Saraswati Chandra - Part 3 - Ch. 1 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 1

Featured Books
Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 1

સરસ્વતીચંદ્ર

ભાગ : ૩

રત્નનગરીનું રાજ્યતંત્ર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રસ્તાવના

મનુષ્યના ભાગ્યમાં સંપત્તિવિપત્તિના પ્રવાહો અવળાસવળા વહન કરે છે, તેવું જ મનુષ્યસમૂહથી ભરેલા દેશોના ભાગ્યમાં પણ થાય છે. આ દેશને શિર પાછલાં બે-ત્રણ વર્ષથી પડવા માંડેલી બહુરંગી વિપત્તિઓ સર્વદુષ્ટ છે તો તેના વર્ણનની પુનરુક્તિ આવશ્યક નથી. ફણ એ જ વિપત્તિઓએ મુંબઇના મુદ્રાયંત્રોને અનેકધા ઘેરેલાં હતાં, અને એ જ કારણને લીધે ઘણા કાળથી મુદ્રાયંત્રમાં મોકલેલો આ લેખ માત્ર આજ વાંચનારના હાથમાં મૂકી શકાય છે. અનેક વિધ્નોને અંતે આ કથાના ભાગે વાચકવૃન્દ પાસે રખાવેલું ધૈર્ય આ પરિણામને પામ્યું છું તો તે ધૈર્ય ગ્રંથ સંબંધમાં અન્ય ઇષ્ટ વિષયમાં પણ સફળ થાય એ ઇચછા સ્વાભાવિક છે.

સરસ્વતીચંદ્રના આ ત્રીજા ભાગ પછી માત્ર ચોથો જ ભાગ રચવાની યોજના છે. ઇશ્વરની ઇચ્છામાં આ લેખકની કલ્પના હશે તો ઉક્ત યોજના પાર પાડવાની માનુષી કલ્પના તો છે જ. એ કલ્પના સિદ્ધ થાઓ અને સર્વ વાચકવૃન્દનાં આયુષ્ય એને સફળ કરો એવી ઇશ્વરને પ્રાર્થના છે. આ કથાની મૂળ પ્રોત્સાહિની અને લેખકની પ્રિય ભગિની અ.સૌ. સમર્થલક્ષ્મી ગ્રંથની સમાપ્તિ સુધી આયુષ્યમતી રહી શકી નથી અને તત્સંબંધમાં તેની વાસના તૃપ્ત ન કરાતાં બંધુભાવે અર્પેલી જોડેની નિવાપાંજલિ લખવાનો આ લેખકવને ભાગ્યદૈન્યથી અત્ર પ્રસંગ આવેલો છે. પ્રિય વાંચનાર ! આવા પ્રસંગને અનુભવકાળે તારે માટે ઉપર કરેલી પ્રાર્થનામાં જે આશીર્વાદનો ઉદ્‌ગાર અંતર્ગત છે તે તને ઇષ્ટ હો !

આ કથાના ચોથા ભાગમાં આ ગ્રંથની પૂર્ણાહુતિ કરવા ધારી છે. પ્રતમ ભાગની પ્રસ્તાવનામાં ગ્રંથનો સાધારણ ઉદ્દેશ જણાવ્યો હતો. આ પ્રસ્તાવનામાં કંઇક વિશિષ્ટ ઉદ્દેશ જણાવવા અવકાશ છે.

સંસ્કૃત અને અંગ્રેજી ભાષાઓના મહાન અને સમર્થ ગ્રંથકારોની જ્વાળાઓ આ દેશની પ્રજાને અનેકધા લાભકારક છે. પણ એ જ્વાળાઓમાં આધુનિક પ્રજાનું સર્વ પ્રકારે તાદાત્મ્ય થવું સુલભ નથી. કારણ અંગ્રેજો અને દેશીઓ વચ્ચે વિચારઆચારમાં જેમ અનેધા ભેદ છે તેમ સંસ્કૃતવિદ્યાના અને આજના આપણા કાળ વચ્ચે પણ વિચારઆચારમાં અનેકધા ભેદ છે, અને એવા ભેદમાંથી ગાળી કાઢી એ ભાષાઓના સત્ત્વનો કેવળ અનુકૂળ રસ ચાખવો એ સર્વથી બનતું નથી. આપણી પ્રજા, આપણો દેશ, આપણો કાળ, આપણા વિચારઆચાર અને આપણા આધિઉપાધિ : એ સર્વનાં વર્તમાન ચિત્ર વચ્ચે ઊભા રહીને, આપણી ભાવિ પ્રજાનું એ જ વિષયોના રંગથી ભરેલું કલ્પિત ચિત્ર આલેખવું એ આ કથાનો વિશિષ્ટ ઉદ્દેશ છે. કલ્પિત ચિત્ર પ્રમાણે જ ભવિષ્ય બંધાશે એવો સિદ્ધાંત મનુષ્યથી બંધાય એમ નથી. એ ચિત્ર તો માત્ર વ્યાપારી ભવિષ્ય લાભહાનિની વ્યર્થાવ્યર્થ કલ્પના કરે તેવી કલ્પના જ છે. ચિત્રની એક છાયામાંથી બીજી છાયામાં થતી સંક્રાન્તિ ક્રમે ક્રમે પરખી કાઢવી અને તેની શુદ્ધિ-અશુદ્ધિની કલ્પના કરવી એ વિદ્ધાન વાચકોનું કર્તવ્ય છે. આ ચિત્રલેખનો ઉપક્રમ તો એ છે કે સર્વ છાયાઓના સંક્રમ નશ્વર ગણી તેમની મેળવણી કરી નાંખવી, સર્વ છાયાઓનું સહચરિત પ્રતિબિંબ એક આદર્શમાં પાડવું અને સંક્રમને અંતે ત્રિવિક્રમ પેઠે અવતરનાર અને વિક્રમ પામનાર ભાવિ યુગની જન્મકુંડળી જેવી છાયા આલેખવી.

આ કાર્યમાં, ચિત્રને અંંગે ગૌણ પણ અન્યથા પ્રધાન ઉદ્દેશ એક એવો છે કે અનેકરંગી સંપત્તિવિપત્તિઓમાં ડૂબતાં અને તરતાં આર્યઆર્યાગણનાં હ્ય્દયયોને કોઇક જાતનું દેશકાળને અનુકૂળ ઉચ્ચગ્રાહી અવલંબન દર્શાવવું. એ ઉચ્ચગ્રાહ કઇ ભૂમિકાઓમાં થાય એમ છે ? કુટુંબજાળોની ગાંઠોમાં ગૂંચવાયેલાં ગંઠાઇ ગયેલા ઘેરઘેર અનુભવાતા પણ પરસ્પરથી ગુપ્ત ગૃહસંસારોમાં, મનસ્તાપથી એકાંતમાં પીડાતાં નાનમોટી વ્યક્તિઓનાં મિત્રશૂન્ય હ્ય્દયમાં, આત્મસત્ત્વના અને લોકહિતના ઉચ્ચાભિલાષી પણ સાદનહીન જનોનાસમુદ્રતરંગના જેવા-ઉછાળાઓમાં, અંતર્વ્યાધિથી પીડાતાં દેશી રાજ્યોમાં, વિકસતા અંતગર્ભને સંકોચાવતા - પણ નવીન પ્રાણનું આધાન કરાવવા સમર્થ - અંગ્રેજી સત્તારૂપ પક્ષિણીનાભાર નીચે સેવાતા સુવર્ણઅંડમાં, હિરણ્યગર્ભ પેઠે બંધાતા (દશી રાજાઓ, પ્રધાનો, વ્યાપારીઓ, કૃષિ -આદિ કલાના પ્રવીણ વર્ગો, દેશવત્સલ વિદ્ધાનો આદિ અવયવવાળા) ગર્ભદહને - સૂક્ષ્મ આત્મસ્વરૂપના બળથી તથા વિકાસકાળે - થતા ઉલ્લાસોમાં અને અંડભિત્તિના બળથી તથા વિકાસકાળે - થતા ઉલ્લાસોમાં અને અંડભિત્તિના બળથી એ જ ગર્ભને થતા સંકોચની વેળાએ થતા અવસાદોમાં તેમ જ એ વિકાસ અને સંકોચની પરસ્પરસંઘટ્ટક મન્થનક્રિયાઓને કાળે થતી પ્રસવવેદનામાં, આર્યાવર્તની પ્રાચીન અને સાત્ત્વિક વિદ્યાઓ તથા યુરોપની નવીન અને રાજસી વિદ્યાઓના વિસંવાદી સંગ્રહ પ્રદર્શનમાં, અને આ દેશના અનુભવને અનુકૂળ થતાં કાળક્રમે રૂઢ થયેલા - રૂઢિરૂપ થયેલા વ્યવસ્થારક્ષક લોકાચાર અને પરદેશી સંસ્કારોથી ઉદય પામતા અને નવા યુગના ચમકારાથી ચમકાવનાર સ્વતંત્રતાવિકાસ પાશ્ચાત્ય આચાર : અ ઉભય આચારના વેગના - ગંગાયમુનાના જળના જેવા - નવીન ગુણોના ઉદ્‌ભાવક સંગત પ્રવાહોમાં : એ સર્વ ભૂમિકાઓમાં વર્તમાન સંક્રાન્તિકાળની તીવ્ર અને ઉગ્ર સંક્રાન્તિથી થતી કષ્ટમયી દુઃસ્થિતિ સુદૃશ્ય છે. તેવી જ રીતે એ સર્વ ભૂમિકાઓમાં, આ આવા કાળનાં કષ્ટોના ભ્રામર વચ્ચે વર્તમાનથી વ્યાકુળ અને ભવિષ્યથી ક્ષણમાં ઉદ્ધિગ્ન અને ક્ષણમાં મોહિત ચિન્તાઓની ભીડાભીડના દબાણ વચ્ચે સર્વસંગ્રહી ઉદારતાનાં અને સારસંગ્રહી બુદ્ધિનાં તેમ જ ઉચ્ચગ્રાહી ઉદાત્તતાનાં ઉદય પામતાં થોડાં પરંતુ ચિરંજીવ કિરણ પણ દૃષ્ટગોચર થતાં જણાય છે. એ સંક્રાન્તિનું વર્તમાન ચિત્ર અને એ કિરણોનું ભાવિ ચિત્ર એ ઉભય આ કથાના ચારે ભાગનો એક પ્રધાન ઉદ્દેશ છે.

સંક્રાન્તિકાળનો આ ખગ્રાસે મોહમાં અને શોકમાં પડેલાં જૂનાં અને નવાં, તરુણ અને વૃદ્ધ, અશિક્ષિત અને શિક્ષિત, અજ્ઞ અને પ્રજ્ઞ, દીન અને સમર્થ, ભ્રષ્ટ અને શિષ્ટ, સર્વ ચિત્તોમાં મોક્ષકાળનાં આ ઉદયમાન કિરણ પ્રવેશ પામે અને અવિચારને સ્થાને વિચાર, અને અવસાદને સ્થાને ઉત્સાહ પ્રવર્તે - એ આ કથાના સર્વ ભાગોના સર્વ ઉદ્દેશોનો કેન્દ્રસ્થ ઉદ્દેશ છે. ચોથા ભાગમમાં આલેખવા યોજેલા સરસ્વતીના મનોરાજ્યની પૂર્ણાહુતિ સાથે બે ઉદ્દેશોનો ઉદ્દેશ અંશતઃ પણ સિદ્ધ થાઓ એવી આ લેખકની એષણા છે. ‘કિં બહુના ? મન એવ મનુષ્યાણાં કારણં બન્ધમોક્ષયોઃ’ એ શાસ્ત્રવચનનો અનુભવ જ સુખસાધક છે અને પ્રિય વાચકવર્ગની સર્વ શક્તિઓનાં અને વાસનાઓનાં પાત્ર તેમનાં મન જ છે, તો એ પાત્રોમાં એ સુખ સિદ્ધિ થાઓ અને ઇષ્ટં ધર્મેણ યોજયેત્‌ એ આજ્ઞાને અનુસરી અને સર્વ વાચકોને ઉદ્દેશી લખેલી આ કથા છે તે કથારૂપ નિમિત્તથી, ઇષ્ટ વાચકજન સુખધર્મથી મુક્ત થાઓ, અને એ ઇષ્ટ, એ પાત્ર અને એ ધર્મ, એ ત્રણેના શુભ યોગ પરિણામ પામતાં;

સર્વસ્તરતુ દુર્ગાણિ સર્વો ભદ્રણિ પશ્યતુ ।

સર્વં કામાનવાપ્નાતુ સર્વઃ સર્વત્ર નન્દતુ ।।

મુમ્બાપુરી, ગો. મા. ત્રિ.

