.હાં મિત્રો, આત્મવિશ્વાસનો એક બહુ મોટો જોડીદાર છે નીડરતા. એક નાનું બાળક પણ જો આટલું નીડર બનીને આત્મવિશ્વાસ સાથે ચાલવાનું શીખી શકે છે તો આપણે કેમ નહિ? આપણા સૌમાં આત્મવિશ્વાસ થોડા ઘણા અંશે રહેલો હોય છે જ પણ તેનો દુશ્મન એવો “ડર” પણ થોડે ઘણે અંશે રહેલો હોય છે. જો ડર આત્મવિશ્વાસ ઉપર હાવી થઇ ગયો તો પછી ખલાસ.. જીવનમાં સફળતા મળતા રહી.. પણ જો આત્મવિશ્વાસ જીતી જાય તો નીડરતા આપોઆપ આવી જાય છે અને વ્યક્તિ ગમે તેટલા મોટા પડાવો પાર કરીને જ રહે છે અને તે પણ હિંમતપૂર્વક.

આ તો થઇ આત્મવિશ્વાસની વાત. પણ આત્મવિશ્વાસ ડેવલોપ કઈ રીતે કરવો તે પણ બહુ જ અગત્યનું છે. દરેક વ્યક્તિના જીવન જીવવા માટેના વિચારો, સિદ્ધાંતો અને ગોલ અલગ અલગ હોય છે. પણ એક વસ્તુ સામાન્ય હોય છે તે છે સફળતા પ્રાપ્ત કરવી. અને ઘણા લોકો સફળતા પ્રાપ્ત કરવા કોઈ પણ રસ્તા અપનાવી શકે છે જ્યારે અમુક લોકો ફક્ત સાચા રસ્તાને પસંદ કરીને સફળતા મેળવે છે. હવે રસ્તો સાચો છે કે ખોટો એ નક્કી કઈ રીતે કરાય? આ બહુ જ અઘરું થઇ પડે છે.તેના માટે અનુભવની જરૂર પડે છે. અનુભવ આપણો હોય કે આપણા વડીલ, મિત્ર કે ગુરુજનોનો. જેઓ આપણને સાચી સલાહ આપવા યોગ્ય છે. ઉપરાંત મહાનુભવો અને મહાન થઇ ગયેલી પ્રસિદ્ધ વ્યક્તિઓના જીવનચરિત્ર પણ ઉપયોગી બની શકે છે. તેના માટે વાંચન ખુબ જ જરૂરી છે. જેમ જેમ તમે પોતે સાચી રીતે પસંદ કરેલા સાચા રસ્તા પર સફળ થતા જશો તેમ તેમ તમારો આત્મવિશ્વાસ વધતો જશે, અને એક દિવસ તમારા જીવનની વાતો અને સફળગાથાઓ અન્ય લોકો માટે ઉદાહરણરૂપ બની જશે.

જેવી રીતે પરીક્ષામા બેસતા દરેક વિદ્યાર્થીને સફળ થવાનો આત્મવિશ્વાસ હોય છે, ઇન્ટરવ્યુમાં બેસતા દરેક વ્યક્તિને તેમાં સિલેક્ટ થવાનો આત્મવિશ્વાસ હોય છે કે પછી કોઈ રમતના મેદાનમાં ઉતરતા દરેક ખેલાડીને તેમાં જીતવાનો આત્મવિશ્વાસ હોય છે તેવી રીતે જો આપણે દરેક નાના કામને એક મોટા ગોલ તરીકે લઈએ અને તેમાં સફળ જ જઈશું તેવા આત્મવિશ્વાસ સાથે તે કામ કરીએ તો સફળતા જરૂરથી પ્રાપ્ત થાય જ છે. કદાચ એકાદ બે વાર કોઈ કારણોસર નિષ્ફળ જવાય તો તેને હાર ન માનતા ફક્ત એક દુખદ અનુભવ તરીકે લઇ શકીએ છીએ. પણ હાં, નાસીપાસ તો બિલકુલ ન થઈએ અને બમણા જોશથી બીજી વખત તે કામ પૂરું કરવા લાગી જવું જોઈએ. આમ, તો આ વાત બહુ સામાન્ય લાગે છે પણ ઘણું અઘરું હોઈ શકે છે તે દરેક વ્યક્તિએ વ્યક્તિએ અને દરેક નાના કે મોટા પડાવે.ઘણી વાર નિષ્ફળતામાથી બહાર આવવા પાછલા સુખદ અનુભવોનો સહારો લઇ શકાય છે કે પછી જીવનના ભૂતકાળમાં મળેલી બીજી અનેક સફળતા વિષે વિચારીને નાસીપાસ થયા વગર ફરીથી તે કામમાં જોતરાઈ જવું જોઈએ.

