◆ પ્રસ્તાવના ◆
આપણી આસપાસ નું બાહ્ય વાતાવરણ તપાસીએ તો આપણને ખ્યાલ આવશે કે એ કોઈ નાનું સરખું એકમ કે ચારો તરફ દીવાલ વાળી બંધકોશ જગ્યા નથી કે નથી આપણું ઘર, જ્યાં આપણે ગમે તે હરકતો કરીએ એ ચલાવી લેવાય. ઘર હોય તો પણ શિસ્ત પાલન તો અનિવાર્ય જ છે. પછી ઘર આપણું પોતાનું હોય તો શું થયું!, હા, ઘર માં ભાઈ-બહેન, પતિ-પત્ની, વગેરે અંદરો અંદર નજીવી બાબતે ઝગડો કરે એ બાબત ઠીક છે, એવું તો ચાલ્યા કરે. એવા ઝગડા લાંબા સમય સુધી ચાલતા પણ નથી. એવા ઝગડા માં પણ ક્યાંક ને કયાંક પ્રેમ નો ભાવ છુપાયેલો હોય છે, જેથી નારાજગી લાંબો સમય સુધી ચાલતી નથી. હા, અપવાદ રૂપ આવા ઝગડા ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. જે છુટાછેડા, કાયમી અબોલા, એકબીજા નું મોઢૂં નાં જોવું, જેવી ઘણીબધી પરિસ્થિતિ સર્જી શકે છે. વિશ્વ આપણું ઘર નથી પણ ઘર કરતા કંઈક વિશેષ છે. એક નોકરિયાત, ધંધાદારી કે સંબંધી ની વાત કરીએ તો પોતાના ૨૪ કલાક માંથી આંઠ થી બાર કલાક તે બહાર રહે છે, કોઈક નોકરી માં પોતાનો સમય ફાળવે છે તો કોઈક ધંધાર્થે. પોતાના ઘર કરતા તે બાહ્ય લોકો ના સંપર્ક માં વધારે રહે છે પોતાના ઘર કરતા વિશેષ સમય તે બાહ્ય સંબંધો માં ફાળવે છે. આથીજ તે રોજે રોજ જે વ્યક્તિ ને મળે છે, કલાકો સુધી જેઓ ની સાથે રહે છે, જેઓની સાથે કામ કરે છે, નાસ્તો કરે છે, સાથે બેસી ને જમે છે, એક પરિવાર ના સભ્યો ની જેમ એક બીજા સાથે વ્યવહાર કરે છે અને બીજી ઘણીબધી પ્રવુત્તિ તે રોજબરોજ કરતો હોય છે તે દરેક વ્યક્તિઓ સાથે પોતાનો કાયમી અને અતૂટ સંબંધ બંધાય રહે એ જરૂરી છે. પણ કહેવાય છેને કે દરેક વ્યક્તિ એક સરખો નથી હોતી. દરેક ના વિચાર, વાણી અને વર્તન અલગ અલગ હોય છે. માનવ સંબંધો ઘણા નાજુક હોય છે. એને તૂટતાં વાર નથી લગતી પણ તૂટેલા સંબંધો જોડવામાં લગભગ આખી જિંદગી નીકળી જાય છે. સમગ્ર માનવ વર્ગ આ "૩V (વિચાર, વાણી અને વર્તન)" પર જ ટકેલો છે એમ કહું તો કઈ ખોટું નથી. ઘરમાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, કે પરિવાર ના અન્ય સભ્યોની સામે ગુસ્સામાં કંઈક બોલાય જાય અને નાના મોટા અબોલા થઇ જાય ત્યારે એકબીજાને સમજાવી, પટાવી, મનાવી ને ઘર નું વાતાવરણ પહેલા જેવું શાંત કરી શકાય છે. પણ નોકરીમાં, ધંધાદારીમાં કે સંબંધોમાં આવું નથી હોતું. અહીં એક વાર બાગડેલા સંબંધનો સામનો લાંબા સમય સુધી કરવો પડે છે, બની શકે કે એ સંબંધ ક્યારે પણ નહિ સુધરે, ભલે તમે લાખ કોશીશ કરો. એથીજ સફળ બનવા અને ઉતપાત ભર્યા જીવન થી દૂર રહેવા માટે વિચાર, વાણી અને વર્તન માં વિનમ્રતા લાવવી ખુબજ જરૂરી છે. જો તમારા વિચાર શુદ્ધ થશે તો વાણી આપોઆપ શુદ્ધ નીકળશે અને સામી વ્યક્તિ સાથેનું તમારું વર્તન પણ નિખાલસ બનશે.
