Karmno kaydo - 13 in Gujarati Fiction Stories by Sanjay C. Thaker books and stories PDF | કર્મનો કાયદો ભાગ - 13

Featured Books
Categories
Share

કર્મનો કાયદો ભાગ - 13

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૧૩

કર્મ અને કર્મફળ

કર્મ અને કર્મના ફળ અંગે સામાન્ય દૃષ્ટિએ તફાવત જોવામાં આવે છે, પરંતુ તેવી દૃષ્ટિએ જોવાતો તફાવત વાસ્તવિક અને નક્કર નથી, કારણ કે મૂલતઃ કર્મનું ફળ કર્મથી ભિન્ન નથી. વિદ્વાનો કહે છે કે કર્મ ફળ આપ્યા વગર શાંત થતું નથી. જેમ અગ્નિ સાથે સંબંધિત વસ્તુને અગ્નિ ભસ્મ કરીને જ શાંત થાય છે, તેમ કર્મ પણ તેના કર્તાને ફળ આપીને જ શાંત થાય છે. કર્મ એ પ્રારંભિક અવસ્થા છે અને કર્મફળ તે પ્રારંભિક કર્મની જ અંતિમ અવસ્થા છે.

કર્મની રહસ્યમય ગાથાના જાણકારોએ એકમતે કહ્યું છે કે જેવું કર્મ હોય છે તેવું તેનું ફળ હોય છે. ‘જો બોયેગો સો પાયેગા’, ‘જૈસી કરની વૈસી ભરની’ જેવા મુહાવરાઓ ભારતમાં સદીઓથી સનાતન સત્યની જેમ આપણી વચ્ચે રહ્યા છે. આ મુહાવરાનો સારાંશ જ બતાવે છે કે જેવું કર્મ હોય તેવું જ ફળ હોય છે.

વૃક્ષને ફળ લાગે છે. જે જેવું વૃક્ષ તેને તેવું જ ફળ આવે છે. લીમડાના વૃક્ષ ઉપર તરબૂચ નથી ઊગતાં અને આંબાના વૃક્ષ ઉપર નાળિયેર નથી પાકતાં. આ હકીકત વૃક્ષને ફળ આવતા સમયની હકીકત નથી. આ હકીકત તો જે દિવસે તે વૃક્ષનું બીજ રોપાણું તે દિવસની છે. આંબાના વૃક્ષ ઉપર કેરીનું ફળ લાગવાનું છે તેવી હકીકત આંબાનો ગોટલો રોપવાના સમયે જ નક્કી થઈ જાય છે. આંબાના વૃક્ષને કેરીનું ફળ લાગવું એ કાંઈ બ્રેકિંગ કે શોકિંગ ન્યૂઝ નથી હોતા, કારણ કે તે સનાતન સત્ય છે, નહીંતર અખબારો અને ટી.વી. ચૅનલોવાળા આશ્ચર્ય સાથે ન્યૂઝ આપત કે આંબાના ઝાડ ઉપર કેરી અને નાળિયેરીના વૃક્ષ ઉપર નાળિયેરનાં ફળ લાગ્યાં છે.

વૃક્ષમાં જ નહીં, પણ વૃક્ષના બીજમાં એ હકીકત છુપાયેલી છે કે ક્યા બીજમાંથી કેવું વૃક્ષ અને કયા વૃક્ષમાંથી કેવું ફળ મળવાનું છે. બીજ એ કર્મની પ્રારંભિક અવસ્થા છે, વૃક્ષ એ મધ્યાવસ્થા છે અને ફળ એ તેની અંતિમ અવસ્થા છે. બીજ એ જ છૂપું ફળ છે, પરંતુ જ્યારે કોઈ ફળ બીજની અવસ્થામાં હોય ત્યારે તે ફળ જેવું નથી લાગતું. તેનો આકાર, તેનું કદ, તેનાં રંગ-રૂપ અને સ્વાદ પણ સ્પષ્ટ નથી હોતાં કે જે ફળની ઓળખ આપી શકે. મીઠાં-મધુરાં ફળોનાં બીજ પણ ખાતાં કડવાં લાગે છે. મોટાં ફળનાં બીજો પણ તદ્દન નાનાં લાગે છે અને રંગ-રૂપવાળાં ફળનાં બીજ પણ મોટા ભાગે કાળા રંગનાં હોય છે.