એક યુવતી જ્યારે લગ્ન કરીને સાસરે જઈ રહી હોય છે ત્યારે અનેક સપના અને અનેક આશાઓ સાથે નવું જીવન જીવવા જઈ રહી હોય છે અને હા તે પણ એકલી.. બસ તેની સાથે તેનો સૌથી મોટો સાથી હોય છે તે છે તેનો આત્મવિશ્વાસ.. તેના સહારે તે આખી જીંદગી તે નવા ઘરમાં અને નવા લોકો સાથે વિતાવી જાય છે.લાગે છે વાત બહુ નાની પણ આ બહુ જ અઘરું છે. પણ શક્ય તો છે જ આત્મવિશ્વાસના લીધે જ!!!

તેવી જ રીતે કોઈ પણ પરીક્ષામા બેસતો વિદ્યાર્થી તે પરીક્ષામા આત્મવિશ્વાસ સાથે તૈયારી કરીને પુરા જોશથી લખશે તો તે જરૂરથી સફળ થશે જ અને ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકશે.દરેક વિદ્યાર્થીનો સૌથી મોટો સાથી તેનો પોતાનો આત્મવિશ્વાસ છે જે તેને ધારી મંઝીલ સુધી લઇ જવામાં સહાયરૂપ બને છે.આપણા હાથમાં સફળ કે નિષ્ફળ થવું તે કદાચ ના હોઈ શકે પરંતુ કઈ રીતે જે તે પરીક્ષા કે તકલીફો ને લઈએ અને તેમાંથી બહાર આવીએ તે જરૂરથી હોઈ શકે છે. તો કોઈ પણ તકલીફ આવે તો તે સમયે ડરવું તો બિલકુલ ના જોઈએ બલકે બહાદુરતાપુર્વક અને આત્મવિશ્વાસપૂર્વક તેમાંથી બહાર કઈ રીતે આવવું તે વિચારીને તુરંત પ્રયત્નો કરવા લાગી જવું જોઈએ. રસ્તાઓ ગમે તેટલા કઠિન કેમ ના હોય ક્યારેક તો મંઝિલ સુધી પહોંચાડશે જ તે આત્મવિશ્વાસ સાથે જ દરેક સફર ખેડતા રહેવી જોઈએ. મંઝિલ જરૂરથી પ્રાપ્ત થશે જ થશે. તો મિત્રો, આત્મવિશ્વાસ એ દરેક પુરુષનો એક બહાદુર અને નીડર સાથી હોઈ શકે છે. એક સ્ત્રીનું ઘરેણું હોઈ શકે છે અને એક રાહદારીનો ખુબસુરત સાથી હોઈ શકે છે. જો આમ જ આત્મવિશ્વાસથી જીવન જીવતા રહીએ તો જરુરથી એક સંતોષપૂર્વક અને ઉત્કૃષ્ટ જીવન જીવ્યાનો આનંદ પ્રાપ્ત થાય છે.

All The very Best Friends..

By Nruti Only…