◆ વિષય સંબંધે ◆
દિવસ ની શરૂઆત થી લઇને અંત સુધી આપણે નાને થી લઈને મોટી એવી વિવિધતા થી ભરપૂર વ્યકિતઓ ના સંપર્ક માં આવીએ છીએ, જેમાં હેલ્પર થી માંડી ને મેનેજર સુધી, નોકર થી માંડી ને માલિક સુધી, ગરીબ થી લઇ ને ધનિક સુધી, મંદ બુદ્ધિશાળી થી લઇ ને વિદ્વાન સુધી, હોંશીયાર થી લઈને મૂર્ખ જેવી ઘણી વ્યકિતઓનો સમાવેશ થાય છે અને એ બધી વ્યક્તિઓ ની વચ્ચે રહી આપણે સફળતા ના શિખરે પહોંચીએ તો આપણી ખરી શ્રેષ્ઠતા સાબિત થાય. પણ આ આપણે ધારીએ એટલું સહેલું નથી. ચંચળ અને ઉતાવાળીયા મન પર કેટલાકો કાબુ રાખીએ ત્યારે એ શક્ય બને છે. એ બધું આપણા પર જ નિર્ભર છે કે આપણે કેટલી સાવધાની રાખીએ છીએ. રોજ આપણી મુલાકાત અલગ અલગ વ્યકિતઓ સાથે થાય છે. દરેક ના "વિચાર" અલગ અલગ- કોઈ કઈ વિચારે, શું વિચારે, કેવું વિચારે. દરેક ની બોલી (વાણી) અલગ અલગ- કોઈક ની બોલી માં મીઠાસ, કોઈક કડવાશ થી ભરપૂર, કોઈક ટોણાં મારે તો કોઈક મોં પર ચોપડાવી દે તો કોઈક પીઠ પાછળ બોલે. અને દરેક ના વર્તન પણ અલગ અલગ- કોઈક શાંત નિખાલસ સ્વભાવ વાળો, તો કોઈક વાત વાત માં ગુસ્સો કરવા વાળો, કોઈક હંમેશા બીજા ની મદદે આવવા વાળો તો કોઈક નાની નાની બાબતો ધ્યાનમાં રાખી યોગ્ય સમયે વેર વળવા વાળો. આટલી બધી વિવિધતા માં કઈ વ્યક્તિ કેવી છે એ જાણવું, પારખવું જ મુખ્ય છે. દુનિયા આખી ને એક વિશાળ સ્કૂલ માની ને ચાલીએ તો આપણે ડગલે ને પગલે નવા નિશાળિયા જ છીએ, દુનિયા જ આપણને બધું શીખવાડે છે અને આપણે દુનિયા પાસે થીજ બધું શીખીએ છીએ. સફળતા ની શરૂઆત જ અગવડ ભરી હોય છે. એ સમય જાણે કુવા માંથી બહાર નીકળી તળાવ તરફ પ્રયાણ કરતા કાચબા જેવો હોય છે. રોજ કુવા ની નાની નાની માછલીઓ સાથે રહેતો કાચબો તો એમ જ વિચારતો હોય છે કે મારા કરતા મોટું આ જગત માં બીજું કોઈજ નથી કેમ કે એ કૂવો જ એના માટે જગત આખું છે એને બહાર ની દુનિયા ક્યારેય જોય જ નથી, પણ જયારે તળાવ કે નદી માં તેનો પ્રવેશ થાય છે ત્યારે ત્યાંનું વાતાવરણ જોઈ ને તે હક્કોબક્કો રહી જાય છે, તેના કદની કરતા મોટા કદના પ્રાણીઓ, માછલીઓ ને જુએ છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તે તો એ બધા સામે તુચ્છ છે અને ત્યારે તનેે પોતાની જાત પર, પોતાના અહમ પર સર્મિન્દગી મહેસુસ કરે છે. બસ એજ રીતે બહાર ની દુનિયા માં પ્રવેશ પહેલા આપણી અંદર રહેલા એ તુચ્છ કાચબા રૂપી વિચાર ને દૂર કરવા જોઈએ.