વિક્રમાર્ક ૧૯૫૪

સરસ્વતીચંદ્ર

ભાગ-૩

રત્નનગરીનું રાજ્યતંત્ર

પ્રકરણ-૧

સુન્દરગિરિના શિખર ઉપર

અન્નપૂર્ણાના પ્રતાપના અનુભવાર્થીને તેના પ્રસાદનો અનુભવ થયો. અંધકાર અને અરણ્યમાં અશરણ શબઅવસ્થાના અનુભવને અંતે, ભયંકર વનચરોની ગર્જનાઓ વચ્ચે મરણમૂર્છાએ આપેલી બધિરતાને અંતે, મહાસર્પે આપેલા મરણભાનને અંતે, સરસ્વતીચંદ્રને બાહ્ય ભયમાંથી તારનાર જોગીલોક લઇ ગયા. ભૂમિશય્યા છોડાવી મોહનપુરીએ પોતાના ખભા ઉપર શય્યા આપી. ભયંકર અંધકારમાંથી બહાર કાઢી ભયંકર દાવાગ્નિના પ્રચંડ ભડકાઓ વચ્ચે થઇને એને લીધો. સુન્દરગિરિના ઠેઠ યદુશૃંગ નામના શિખર ઉપર જોગીઓનો મઠ હતો. પૃથ્વીથી એ મઠ સુધી ચડવાનો ઊભો સાંકડો આડોઅવળો માર્ગ અનેક પથરાઓ અને ખડકો વચ્ચે થઇ ઊંચો ચડતો હતો. સાધારણ મનુષ્યને એટલે ઊંચે ચડતાં શ્રમ પડતો અને શ્વાસ ચડતો અને તે છતાં બે કલાક એ માર્ગ કાપવામાં જતા. ગુરુજીની ગાડી તળેટી ઉપર એક મઠ આગળ તેમાં રહેનારાઓને સોંપી ગુરુજી સહિત સર્વ જોગીઓ આ સુન્દરગિરિ પર કલાકમાં જોરભેર ચડી ગયા. એકબીજા વચ્ચે ખભાફેર કરી તેમણે સરસ્વતીચંદ્રને પણ ઉપર લીધો. મધ્યરાત્રિ વીત્યા પછી એક વાગ્યે સર્વમંડળ મઠ આગળ પહોંચ્યું. જેમ જેમ સૌ ઉપર ચડ્યા તેમ તેમ ડાઢ વધવા લાગી, અને ઉપર ચડી રહ્યા તેની સાથે સરસ્વતીચંદ્રને ચૈૈત્રમાસ છતાં ઘણી ડાઢ વાવા લાગી : પર્વત ઉપરની એ ડાઢે એના શરીરને સચેત કર્યું અને એના પ્રાણમાં નવા પ્રાણ મૂક્યા. અન્નપૂર્ણાના પ્રસાદની વૃષ્ટિ થતાં પહેલાં તેનો મેઘોદય થતો હોય તેમ સરસ્વતીચંદ્રનો શ્રમ ઊતરી ગયો, ઊંચકનારને ખભેથી પોતે ઊતરી પડ્યો, વિસ્મય તેમ આનંદથી ચારેપાસ દૃષ્ટિ ફેરવવા લાગ્યો, અને આ વિચિત્ર પવિત્ર સ્વપ્નના તાત્પર્યનો મર્મ અંતરમાં શોધવા લાગ્યો.

એને જાગ્રત થયેલો જોઈ જોગીએ ખુશ થયા, એની ચારે પાસ વીંટાઇ વળ્યા. ગુરુજી મઠમાં પધાર્યા હતા અને મઠના દ્ધારમાંથી દીવાનો મંદ પ્રકાશ બહાર આવી સરસ્વતીચંદ્રના મોં ઉપર પડતો હતો. મોહનપુરી એને વાંસે હાથ ફેરવી આતુરતાથી પૂછવા લાગ્યો : ‘કેમ ભાઇ, તમે બરાબર જાગ્રત થયા ? તમારે શરીરે સુખ છે ?’

આ સ્વપ્ન કે જાગ્રત છે તે વિશે સંશયમાં પડેલા સરસ્વતીચંદ્રે ઉત્તરમાં પ્રશ્ન પૂછ્યા : ‘તમે સૌ કોણ છો ? આ ક્યું સ્થાન છે ? અહીં કોનું રાજ્ય છે ? હું અહીં શી રીતે આવ્યો ? આ સ્વપ્ન છે કે જાગ્રત ?’

મોહનપુરી બોલ્યો : ‘ભાઇ ! આ આત્માનું સ્વપ્ન છે, પણ માયાનું જાગ્રત છે; તું તો આવ્યો પણ નથી અને ગયો પણ નથી. પરંતુ તારા શરીરને અમે જંગલમાંથી આણ્યું છે; કૃષ્ણપરમાત્માના રાજ્યમાં સર્વ સમાન છે, પણ આ ચર્મચક્ષુના પ્રદેશનો ધરતીપતિ મહારાજ મણિરાજ છે. અમે ને તમે એક જ છીએ અને એ સર્વનું સ્થાન એક છે, પણ જે પ્રદેશ પર આ સર્વ ચરણ ઊભા છે તેને મનુષ્યો સુન્દરગિરિ કહે છે. આ સુન્દરગિરિ પર્વત ઉપર વિષ્ણુદાસ બાવાનો મઠ છે અને આ સર્વ ગોસાંઇઓ એ મઠના આશ્રિત છીએ. પણ તમે કોણ છો ?’ ગુરુજીએ વરતેલું ભવિષ્ય ખરું છે કે ખોટું તેની પરીક્ષા કરવા મોહનપુરી આમ બોલ્યો, તેનું પ્રયોજન સર્વ ગોસાંઇઓ સમજી ગયા અને આતુરતાથી ઉત્તરને વાસ્તે ઉત્કંઠિત થયા.

જાગેલો પણ શ્રમ અને ક્ષુધાથી ઊંઘતા જેવો સરસ્વતીચંદ્ર આ પ્રશ્નોથી ચકિત થઇ ખરેખરો જાગ્યો. ચારે પાસ બાવાઓનું ટોળું જોઇ, તે વચ્ચે પોતાને ઊભેલો જોઇ એ પણ સમયસંવાદી થઇ બોલ્યો : ‘સત્ય છે.આ અંધકારમાં તો કહો છો એમ જ છે, અને હું કોણ છું તે જાણો છો તો ઉત્તર શું કરવા જોઇએ ? લાંબી વાતનો સંક્ષેપ એટલામાં છે, પણ જો તમે મઠના અધિકારી હો તો પહેલી વાત એટલી કરો કે આ શરીરને કંઇ અન્ન આપો, અને નિદ્રા સારુ તસુ ધરતી આપો - તોપછી સ્વપ્ન અને જાગ્રત એક જ છે.’

ગોસાંઇઓ આ ઉત્તરથી તૃપ્ત થયા, ગુરુજીની પરીક્ષા સફળ થઇ સમજી આશ્ચર્ય અને આનંદમાં મગ્ન થયા, અને અંધકારમાં ગાજી ઊઠ્યા : ‘શ્રી કૃષ્ણપરમાત્માકી જય ! શ્રી રાધાકૃષ્ણકી જય !’ સર્વ ગોસાંઇઓ માંહોમાહ્ય ગુરુજીના ત્રિકાળજ્ઞાન ઉપર શ્રદ્ધા દૃઢ કરવા લાગ્યા અને ગુરુજીના અભિમત અતિથિનો સત્કાર કરવા તત્પર થઇ ગયા. વીજળી જેટલી ત્વરાથી મંદિરમાંથી તુલસીપત્ર સહિત પ્રસાદ લઇ એક બાવો આવ્યો, બીજો બાવો નિર્મળ જળભરેલો લોટો લાવ્યો, ત્રીજાએ એક લીપેલી ઓટલી ઉપર લીમડાના વૃક્ષ નીચે ગોદડી પાથરી તે ઉપર નવી ધોયેલી ચાદર પાથરી અને કરચલીનું નામ પણ રાખ્યું નહીં, ચોથાએ નાનીસરખી તાપણી કરી ડાઢ અને અંધકારનો ઉપાય કર્યો, અને અંતે બોલ્યાચાલ્યા વિના અતિથિને અન્નતુષ્ટ કરી, નિદ્રાવશ કરી, સર્વ પોતપોતાને સ્થાનકે વેરાઇ ગયા. કોઇકે થોડીવાર ગાંજો ફૂંક્યો, કોઇકે શ્રમ ઉતારવા વાર્તાવિનોદ કર્યો, કોઇ નિઃશબ્દ નિશ્ચેષ્ટ થઇ જાગતા આકાશના તારા સામું જોતાં સૂતા, કોઇએ જરી વાર ભજન કર્યું અને સર્વ પણ અંતે સાથેલાગા નિદ્રાસમાધિમાં પડ્યા. માત્ર પવન કંઇક વૃક્ષોનાં પત્રોમાં ઝીણો શબ્દ કરતો હતો, એકલા તારાઓ ઝીણી દૃષ્ટિ કરી જોતા હતા; એકલી સૃષ્ટિ વિના સર્વ જડચેતન નિદ્રાવશ થઇ ગયાં - કંઇક જતાં રહેલાં લાગ્યાં. આખી સૃષ્ટિમાં કેવળ રાત્રિ રહી. રાત્રિ પણ ઝપાટાબંધ ચાલવા લાગી, અને પાછલી રાતના ચારેક વાગ્યા ન વાગ્યા હશે એટલામાં તો વહેલા ઊઠનારા જોગીઓ ઊઠવા લાગ્યા. વ્યાઘ્રાદિની પેઠે તેજમાં તેમ જ અંધારામાં જોઇ શકતી આંખોવાળા જોગીઓની અંધકારમાં આવજા થવા લાગી. એ ખડખડાટ ભડભડાટથી સરસ્વતીચંદ્રની નિદ્રા જતી રહી અને સૂતોસૂતો કાનમાં આવતા શબ્દોને ચાવવા દેવા લાગ્યો. એનાથી બેચારેક હાથને છેટે સૂતેલા બે જોગીઓ પથારીમાં પડ્યા પડ્યા વાતો કરતા હતા તેમાં સરસ્વતીચંદ્ર લીન થયો.

‘ભૈયા, આ અતિથિ કોણ છે અને તમે ક્યાંથી આણ્યો છે ? ગુરુજીનો એના પર શાથી પક્ષપાત થયો છે ?’

‘કાલ રાત્રે જંગલમાં મૂર્છાવશ પડેલો જડ્યો તે ઊંચકી આણ્યો. ગુરુજીએ સમાધિમાં ભવિષ્ય વરત્યું છે કે એ મહાત્મા થશે અને આ મઠનો એ પુરુષ ઉત્કર્ષ કરશે. એની સાથે થયેલા પ્રશ્નોત્તર તો સાંભળ્યા કની ?’

