Ashoka and his inspiration chanakya in Gujarati Detective stories by Divyesh solanki books and stories PDF | Ashoka and his inspiration chanakya

Featured Books
Categories
Share

Ashoka and his inspiration chanakya

અશોક (રાજ્યકાળ ઇ.સ. પૂર્વે ૨૭૩-૨૩૨) પ્રાચીન ભારતમાં મૌર્ય વંશનો રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે. તેના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં ગોદાવરી નદીના દક્ષિણકાંઠા, તથા મૈસૂર સુધી અને પૂર્વમાં હાલના બાંગ્લાદેશથી પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું હતું, જે તે સમયનું સૌથી મોટું ભારતીય સામ્રાજ્ય હતું. સમ્રાટ અશોકને વિશાળ સામ્રાજ્યના કુશળ શાસક તથા બૌદ્ધ ધર્મના પ્રચારક તરીકે ઓળખવામાં આવે છે.

તેના જીવનકાળના ઉત્તરાર્ધમાં સમ્રાટ અશોક ગૌતમ બુદ્ધનો અનુયાયી બની ગયો અને ભગવાન બુદ્ધની સ્મૃતિમાં તેણે એક સ્તંભનુ નિર્માણ કરાવ્યું જે આજે પણ નેપાળમાં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં માયાદેવી મંદિર પાસે જોઇ શકાય છે. તેણે બૌદ્ધ ધર્મનો પ્રચાર ભારત ઉપરાંત શ્રીલંકા, અફઘાનિસ્તાન, પશ્ચિમ એશિયા, મિસ્ર તથા યુનાનમાં પણ કરાવ્યો હતો. અશોક મૌર્ય સમ્રાટ બિંદુસાર તથા રાણી ધર્માનો પુત્ર હતો. કહેવાય છે કે ધર્મા એક બ્રાહ્મણ કન્યા હતી. એક દિવસ તેને સ્વપ્ન આવ્યુ કે તેનો પુત્ર ખૂબ મોટો સમ્રાટ બનશે. ત્યારબાદ તેને રાજા બિંદુસારે પોતાની રાણી બનાવી દીધી. ક્ષત્રિય કુળની ન હોવાથી ધર્માને રાજકુળમાં કોઈ વિશેષ સ્થાન પ્રાપ્ત ન હતું.

અશોકને ઘણા ભાઈ-બહેન (સાવકા) હતા. નાનપણથી જ તેમની વચ્ચે ઘણી સ્પર્ધા રહેતી. અશોક માટે કહેવાય છે કે તે યુધ્ધ કળામાં પ્રવિણ હતો.

સામ્રાજ્ય વિસ્તાર

અશોકનું સામ્રાજ્ય

અશોકનો મોટો ભાઈ સુસિમ તે સમયે તક્ષશીલાનો પ્રાંતપાલ હતો. તક્ષશીલામાં ભારતીય-યુનાની મૂળના ઘણા લોકો રહેતા હતા. એટલે તે ક્ષેત્ર વિદ્રોહ માટે ઉપયોગી હતું. સુસિમનું અકુશળ શાસન આ વિદ્રોહનું કારણ બની ગયું. રાજા બિન્દુસારે સુસિમના કહેવાથી અશોકને વિદ્રોહનું દમન કરવા મોકલ્યો. અશોકના આગમનના સમાચાર સાંભળતા જ વિદ્રોહીઓનો વિદ્રોહ આપમેળે શાંત થઈ ગયો. અશોકના શાસનકાળ દરમિયાન પણ તક્ષશીલામાં ફરી વિદ્રોહ થયો હતો જેને બળપૂર્વક દબાવી દેવા આવ્યો હતો.

અશોકની આ સિદ્ધિથી તેના ભાઈ સુસિમને સિંહાસન મળવા પર ખતરો વધી ગયો. તેણે રાજા બિંદુસારને પોતાના પક્ષમાં કરી અશોકને નિર્વાસિત કરી દિધો. અશોક કલિંગ ચાલ્યો ગયો. જ્યા તેને મત્સ્યકન્યા કૌર્વકી સાથે પ્રણય થયો. હાલમાં મળેલ પ્રમાણ અનુસાર અશોકે તેને પોતાની બીજી કે ત્રીજી રાણી બનાવી હતી.