◆ વિચારો ની હારમાળા ◆
માનવ મગજમાં રોજના લાખો વિચારો સેકન્ડે સેકેન્ડે બદલાતા રહે છે, જે આપણે સૌ જાણીએ છીએ. વિચારો ઘણાં પ્રકાર ના હોય છે, જે આપણી પાસે સારા અને ખરાબ કામ કરાવે છે, જેનો પૂર્ણ કાબુ મન પર જ હોય છે. અને મન હોય છે ચંચળ. એથી મન પર કાબુ રાખવું મુશ્કેલ છે હા પણ અસંભવ તો નથી જ. એક સારો વિચાર તમને ભવસાગર પાર કરાવી શકે છે, જયારે ખરાબ વિચાર પળભરમાં જ તમને બરબાદ બનાવી શકે છે. એક સારો વિચાર તમને કોઈક ની મદદ માટે પ્રેરી શકે છે, જયારે એક ખરાબ વિચાર તમને કોઈક ની મજબૂરી નો ફાયદો કરવા ઉત્સુક કરી શકે છે. એક સારો વિચાર તમને કોઈક ની પ્રત્યે પ્રેમ - આદર કરવા પ્રેરી શકે છે, જયારે એક ખરાબ વિચાર બીજા પ્રત્યે ઈર્ષ્યા અને ક્રોધ(ગુસ્સો) કરવા મજબુર કરી શકે છે. એક સારો વિચાર તમને કોઈ સ્ત્રીની લાજ બચાવવા તત્પર કરી શકે છે, જયારે એક ખરાબ વિચાર તમારા દ્વારા કોઈ સ્ત્રી ને હવસ નો શિકાર બનાવી તે સ્ત્રીની જિંદગી બરબાદ બનાવી શકે છે, એક સિક્કા ની બે બાજુઓ ની જેમ જ જીવન ના પણ દરેક તબકકે બે પાસા હોય છે અને એજ પ્રમાણે વિચાર પણ સારા ખરાબ આવે છે અને એને આધારે જ સુખ અને દુઃખ ની અનુભૂતિ થાય છે. સુખ તો હંમેશા આપણી સાથે જ હોય છે પણ આપના વિચાર આપણને સતત દુઃખ ની અનુભૂતિ કરાવતા રહે છે, દુઃખ તરફ ધકેલતા જાય છે. એક શંકાશીલ વ્યક્તિ આખો દિવસ પોતાની પત્ની પર શંકા ની નજરે જુએ છે, ભણેલી ગણેલી હોઈ પત્ની એક બિલ્ડર ની ઓફિસમાં રીશેપ્શનિષ્ટ ની નોકરી કરે છે.અને એજ ઓફિસમાં તેનો પતિ એકાઉંટન્ટ નું કામ સંભાળે છે. રીશેપ્શનિષ્ટ તરીકે ની નોકરી હોઈ પત્ની ને રોજ નવા નવા ગ્રાહકો ના સંપર્ક માં રહેવું પડે છે, હસતા મોઢે તેઓની સાથે વાત કરવી પડે છે, તેઓને આવકાર આપવો પડે છે. પત્ની રૂપાળી છે સાથે સાથે ઓફિસ દ્વારા અપાયેલા યુનિફોર્મ બ્લુ જીન્સ અને સફેદ શર્ટ તેના ગોરા ચહેરા અને ઘાટ્ટા લાલરંગ ની લિપસ્ટિક થી સજાવેલા તેના સુંદર હોઠ સાથે ખુબ અદભુત દેખાય છે, તેનો આકર્ષિત ચેહરો હંમેશા બિલ્ડર ના ગ્રાહકો ને આકર્ષતો. પણ પત્ની નું કામ હોઈ તેણી સતત સ્મિત સાથે આવનાર ગ્રાહકો ને મીઠી બોલીએ આદરભાવ આપતી, પણ એના દિલોદિમાગ માં એના પતિ શિવાય પરપુરુષ પ્રત્યે કોઈ ગંદા વિચાર રાખતી નહતી. કોઈક ગ્રાહક એવા પણ હોય કે તેઓ એક થી વધુ વખત બિલ્ડર ની મુલાકાતે આવે. અને સ્વાભાવિક છે કે અવારનવાર આવતા ગ્રાહકો સાથે ઓળખાણ સારી થાય અને વાત પણ. પણ સામે ની કેબીન માંજ બેઠો એનો પતિ રોજ આવનારા ગ્રાહક અને એની પત્ની ને નજર માં