જે વ્યક્તિ મીઠાં-મધુર ફળો મેળવવા માગે છે તેની પાસે અન્ય કોઈ માર્ગ નથી, સિવાય કે તે બીજમાં રહેલા ફળની સંભાવનાઓને ઓળખીને તે બીજોનું વાવેતર અને સિંચન કરે. જે બીજમાં ફળ નથી જોઈ શકતો અને બીજમાં રહેલા ફળની સંભાવનાઓને લક્ષમાં નથી લેતો તેની મીઠાં ફળોની સેવેલી આશાઓ પણ ઠગારી નીવડે છે. બીજની સંભાવનાઓને ઉવેખીને જે મનની કામનાઓ મુજબ મીઠાં-મધુર ફળો મેળવવા માગે છે તેવા લોકોને હરહંમેશ નિષ્ફળ રહીને ધોખો ખાતા નજરે અનુભવાય છે.

આવા સત્ય છતાં દુનિયામાં મોટા ભાગના લોકો અંધ છે, જેઓ બીજમાં છુપાયેલા વૃક્ષની સંભાવનાઓને અવગણીને પોતાની ઇચ્છા અને કામનાનું ફળ મેળવવા દર-દર ભટકીને ભિક્ષા માગે છે.

કોઈસુખ-સમૃદ્ધિનું ફળ ઇચ્છે છે, કોઈ શાંતિનું ફળ ઇચ્છે છે, તો કોઈ પદ-પ્રતિષ્ઠા અને એશોઆરામનું ફળ ઇચ્છે છે, પરંતુ ફળનાં બીજ વાવીને તેનું જતન કરવાને બદલે કામનાઓનું ભિક્ષાપાત્ર બનાવીને એવા-એવા લોકો પાસે જાય છે જેઓ તેમની ઇચ્છા મુજબનું ફળ તેમના હાથમાં હોવાનો ઢોંગ રચીને ઊભા છે. કર્મનું ફળ તેનાં કર્મ સાથે જોડાઈને રહે છે, છતાં લોકો તેના ફળને ઢોંગીઓના હાથમાં જુએ છે.

જીવનભર પાપના બીજો વાવીવાીને સીંચ્યા પછી લોકો તેનાં સારાં ફળ મેળવવાની લાલસાએ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ કે જ્યોતિષી અને તાંત્રિકો પાસે જઈને ઉકેલ શોધે છે. કોઈ સાધુબાબાઓની કીમિયાગારીથી પોતાનાં દુષ્ટ બીજમાંથી પણ સુંદર અને મધુર ફળ મેળવવાના પ્રયાસો કરે છે. આ રીતે ભિખારી માનસિકતાને વરી ચૂકેલા લોકો જ્યોતિષીઓ, તાંત્રિકો અને ઢોંગી બાબાઓને ત્યાં મન ભરીને ધુતાય છે. તેમની બુદ્ધિ પણ એટલી હદે બહેર મારી જાય છે કે રસગુલ્લાં, ગુલાબજાંબું કે સમોસાં ખાઇ લેવાથી પણ કોઈ અગમ્ય શક્તિની કૃપા તેના ઉપર વરસી જશે અને તેનાં બગડેલાં કાર્યો સુધરી જશે તેમ માનવામાં પણ તેમને કોઈ જ આંચ આવતી નથી.