પોતે આ વાતનો વિષય છે અને પોતાને વિશે આ વરતારો થયો છે જાણી સરસ્વતીચંદ્રના મુખ ઉપર અંધારામાં પણ સ્મિત ફરક્યું. તેના મનમાં શબ્દ સ્ફુરવા લાગ્યા : ‘આ પણ પવિત્ર ભૂમિ દેખાય છે, જ્યાં આમ વરતારા વરતાય છે અને તે ઉપર શ્રદ્ધા રખાય છે એમાં પણ કાંઇ જોવાનું હશે.’ જોગીઓની વાતે વિચાર બંધ પાડ્યા.

‘હા, ભૈયા, એની બુદ્ધિમિાં કંઇ ચમત્કાર તો છે. ગુરુજી એને શું કરવા ધારે છે ?’

‘એ તો હરિ જાણે. પ્રાતઃકાળે એમનો સમાધિ પૂર્ણ થાય તે પછી એને એમની પાસે લઇ જવાની આજ્ઞા કરી છે. ત્યાં સુધી એની સેવા કરવાની આજ્ઞા છે.’

‘મને તો લાાગે છે કે આપણા મઠનું રહસ્ય એનેે મોડુંવહેલું આપશે.’

‘તો જેવો અધિકાર. અલખ જગાવવો એ કાંઇ નાનીસૂની વાત નથી.’

‘જ્યારે આવો વરતારો વરત્યો છે ત્યારે આટલો અધિકાર તો હશે જ.’

‘રાધેદાસ ! એ તો જે થવાનું હશે તે થશે. આપણી નિત્યકથા ચલાવો. સૂર્યોદય થતાં વાર નહીં લાગે.’

‘આજ શી ચર્ચા ચલાવશું ?’

‘તને કાલનો કંઇ વિચાર થયાં કરે છે ?’

‘હા.’

‘શો ?’

‘ગુરુજી સાથે કાલ ભિક્ષા લઇ પાછા આવતા હતા એવે સંધ્યા થઇ, ત્યારે એક વડ નીચે પડાવ નાંખી વિશ્રામ લેતા હતા અને હું ગુરુજીની સેવા કરતો હતો : ત્યારે પોતે બે ચારેક મંત્ર બોલ્યા. તેનો અર્થ મેં પૂછ્યો ત્યારે બોલ્યા કે બચ્ચા, આજ નહિ, વિચાર કરી અધિકારી થા - રહસ્યશ્રવણનો તું આજ આટલો અધિકારી થયો; રહસ્યઅર્થનો અધિકારી તું થશે ત્યારે તેનું શ્રવણ કરાવીશ.’

‘સાચી વાત છે. સર્વ અધિકારને અંગે છે.’

‘હા, પણ તમને અર્થ અજાણ્યો નહીં હોય. ગુરુ અધિકારી વગર બીજાને દાન કરે, પણ હું તો તમારો સબ્રહ્મચારી છું.’

‘સાચું બોલ્યો. આપણેતો પરસ્પર વિબોધનનો ધર્મ છે. બોલ જોઇએ -એ મંત્ર શા છે ?’

રાધેદાસ જરીક વિચારમાં પડી, સ્મરણ આણી, ધીમે ધીમે બોલ્યો :

‘ગોકુલમાં ગોકુલ ચરે, ગોપાલક ગોપાલ;

નંદસદન નંદન થઇ મધુરિપુ ભાસત બાલ.’

વિહારપુરી એકદમ પથારીમાં બેઠો થયો અને બોલી ઊઠ્યો : ‘અહોહો! એ મંત્રનો અર્થ તો મને મળ્યો છે. મહાગંભીર છે એના રહસ્યમાં અત્યંત ચમત્કાર છે. રાધેદાસ ! ધન્ય ભાગ્ય તારાં કે ગુરુજીએ મહાકૃપા કરી આ મંત્રનો તને અધિકારી ગણ્યો; આની સાથે બીજા મંત્ર પણ કહ્યા હશે.’

‘બીજા ત્રણ મંત્ર કહ્યા.’

‘ક્યા ?’

રાધેદાસ પણ બેઠો થયો અને બોલ્યો :

‘અવનિ અવનિ મધુપુરી, કૃષ્ણચંદ્ર અવતાર,

શેષભાર ઉતારીને કરત ધરતી ઉદ્ધાર.’

સરસ્વતીચંદ્ર કંઇક કૌતુકથી સાંભળવા લાગ્યો. રાધેદાસ બીજા શ્લોક બોલ્યો :

‘પારસસ્પર્શથી લોહનો થાય સ્વરૂપવિનાશ;

દૈત્યરૂપ હરી, અમરતા દે જ સુદર્શનપાશ.

પામરમાં પામર દીસે ગોપાલકે ગોપાલ;

કૃષ્ણ ભક્તિવશ ભાસતો બાલક અર્થે બાલ.’

‘બસ, વધારે શ્લોક મને હાલ આપવા ના કહી.’

વિહારપુરી : ‘યોગ્ય કર્યું. ગુરુનો આદેશ છે કે એમના મુખથી જેને મંત્રપ્રાપ્તિ થઇ હોય તેને સબ્રહ્મચારીએ અર્થપ્રાપ્તિ કરાવવામાં બાધ નથી; માટે સાંભળ. આ ચમત્કારીક મંત્રોનું રહસ્ય કહું છું તે અધિકારી વિના બીજાને આપવું નહીં. શાસ્ત્રના ઉપદેશ બે જાતના હોય છે : કેટલાક સર્વથી સમજાય અને કેટલાક સંપ્રદાયનું રહસ્ય જાણ્યા વિના ન સમજાય. તરવારથી રક્ષણ પણ થાય અને કુપાત્રને હાથે ખૂન પણ થાય. માટે રહસ્યને અનર્થ અટકાવવાના હેતુથી કહ્યું છે કે અધિકાર વિના રહસ્ય પ્રગટ કરવું નહીં. બાળક આદિ પાસે તરવારના મ્યાનને બાંધી રાખવું. હવે જે અર્થ બહારથી દેખાડવાનો છે તેનું નામ વાચ્ય અર્થ અને રહસ્યનું નામ લક્ષ્ય અર્થ. કૃષ્ણપરમાત્મા ગોકુળમાં ગાયો ચારતા એ તો માત્ર વાચ્ય અર્થ છે.’

‘ત્યારે શું વાચ્ય અર્થ ખરો નહીં ?’ રાધેદાસ બોલી ઊઠ્યો.

‘ના, ના, ખરોયે નહીં અને ખોટોયે નહીં.’

‘એ તો તમે દૂધમાં અને દહીંમાં બેમાં પગ રાખો છો.’

‘એમ નથી. જો, કાંઇ સંકેતની વાત હોય છે સંકેત જાણનારાઓ દૂતમૂખે પરસ્પર કહાવે તો તેમાં કોઇ બાધ નથી. કારણ દૂધ સંકેત જણતો નથી પણ મનમાં એટલું તો સમજે છે કે આમાં કાંઇ મર્મ છે તે સ્વામીઅ કારણસર જ ગુપ્ત રાખ્યો હશે.’

‘ઠીક.’

‘હવે જો. ગો એ શબ્દના ઘણા અર્થ છે. ગો એટલે ગાય, ગો એટલે ઇન્દ્રિય અને ગો એટલે પૃથ્વી માટે ગોકુળગામમં ગોકુળ એટલે ગાયો ચરે એ વાચ્ય અર્થ, અને ગોકુળ એટલે પૃથ્વી ઉપરનાં કુળ એટલે મનુષ્ય આદિ જાતો છે તેમાં ગો એટલે ઇન્દ્રિયોનાં કુળ ચરે છે; આ એક પદનું રહસ્ય થયું.’

રાધેદાસ વિસ્મિત થયો. ‘પછી ?’

‘ગોપાલક એટલે એ ગાયોને શ્રીગોપાળ પાળે. રહસ્ય એ કે ઇન્દ્રિયોને બ્રહ્માએ ઉત્પન્ન કરી તેને પાળનાર એટલે જગતની સ્થિતિને અર્થે પાળનાર એ તો ગોપાલ એટલે પૃથ્વીના પાળનાર શ્રીકૃષ્ણ જ કે નહીં ? આ રહસ્ય.’

‘ઠીક, ભૈયા ! આતો ચમત્કાર છે.’

‘તો !’ વિહારપુરી આગળ વધ્યો : ‘નંદજીને ઘેર પુત્રરૂપે અવતરી મધુકૈટભમાંના મધુઅસુરને મારનાર બાળક દેખાય છે. દેખાય છે કહેવાનું કારણ એ કે વસ્તુત : બાળક નથી.’

‘ત્યારે વાચ્ય અર્થમાં પણ આવો ભેદ રહેલો છે - દેખાય છે એટલે છે નહીં !’

‘બરોબર. હવે નંદ કહેતાં પરમાનંદ-સચ્ચિદાનંદ, તેનું સદન આ બ્રહ્માંડ, તેમાં પુત્રરૂપે એટલે કાર્યરૂપે એટલે જીવરૂપે અવતરીને મધુરિયું પોતે બાલ એટલે અજ્ઞાની ભાસે છે - સામાને અજ્ઞાની દેખાય છે - વસ્તુતઃ ગોપાલ જ્ઞાનરૂપ જ છે, આ રહસ્ય. સમજ્યો ?’

‘વાહ વાહ, વિહારપુરી ! શું ગુરુજીએ રહસ્ય મૂક્યું છે ? આનાઉપર તો બહુબહુ મનન કરવું પડશે. વારુ ચાલો.’

‘મધુપુરી તે શ્રી મથુરાંજી તે અવનિરૂપ છે; ત્યાં શ્રીકૃષ્ણચંદ્ર વૈકુંઠથી અવતર્યા. હવે રહસ્ય સમજવા એમ લેવું કે અવનિ એટલે પૃથ્વી. તે કેવી છે કે દુષ્ટોના ભારથી અવનિ થાય છે એટલે દબાય છે ને નીચી જાય છે. તે મધુપુરી જેવી છે કે જ્યાં દુષ્ટ દૈત્યોથી પુણ્ય ઊતરવા લાગ્યાં. પૃથ્વીમાં કૃષ્ણચંદ્ર કારણબ્રહ્મમાંથી આવી પ્રગટ થયા. હવે પ્રગટ થવાનું પ્રયોજન શું ? પૃથ્વીશેષને માથે રહેલી છે. શેષ શબ્દનું રહસ્ય કલ્પાય છે ?’

વિચારમાં પડી અંતે ઊંડાણમાંથી બોલતો હોય એમ રાધેદાસ બોલ્યો : ‘ના.’

વિહારપુરી ઉલ્લાસમાં આવી અર્થપ્રકાશ કરવા લાગ્યો : ‘ત્યારે જો. શરીરના મહાભૂતનું પંચીકરણ કરી, આત્મા સ્થૂળ નહિ, સૂક્ષ્મ નહિ, કારણ નહી, એમ કરતાં કરતાં જે બાકી રહ્યું તે શેષ ભાગ આત્મા. એ ઉપદેશ તો તે સાંભળ્યો છે કની ?’

‘હા.’

‘હવે જેમ શેષનાગના ઉપર પૃથ્વીનો ભાર છે પણ તેમ આ નેતિ નેતિ વાક્યથી જોતાં બાકી રહેલા શેષ આત્માને ઉપાધિનો ભાર છે. વેદાંતવાદી એમ કહે છે કે આ ઉપાધિરૂપ ભાર કાઢી નાંખવો અથવા ભસ્મ કરવો; આપણે અલખવાદીઓ એમ કહીએ છીએ કે આખી ધરતી ઉપાધિરૂપ છે પણ જ્યારે ગોપાલ શ્રીકૃષ્ણપરમાત્મા એની સંભાળ કરી પાળે છે તો આપણે પણ પાળવી, જે કાર્ય શ્રીકૃષ્ણને ગમ્યું તે ન ગમાડવાનો આપણને શો અધિકાર છે ? જો એવા અધિકાર મનુષ્યરૂપ ઉપાધિને હોય તો તે ધરતીમાત્રનો નાશ થાય.’