આની વચ્ચે ઉજ્જૈનમાં વિદ્રોહ ફાટી નીકળ્યો એટલે નિર્વાસિત અશોક્ને પરત બોલાવવામાં આવ્યો. નિર્વાસન દરમિયાન અશોક બૌદ્ધ સન્યાસીઓ સાથે રહ્યો જેથી તેને બૌદ્ધ વિધિ-વિધાનો તથા શિક્ષાઓ વિશે જાણવા મળ્યું. તેને એક સુંદરી દેવીનો સંગાથ મળ્યો, જેની સાથે તેણે વિવાહ કરી લીધા.

થોડા વર્ષો પછી રાજાની બિમારી અને સુસિમથી કંટાળેલ લોકોએ અશોકને સિંહાસન પર કબ્જો લેવા પ્રોત્સાહિત કર્યો. સત્તા પર આવતા જ અશોકે પૂર્વ અને પશ્ચિમ દિશામાં પોતાના રાજ્યનો ફેલાવો કર્યો. તેણે હાલના આસામથી ઈરાનની સરહદ સુધીનો વિસ્તાર ફક્ત આઠ વર્ષોમાં પોતાને હસ્તગત કરી લીધો હતો.

કલિંગનુ યુધ્ધ

કલિંગનુ યુધ્ધ અશોકના જીવન પરિવર્તન માટે નિર્ણાયક સાબિત થયું. આ યુધ્ધમાં થએલા માનવસંહારે તેનું મન ગ્લાનિ અને વેદનાથી ભરાઇ ગયુ. પછીથી બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થઇ તેને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. ત્યારબાદ તેના પ્રજાવત્સલ કાર્યોને કારણે તે પ્રિયદર્શી તરીકે ઓળખાય છે.

બૌદ્ધ ધર્મ અંગીકરણ

કલિંગના યુધ્ધમાં થયેલો નરસંહાર જોઈ તે વ્યથીત થઇ ગયેલો અને આ કારણે તેણે શાંતિની શોધમાં બુદ્ધના ઉપદેશને અનુસરી ને બૌદ્ધ ધર્મનો સ્વિકાર કર્યો. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ તેણે બુદ્ધના ઉપદેશને આચરણમાં પણ લાવવા પ્રયત્ન કર્યો. તેને શિકાર તથા પશુ હત્યાનો ત્યાગ કર્યો. બ્રાહ્મણો અને સંન્યાસીઓને ખુલ્લા હાથે દાન-ધર્મ કર્યા. જનકલ્યાણ અર્થે ચિકિત્સાલય, પાઠશાળા અને રસ્તાઓનું નિર્માણ કર્યું.

તેણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના ધર્મ પ્રચારક નેપાળ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, સીરિયા, મિસ્ર અને યુનાન સુધી મોકલ્યા હતા.

અવસાન

અશોકે લગભગ ૪૦ વર્ષો સુધી શાસન કર્યું. તેનું અવસાન લગભગ ૨૩૨ ઇ.પૂ. માં થયું હતું. તેના ઘણા સંતાન અને રાણીઓ હતા, પરંતુ ઇતિહાસકારો પાસે વધારે માહિતી નથી. તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાએ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ઘણુ યોગદાન આપ્યું હતું. અશોકના મૃત્યુ પછી મૌર્ય વંશ લગભગ ૬૦ વર્ષ ચાલ્યુ હતું.

ચાણક્ય

ચાણક્ય અથવા કૌટિલ્ય (ઇ.સ.પૂર્વે ૩૫૦-૨૮૩) પ્રથમ સમ્રાટ ગુરુ અને મુખ્યપ્રધાન હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામા મદદરૂપ બન્યો હતો. તેમનું સાચુ નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણક મુનિના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે; તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને ભગવાન કૌટિલ્ય પણ કહે છે. તેમણે રાજકીય ગ્રંથ રચના કરી છે જે રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપે છે અને આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે.