પોતાના શરીરમાં સેંકડો બીમારીઓ ભરીને બેઠેલા ઠગ બાબાઓ પોતે તો સારામાં સારા નામાંકિત ડૉક્ટર-વૈદ્યની દવાઓ લેતા હોય છે, પણ તેમના ભક્તોને ચમત્કારથી બીમારી મટાડવાના આશીર્વાદ વેચતા હોય છે, પોતાનામનમાં સેંકડો વાસનાઓ સેવતા ઠગભગતો બીજાની મનઃકામના પૂર્ણ કરવાના આશીર્વાદ પણ તગડી ભેટસોગાદો મેળવીને પૂરા પાડે છે. ફંડ-ફાળા અને ભેટસોગાદો ઉપર ચરી ખાઈને એશોઆરામ ફરમાવતા બાબાઓને જોઈ-જાણીને પણ ભિખારી માનસિકતાવાળા થઈ ચૂકેલા લોકો તેમની ઠગારી આશાઓના ફંદમાં ફસાઈને તેમને છોડી શકતા નથી અથવા તો મનમાં ઘર કરી ચૂકેલી ગુલામી તેમને છોડવા દેતી નથી.

ચીનમાં એક પક્ષી થાય છે, જેને કોરમોરન્ટ ફિશિંગ બર્ડના નામથી ઓળખવામાં આવે છે. આ પક્ષીનો મુખ્ય આહાર માછલી છે, પણ તેની ભિખારી અને ગુલામ માનસિકતાના કારણે ચીનાઓ તેને પકડીને તેના પગે દોરી બાંધે છે અને થોડું ટ્રેન કરી પછી તેની પાસે જ માછલી પકડાવે છે. આ પક્ષી રોજની પચીસ-ત્રીસ માછલી પકડે છે. આ રીતે માછલીઓ લાવીલાવીને તેના પગે દોરો બાંધીને ગુલામ બનાવનારને આપ્યે રાખે છે અને બદલામાં તેને બે-ચાર માછલી ખાવા મળે છે. થોડા વખતમાં તે પક્ષી ગુલામ માનસિકતાને તાબે થઈ જાય છે. પછી તો પગે દોરો બાંધ્યો ન હોય તોપણ તે ગુલામી કરે છે અને બે-ચાર માછલી ખાવા માટે પચીસ-પચાસ માછલીઓ પકડીને તેને બંધક બનાવનારનાં ચરણે ભેટ ધરે છે, જેના બદલામાં ગુલામીભરેલા ટુકડાઓ મેળવે છે.

પોતાની જ કુશળતા અને કાબેલિયતને પણ ભિખારી બની ચૂકેલી નિર્બળ માનસિકતાઓ ભોગવી શકતી નથી, કારણ કે તે કર્મમાં નહીં, પણ કર્મના ફળમાં લાલસા રાખે છે. માટે કદાચ તે પક્ષી મનોમન વિચારે છે કે આજે તો મેં પચીસ માછલી પકડી અને મને પાંચ માછલી ખાવા મળી છે, પરંતુ કાલે માછલી ન મળે તો મારા માલિકે માછલીનો જે ઢગ ભેગો કર્યો છે તેમાંથી મને બે માછલી તો જરૂર ખાવા આપશે. આજે તો હું યુવાન છું એટલે માછલીઓ પકડી શકું છું, પણ કાલે જ્યારે હું વૃદ્ધ થઈશ ત્યારે મારો માલિક મને પાલવશે. આજે તો આ સરોવર માછલીઓથી ભરેલું છે, પણ કાલે જ્યારે તેનું જળ ખૂટતાં માછલીઓ નહીં હોય ત્યારે મારો માલિક મને ગમે ત્યાંથી માછલીઓ લાવીને ખવડાવશે. આવી કામનાથી કર્મફળનું બંધક બનેલું પક્ષી પોતાના જ કર્મની કુશળતાને યોગ્ય રીતે ભોગવી પણ નથી શકતું.