‘ત્યારે શું કરવું ?’

‘એમાં જ અલખવાદીનું મત જોવાનું છે તો ! જેમ માટી ઉચ્ચ પરિણામ પામી અન્નરૂપ થાય છે અને અન્ન પ્રાણરૂપ થાય છે તેમ સર્વ ધરનારી આ ધસ્તી પણ શ્રીકૃષ્ણને હાથે ઉદ્ધાર પામે છે એટલે ઊંચી ઊંચી થાય છે, ઉચ્ચ પરિણામ પામે છે. જો દુષ્ટતા આદિને ભારે નીચી જાય તો શેષનાગને માથે ભાર વધે, તેમ પુણ્યઆદિથી ઊંચી ઊંચી લઇએ તો શેષના શિરનો ભાર હલકો થાય-’

‘એટલે ?’

‘એટલે એમ કે માટી અને અન્નના ઉદ્ધારનાં દષ્ટાંત આપ્પાં તેમ ત્રણ જાતનાં શરીરરૂપ ઉપાધિને પણ શ્રીકૃષ્ણ ઉદ્ધાર આપે છે એટલે એ ઉપાધિના ભાર નીચે ચગદાતો જે શેષ આત્મા તેનો ભાર પણ ઊતરે છે !’

આંખો ઉપર હાથ મૂક્તો રાધેદાસ બોલ્યો : ‘ભૈયા, આ અર્થ કાંઇ એકદમ સમજાય એમ નથી. મારો શેષ તો આ રહસ્યના ભાર નીચે ચગદાય છે !’

હસતો હસતો વિહારપુરી બોલ્યો : ‘ઉસ શેષકા બી ભાર ગુરુપ્રસાદસે ઉતરેગા.’ હસવું છોડી બોલ્યો : ‘જો, ગભરાઇશ નહિ. અધિકાર વિના સહસ્ય ન આપવું તે આટલા જ માટે હવે જે બીજા બે શ્લોક તેં કહ્યા તેનો અર્થ સમજીયા ત્યારે આનું રહસ્ય વધારે સ્પષ્ટ થશે.’

‘ના, બાપજી. બે હાથ ઊંચા કરી ભડક્યો હોય તેમ રાધેદાસ બોલ્યો : ‘આજ તો મારે વધારે રહસ્ય જાણવાનો અધિકાર નથી જોઇતો. વળી કાલ આ વખતેહું પૂછું ત્યારે સમજાવજો - તમારી મેળે વાત ન કાઢશો. આટલું ખાધેલું પચશે ત્યારે બીજું માગીશ, નીકર નજીર્ણ થાય.’

‘બહુત અચ્છા. ચાલ-ચાલ-ત્યારે આ પ્રકાશ થાય છે તે દંતધાવન, સ્નાન વગેરે કરવા તરત ઊઠવું જોઇએ.’

‘આ અતિથિને પણ ઉઠાડશું ?’

‘હાસ્તો !’

‘ભાઇ અતિથિ, પ્રાતઃકાળ થવા આવ્યો છે માટે ઊઠો.’ રાધેદાસે અર્ધું વાક્ય ઉચ્ચાર્યું તે પહેલાં જાગતો સૂતેલો સરસ્વતીચંદ્ર બેઠો થયો.

અત્યારે હજી પ્રાતઃકાળના પાંચ પણ વાગ્યા ન હતા, પરંતુ ચૈત્રમાસનો ઉતાવળો ઊગનારો દિવસ અને પર્વતનું શિખર, એટલે સ્થલસમયના પ્રસંગથી આછો આછો પ્રકાશનો પટ અંધકારને અંગે જોતજોતામાં ચડતો હતો. રૂપેરી તેજનો ચણિયો પૂર્વદિશા પગની પાની આગળથી પહેરવા માંડતી હોય અને ધીમે ધીમે ચણિયો ઊંચો ચડાવતી હોય તેમ પ્રાતઃકાળનું પૂર્વગામી તેજ પૂર્વ ક્ષિતિજમાં જ ચડવા લાગ્યું. રાત્રિએ તારાટપકીવાળું એક વસ્ત્ર પહેરી સૂઇ રહેલી આકાશનારીએ પણ એ વસ્ત્ર બદલવા માંડ્યું. રાત્રિના શૃંગારરસના રસિક ચમકી રહેલા તારાઓ ધીરે ધીરે એક પછી એક કંઇખ સંતાઇ જવા લાગ્યા. ટાઢના ચમકારા પણ સ્થલસમય ચૂક્યા નહીં. ચારે પાસ અંધકારનો પદડો ત્રુટી જઇ કંઇક પડી ગયો હોય અને પાછળનો ગુપ્ત પ્રદેશ ઉઘાડો થઇ ગયો હોય તેમ દશે દિશાઓ અવનવી સામગ્રીથી ભરાઇ જવા લાગી. જ્યાં જુએ ત્યાં એકદમ અગણિત અનેકરંગી અનેક ભાતનાં ચિત્રોનો ભરાવો કરી દીધા જેવી પૃથ્વી થઇ ગઇ. કાલ જંગલમાં હતો તે આજ કાંઇખ જાદુથીચમત્કારથી-પર્વત ઉપર આવી પડેલો હોયએવો સરસ્વતીચંદ્ર ચાર પાસ વિસ્મય અને હર્ષથી જોવા લાગ્યો. પરમ દિવસે જ રાણા ભૂપસિંહના દરબારમાં મગજને ગૂંચવાડામાં નાંખી ગભરાવે એવો ઠાઠ જોયો હતો તેથી વધારે ગૂંચવે અને ગભરાવે એવો ઠાઠ અત્યારે સુન્દરગિરિના આ અતિથિના નેત્ર આગળ - મન આગળ - ખડો થયો. સમુદ્રનાં અનેક ઊંચાનીચાં મોજાં અચિંતા ખસતાં બંધ થઇ, જડ થઇ, બંધાઇ ગયાં હોય એવાં અને એથીતો અનેક ગણાં મોટાં પણ એ મોજાં ેજવાં જ કાળાં અને આકાર વગરના પર્વતનાં શિખરો ચારે પાસ ડોકિયાં કરતાં લાગ્યાં. આ વળી નવો વિચિત્ર પુરુષ કોણ આવ્યો છે તે જોવાને આતુર આ સૌ ઊંચા શિખર, મોટા ખડકો, અને ખડકોની હારો ને હારો પોતાને જોઇ રહેતાં હોય અને તેથી ગભરાતો હોય તેમ સરસ્વતીચંદ્ર સૌના સામું જોવા લાગ્યો, અને એ જોવામાં પાસે કોણ છે અને શું છે તેનું તો ભાન જ ભૂલી ગયો અને પાસે ઊભેલા કાળા પ્રચંડ બાવાઓ પણ આ પર્વતના ખડકો જ હોય તેમ સર્વ ઉપર સમાન દૃષ્ટિ રાખી આંખો ચોપાસ ફેરવવા લાગ્યો. એવામાં પાસેના મઠમાંથી ગાન સંભળાયું અને કાને આંખોને બીજી પાસ દોરી.

એ બેઠો હતો ત્યાંથી પંદરેક છેટે મઠ હતો ત્યાંથી સ્વર આવવા લાગ્યો :

‘આ...આ...આ...’

‘જો રાધેદાસ, ગુરુજીએ પ્રાતઃપૂજા એકાંતમાં આરંભી - સાંભળ્યો એમનો સ્વર ?’ વિહારપુરી બોલ્યો, અને સર્વ સાંભળવા લાગ્યા. વિષ્ણુદાસ બાવા ગાયનમાં પણ પ્રવીણ હતા અને પોતાના મઠમાાં યદુનંદનની પ્રિતમા હતી તેની પાસે ઉત્કૃષ્ટ નિર્ભર નિરંકુશ ચિત્તનું પ્રભાતપદ ગાતા હતા તે આઘે સુધી સંભળાતું હતું અને સર્વ શિષ્યો જ્યાં જે કામ કરતા ઊભા હતા ત્યાં તે કામ પડતું મૂકી ઊભા રહી સ્તબ્ધ ચિત્તથી ગુરુજીનું ગાન કાનમાં ને હ્ય્દયમાં ઉતારવા લાગ્યા. વિષ્ણદાસજી ગાતા હતા અને ગાન તંબૂરામાં

ઊતારતા હતા :

‘આઆ...આ...આ...’

૧‘યદુનં-દનને...ભવખં-ડનને...

નમું પ્રા-તસમે...જગમં-ડનને !

યદુનં-દનને...યદુનં-ડનને...

નમું પ્રા-તસમે...યદુનં-ડનને !... નમું.

એ...એ...’

સ્વર ઉતારી દીધો. વળી ચડાવી, મૂર્છના વધારી.

‘હરિ ! હા...હરિ હા-પ્રા...ત થયો...’

‘હરિ ! હા...’

કંઠ અને આંગળીઓ માર્ગે પડ્યાં કંઠ અને તંબૂરાના સ્વર પરસ્પર લીન થયા :

૧‘પ્રાત...થ યો ! ...યદુનં....દન જા...ગો...

અ-લ-ખ-હવે...લખ...થા...વો !...રી...પ્રાત૦

ર-જ-ની-ગઇ...દિન આ...વી ઊભો...છે...

વા...ટ જુએ એ...પ્રભુ ! જાગો...રી ! પ્રાત૦

હળવે...હળવે...તા-રા...થા...તા...

અ-સ્ત ! ઊગે...છે...ભા...નુ...રી...પ્રાત૦

હરિ...હા...હરિ...હા...

પ્ર-ક-ટ-ની ભ...ક્તિ...પ્રકટે !...જ્યા....રે...

પ્રકટે...સુ...ન્દરના ૨સા...નું૩ ...રી !...

સા...નુ ઉઉ...રી !...

સા-આ સા...નુ રી !...પ્રાત૦

યા...દવવંશ....તણા...રવિ...કે...રાં...

દ-ર્શ-ન-આ...રવિ કરતો...રી ! પ્રાત૦

‘હ્ય્-દ-ય કમળ કે...કમળ જ...વિકસે ?...

વિષ્ણુદા...સ નહીં કળતો...રી !...પ્રાત૦’

ગાન એકદમ બંથ થયું. તુંબુર રણકારો કરતો કરતો બંધ થયો. વિહારપુરી રાધેદાસને ખભે હાથ મૂકી અચિન્તયો બોલ્યો : ‘ગુરુજીને સમાધિ ચડ્યો !’

રાધેદાસ : ‘શું ગુરુજીની શક્તિ ! જ્ઞાન જુઓ તો એમનું ! વૈરાગ્ય એમનો ! ઉપદેશ એમનો ! બુદ્ધિ, ગાયન, વાદિત્ર, ભક્તિ, યોગ, સમાધિ -જે સદ્ધસ્તુ કહો તેનો સમુદાય ગુરુજીમાં - અને તે પણ અપૂર્વ.’

‘વાહ વાહ ! રાધેદાસ ! ધન્ય ભાગ્ય આપણાં કે ગુરુની સેવા કરતાં જ અલખ જંગાવીએ છીએ.’ વિહારપુરી બોલ્યો : વળી સરસ્વતીચંદ્રના મોં સામું જોઇ તેને કહેવા લાગ્યો :

‘ભાગ્યશાળી જુવાન ! તમે સુન્દરગિરિના વિષ્ણુદાસબાવાના મઠના અતિથિ છો - તેમના અત્યંત પ્રસાદનું પાત્ર છો. અમે તેમના ચેલા છીએ અને તમારો સત્કાર કરવા ઉપર અમારો અધિકાર થયો છે. માટે કોઇ રીતની શંકા ન રાખશો. તમે મહાપવિત્ર સ્થાનમાં અત્યારે ઊભા છો. તમે કોઇ દુઃખી પુરુષ જણાઓ છો પણ અલખના પ્રતાપથી - શ્રી યદુનંદનની કૃપાથી - શ્રી વિષ્ણુદાસના આશીર્વાદથી તમારા ત્રિવિધ તાપ અહીં ભાગશે. માટે સર્વ શંકા છોડી અમારી સાથે ચાલો અને અમારો યત્કિંચિત્‌ સત્કાર સ્વીકારો. તે પછી પરસ્પર પૃચ્છા અને પરિચય નિરાંતે કરીશું.

