Saraswati Chandra - 1 Chapter - 3 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ 1 - પ્રકરણ - 3

Featured Books
Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ 1 - પ્રકરણ - 3

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૩

બુદ્ધિધન

રાજેશ્વર મહાદેવનું દેવાલય સુર્વણપુરથી ત્રણેક ગાઉને છેટે હતું, એટલે લોકોનો અવરજવર થોડો રહેતો. કોઇ કોઇ વેળા આ કારણથી

શ્રીમંત વંઠેલાનું અને કોઇ કોઇ વખત રાજ્યપ્રપંચના ખટપટી વર્ગનું તે સંકેતસ્થાન થઇ પડ્યું. તપોધનને આ માર્ગે ઊપજમાં વધારો થતો હતો અને સર્વ જાતના યજમાનવર્ગને પ્રસન્ન રાખવાની, અનુકૂળતા કરી આપવાની, અને અનુકૂળ થઇ જવાની તેનામાં કળા આવી હતી. ઘણુંખરું યજમાનવર્ગ તેની સાથે પ્રથમથી બંદોબસ્ત કરી મૂક્તા એટલે એક સંકેત સમયે બીજાઓ સંકેત કરવા આવી ગૂંચવાડામાં પડતા ન હતા. પરંતુ કળાનો પ્રસંગ ચાલે છે તે વખતના સાંકેતિક સાધારણ વર્ગના ન હતા અને પૂજારી અથવા બીજા સર્વ સાંકેતિકોની ફરજ હતી કે નગર અને દેવાલય બેના સ્વામીઓ સ્વતંત્ર રીતે વર્તે તેમાં ખલેલ ન પહોંચે એ જાતે પોતાની બુદ્ધિથી જ જોઇ

લેવું.

‘નિઘા રાખો મહેરબાન !’ એમ પોકાર થતાં જ સુવર્ણપુરનો સ્વામી બુદ્ધિધન સાથે દેવાલયમાં આવ્યો અને પોઠિયા આગળ રાજસેવકો સોનેરી ભરતનો ગાલીચો બિછાવી ચાલ્યા ગયા તેના ઉપર બંને જણ બેઠા. મૂર્ખદત્ત જમીન સુધી નીચો પડી ત્રણ સલામ કરી પોતાની ઓરડીમાં રસોઇ કરવા

ચાલ્યો ગયો. ચોમાસામાં રાત્રે વાદળાં આવે અને એક બાકામાંથી માત્ર ચંદ્ર

અને કોઇ પાસેનો તારો જણાય તેમ રાણો અને અમાત્ય આખા શિવાલયની એકલી વસ્તીરૂપ રહ્યા.

રાણો સાડત્રીશ-આડત્રીશ વર્ષની ઉમ્મરનો હતો. પાછલા રાણાને ઔરસપુત્ર ન હોવાથી, જૂના કારભારીઓ અને જૂની રાણીઓને ખોટો પુત્ર

મેળવવામાં કાંઇ જોગવાઇની ખામીને લીધે અને જોગવાઇ મળી તેટલી નિષ્ફળ

જવાને લીધે, તે મેળવનારાઓમાં ફાટ પડી એટલે ખરા વારસને જાતે -

સરકારી રેસિડેંટ મારફતે - અને પોતાના ધનપરિજનના બળ અને યુક્તિ વડે પોતાનો હક સંભાળવામાં અનુકૂળ પડવાતી, મૈયત રાણાના પિત્રાઇ

ભૂપસિંહને ત્રણચાર વર્ષ થયાં ગાદી મળી હતી. તે સાધારણ વર્ગમાં ઊછર્યો હતો અને રાજમહેલની ઝેરી હવા તેની કોમળ વયે જરી પણ અનુભવી ન હતી, તેથી તેની સાધારણ બુદ્ધિ નષ્ટ થવા પામી ન હતી. ગરીબ અવસ્થા થોડાંક વર્ષ દીઠી હતી એટલે ઝાઝી ઉદારતા ન હતી પરંતુ એ અવસ્થા યાદ

રહેવાથી ગરીબ લોકો ઉપર અમીદૃષ્ટિ રહેતી. બાપનો ગરાસ ખવાઇ જતો અટકાવવા કારભારીઓ, અમલદારો અને તેમના સિપાઇઓનો પણ પ્રસંગે પડેલો હતો. કોઇની પાસે આજીજીઓ કરી અપમાન અને લુચ્ચાઇને તાબે થવું પડ્યું હતું, લાંચ આપવી પડી હતી, ધક્કા તેમ જ ધપ્પા ખાવા પડ્યા હતા, પ્રપંચો જોવા તથા કરવા પડ્યા હતા, રાજાના સંબંધમાં બહારથી દેખાડવામાં અને મનમાં રાખવામાં માન તથા પ્રીતિમાં જે અંતર તેનાં પોતાનાં કહેવાતાં માણસો પણ રાખતાં તેની કાંઇક વાસના આવી હતી.