રાખતો અને શંકા કર્યા કરતો. પતિ ની શંકા ને કારણે બંને વચ્ચે રોજ ઝગડા નો માહોલ ઉભો થતો ગયો અને રોજ પતિ ને સમજાવીને થાકેલી પતિની શંકાથી ત્રસ્ત પત્ની આખરે છૂટાછેડા લેવા માટે મજબુર બને છે. હકીકતે વાતમાં કશું હોતું નથી, ચોખ્ખા દિલ ની પત્નીને આખરે પતિ થી વિખુટા થવું પડે છે, અને પતિ પણ ત્યાં થી નોકરી છોડીદે છે. એક શંકાશીલ વિચારે બંને ની જિંદગી માં તકરાર લાવી દીધી, બંનેને બરબાદ કરી દીધા. હવે શું? શંકા ની કોઈ દવા નથી, સમય અને સંજોગ જ શંકા નો સાચો ઇલાજ કરી શકે છે. પણ ત્યારે ખુબ મોડું થઇ ગયું હોય છે. આવા તો ઘણાબધા વિચાર આપણને ગુસ્સો, ક્રોધ, મોહ, ઉત્પાત, ઈર્ષ્યા, હવસ, અહમ અને દુઃખ નો શિકાર બનાવે છે. આ બધા વિચારો ને માત આપીને શાંતિ, નિખાલસતા, ઉદારતા, સંયમી બનવું જોઈએ, જે આપણે સુખ ના રસ્તે લઇ જાય. "એક ઉત્તમ વિચાર કરી તેને સફળ બનાવવા માટે સો વિચાર કરવા પડે એ શ્રેષ્ઠ છે પણ સો ફાલતુ વિચાર કરી એ સો એ સો વિચાર ને સફળ બનાવવા નો વિચાર હંમેશા નિષ્ફળજ રહે છે". "વિચારો ની ગતિ અસિમિત છે, મન ની ચંચળતા ને તેના પર હાવી નાં થવા દો, પણ મન પર કાબુ રાખી એ વિચારો ને યોગ્ય રસ્તે માર્ગદર્શિત કરવા ના પ્રયાસ કરવા જોઈએ".
◆ વાણી ની કરામત ◆
સફળતા નું પ્રથમ પગથિયું એટલે વાણી. જેવું કે આપણે સૌ જાણીએ છે કે "એક વાર મુખ માંથી નીકળી ગયેલ વાક્ય પાછું ખેંચી શકાતું નથી", એમ સમય અને સંજોગ જોઈ, સમજી વિચારી ને બોલવમાં જ ચતુરાઈ છે. સફળતા ના પ્રથમ પગથિયે કોઈક ની સાથે ના બોલવાનું બોલી દેવાય અને પછી થી ખબર પડે કે આપણે તો એની સાથે જ કામ કરવાનું છે, ત્યારે પાછતાવાનો પાર નથી આવતો. ન બોલવાનું બોલી ને કરેલી ભૂલ આખરે ભૂલ જ કહેવાય, પછી ભલે ને એ ભૂલ અજાણતા થઇ હોય. કહેવાનો ભાવાર્થ ફક્ત એટલોજ છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ ને કંઈપણ અયોગ્ય બોલવું ઉચિત નથી. દરેક ને પોતાનું સ્વમાન વહાલું હોય છે, દરેક વ્યક્તિ એમ ઇચ્છતી હોઈ છે કે સામી વ્યક્તિ તરફ થી તેને સારો પ્રતિષાદ કે આદર મળે. આપણે કોઈની પાસે થી સારા પ્રતિષાદ કે આદર ની અપેક્ષા કરતા હોઈએ તો એ મેળવવા માટે આપણે પહેલ કરવી જરૂરી છે, કહેવાય છે ને કે આપણે સારા તો સૌ સારા. એ જ રીતે આપણી બોલી સારી તો સૌ ની બોલી સારી. મીઠાસ અને નમ્રતા ભરી વાણી સૌને પ્રભાવિત કરી દે છે, સામી વ્યક્તિ પ્રત્યે આકર્ષિત કરી દે છે જ્યારે વાણી માં કળવાહટ હોઈ તો શું તમને વાત કરવી ગમે? નહિ ને! વ્યક્તિત્વ ની સાચી ઓળખ જ વાણી છે. એક કંપની ના બે જુદા