હાલત એ છે કે જ્યારે તે પક્ષી બરાબર કામ કરી શકે તેમ નથી રહેતું અથવા તો જળસરોવરનાં માછલાંઓ ખૂટે છે ત્યારે વંદા, ઉંદર અને દેડકાં સહિત તમામ પ્રકારનો માંસાહાર કરનારા ચીનાઓ તે પક્ષીને પણ મારીને ખાઈ જાય છે. આવી જ હાલત ભિખારી માનસિકતાવાળા લોકો જે ઠગબાબાઓ, જ્યોતિષીઓ અને તાંત્રિકો પાસે જાય છે તેમની થાય છે. નબળી માનસિકતા વ્યક્તિને ગુલામ અને ભિખારી બનાવે છે. શ્રીકૃષ્ણ કહે છે :

સ્ર્ળ્દૃભઙ્ગેંૠક્રષ્ટદ્મેંૐધ્ અસ્ર્દૃઅક્ર ઽક્રક્રધ્બ્ભૠક્રક્રતઌક્રશ્વબ્ભ ઌહ્મબ્ડ્ઢબ્ઙ્ગેંૠક્રૅ ત્ન

ત્ત્સ્ર્ળ્દૃભઃ ઙ્ગેંક્રૠક્ર ઙ્ગેંક્રથ્શ્વદ્ય્ક્ર દ્મેંૐશ્વગદૃભક્રશ્વ બ્ઌખ્ક્રર્સ્ર્ભિશ્વ ત્નત્ન

અર્થાત્‌ જે વ્યક્તિ કર્મફળની ફલાકાંક્ષાને છોડીને બોધયુક્ત થઈને કર્મ કરે છે તે કર્મનું ફળ તો મેળવે જ છે, તે સાથે કર્મની નિષ્ઠા તેને શાંતિ પણ અપાવે છે. જ્યારે ફળની કામનાઓ સાથે બંધાયેલી વ્યક્તિની બોધયુક્ત દૃષ્ટિ કામનાઓથી ધૂમિલ થઈને અંધ બને છે અને પરિણામે ફળની આકાંક્ષામાં પડીને પોતાની શાંતિ પણ ગુમાવે છે અને મળવાપાત્ર યોગ્ય ફળને પણ ગુમાવે છે.

એક અખબારી ઘટના હતી, જેમાં પંજાબના એન્જિનિયર થયેલા એક યુવકે આઈ.એ.એસ. (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીઝ)ની પરીક્ષા આપી, પરંતુ તે ફેલ થયો. તેને ફેલ થયાનું એટલું તો દુઃખ લાગ્યું કે તે તલવાર લઈને રોડ ઉપર આવ્યો અને રસ્તા ઉપર તલવાર પછાડવા લાગ્યો. આસપાસ તેની હરકતો જોઈને ટોળું ભેગું થઈ ગયું, પયણ તે ટોળાની પાછળ પડ્યો અને વીસ-પચીસ લોકોને તલવારથી ઘાયલ કરી દીધા.

પોલીસે તેને પકડીને કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું : “હું છેલ્લા એક મહિનાથી રોજ પરિણામનું જ ચિંતન કરતો હતો. મેં આઈ.એ.એસ.ના પરિણામ સાથે મારી જાતને બાંધી લીધી હતી. મને પરિણામ પહેલાં જ આઈ.એ.એસ. બની ચૂક્યાનાં સપનાં આવવાં શરૂ થઈ ગયેલાં. જેથી હું વાસ્તવિક પરિણામ પહેલાં જ મોહના કાલ્પનિક પરિણામથી જકડાઈ ગયો, જેથી ફેલના રિઝલ્ટને ઝિંદાદિલીથી સ્વીકારી ન શક્યો.”

જો પરીક્ષાના પરિણામ કરતાં કર્તવ્યપરાયણતા સેવી હોત તો તે વ્યક્તિ કહી શકત કે ‘આજે નાપાસ છું, પણ કાલે જરૂર પાસ થઈશ.’

જ્યારે-જ્યારે માણસ પરિણામના (ફળના) મોહમાં સપનાં જોઈને ફલાસક્તિ બાંધે છે ત્યારે-ત્યારે પરિણામોનો ઝિંદાદિલીભેર સ્વીકર કરી શકતો નથી. વળી પરિણામના ભવિષ્યની ઉપાધિમાં બંધાઈને તે વર્તમાનની મોજ પણ ગુમાવે છે.