રાધેદાસે એક નિર્મળ પાત્રમાં નિર્મળ પાણી અને દાતણ આણી એક પથ્થર ઉપર મૂક્યું. ત્યાં આગળ સરસ્વતીચંદ્ર અને વિહારપુરી જઇ બેઠા. પથ્થર ઉપરથી પર્વતની પશ્ચિમનો સર્વ દેખાવ દૃષ્ટિ આગળ આઘે સુધી પથરાતો હતો અને તેની પેલી પાસ સમુદ્ર ઉછાળા મારી રહ્યો હતો. સમુદ્ર દેખાતાં જ સરસ્વતીચંદ્રને મુંબઇ સાંભર્યું, પિતા સાંભર્યા, અને દાતણ કરતાં કરતાં, પિતાની શી અવસ્થા હશે તે વિચારતાં વિચારતાં, આંખમાં પાણી ભરાઇ આવ્યું તે પાણીની છાલકો મારતાં પણ બંધ થયું નહીં. વિહારપુરી તે જોઇ બોલ્યો : ‘અતિથિ મહારાજ ! તમે સર્વ ખેદ કાઢી નાંખો. સુન્દરગિરિ ઉપર શ્રીકૃષ્ણ પરમાત્માનું પરમાનંદ પ્રગટ કરનાર સ્મિત વ્યાપી રહ્યું છે, માટે તમારો તાાપ ગયો સમજવો. જુઓ !

૧‘તાપત્રયૌષધિવરસ્ય હિ તત્સ્મિતસ્ય

નિઃશ્વાસમન્દમરુતા નિબુસીકૃતસ્ય ।

ણતે કડં કરચયા ઇવ વિપ્રકીર્ણા

જૈવાતૃકસ્ય કિરણા જગતિ ભ્રમન્તિ ।।’૨

મુંબઇમાં દાક્ષિણાત્મય મિત્રો દાાક્ષિણાત્ય સુસ્વરથી સંસ્કૃત શ્લોક ગાતા તે સાંભળવાના રસિક પુરુષને મુંબઇ છોડ્યા પછી ઘણે દિવસ આ સુપરિચિત શ્લોક સાંભળવાનો પ્રસંગ આવ્યો. આથી એના ઘણાક સંસ્કાર જાગ્યા અને પિતાના વિચારમાંથી બીજી આનંદમય દશામાં સક્રાંત થયો. પાછલી રાત્રે સાંભળેલા સ્વભાષાના કાવ્યતરંગ અને અત્યારે સાંભળેલા આ શ્લોકથી એનું હ્ય્દય સુપ્રસન્ન થયું. આવે સ્થળે પણ આ કાવ્ય અને પર્યેષણાના રમ્ય મિશ્રણનોવિનોદ મળશે - આ આશા તેના મનને મનોજ્ઞ થઇ પડી અને ઉલ્લાસમાં આવી આ વસ્ત્રહીન જેવા, જડભરત જેવા, પ્રતિમા જેવા કાળા અને પાંચ હાથ ઊંચા બાવાને રૂપે કોઇ રમ્ય વિનોદસ્થાન પ્રત્યક્ષ ઊભું હોય તેમ તેની સાથે પ્રીતિથી બોલવા લાગ્યો :

‘યોગીરાજ ! શ્લોક તો ઉત્તમ કહ્યો પણ આ દિવસને સમયે સૂર્યને ઠેકાણે જૈવાતૃકના સામું જોઇ રહ્યા. પોતાના સંપ્રદાયના રહસ્યમાં આ પુરુષની ગતિ થઇ. ગુરુનો પક્ષપાત એણે જાણ્યો, અને સંસ્કૃત શ્લોકનો અર્થ વગર સમજાવ્યે એ સમજી ગયો, અને ‘શેષભાર’નું રહસ્ય એને પ્રાપ્ત થયું. આ સર્વ વાત બાવાઓને ચત્કાર જેવી લાગી અને ગુરુજીનું વચન સફળ જ થશે એ શ્રદ્ધા એમના ચિત્તમાં સજડ થઇ ગઇ આખરે વિહારપુરી સરસ્વતીચંદ્રને બે હાથે ઉમળકો આણી બાઝી પડ્યો અને છૂટો પડી, પોતાના શરીર ઉપરની વિભૂતિ એને શરીરે વળગેલી જોઇ ઓર આનંદમાં આવી ગયો. અંતે હર્ષથી ઊભરાઇ જઇ બોલ્યો :

‘જુવાન, તમારું નામ કહો ! પછી હું ઉત્તર દઇશ.’

‘મારું નામ નવીનચંદ્ર.’

‘નવીનચંદ્ર ! વાહ વાહ ! ક્યા અચ્છા નામ હૈ ! નવીનચંદ્રજી ! અમારા નવીન જૈવાતૃક ! શ્રીકૃષ્ણના સ્મિતરૂપ અમારા જૂના જૈવાતૃક શ્રી વિષ્ણુદાસજી શ્રી પરમાત્માના સ્મિતરૂપ છે; અને એ કિરણ આ સુન્દરગિરિ ઉપર ચારે પાસ આ માયારાત્રિમાં ભ્રમણ કરે છે; અને એ કિરણનો જેના પર અભિષેક થાય છે તે આનંદરૂપ સ્મિતપ્રકાશરૂપ હો જાય છે - એ આનંદનો ઉદર તમારા ત્રિવિધ તાપ નસાડશે. ક્યા નવીનચંદ્રજી ! સબ સમજ ગયા ?’

‘વિહારપુરીજી ! આપનાં વચનામૃતથી જ શેષનો ભાર ઊતરે એમ છે તો પછી આપના ગુરુજીનો ચંદ્રના જેવો શાંત પ્રકાશ આત્માને શાંત કરે તો તેમાં શી નવાઇ છે ?’ સરસ્વતીચંદ્રને વિનોદ કરવાનું મન થયું અને પોતાાને જીવિતદાન આપનાર જેવાઓને ઉપકારવશ થઇ તેમને બે મધુર વચન કહેવાં એ પોતાને ધર્મ સમજ્યો. પ્રીતિનો બદલો પ્રીતિ.

વિહારપુરી પૂરેપૂરો પ્રસન્ન થયો અને રાધેદાસને કહેવા લાગ્યો : ‘જો ! પળેપળ જાય છે તેમ તેમ ગુરુજીનાં વચનનાં પડેપડ ઊઘડે છે. આ વધામણી અક્ષરેઅક્ષર ગુરુજીની પાસે ખાઇશ અને તે પચી આવા બુદ્ધિશાળી અધિકારી અતિથિનો સત્કાર સારી રીતે થાય એવી તત્પરતા રાખીશ. ગુરુજીને પરવારતાં હજી બેચાર ઘડીની વાર છે ત્યાં સુધી - રાધેદાસ ! - નવીનચંદ્રને સુન્દરગિરિના તટ પાસે લઇ જા, તળેટીનાં અને શિખર ઉપરનાં સર્વ સુંદર ધામ અને વસ્તુઓનું તેમને દિગ્દર્શન કરાવી દે, તેમને આપણા મઠની અને ગુરુજીની સર્વ વાર્તા વિદિત કરી દે, સર્વ સાધુમંડળમાં એમને પ્રસિદ્ધ અને પરિચિત કર અને એમનું ચિત્ત જે રીતે પ્રસન્ન થાય એમ કર. મારે પાછા આવવાનો સમય થાય ત્યાં સુધી આટલું કર્તવ્ય તને સોંપું છું.’

લાંબાં પગલાં ભરતો વિહારપુરી ચાલ્યો ગયો અને રાધેદાસ અને સરસ્વતીચંદ્ર બે જણ એકલા રહ્યા. રાધેદાસ અતિથિને પર્વત ઉપર જુદે જુદે ઠેકાણે લઇ ગયો. પર્વતને અનેક શિખર હતાં. જે શિખર ઉપર વિષ્ણુદાસનો મઠ હતો તેનું નામ યદૃુશૃંગ હતું. એની પાછળ વધારે ઊંચું શિખર તીર્થશૃંગ નામનું હતું તેના ઉપર જૈન વર્ગની ભવ્ય ગુફાઓ અને ભાતભાતનાં દેવાલય હતા.ં તેનાથી પણ ઊંચે મત્સ્યેન્દ્રશૃંગ હતું. ત્યાં મત્સ્યેન્દ્ર અને ગોરખની મઢીઓ હતી અને આજ ત્યાં માત્ર બેચારેક યોગીઓ રહેતા હતા તે યોગશાસ્ત્ર પ્રમાણે યોગ સાધતા હતા. આ શૃંગ ઉપર જવાનો માર્ગ ઘણો ઊંચો, સાંકડો, ગલીકૂંચીવાળો અને આડોઅવળો હતો. એ માર્ગ ઉપર જતાં માંફડાં, રીંછ, સર્પ અને વાઘનો ઉપદ્રવ નડતો. માર્ગ બાંધેલો ન હતો એટલું જ નહીં પણ કેટલેક ઠેકાાણે તો સાંકડા અણીવાળા પથ્થર ઉપરથી પથ્થર ઉપર કૂદી જવાનું હતું. કેટલેક ઠેકાણે માર્ગ ઉપર ઘાસમાં અને કાંટામાં ચાલવાનું હતું. કેટલેક ઠેકાણે પર્વતની કિલ્લા જેવી બાજુઓ ઉપર નાના વેલાઓ પેઠે માર્ગ વીંટળાતો હતો અને તે ઉપર ચાલનાર પગલું ચૂકે તો બીજી પાસ ઊંડાં કોતરો અને નીચી ખોમાં પડી જઇ હાડકું પણ ન જડે એમ હતું. કોઇ કોઇ વખત તો આવા અકસ્માત બનેલા પણ કહેવાતા. કેટલાક વખત તો ત્યાં જનારાને આંખે તિમિર ચડતું અને તે પાછા આવતા. ક્વચિત્‌ તો વચ્ચેથી પાછાં આવવું હોય તો પાછાં વળતાં પણ કઠણ પડે એવી સંકડાશ હતી. એમ છતાં યોગીરાજનાં દર્શન કરવા અનેક યાત્રાળુઓ જવા ડરતા નહીં. સ્થળે સ્થળે ફરી આ સર્વ વર્ણન રાધેદાસે કરી બતાવ્યું.