જુદા વિભાગ ના બોસ ની વાત કરું. એક વિભાગ નો બોસ તેના કર્મચારીઓ પાસે મીઠું બોલી કઠિન માં કઠિન કામ પણ સહેલાઈથી થી કરાવી લેતો. તે એના બધા કર્મચારીઓ સાથે મિત્રો ની જેમ વાત કરતો, મજાક મસ્તી કરતા કરતા સહેલાઈ થી કામ પુરા કરાવતો, એના બધા કર્મચારી એનાથી ખુશ હતા. જ્યારે બીજા વિભાગ નો બોસ થોડો ગુસ્સા વાળો, ઉત્પાતી, નજીવી બાબતે પણ પોતાના કર્મચારીઓ સાથે ઝગડો કરી લેતો, ન બોલવા નું બોલી દેતો. એના બધા કર્મચારીએની વાત કરવા ની રીત થી ત્રસ્ત હતા. એવું ન હતું કે એના કર્મચારીઓ વ્યવસ્થિત કામ કરતા નહતા કે બોસ નું કહેવું માનતા નહતા, છતાં તેઓનો બોસ નજીવી બાબતે પણ તેમને ન બોલવાનું બોલી દેતો, ગાળાગાળી સાથે વાત કરતો. એક રોજ બોસ થી કંટાળેલા કર્મચારીઓ એ તેને કોર્ટ માં ઘસેડ્યો અને માનહાની નો કેસ દાખલ કરી દીધો. એને કોર્ટના ધક્કા ખાતો કરી દીધો અને કોર્ટે એની પાસે પાંચહજાર નો દંડ પણ વસુલ કર્યો. કેટલાક કર્મચારીઓએ તો તેને માર મારવાની પણ વાત કરી હતી.
કોઈક ની બોલી માં ટોણાં મારવા ના લક્ષણો દેખાતા હોય છે, મતલબ પરોક્ષ રૂપે એના સાથી મિત્ર કે દુશ્મન ની બુરાઈ કરવી. એવા લોકો એ રીતે વાત કરે છે કે જાણે બીજા ને સંભળાવતા હોય.અને એવું ત્યારે બને કે જયારે એક ની હોંશિયારી પર બીજો અદેખાઈ કરતો હોઈ, એક નું કામ કે સફળતા બીજો જોઈ ન શકતો હોય. દેખાદેખી નો ભાવ બીજી વ્યક્તિ સમક્ષ ટોણાં મારવા જેવી બોલી બોલાવે છે. આવી ટોણાં મારવા વાળી બોલી તમારી નિષ્ફળતા ની નિશાની ગણાવી શકાય. સફળ થવા માટે લોકો ની બુરાઈ ની ચર્ચા કરવા કરતા એના સદગુણો ની તારીફ કરવી શ્રેષ્ઠ માર્ગ છે.
કેટલાક લોકો મન ના સાફ હોય છે એટલે કે ખરા ને ખરું અને ખોટા ને ખોટું સંભળાવી દેવા વાળા. આવા લોકો મહદંશે સત્યવાદી હોઈ શકે, પ્રામાણિક પણ હોઈ શકે. પણ આ તેઓનો એક અવગુણ જ કહેવાય. આવા લોકો બીજા ની બુરાઈ ને પણ તેના મોઢે કહી દેતા અચકાતા નથી. અગર સામી વ્યક્તિ એ સારા કામ કર્યા હશે તો પણ તેની પ્રસંશા કરશે અને જો સામી વ્યક્તિ એ ખરાબ કામ કર્યા હશે તો એની બુરાઈ પણ લોકો કે જે તે વ્યક્તિ ને મોઢે કહી દેતા જરા પણ અચકાશે નહિ. પોતાની તારીફ તો બધાને પસંદ હોય પણ જો તમે કોઈક ના વિષે ખરાબ બોલ્યા તો એ કદાપિ નહિ ચલાવી લે, ભલે ને એ ખોટો હોય. આવા સમયે એની બુરાઈ કરતા મૌન રાખવું યોગ્ય છે. ખોટી કે ખરાબ વ્યક્તિ ની બુરાઈ કરતા મૌન રાખવું એ કાયરતા ના ગણી શકાય પણ "ન બોલવા માં નવગુણ" જેવી ગુજરાતી કહેવત ને ધ્યાન માં રાખી ને ચાલીએ તો સફળ ચોક્કસ થઇ શકાય.