એક હજામ દરરોજ રાજાનાં બાલ-દાઢી અને પગચંપી કરવા જતો હતો. તેના બદલામાં રાજા પાસેથી તેને રોજનો એક રૂપિયો મળતો. તે એક રૂપિયો તેની આજીવિકા હતો અને એક રૂપિયામાં તે જીવનજરૂરી વસ્તુઓ મેળવીને મસ્ત જિંદગી જીવતો હતો. મસ્ત પણ એવી કે તેની મસ્તી જોઈને રાજાને પણ ઈર્ષ્યા થતી કે હું રાજા છું. મારી પાસે સુખ-સુવિધાના તમામ ઉપાયો છે, છતાં એક રૂપિયાના રોજમદાર હજામ પાસે જે મોજ છે તેના અંશ બરાબર પણ મારી પાસે નથી.

હજામની મસ્તીની મનોમન ઈર્ષ્યાની આગમાં સળગતા રાજાથી ન રહેવાયું એલે એક દિવસ તેણે તેના પ્રધાનને વાત કરી અને આદેશ કર્યો : “કાં તો હજામ જેવી મસ્તી મને મળે અથવા હજામની મોજ-મસ્તી ન રહે.”

પ્રધાન બહુ બુદ્ધિશાળી હતો. તેણે કહ્યું : “મહારાજ ! હજામ જેવી મસ્તી તો તેને મળે, જે ફળની લાલચમાં બંધાયા વગર પોતાના કર્મને નિષ્ઠાવાન થઈને કર્યા કરે. હજામની કર્મનિષ્ઠા જ તેનાં સુખ-શાંતિનું સાચું રહસ્ય છે.” રાજાને પ્રધાનની વાતમાં કાંઈ સમજણ ન પડી, તેથી તેણે કહ્યું : “હું તો ફળમાં માનવાવાળો છું. કર્મોની ગધ્ધામજૂરી તો મારા હજારો સેવક કરે છે, તેથી મારે તો સીધું જ ફળ જોઈએ. કાં તો મને હજામ જેવી મસ્તી મળે અથવા તો હજામની મસ્તી ન રહે.”

પ્રધાને કહ્યું : “મહારાજ ! હજામની મસ્તી તમારા જેવા સેંકડો કામનાઓ સાથે બંધાયેલા રાજાને અપાવવી તે મારા હાથની વાત નથી, પણ હું હજામની મસ્તી ન રહે તેવો ઉપાય કરીને બતાવીશ.” પ્રધાને તે માટે રાજા પાસે એક મહિનાનો સમય માગ્યો અને પ્રધાન પોતાના નિવાસે જતો રહ્યો.

સાત-આઠ દિવસ ગયા કે હજામની મસ્તી ધીરેધીરે ઓછી થવા લાગી. રાજાએ જોયું કેદરરોજની જેમ હજામના હોઠ ઉપરનો ગીતોનો ગણગણાટ ગાયબ હતો. કોઈ ગીતગુંજન ન હતું. મસ્તીની જગ્યાએ ચહેરા ઉપર ચિંતાની તિરાડો વાંચી શકાતી હતી. રસપૂર્વક કામ કરવાને બદલે જાણે કે રૂપિયો લેવા જ આવ્યો હોય તેમ ઉતાવળે-ઉતાવળે કામ આટોપીને ભાગવાનો છૂપો ભાવ પણ તેના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતો હતો.

બે અઠવાડિયાં પછી તો હજામ તેના કામમાં વેઠ ઉતારવા લાગ્યો. હજામની ચંપીથી રાજા જે મજા લેતો હતો તે પણ ગાયબ થઈ ગઈ. રાજા પણ વિચારવા લાગ્યો : હવે આને રજા આપી દઉં, પણ રાજાએ પ્રધાનને હજામની મસ્તી વિખેરવા જે કામ સોંપ્યું હતું તેનું પરિણામ હતું, તેથી રાજાએ પ્રધાનને બોલાવીને કહ્યું : “તમે સફળ છો, પરંતુ હવે એ બતાવો કે તમે હજામની મસ્તી છીનવી લેવા શું કામ કર્યું ?”