આ સિવાય બીજાં પણ અનેક શિખર હતાં. એક શિખર ઉપર બેચાર વેદાંતજ્ઞાનમાં પારંગત થયેલા શાંતદાંત સંન્યાસીઓ ઝૂંપડીઓમાં રહેતા હતા. એક શિખર ઉપર કેટલાક મઠ અને ઝૂંપડાં યાત્રાળુઓએ બાંધેલાં હતાં. ત્યાં એક સ્થાને ન ઠરનાર અનેક સંન્યાસીઓનાં ટોળેટોળાં આવતાંજતાં વિશ્રામ કરતાં. એક શિખર ઉપર બેચારેક વડાદરા બ્રાહ્મણોને સ્વાધીન હતું. યાત્રાળુઓ પગે ચાલી સર્વ દેવૃ-દેવીઓની નમસ્કાર કરતા. સર્વ ઠેકાણે યથાશક્તિ પુણ્યદાન કરતા પણ પોતાના કુલદેવતા કે ઇષ્ટદેવતાને અધિક દાન કરતા. સંન્યાસી, જોગી, બ્રાહ્મણ અને જતિઃ સર્વ જ્યાં રહે ત્યાં તેનો નિર્વાહ થતો. જે સૌથી આઘે, સૌથી એકાંતમાં, સૌથી ગુપ્ત રહે તેનું મહત્ત્વ વધારે લેખાતું અને ત્યાં જનાર થોડા હોય એ સ્વાભાવિક હતું પણ જે થોડા જતા તે વધારે પુણ્ય કરતા. આ સર્વ પંથના સ્થાનિક પંથીઓ પર્વત ઉપરથી નીચે ઊતરતા પહેલાં અને ઊતર્યા પછી એકઠા થતા ત્યારે પોતાના દેવની સ્તુતિ અને પારકા દેવની નિંદા ચાલતી, એકબીજાનો તિરસ્કાર થતો, વિરોધ અને વિતંડાવાદ મચી રહેતો અને પ્રસંગે મારામારી થવાનો પ્રસંગ આવતો પણ લાંબો પહોંચતો નહીં. હોંકારાહોંકાર કરવામાં સર્વ શક્તિ વપરાઇ જાય એટલે વધારે વિરોધની શક્તિવૃત્તિ સ્વતઃ શાંત થઇ જતી. આ સર્વ વાતોની કથા કરતાં અંતે રાધેદાસ બોલ્યો : ‘નવીનચંદ્રજી ! જેમ સાગરમાં સર્વ પ્રાણીઓ પરસ્પરનો શિકાર કરે છે ત્યારે આ ગિરિ ઉપર મહારાજ મણિરાજની આણ એવી વર્તે છે કે ફોજદારના સિપાઇને અહીં ફરકવું સરખું પણ પડતું નથી. સર્વના મનમાં એમ જ રહે છે કે મહારાજ મણિરાજને કાન આપણે હુડુયુદ્ધ કર્યાની વાત જશે તો એમી પાસે આપણા ધર્મની પ્રતિષ્ઠા ઘટશે અને મહારાજને ખેદ થશે તે જુદો. એનું મન દુભાય તે આ ગિરિ ઉપર બાળક તો શું પણ કોઇ દુષ્ટ પણ ઇચ્છતો નથી. મહારાજ બાળક છે પણ શી એમની બુદ્ધિ, શો એમનો અનુભવ અને શી એમની રાજનીતિ !’

‘મહારાજને અહીં કોઇ પ્રસંગે આવવું થાય છે ?’

‘તો ! આ સ્થાન એવું રમણીય છે કે મહારાજ વર્ષે બે વર્ષે ચૈત્રવૈશાખમાં અત્રે આવ્યા વિના રહેતા નથી. આ એકેએક શૃંગ ઉપરના પંથવાળા ઉપર એમની દૃષ્ટિ છે. અમારા તેમ સર્વ પંથના ગુરુ પુરુષો વર્ષમાં એક સમય પણ મહારાજને રત્નનગરી જઇ મળ્યા સિવાય રહેવાના નહિ. જ્રે અમારા ગુરુજી ત્યાં જાય છે. ત્યારે મહારાજ જાતે દર્શનનનો લાભ આપેછે અને ગુરુજીની પાસે કાંઇક પણ નવું રહસ્ય યાચી લે છે. ગુરુજીનો આશીર્વાદ મહારાજને પ્રિય છે. જે ધર્મ શાંતિ અને નીતિના પંથ શીખવે અને પળાવે તે ધર્મ ઉપર મહારાજનો પક્ષપાત. જેમ શ્રીકૃષ્ણ સર્વ ગોપીઓના હ્ય્દયમાં બિરાજે તેમ સર્વ પંથના આચાર્યોના હ્ય્દયમાં મણિરાજની આણ ખરી.’

‘તમારા પંથને મહારાજ માને છે ?’

‘એ તો એમના કુલધર્મને અનુસરે છે, એમાં અમે દોષ કેમ કાઢીએ ? સ્વધર્મે નિધનં શ્રેયઃ૧ એવું ભગવદ્ધાક્ય છે. જેનો જે ધર્મ. રાજાનો એક ધર્મ.રાજાનો એક ધર્મ એ કે સર્વ ધર્મનું પ્રતિપાલન કરવું.’

રાધેદાસની વાતોમાં સરસ્વતીચંદ્રને મન ગંભીર અર્થ હતો. રાજનીતિનાં અનેક અંગ હોય છે. તેમાં એક કાર્યઅંગ અને એક યશઅંગ. કાર્યને અંગે લોકની પ્રીતિ-અપ્રીતિ વેઠવી પડે છે અને રાજા તો સર્વનું પ્રીતિભાજન જ હોવું જોઇએ. માટે કાર્યઅંગ કારભારીને આપવું અને યશઅંગ રાજાએ રાખવું.

પ્રધાનવિવર્તના કરતાં રાજવિવર્તમાં અનેકધા હાનિ અને કષ્ટ છે, અને કાર્યઅંગ પોતાના જ શિર ઉપર રાખવું અને યશઅંગના વહેનારને લોકની અપ્રીતિના પ્રસંગ આવશ્યક સ્વીકારવા પડે છે અને એ સ્વીકારથી પદવીવિવર્તના પ્રસંગ સારુ તૈયાર રહેવું પડે છે. માટે સુભક્ત પ્રધાને કાર્યઅંગ પોતાના જ શિર ઉપર રાખવું અને યશઅંગ રાજાને જ આપવું. જેમ યોદ્ધાઓએ યુદ્ધમાં મરણ સ્વીકારવા તૈયાર રહેવાનું છે તેમ પ્રધાને કાર્યઅંગના પરિણામ સારુ તૈયાર રહેવાનું છે. પોતાનું માથું આપી રાજાના યશઅંગનું રક્ષણ કરવું એ પ્રધાનનો ‘પ્રધાનધર્મ’ છે. પ્રધાને કાર્ય સાધવું અને રાજાને યશ પ્રાપ્ત કરાવવો. આ યશ એટલે રાજાની સ્તુતિ પ્રવર્તે એટલું જ નહિ, પણ રાજા ઉપર સર્વની પ્રીતિ થાય એ આ યશઅંગનું સાધ્ય છે. જેમ કેટલાંક સામાન્ય વ્યાપારકાર્યમાં અને ગૃહકાર્યમાં સ્વામી ઉદાર દેખાય અને સેવક કૃપણતાનો આરોપ વેઠી સ્વામીનું દ્રવ્ય બચાવે, તેમ જ રાજકાર્યમાં પણ યશઅંક રાજાનું છે. આનો અર્થ એમ નહીં કે પ્રધાને યશ ન શોધવો અને રાજાએ કાર્ય ન કરવું. કાર્ય એ રાજાનો આત્મા છે અને યશ એ રાજાનું અંગ છે અને અંગથી આત્મા ઢંકાયેલો છે. રાજ્યકાર્યને અંગે જે અપયશ પ્રધાને વહોરવો પડે છે તેનું અનિષ્ટ પરિણામ પરિણામ તેની જાતના સ્વાર્થનો ત્યાગ કર્તવ્ય છે, અને જો રાજા આ અવસ્થા સ્વીકારે તો જ તેના કાર્યઆત્માનું કુશળ છે. આવાં આવાં અનેક કારણોથી રાજાપ્રધાન વચ્ચે કર્મવિભાગ કરવામાં રાજાને યશઅંગનાં કર્મ સોંપવાં અને પ્રધાનને કાર્યઅંગનાં કર્મ સોંપવાં અને અંતરમાં ઉભયનો આત્મા એક રાખવો એ રાજનીતિનો પ્રથમ અને આવશ્યક પાયો છે. એ પાયા વગર બાંધેલું સર્વ બાંધકામ પોલું અને રાજા અને પ્રજા ઉભયને અકુશળ છે : આવો વિદ્યાચતુરનો સિદ્ધાંત હતો. તે વાર્તાવિનોદપ્રસંગે તેણે સરસ્વતીચંદ્રને કહ્યો હતો. આ પ્રસંગ આજ એને સાંભરી આવ્યો અને મણિરાજના પ્રધાનનો સિદ્ધાંત વ્યવહારમાં કેમ સિદ્ધ થાય છે તેનું પ્રત્યક્ષ દૃષ્ટાંત રાધેદાસની વાર્તામાંથી નીકળ્યું. આ દૃષ્ટાંત ઉપરથી વિચાર થતાં એને સાંભર્યું કે

૧સદાનુકૂલેષુ હિ કુર્વતે રતિમ્‌ ।

નૃપેષ્વમાત્યેષુ ચ સર્વસંપદઃ ।।

અને આ શ્લોકમાં કેવળ વાકપટુતા જ નથી પણ કંઇક અનુભવનું અર્થગૌરવ છે તે સમજાયું. ‘આવા દૂરવાસી બાવાઓની પણ મણિરાજ ઉપર આટલી પ્રીતિ અને પ્રીતિને અંગે તેમને આટલો ભય કે પોલીસ સરખીનું પણ કામ પડતું નથી - વિદ્યાચતુર ! મણિરાજના યશશરીરનો સાધક તમારો અને મણિરાજનો સંબંધ કેવો પ્રીતિકર છે ! - નક્કી તમારામાં આવા કાર્યની સાધક કલા ગુણસુંદરીએ જ સમર્પી છે - ગુણસુંદરી ! - કુમુદસુંદરી !-’ કુમુદ સાંભરી ત્યાં અંદતરમમાં ઊંડો ઘા પડ્યો અને હ્ય્દય આગળ મર્મવેધક સૃષ્ટિ આવી અને ચમકારા કરવા લાગી. પણ રાધેદાસે કષ્ટવિચારમાં સુવિક્ષેપ પાડ્યો. પથ્થરો, વેલાઓ, છોડવા અને માટીવાળા માર્ગમાં થઇને સરસ્વતીચંદ્રને પર્વતની કોર આગળ લઇ ગયો. કોર આગળ ખૂણો પણ હતો. ત્યાં એક મહાન શિલા ચોરસ અને ઉપરથી લીસી હતી તે ઉપર બે જણ બેઠા. સરસ્વતીચંદ્ર એના ઉર પણ ઊભો થયો અને ચારે પાસ દૃષ્ટિ ફેરવી વળ્યો. દક્ષિણમાં તાડનાં વન હતાં. ઊંચા ઊંચા તાડ નાના છોડવા હોય તેમ દૃષ્ટિ એક ફેરો ખાઇ બધા તાડ ઉપર ફરી વળી. પૂર્વમાં મનહરપુરીની સીમા અને આંબાના વન હતાં. સૂર્ય સામો આવતો હતો અને નેત્રને ઝાંઝવાં વાળતો હતો. નેત્ર એણી પાસથી ફર્યું અને ઉત્તરમાં વળ્યું. સુન્દરગિરિનાં સર્વ શૃંગો - શિખરો - જાનનાં માણસો પેઠે એકબીજાના ખભા ઉપર માથાં કરી જોઇ રહેતાં હતાં અને નવા તેજના રંગથી રંગાતાં છેટે આકાશમાં ભળી જતાં હતાં. દક્ષિણમાં આવતાં નેત્ર, ઊંચાં શિખરો છોડી, છેક નીચાણમાં આઘે સમુદ્ર હતો તે ઉપર પડ્યું. પશ્ચિમમાં સમુદ્ર, પૂર્વમાંથી - દક્ષિણમાંથી -વહેતી આવતી સમુદ્રને મળતી સુભદ્રા, અને જોનાર ઊભા હતા તેમના પગ આગળથી નીચે પથરાતો પર્વત અને તે નીચે એની તળેટી : આ સર્વ કોરપાલવ વચ્ચે વિચિત્ર ભવ્ય ચિત્રપટ-ચિત્રોથી ભરેલું વસ્ત્ર-પડી રહ્યું હતું તે ઉપર સરસ્વતીચંદ્રની દૃષ્ટિ ફરવા - ઠરવા - લાગી. રાધેદાસે આ વસ્ત્રમાંનાં ચિત્રોની કથા વિસ્તારથી કહેવા માંડી :

‘નવીનચંદ્રજી ! આ જોઇ દેરાંની ઠઠ ! અહીંથી તે ચાતુર્માસમાં જોવાની ગમ્મત છે. ઉપર વાદળાં, અહીંથી તે નીચે તળેટી સુધી સસ્તા પાણીના ધોધ, સામે સમુદ્ર, વચ્ચે આ ધોળાં દેરાં અને આ પાસ સુભદ્રામાં ચોપાસથી ભરાતું, ઊભરાતું અનહદ પૂર !! અને આ સર્વની વચ્ચે વણકરના તાણાવાણા જેવી વરસાદની વૃષ્ટિ !! ધોળા રેશમના ઢગલા જેવાં વાદળાં તો આપણા પડખામાં આવી ચાલે, વૃૃષ્ટિ તો આપણી આસપાસથી દોરડા પેઠે. ટીંગળાવા માંડે, અને પાણીના ધોધ - નારાયણના નખમાંથી ગંગાજી નીકળ્યાં એમ - આપણા પગમાંથી નીકળતા દેખાય !! વાહ ! વાહ ! વાહ ! શી સુન્દરગિરિની ચાતુર્માસમાં શોભા ! તમે નક્કી સુન્દરગિરિના જ વાસી થાઓ અને આ આનંદ અનુભવો ! એ શોભા કાંઇ ઓર જ થાય છે. એ જુએ નહીં તેનું જીવ્યું ફોક !’