ન બોલવા માં નવગુણ:
(૧) સામી વ્યક્તિ સાથે સંબંધ ની બગડશે.
(૨) સામી વ્યક્તિ આપણો આદર કરશે.
(૩) સામી વ્યક્તિ સાથે મિત્રતા વધશે.
(૪) સામી વ્યક્તિ હંમેશા આપનો સાથ આપશે.
(૫) સામી વ્યક્તિ આપણા વિષે ક્યારેય ખોટું નહિ વિચારશે.
(૬) સામી વ્યક્તિ ક્યારેય આપણી નિંદા નહિ કરે.
(૭) ક્યારેય ઝગડા નું વાતાવરણ નહિ સર્જાય.
(૮) આપના દ્વારા સામી વ્યક્તિ નું દિલ નહી દુઃખે.
(૯) સામી વ્યક્તિ આપણા થી હંમેશા ખુશ રહેશે/પ્રભાવિત રહેશે.
"હાથી ની પીઠ પાછળ ન જાણે કેટલાકો કુતરાઓ ભસ્યા કરતા હોય છે" એ કહેવત ને થોડી સાબિત કરીએ. જેમ હાથી ની પાછળ ભસતા કુતરાઓ પ્રત્યે હાથી ધ્યાન નથી આપતો, એ જ રીતે આપણી પીઠ પાછળ પણ એવી કેટલીકો વ્યક્તિ આપણી બુરાઈ કરતી હોય છે પણ એને નજરઅંદાજ કરી આગળ વધવું જોઈએ. એજ રીતે આપણે કોઈ ની પીઠ પાછળ બોલવું જોઈએ નહિ. બીજા ની બુરાઈ આપણને શોભા નથી આપતી. કેશવ, તેજસ ની બુરાઈ રમેશ ને કરતો હતો. પણ કેશવ એ જાણતો ન હતો કે તેજસ અને રમેશ ખાસ મિત્રો છે, અને બંને એક બીજા થી કોઈ વાત છુપાવતા ન હતા. હવે કેશવે કરેલી તેજસ ની બુરાઈ વિષે રમેશે તેજસ ને બધું જણાવી દીધું. કેશવ અને તેજસ એકજ વિભાગ માં સાથે કામ કરે છે. તેજસ હવે કેશવ વિષે બધું જાણી ગયો. એક કામમાં અજાણતા થયેલી કેશવ ની નાની ભૂલ ને વિશાળ રૂપ આપી મોકા નો લાભ ઉઠાવી તેજસે, કેશવ વિરુદ્ધ બોસ ને ભડકાવ્યા. બોસ બીજા ના કહેવામાં તરત આવી જતો, બોસે જાણ્યા સમજ્યા વગર કેશવ ને ઠપકો આપ્યો. કેશવ ને ખબર પણ ની પડી કે આખરે બોસ પોતાની નજીવી ભૂલ ની ખબર કેવી રીતે પડી. કેશવ ની કુહાડી ખુદ કેશવ ને જ વાગી. એટલે જ બીજા ની બુરાઈ થી દુઃખ શિવાય કંઇજ પ્રાપ્ત થતું નથી. બીજા માટે ખાડો ખોડવામાં આપણે ખુદ એ ખાડા માં ના પડી જઈએ એનું ખાસ ધ્યાન રાખવું, કોઈક ના વિષે કંઈપણ બોલવા પહેલા દસ વાર વિચાર કરી લેવો.