પ્રધાને કહ્યું : “મહારાજ ! મેંકોઈ ખોટું કામ નથી કર્યું, ફક્ત એક સાંજે કોઈ ન જુએ તેમ હજામના ઘરમાં ૯૯ રૂપિયા ભરેલી એક થેલી નાખી આવેલો, જે ૯૯ના ચક્કરમાં હજામની બધી મસ્તી વિખેરાઈ ગઈ.” રાજા ફરી ન સમજ્યો, એટલે તેણે કહ્યું : “એમ નહીં, મને વિસ્તારથી બતાવો કે શું થયું ?”

પ્રધાને કહ્યું : “મહારાજ ! ૯૯ રૂપિયાની થેલી જોઈને પ્રથમ તે હજામના આનંદનો કોઈ પાર ન રહ્યો. તે નાચવા લાગ્યો અને પછી ચાંદીના ચળકતા સિક્કાઓને ગણવા બેઠો, પરંતુ ગણતાં-ગણતાં રૂપિયા ૯૯ થયા, તેથી તે મનોમન વિચારવા લાગ્યો કે જો આમાં એક રૂપિયો વધુ પડી જાય તો પૂરા સો થઈ જાય ! પરંતુ તેને તો તમારા નોકર તરીકે આખા દિવસનો એક જ રૂપિયો મળતો હતો અને તે પણ તેના જીવનનિર્વાહ માટે જરૂરી હતો. જેથી તે રૂપિયો તેને રોજ ખર્ચવો પડતો હતો અને બીજી બાજુ ૯૯ને ૧૦૦ બનાવવાનું ચક્કર પણ તેના મનને ઘેરી વળ્યું હતું.

ધીરેધીરે હજામના મને વિચારવાનું શરૂ કર્યું કે રાજા કેવા કંજૂસ છે ! આખા દિવસનો ફક્ત રૂપિયો જ આપે છે ! આવા રાજાનું તો કમ જ ન કરવું જોઈએ ! તો બીજી તરફ તેનું મન તેને ભય તરફ ખેંચતું કે રાજાનું કામ છોડી દેવાથી તો રાજા નારાજ થઈ જશે, તો ખબર નહીં ક્યાંક ફાંસીના માંચડે પણ લટકાવી દે ! ત્રીજી તરફ તેની લાલચ કહેતી કે રાજાને કહેવું જોઈએ કે મારો પગાર વધારીને બે રૂપિયા કરો, પરંતુ ચોથી તરફ તેનું મન કહેતું કે પગારવધારાની વાતથી નારાજ થઈને રાજા જો બીજા કોઈને નોકરી ઉપર રાખી લે તો હું બેકાર થઈ જઈશ અને પછી ૯૯ના ૧૦૦ થવાને બદલે આ ભરેલી રૂપિયાની થેલી ખાલી થઈ જશે.

આમ, હજામનું મન એક રૂપિયાના પગારની પણ પરવા કર્યા વગર મસ્તીની મોજ મનાવતું હતું તે ૯૯ના ચક્કરમાં પડીને આંતરિક ખેંચતાણોમાં ચીંથરેચીંથરા થઈ ગયું હતું. નવ્વાણુંના સો બનાવવાની લાલચે હજામને ભરેલી સો રૂપિયાની થેલીની ફલાકાંક્ષા સાથે બાંધીને તેની કર્મનિષ્ઠાનું સ્થાન લીધું ત્યારથી હજામની મોજમસ્તી વિખેરાઈ ગઈ હતી.