બાળપણ

ચાણક્યનો જન્મ મગધ રાજ્યના પાટનગર થયો હતો. ત્યારના સમયમાં મગધ રાજ્ય ખૂબજ શક્તિશાળી રાજ્ય ગણાતું. પાટલીપુત્રમાં નંદ વંશનુ રાજ્ય હતું અને તેનો રાજા ધનનંદ એક અભિમાની અને સંકુચિત દ્રષ્ટિકોણ વાળો આળસુ રાજા હતો. ચણક મુનિ તેના મંત્રી હતા (એક મત મુજબ ધનનંદના મંત્રી નુ નામ શકટાલ હતું, જયારે ચાણક્યના પિતા આચાર્ય ચણક એક શિક્ષક હતા) પરંતુ ધનનંદે તેને અપમાન કરી કાઢી મુકેલા જેના કારણે પાછળથી ચણકનું મૃત્યુ થયેલું અને ચાણક્ય (વિષ્ણુગુપ્ત) રાજ્ય છોડી વિધ્યાપીઠમાં ભણવા ગયેલા.

ચાણક્યની દાંતપંક્તિ જોઇ કોઇ બ્રાહ્મણે કહેલું કે આ બાળક મહાન થશે પરંતુ તેની માતાને ભૂલી જશે. આથી, વિષ્ણુગુપ્તે તેનો આગળનો દાંત તોડી નાંખેલો.

એકવાર ઘાસ પર ચાલતી વખતે ઘાસની તીક્ષ્ણ ધારથી વિષ્ણુગુપ્તને લોહી નીકળેલુ. આથી તેણે ઘાસમાં મધ નાંખ્યું. કોઇએ જ્યારે પુછ્યું કે ઘાસને કાપવાને બદલે તેને મધ કેમ પાય છે, ત્યારે વિષ્ણુગુપ્તે કહ્યું કે મધ તેણે ઘાસના મૂળમાં નાંખેલું છે જેથી કીડીઓ મધને મૂળ સહિત ખાઇ જશે અને ઘાસ કદી કોઇને વાગશે નહિ.

તક્ષશિલા

વિધ્યાપીઠમાં ભણ્યા પછી તેઓએ ત્યાં જ શિક્ષણ કાર્ય સ્વીકાર્યુ. તક્ષશિલા એ આજનું ટક્ષિલા શહેર જે આવેલું છે. તે વખતે ત્યાં આંભી રાજાનું રાજ્ય હતું.

એલેકઝાન્ડર

અલક્ષેન્દ્ર (અલિકસુંદર) તરીકે ભારતમાં ત્યારે ઓળખાતો એલેકઝાન્ડર પોતાની સેનાની કૂચ કરતો જીતી ભારત પર - અત્યારના અફઘાનિસ્તાન પર - ચડી આવતો હતો. તેણે ઘણા રાજ્યો જીત્યા અને ચાણક્યને આ પરદેશી આક્રમણ સંસ્કૃતિ સામેનો ભય લાગ્યો. તેને સમજાયું કે એલેકઝાન્ડર સામે કોઇ એકલદોકલ રાજ્ય ગમે તેટલા પરાક્રમ છતાં ટકી શકશે નહી. તેઓ જુદાજુદા રાજ્યોને મળવા ગયા. ત્યારના ભારતમાં ગણતંત્ર રાજ્યો હતા જે લોકતાંત્રીક અને સ્વતંત્ર હતા અને એકબીજાના રાજ્ય પરત્વે અભિન્ન રહેતા. ચાણક્યએ તેમને કહ્યું કે એલેકઝાન્ડરની સામે લડાઇ કરવા તમે () ને મદદ કરો. પરંતુ દરેક રાજયએ પોતાનો સ્વાર્થ અને નબળાઇ બતાવી. આંભી એલેકઝાન્ડરમાં ભળી ગયો અને પર્વતેશ્વર સામે લડાઇ કરવા તેની સાથે થયો.