રાધેદાસે વર્તમાન ચિત્ર સાથ આમ ભવિષ્ય ચિત્રનું મિશ્રણ કર્યું; દૃષ્ટિ આગળ અદ્‌ભુત દેખાવ તરતો હતોત તેમાં કલ્પનાશક્તિ આગળ બીજો દેખાવ ખડો થયો. નાનું બાળક રોતાં રોતાં રમકડું જોઇ રહી જાય છે; મોટું માણસ અત્યંત વિપત્તિને અવસરે પણ સૃષ્ટિની ભવ્યતા જોઇ સ્તબ્ધ થાય છે, ચિત્ત સ્તબ્ધ થતાં આંસુમાં અંતરાય પડે છે, અને નવા આનંદ આગળ પળવાર જૂનું થયેલું દુઃખ વિસારે પડે છે. રાધેદાસનું વર્ણન અને નેત્ર આગળનું ચિત્ર એ ઉભયની વસ્તીથી સરસ્વતીચંદ્રનું મન ભરાઇ ગયું.

‘વાહ, વાહ, રાધેદાસ ! થી સુન્દરગિરિની શોભા છે ? આ આટલાં બધાં દેવાલય કોનાં છે ? તળેટીમાં વસ્તી કોની છે ?’

સર્વ દેવાલયો ઉપર રાધેદાસની દૃષ્ટિ પક્ષીની પેઠે ફરી વળી : ‘નવીનચંદ્રજી, આ પેલી પાસ કાળા ડાઘા દેખાય છે તે સુરગ્રામનાં ઘર છે. ગામ તો નાનું છે, પણ તીર્થનું સ્થાન છે. અસલ સુરગ્રામ આ દેવાલયોને સ્થાને કહ્યું. આ દેવાલયમાં પંચાયતન દેવતાની જુદી જુદી પ્રતિમાઓ વિરાજે છે. આ સુન્દગિરિ પર શૃંગો છે તેટલા પંથ છે અને તે સર્વ પંથવાળાનાં દેવાલય આપણી દૃષ્ટિ આગળ છે.’

‘તમે તો વિષ્ણુભક્ત છો - વિષ્ણુ સિવાય બીજા દેવાનાં દેવાયલયનાં ગર્ભમન્દિર ભાગ્યે જોયાં હશે !’

રાધેદાસ હસ્યો : ‘અમારા દેવ અને બીજાના દેવ જુદા એ તો ભ્રમ છે. ઇસ જગતમેં અંધહસ્તીન્યાય ચલ રહા હૈ ! કેમ - ભૈયા સમજ્યા ? અમે તો વૈષ્ણવ છીએ પણ શિવમાગીં આરતીમાં ગાય છે :

‘શિવ વિષ્ણુ એક સ્વરૂપ !

અંતર નવ ગણશો !

અંતર નવ ગણશો !’

એ અભિપ્રાય અમારે પણ કબૂલ છે. શ્રી અલખ જગતમાં લખ થાય છે ત્યારે જેના હ્ય્દયમાં જેણી પાસનાં કિરણ પડેછે તેની તેને પ્રીતિ થાય છે. શિવ, વિષ્ણુ અને ઇતર દેવો તેમ અનાર્ય યવનોના દેવમાત્ર પણ અલખનાં લખ સ્વરૂપ છે. જેની જેવી દૃષ્ટિ અમારા હ્ય્દયમાં હ્ય્દયના દેવતા વિષ્ણુ છે - વિષ્ણુનું પણ કૃષ્ણસ્વરૂપ અમને પ્રિય છે - બાકી અલખ તો એક જ છે અને તેને વેદાંતી બ્રહ્મ કહે છે.-’ કંઇક કહેતો કહેતો રાધેદાસ અટક્યો.

સરસ્વતીચંદ્ર તે ચેતી ગયો : ‘કેમ અટક્યા ? કંઇક કેહવા જતા હતા ?’

‘કહું ? તમે સંસારી છો તો સંસારી ભાષા સમજશો - પણ અમે વેરાગી માટે હું અટક્યો.’

‘બોલો, બોલો !’

‘એક લલના : કોઇ ઇસરકા મુખદર્શનસે તૃપ્ત હોતા હૈ; કિસીકું ઇસકા ગાન ચૈયે, કિસીકું સ્પર્શસુખ બિન આનંદ નહીં હો શકતા હૈ ! કિસીકું સ્પર્શમેં બી મસ્તી ચૈયે; ઔર કિસીકા મનમેં જનની સ્વરૂપસે સ્ત્રીકા મુખાદિકીબી ઉપેક્ષા હો જાવે. ઇસ તરહસે સ્વતઃ નિરંજનનિરાકાર શ્રી અલખકા અનેક લખ સ્વરૂપમેં અનેક માનવોકે અનેક મન અનેક પ્રકારસે દર્શન ક્રીડા કર રહે હૈ.’

ઉલ્લાસમાં આવી આમ પર્યૈષણા૧ કરતો યોગી સરસ્વતીચંદ્રને કંઇક નવા જ લક્ષણવાળો લાગ્યો. આર્યોના અનેક દેવમંડળનો આવો આત્મા જોઇ પક્ષમંત્રીની૨ પરીક્ષામાં સુપરીક્ષિત નીવડેલાને આર્યધર્મનો આ પક્ષમંત્ર અતિપ્રિય લાગ્યો અને દેશાભિમાન જાગ્યું. તેમ થતાં પોતે સામો પક્ષ લઇ આં અંગ્રેજી ભાષાના અપરિચિત સાધુના પક્ષની સીમા જોઇ લેવા સરસ્વતીચંદ્ર લલચાયો : ‘શું રાધેદાસ, પ્રતિમાપૂજનમાં લખ ક્યાં આવી ગયો ?’

આ નાસ્તિક પ્રશ્નથી રાધેદાસને કાંઇક ક્રોધ ચડતાં ગુરુજીનો વરતારો સાંભર્યો અને તેમ થતાં શાંત પડી, ગંભીર મુખે બોલ્યો : ‘ભાઇ, આ પ્રશ્ન અમારા મઠમાં કોઇને પૂછશો તો તમને નાસ્તિક ઘણી દુઃખ દેશે. માટે ફરી ન પૂછશો. વેદવચન પર શ્રદ્ધા અને ગુરુજીની આજ્ઞા એ અમારી દૃષ્ટિમર્યાદા છે. તેનું ઉલ્લંઘન કરાવનાર પ્રશ્ન કે તર્ક અમને અસહ્ય છે.’

સરસ્વતીચંદ્રને આ પ્રદેશ અને મુંબઇની સ્વતંત્રભૂમિના ભેદનું ભાન આવ્યું. ઉપકાર કરનારના ચિત્તને પોતે કલેશનું સાધન થયો જાણી પસ્તાયો. પર્યેષણાની સાથે ધર્મકલ્પનાના૩ આવેશનો ગુણાકાર જોઇ કંઇક ગૂંચવાયો. પણ સર્વથા અંગ્રેજી રીતે પણ પરધર્મની નિન્દા કરવી અસભ્ય છે તે સ્મરી બોલ્યો : ‘ક્ષમા કરો, રાધેદાસ, આ પ્રશ્નથી તમને અપમાન થશે એમ જાણ્યું ન હતું. માત્ર રહસ્યજિજ્ઞાસાથી શિષ્યભાવે જ પ્રશ્ન પૂછ્યો હતો !’

‘શું ભાઇ, આ તે પ્રશ્ન ? એમાં રહસ્યજિજ્ઞાસા શાની ?’

‘જુઓ, મને લાગે છે કે આપના ગુરુજીનું વચનામૃત છે કે

‘પામરમાં પામર દીસે ગોપાલક ગોપાલ.’

એમાં પ્રતિમાપૂજનનું કંઇક રહસ્ય હોવું જોઇએ.’

રાધેદાસ ગભરાયો. ‘ગુરુનું રહસ્ય આણે સાંભળ્યું ને એને સમજાયું ! નક્કી, એ મારા કરતાં વધારે અધિકારી છે - તો - તો -’ મોટે સ્વરે નમ્ર થઇ બોલ્યો : ‘નવીનચંદ્રજી, ક્ષમા કરજો ! આપની જિજ્ઞાસાને તો વિહારપુરી કે ગુરુજી તૃપ્ત કરશે - મારો અધિકાર આપનાથી કનિષ્ઠ છે એ રહસ્ય મારાથી સમજાતું નથી. ધન્ય ભાગ્ય તમારું - નક્કી, અલખ તમારા હ્ય્દયમાં જાગે છે.’

આ વાર્તા પડતી મૂકવાના હેતુથી સરસ્વતીચંદ્રે આસપાસના દેખાવની વાર્તા કાઢી :

‘રાધેદાસ, આ છેટે નદી અને સમુદ્રનો સંગમ થાય છે એ નદીનું નામ શું ? અને એ નદી ક્યાંથી આવે છે ?’

‘એ નદીનું નામ સુભદ્રા છે. સુભદ્રા એ ભદ્રાનદીની શાખા છે. ભદ્રા સુવર્ણપુર આગળ શ્રીરત્નાકર સાથે સંગમ પામે છે. સુભદ્રા આ પણે આગળ સુરગ્રામ પાસે સંગમ પામે છે.’

સરસ્વતીચંદ્ર શિલા ઉફરની શિલા ઉપર ઊભો થયો અને સુભદ્રા ઉપર પૂર્વથી પશ્ચિમ સુધી દૃષ્ટિ નાંખવા લાગ્યો. સુભદ્રા દૃષ્ટિમર્યાદામાં લાંબી રેખા જેવી દેખાતી હતી, અને તીર ઉપરનાં ઝાડોની બે રેખાઓ વચ્ચે પાણીના શ્વેત પ્રવાહની રેખા - બે ઓઠ વચ્ચે ઉઘાડા પડેલા દાંતની હાર જેવી - દેખાતી હતી તે જોઇ રહ્યો. જ્યાં પોતે લૂંટાયો હતો તે સ્થળ એક બિન્દુ આગળ કલ્પવા લાગ્યો. દૃષ્ટિમર્યાદાની પેલી પાસ સંતાઇ રહેલી સુવર્ણપુરને કલ્પવા લાગ્યો એ સ્થાન વચ્ચે તરવરતાં બહારવટિયાંનાં ઝુંડ ને ઝુંડ કલ્પવા લાગ્યો. અંતે સુવર્ણપુુરથી કુમુદસુંદરી નીકળતી હોય એવું ગભરાવી નાંખતું દિવસસ્વપ્ન એના મસ્તિષ્કમાં ચમકારા કરવા લાગ્યું. આકાશમાં એક નાની નાજુક વાદળી સમુદ્ર ભણી લીલાભરી ખેેંચાતી હતી. કુમુદસુંદરી એ વાદળીમાંથી લટકતી દેવાંગના પેઠે આકાશમાર્ગે અધ્ધર ચાલતી લાગી. ગઇ કાલ ગાડામાંની ડોશી ગાતી હતી તે સંસ્કાર મનમાં સ્ફુર્યો. વાદળી છેક સમુદ્ર પાસે આવી બે હાથ પહોળા કરતી સ્ત્રી જેવી દેખાઇ. સૂર્યના તેજથી રંગેલી સાડી પહેરી કુમુદસુંદરી ઊભી ઊભી ભૂરા આકાશમાં ફરફરતી વાદળીની કોર ઝાલી, લટકા કરતી ઉતાવળું ગાતી લાગી :

‘વાગે મોરલી મધુરી મધુવનમાં રે લોલ !