◆ વર્તન ◆
સામી વ્યક્તિ કોણ છે?, એની લાયકાત શું છે?, એનું બેકગ્રાઉન્ડ શું છે?, એ ક્યાંથી આવ્યો છે? એ બધું જાણ્યા પછી એ વ્યક્તિ સાથે સારુ કે ખરાબ વર્તન કરવું એ અયોગ્ય કહેવાય. વ્યક્તિ ને ઓળખ્યાં પછી એની સાથે સારું કે ખરાબ વર્તન કરવું એ તો સ્વાર્થીપણાંની નિશાની કહેવાય. વ્યક્તિ ગમે એ હોય, પછી ભલે ને એ કોઈ ગુંડો કે મવાલી હોય, ગરીબ કે અમિર હોય, ડાહ્યો કે ગાંડો હોય, વિદ્વાન કે મૂર્ખ હોય, કે પછી ગમેતેવા સ્વભાવ, વર્તન, અને કુટેવ વાળો હોય પણ આપણે એની સાથે કોઈપણ પ્રકારે ખરાબ વ્યવહાર કે વર્તન કરવું જોઈએ નહિ. અહીં ખરાબ વર્તન નો મતલબ કોઈની ઉપેક્ષા કે અવગણના કરવી એ પ્રમાણે કરવામાં આવ્યો છે. મેં એવી ઘણી વ્યક્તિઓ નું અવલોકન કર્યું છે જેઓ લાયકાત(હોદ્દા)ને આધારે, ઉંમર ને આધારે, અનુભવ ને આધારે, જ્ઞાન ને આધારે, વર્ગ ને આધારે, જાતિ-વર્ણ ને આધારે, પૈસા અને ખ્યાતિ ને આધારે, બીજી વ્યક્તિ ની અવગણના કે ઉપેક્ષા કરતા હોય છે.
લાયકાત ને આધારે વાત કરીએ તો તેમાં ઉચ્ચ અધિકારી અને નિમ્ન કક્ષા ના કામદારોનું શ્રેષ્ઠ ઉદાહરણ લઇ શકાય. કેટલાકો બોસ પોતાના કર્મચારીઓ સાથે એક પરિવાર ના સભ્યોની જેમ વર્તન કરે છે, તેઓની દરેક વાત સાંભળે છે અને એમાંથી યોગ્ય નિર્ણય લઇ હંમેશા કામદારો ની સલામતી વિષે વિચારતા હોય છે. પણ બધે આવું નથી હોતું. કેટલાક બોસ પોતાનાના ફાયદા કે પારિવારિક લાભાર્થે કામદાર ની ઉપેક્ષા કરે છે, ધૃતકારે છે, હેરાન કરે છે. ક્યારેક કામ ન શિખવાડવું તો ક્યારેક નજીવી બાબતે ઠપકો આપવો કે ગાળાગાળી કરવી, તેના પર કામ કરાવવા માટે દબાણ લાવવું, મજબૂરી નો ફાયદો ઉઠાવી તેને ન કરવા ના કામ કરાવવા વગેરે.
કેટલીક વાર ઉંમર અને અનુભવને આધિન પણ વર્તન માં ફેરફાર જોવા મળે છે અને એવું ત્યારે બને છે જયારે મોટી મોટી અનુભવી વ્યક્તિઓ દ્વારા ન થતા કામ કોઈ નવો નિશાળીયો આશાની થી કરી ગયો હોય, પછી ભલે ને એ કામ એના દ્વારા તુક્કા લગાવવા થી થયું હોય! હવે એ નવા નિશાળિયા ની તારીફ કરવાને બદલે તેની આવગણના કરવામાં આવશે, સિનિયરો દ્વારા એને કામ શીખવાડવા ને બદલે એની અનુપસ્થિતી માં, આવેલી સમસ્યાઓ નું સમાધાન કરવામાં આવશે, એની પાસે બિનજરૂરી કામ કરાવવામાં આવશે. કામ પ્રત્યે એના આપવાઆ આવતા અભિપ્રાયોને પણ નજરઅંદાજ કરવામાં આવશે, એના દ્વારા પૂછાયેલા સવાલો ના ઊંધા કે ગૂંચવણ ભર્યા જવાબો આપી તેને ભ્રમિત કરવા માં આવશે, એને ખોટી દિશા બતાવશે, એને કરેલા સવાલ ના જવાબ આપવાને બદલે સામેથી બીજા દસ સવાલ કરવામાં આવશે. જે બિલકુલ અયોગ્ય કહેવાય. જ્ઞાન વેચવાથી વધે છે, "કોઈકની બુદ્ધિચાતુર્ય પર ઈર્ષ્યા કરી તેની હોંશિયારી ની મજાક ઉડાવવીએ આપણા ખરાબ વર્તન ની ઉત્તમ નિશાની છે".