મગધ ત્યારે શક્તિશાળી રાજ્ય હોવાથી પોતાના વૈતક્તિક મતભેદો બાજુ પર રાખી, એલેકઝાન્ડર સામે રક્ષણ મેળવવા તેઓ ફરીથી પાટલીપુત્ર ગયા અને ધનનંદને એલેકઝાન્ડર સાથે લડવા પ્રાર્થના કરી. પરંતુ ધનનંદે તેમનું અપમાન કરી રાજસભાનો ત્યાગ કરવા જણાવ્યું. જેથી તેમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ધનનંદને રાજા તરીકે નહિ હટાવે ત્યાં સુધી તે શિખા (ચોટી) બાંધશે નહિ.

ક્રાંતિ

પાટલીપુત્ર છોડી તેઓ તક્ષશિલા જવા તૈયાર થયા. રસ્તામાં તેમણે બાળકોને રમતા જોયા જ્યા એક બાળક બીજા બધાનો રાજા બની તેમને ન્યાય આપતો હતો. બાળકની ન્યાયની સમજણ જોઇ ચાણક્યે તેને જ પાટલીપુત્રનો રાજા બનાવવા નિશ્ચય કર્યો અને તેને તેની માતા પાસેથી ખરીદી લીધો. તેણે માતાને સમજાવી કે તે તેના પુત્રને મહાન બનવાની શિક્ષા આપશે. આ પુત્ર એટલે ચંદ્રગુપ્ત અને તે મુરા દાસીનો પુત્ર હોવાથી તેને મૌર્ય કહેવાય છે.

તક્ષશિલામા આવી ચંદ્રગુપ્તને ભણવા મુકયો અને પોતે શિક્ષણ કાર્ય ચાલું રાખ્યું. તેમણે એલેક્ઝાન્ડરના સૈન્યમાં ભારતીય સૈન્યોની ઘણી અફવા ફેલાવી હતી; એલેક્ઝાન્ડરનું સૈન્ય લાંબા પ્રવાસથી થાકી ગયું હતું અને બધી અફવાથી તેમણે ભારતમાં આગળ યુદ્ધ ન કરવા બળવો કર્યો. એલેક્ઝાન્ડર પણ પોરસ સાથેના યુદ્ધમાં ઘવાયો હતો આથી તેણે નિ:સહાય પાછા ફરવાનું નક્કી કર્યુ અને સેલ્યુકસને તે પ્રાંત સોંપી પોતે ગ્રીક જવા સિંધુ અને સમુદ્ર માર્ગે પાછો ફર્યો.

એલેક્ઝાન્ડરના પ્રસંગથી ચાણક્યને સમજાયું કે ભારતમાં એક શક્તિશાળી રાજ્ય હોવાની જરૂર છે જે તેની સંસ્કૃતિની રક્ષા કરી શકે. રાજાઓ તરફથી મદદ ના મળવાને કારણે તેમણે લોકજાગૃતિનું કામ કર્યુ. ચંદ્રગુપ્ત અને બીજા વિધ્યાર્થીઓની મદદ લઇ લોકોને ગ્રીક રાજકર્તા સામે ઉશ્કેર્યા. અને તેમણે નાના સૈન્યો બનાવ્યા. ગ્રીક લોકોને મારવાનું અને ગ્રીક રાજ્યના ભારતીય લોકોને નહી મારવાનું નક્કી કરી યુદ્ધો કર્યા જેથી બધા ભારતીયો એક થાય અને ગ્રીક લોકોને પોતાના જ ભારતીય સૈનિકોથી અવિશ્વાસ પેદા થાય. સેલ્યુકસને હરાવી ચંદ્રગુપ્ત રાજા બન્યો અને પછી ચાણક્ય પોતાના મુખ્ય હેતુ માટે પાટલીપુત્ર ફરીથી ગયા.