લગભગ સહુનો અનુભવ છે કે ‘બચપન કે દિન સુહાને’ - બાળપણ ખૂબ સુખદાયક હતું તેવું મોટા ભાગના લોકો માને છે, કારણ કે બાળપણમાં સૌથી વધારે કર્મનિષ્ઠા હતી અને ફલાકાંક્ષા ઓછી હતી. પરમાત્મા પોતાના ઘરેથી સહુને કર્મનિષ્ઠ બનાવીને જ કર્મલોકમાં મોકલે છે. ખાવું, પીવું, નિશાળે જવું, રમત રમવી, કાલની ચિંતા વગર આજને વધાવવી. રાત્રે સૂવાના આયોજન વગર જ સૂઈ જવું અને સવારે કોઈ જગાડે નહીં ત્યાં સુધી સૂતા રહેવું. ફળની વાત જ નહીં. કર્મ જ કર્મ અને તે પણ નિષ્ઠા, એકાગ્રતા, આનંદ અને ઉત્સાહપૂર્વક.

એક ક્ષણ માટે વિચારીએ કે કર્મોને જીવનમાંથી હટાવી દેવામાં આવે અને ફક્ત કર્મનાં તૈયાર ફળો પીરસવામાં આવે તો ? ભોજન કર્યા વગર જ પેટ ઉપર હાથ ફેરવીએ અને તૃપ્ત થઈ જવાય, કોઈ સફર ખેડ્યા વિના મુંબઈ જવાનું વિચારીએ કે મુંબઈ પહોંચી જઈએ, ભણ્યા વગર કોઈ પણ ડિગ્રી બજારમાંથી ખરીદી આવીએ, સુખ અને શાંતિ બજારની કોઈ દુકાનોમાં વેચાતાં હોય કે જ્યાંથી માણસ ઇચ્છે તેવાં સુખ, શાંતિ કોઈ બદલો કે વળતર આપ્યા વગર ખરીદી લ્યે, તો તેવા સુખનાં તૃપ્તિ અને સંતોષની કોઈ મજા રહેશે ખરી ?

મજા તો ત્યારે છે જ્યારે ગહન કર્મોની યાત્રામાંથી પસાર થઈએ. કકડીને ખૂબ ભૂખ લાગી હોય ત્યારે જમવા બેસીએ તેનો કોળિયે-કોળિયે જે સંતોષ મળે છે તે સીધી તૃપ્તિમાં ક્યાંથી હોય ? જ્યારે સફરનો અટપટો માર્ગ ખેડીને કોઈ મંજિલે પહોંચીએ ત્યારે એવરેસ્ટનું શિખર હાંસલ કર્યાનો આનંદ હોય છે.

સાહસ અને શૌર્ય વગર જીવતા લોકોના ચહેરા જુઓ. તેમાં કોઈ તેજ નહીં જણાય, જ્યાં કોઈ ખતરો નથી તેવા સુરક્ષિત સ્થાનમાં સતત જીવતા લોકોને જુઓ, તેમનામાં ઉત્સાહની કોઈ રેખા નહીં જણાય. કોઈ પરિશ્રમ કે ઉદ્યમ વગર સતત આરામની જિંદગી જીવતા લોકોને જુઓ. જીવતી લાશથી વિશેષ નહીં જણાય, કોઈએ ખૂબ કહ્યું છે :

ઠોકરોં સે મુખાતિબ હો તૂ દિલે ઇશ્ક કે વાસ્તે,

અંધેરે સે રૂબરૂ હો તૂ કદ્રે રોશની કે વાસ્તે.

સિર્ફ સેહત કે સહારે જિંદગી કટતી નહીં,

રોગ તૂ પેદા કર કોઈ જિંદગી કે વાસ્તે.

યૂં ખુશ્ક જિંદગી મેં કહાં કોઈ ઠહર પાતા હૈ,

કોઈ દિલ-એ-દર્દ પૈદા કર તૂ ખુદી કે વાસ્તે.

જગતનિયંતાએ કર્મના ફળને જે રીતે તેનાં કર્મો સાથે જોડીને રાખ્યું છે તેનાથી વધારે સારું બીજું કાંઈ નથી. જો કર્મનું ફળ તેના કર્મને અનુસરવાને બદલે કોઈ બીજાને આધીન હોત તો મુક્તિનો કોઈ માર્ગ ન રહેત, તેથી જ વિદ્વાનો કર્મના ફળને કર્મથી અલગ નથી કહેતા.

***