"લોકોના મન ને પ્રફુલ્લિત રાખો, આપણું મન આપોઆપ પ્રફુલ્લિત થઇ જશે", મતલબ લોકો ને ખુશ રાખવાનો પ્રયત્ન કરો, તમારાથી લોકો જેટલા ખુશ રહેશે એટલુંજ તમારું કાર્ય પૂરું કરવામાં સરળતા થશે. જેમાં ડ્રાઈવર, નોકર ચાકર, રસોઇયા મહારાજ, કામના સ્થળે હેલ્પર, કર્મચારી એવી દરેક વ્યક્તિઓનો સમાવેશ કરી શકાય. અહીં હું કોઈ પ્રલોભનની વાત નથી કરતો કે તેઓને પૈસા ની લાલચ આપી આપણું કાર્ય કરાવીએ. પણ તેઓ સાથે કેવી રીતે વર્તિએ કે જેથી આપણું કાર્ય ઉત્તમ રીતે પૂરું કરી શકાય. વર્તન માં "હું કહું એમજ થવું જોઈએ" એમ "અહમી સ્વભાવ" થી કહેવાને બદલે "તમે કહો એમ કરીએ અથવા આરીતે કરીએ તો કેવું રહેશે?" એવું પૂછવું સારું કહેવાય. બધાની સામે "મારે કોઈ ની જરૂર નથી, હું એકલોજ કરી દેવા" એમ કહેવાને બદલે "ચાલો આપણે સૌ મળીને કરીએ અથવા મને તમારી આઈડિયા ની જરૂર રહેશે" એમ કહેવું સારું, અહમી બનવા કરતા મદદ માંગવી અને મદદ કરવી વધારે યોગ્ય છે. કામ થી દૂર ભાગવા માટે "એ મારુ કામ નથી કે મારી પાસે સમય નથી" એમ કહેવા ને બદલે "ચાલો આપણે એક વાર જોઈ લઈએ અથવા મારાથી બનતા પ્રયત્નો કરીશ" એમ કહેવું સારું રહે. એનાથી ફાયદો એ થશે કે કંઈક નવું જાણવા પણ મળશે અને સામી વ્યક્તિ સાથે સંબંધ પણ મજબૂત થશે. લોકોની તારીફ કરો, જેમકે નોકરીએ કે ઘરે રસોઈ બનાવવા આવતા રસોઇયા મહારાજ કે કોઈ સ્ત્રીએ બનાવેલી રસોઈની તારીફ કરો, જેથી રોજિંદા રસોઈ બનાવવા થી માંડીને પીરસવા સુધીના એના દરેક હાવભાવમાં તમારા પ્રત્યેના એના ઉત્સાહ માં વધારો જોવા મળશે, તમને જોતાંજ તમારી વાનગીની ડીશ તમારી સમક્ષ હાજર રહેશે.
ભેદભાવ વાળી નીતિ, વર્તનમાં ઘણાબધા પરિવર્તન સર્જે છે. જેમાં જાતિ અને વર્ણ મુખ્ય છે. કોઈક વ્યક્તિ નીચી જાતિનો કે નિમ્ન કક્ષા નો છે એમ જાણી એની સાથે ખરાબ વર્તન કરવું કે એને ધૃતકારવું એ અયોગ્ય કહેવાય. છુત-અછૂત, ઉચ્ચ-નીચ, કાળો-ધોળો જેવી અસમાનતા નો ત્યાગ કરી સર્વત્ર એક માનવતા વર્ગ ધ્યાનમાં રાખી બચી ગયેલા અખંડ ભારત ને હવે ખંડિત ના કરવા ના પ્રયત્નો કરવા જોઈએ, જેથી ફરી એક સશક્ત રાષ્ટ્ર ભારત ઉભું થઇ શકે.
આભાર
◆◆ કૃણાલ આર. જરીવાલા ◆◆