વહાલો દેખાઇ દેખાય જતાં નાસતાં રે લોલ !

વહાલો કાલો થઇને કાપે કાળઝાં રે લોલ !

કાળો લપ્પાય તમાલ તાડ ઝાડમાં રે લોલ !

ભોગી જોગી બનીને ભોગ ઝંખતો રે લોલ !

દેખાય દેખાય સંતોષ ને છતો થતો રે લોલ !

સરસ્વતીચંદ્ર ગભરાતો ગભરાતો કાન અને આંખ ઊંચાં કરવા લાગ્યો. અંતે વાદળી સમુદ્રમાં પડતું મૂકતી લાગી તેની સાથે એ જ સ્થાને કુમુદસુંદરી ઝંપલાવતી લાગી અને ઝંપલાવતાં ઝંપલાુવતાં તેના મુખમાંથી નીકળતી કારમી ચીસ સરસ્વતીચંદ્રના હ્ય્દયે સાંભળી : ‘હા ! સરસ્વતીચંદ્ર ! સરસ્વતીચંદ્ર ! મુંબઇથી મને છોડી નાઠા, સુવર્ણપુરથી પણ મને છોડી નાઠા, તો આ સ્ત્રીહત્યા તમારે શિર !’ આમ બોલતી બોલતી કુમુદ સમુદ્રરનાં પાણીની કાળી પહોળી લેખામાં અદૃશ્ય થઇ ગઇ. સ્ત્રીના હ્ય્દયનો ઊંડો નિઃશ્વાસ, નિ-શ્વાસમાંથી નીકળતો ગુપ્ત શાપ, શાપની જ્વાળા - સર્વ સરસ્વતીચંદ્રના હ્ય્દયને કંપાવવા, નષ્ટ કરવા બાળવા લાગ્યાં. અનેક તર્ક અને શોક એને વલોવવા લાગ્યા. એની હ્ય્દયચિતામાં કુમુદસુંદરીનાં અનેક સ્વરૂપ સતીઓ પેઠે ચારે પાસથી બળવા અને બાળવા પ્રત્યક્ષ બેઠાં હોય એવું એને પ્રત્યક્ષ સ્વપ્ન થયું - એનાં નેત્રમાંથી ચોઘાર આંસુ વહેવા લાગ્યાં અને સૂર્યનો તાપ એક વારના અશ્રુપ્રવાહને સૂકવે ત્યાર પહેલાં બીજો પ્રવાહ નીકળતો હતો.

આઘે વિષ્ણુદાસના મઠમાં મહાન શંખનાદ થવા લાગ્યો અને રાધેદાસે સરસ્વતીચંદ્રને વિચારનિદ્રામાંથી જગાડ્યો : ‘નવીનચંદ્રજી, ચાલો, ગુરુજીને મળવાનો સમય થયો.’ રાધેદાસની દૃષ્ટિ સરસ્વતીચંદ્રના ગૌર શરીર પર હતી - નેત્ર ઉપર ન હતી. બે જણ શિલા ઉપરથી ઊતર્યા એટલામાં રાધેદાસે વિચાર કર્યો : ‘કોઇ ગર્ભશ્રીમંતનું દુઃખી સંતાન છે - એની આકૃતિ અને એનો વર્ણ એનો પ્રભવ કહી આપે છે - આ સ્થળે આવી પડ્યો છે તે ઇતિહાસ એનું દુઃખ જણાવે છે. એને મહાદુઃખ છે - શ્રીવિષ્ણુદાસ એનો ઉદ્ધાર કરશે. હરિજન વિના કોણ એ કરી શકે ?’

‘હરદમ ઐૈસા હરિજન કોઇ તનકી અગન બુઝાવેગા ?

પૂરન પ્યાલા પીઓ હરિયકા ફેર જન્મ નહીં પાવેગા !’

સરસ્વતીચંદ્ર ઊતર્યો. પણ ઊતરતાં ઊતરતાંયે એની કતરાની દૃષ્ટિ સુભદ્રા અને સમુદ્રના સંગમ આગળના ખૂણા આગળ હતી. નદીના પાણી ઉપર કુમુદસુંદરી નાની અને સુંદર વિહારનૌકા (‘જૉલી-બોટ’) પેઠે પવનની લહેરમાં વગર હલેસે તણાતી લાગતી હતી. એણી પાસ જોતો જોતો એ રાધેદાસની પાછળ ખેંચાયો અને ખેંચાતો ખેંચાતો ગઝલો ગણગણવા લાગ્યો :

‘સુભદ્રા ! નામ તુજ સારું; કહુંમ તે ભદ્ર કર મારું.

પ્રિયા તુજ પાસ જો આવે, સૃશાંગીને તું સમજાવે.

તીરે તુજ શીત વા વાય, સીકરર તે તુજ લઇ જાય.

પ્રિયાને ઉર છે તાપ, કકે તું શાંત સંતાપ.

શમાવી તાપ એ લેવા, તને ઉરની કથા કહેવા,

પ્રિયા મુજ ઝંપલાવે જોક, ઊંડા જળમાં આવે જો,

ઉર શફરી૧ રહે તારે, ત્યમ તું એને ઉરે ધારે.

તરાવે તું, જિવાડે તું, અમૃત૨ ઉર મધ્ય રાખે તું.

કુમુદ જળનું જ છે પુષ્પ, કુમુદ રસનું જ છે પુષ્પ.

કુમુદ તુજ ઉર તરશે જો, સખી એની તું થાશે જો...’

આગળ કંઇ કડીઓ કવવાલવવા જતો હતો એટલામાં વિહારપુરી,મોહનપુરી વગેરે બાવાઓનું ટોળું સામું મળ્યું, તેમાં એ ભળી ગયો, અને ભળતાં ભળતાં મનમાં માત્ર એટલું લવ્યો : ‘હુંયે ગાંડો થયો છું. કુમુદસુંદરી તો એ સુવર્ણપુરમાં સુખથી વિરાજે. ઇશ્વર એનું કલ્યાણ કરો. મારે એની વાસના સરખી પણ હવે છોડી દેવી. મૃત્યુથી જુદાં પડવું અને જીવતાં જુદાં પડવું એ એક જ છે. માણસની ચિંતા માણસ શી કરનાર હતો ? એ ચિંતા કરનાર ઇશ્વર સમર્થ છે.’ બાવાઓ એની ચારે પાસ વીંટાઇ વળ્યા. એની સાથે પ્રશ્નોત્તર અને વાતો કરવા લાગ્યા, અને સર્વ જોતજોતામાં આ સ્થાનથી અદૃશ્ય થવા લાગ્યા. અદૃશ્ય થતાં થતાં સરસ્વતીચંદ્રે સુભદ્રા અને સમુદ્ર ભણી દૃષ્ટિ નાંખી અને નાંખતો નાંખતો વળી ગણગણ્યો :

‘સ્ફુરે પોતે ન દેખાય, કુમુદની ગન્ધ ગ્રહી વાય,

અરણ્યે એકલો વાયુ ! જીવન એ ભાવિ છે મારું -હાં ! -હાં !’

સર્વ દેખાતાં બંધ થઇ ગયા. શિલાઓ, સૂર્ય,સૂર્યનું તેજ, અને સમુદ્ર તથા સુભદ્રાનો સંગમ - એ સર્વ જડસૃષ્ટિ ઊભી રહી. દૃષ્ટિ વિના સૃષ્ટિ રહી ? દૃષ્ટિ હો કે સૃષ્ટિ હોે કે ગમે તે હો પણ દૃષ્ટા અદૃશ્ય થયા છતાં દક્ષિણ આકાશમાંથી તે સરસ્વતીચંદ્રના જરીક દેખાતા મસ્તક સુધી એની પૂંઠે કુમુદસુંદરીઓની હારની હાર અધ્ધર ચાલતી હતી, નાચતી હતી અને વનલીલાના જેવો રાગ કાઢી લહેકા કરી ગાતી હતી અને હાંથ લાંબા કરી મહેણાં મારવા જેવું કરતી હતી :

‘ભોગી જોગી થતો ને ભોગ ઝંખતો રે લોલ !

રસિક જ્ઞાની થતો ને રસિયો થતો રે લોલ ! ભોગી૦

સુંદરશિખરે ઊભો ને ઊરે સુંદરી રે લોલ !

સુણે જુએ ને ઝંખે બધે સુંદરી રે લોલ ! ભોગી૦

પહેલી શાને કરી’તી પ્રીતિ સુંદરી રે લોલ ?

પ્રીતિ કીધી તો શાને તજી સુંદરી રે લોલ ? ભોગી૦

તજી શાને આવ્યો તું જોવા સુંદરી રે લોલ ?

આવી પાછી તજી તે શાને સુંદરી રે લોલ ? ભોગી૦

વાગે વાંસળી મધુરી તારા ઉરમાં રે લોલ !

નાચે ચંદ્ર ને કુમુદ રસપૂરમાં રે લોલ ! ભોગી૦

વળી કુમુદનો પોતાનો જ રાગ એનાં અનેક મુખથી નીકળવા લાગ્યો. છેક પાસેની બેત્રણ કુમુદ તો સરસ્વતીચંદ્રના માથા પર બે હાથે ભાર દઇ ઊડ્યાં કરતી હતી ને ગાતી હતી :

‘વાંસલડી વાજે ! જોગીડા ! તું વાંસલડી વાજે !

આવી ઊભો રહેજે નદીઘાટે ! જોગીડા !

નહાતો પેલા સાગરમા૩ં ગાજે; જોગીડા !

પ્રેમીનો પ્રેમ આંધળો પણ સુણે, જોગીડા !

પ્રેમીનો પ્રેમ સો સો કોશથી સુણે. જોગીડા !

લખ્યા લેખ મિથ્યા નહીં થાયે, જોગીડા !

સંસારિણી જોગણ થઇ જાયે. જોગીડા !

જોગીડા ! તું સંસારને છોડે, જોગીડા !

તણાતી જોગણ પણ કોડે. જોગીડા !

જોગી ! તું જોગણનો ગુરુ થાજે, જોગીડા !

જોગણને તું જોડે સોડે સ્હાજે. જોગીડા !

જોગીડા ! તું સમસ્યામાં ગાજે, જોગીડા !

મોરલીમાં સ્નેહભર્યું વાજે, જોગીડા !

અવ્યક્તનું વ્યંગ્ય બધું ગાજે, જોગીડા !

વાંસલડીમાં બ્રહ્મનું પદ વાજે, જોગીડા !

મારા તારા અદ્ધૈતને ગાજે, જોગીડા !

વાંસલડીમાં સંસાર સારવજે, જોગીડા !

ગાયામાં પરમાનંદ ભરજે ! જોગીડા !

મહાકાળની નદીને ઘાટે, જોગીડા !

ઊભો ઊભો વાંસલડી વાજે, જોગીડા !

કુમુદ દુઃખશોક તરે તે કાજે, જોગીડા !

વાંસલડી ધૂન ભરી વાજે ! જોગીડા !