રાજમહેલમાં રાજ્યકાર્યને પ્રસંગે અને બહાને અધિકારીવર્ગની સ્વચ્છંદ વર્તણુંક તેના કાનમાં આવી હતી, અને આ સર્વ અનુભવનું ફળ ગાદીએ બેઠા પછી

લેવા તેનો ઠરાવ હતો. રાજ્યતંત્રનાં ઘણાં માણસને ઓળખતા અને ઘણાંને પોતાનો ધર્મ સમજતો હતો અને તે સમયે પોતાનો પક્ષ ખેંચનારાઓને હવે ઊંચા ચડાવવા એમાં વટ માનતો હતો. ખરેખરા રાજધર્મનો આભાસ પણ

મગજમાં ન હતો તેથી આ ધર્મ અને વટ રાખવામાં જ ખરેખરો રંગ રહેશે એમ તેની દૃઢ શ્રદ્ધા હતી. આ શ્રદ્ધાનો તણખો જૂની અવસ્થામાં પ્રકટાયો હતો અને તેની નવી અવસ્થામાં સ્વાભાવિક રીતે પુષ્ટિ મળી હતી એટલે બને તો પ્રદીપ્ત બની ભડકો થવા તત્પર રહેતો. પરંતુ ગાદી પર બેસવા પછી જૂના કારભારીના લચી પડવાથી, વેશ બદલવાથી, ઉદારપણાથી, અને ઉચ્ચનીચ યુક્તિઓથી ભૂપસિંહનો સ્વભાવ બદલાયો દેખાતો હતો અને રાજવૈભવના શિયાળામાં તેનો અનુભવઅગ્નિ ધીમે ધીમે કજળાતો અને તેના ઉપર મોજશોખની રાખનાં પડ બંધાતાં જોઇ સર્વ જૂનું મંડળ

નિશ્ચિત થઇ જતું હતું.

અમલના ઘેનમાં, સ્વાર્થના જડપણામાં, ઉન્માદ વિષયના આવેગમાં, બાહ્યસૃષ્ટિની ભભકમાં અને રોજના લાગ્યા વ્યવહારના જાળમાં ઘેરાઇ જતું, ઊંઘતું, મૂર્છા પામતું, અંજાઇ જતું અને લપટાઇ જતું - સર્વમંડળ આ

પ્રમાણે શૂન્યવત્‌ થતું હતું અને રાજફેરની વાત જૂની થઇ જતી હતી તે સમયે માત્ર બુદ્ધિધન એકલો જાગતો હતો, જોતો હતો, સાંભળતો હતો, વિચારતો હતો અને નવા ખેલ રચતો હતો. સર્વભૂતની આ નિશામાં સુવર્ણપુરના રાજ્યતંત્રનો આ યંત્રી, માંદા માણસની પથારી પાસે જાગનાર વૈદ્યની પેઠે, અને શિકારટોળું નજરબહાર - ક્રમ૧ બહાર - ન થઇ જાય એ સરત રાખતા સિંહની પેઠે જાગતો હતો; અને સુવર્ણપુરનું રાજ્ય શ્રેષ્ઠ કહેવાય, પોતાનો અમલ સ્થિર ઉચ્ચ થાય, રાજ્યતંત્ર પોતાના હાથનું રમકડું બની જાય, અને ભૂપસિંહ અને તેની પ્રજા પોતાની અને પોતાના સ્વજનની કામધેનું થઇ રહે; આવા વિચાર બુદ્ધિધનની આંખ આગળ ભૂત પેઠે નાચ્યાં કરતા, અહોનિશ તેને ઉજાગરો કરાવતા, બીજા કોઇ પણ વિષય પર તેનું નેત્ર પડતાં તેમાં અંધારાં આણતા, તથા નિરંતર ચિંતામાં આનંદમાત્રને

લીન કરતા, અને આ તેના મહાયોગને જોઇ શકવા - પરખી શકવા - જડ જગતના ચર્મચક્ષુમાં તાકાત ન હતી.

બુદ્ધિધનના ચોથીપાંચમીં પેઢીના પૂર્વજો સુવર્ણપુરના કારભારીઓ હતા; એને કારભાર ગયા પછી પણ નાનામાં નાની નોકરીને પણ હાથમાં રાખી દરબારમાં પગ રાખવા એ નીતિ તેના કુટુંબે રાખી હતી. પેઢીએ પેઢીએ તો શું પણ એક જ પેઢીમાં કાળચક્રના વારાફેરા બદલાયા હતા અને

શ્રીમંતપણા અને નિર્ધનતા વચ્ચે આ ગર્ભશ્રીમંતપણાની ખુમારીવાળા કુટુંબે

હિંદોળા ખાધા હતા. બુદ્ધિધનને પિતાના તરફથી વારસામાં પોતાના આભિજાત્યનું અભિમાન - ખાનદાનની ખુમારી - અને તે ગુણની પાછળ

ખેંચાતો ગુણો વિના બીજું કાંઇ મળ્યુંં ન હતું. પરંતુ તેની મા ઘણી બુદ્ધિવાળી, ડાહી તથા ગરીબ અવસ્થામાં ઘરખણી અને સારી અવસ્થામાં ઉદાર રહી શકે એવી હતી; અને એવું કહેવાતું કે તે પુરુષ હોત તો આ ‘કારભારી’

કુટુંબનો કારભાર પાછો મેળવત. આ બાઇના આ ઊજળા ગુણો તેના પુત્રમાં વિકાસ પામ્યા હતા અને તેમની દિન પર દિન વૃદ્ધિ થતી જોઇ

નિર્ધન માતાપિતા આશા અને આનંદમાં સારા દિવસની વાટ જોતાં હતાં.

મહારાજ શિવાજીને જીજીએ ઉશ્કેર્યા હતા. તેમ બુદ્ધિધનની પાસે તેની મા નાનપણામાંથી રસભેર વાતો કહી બતાવતી હતી કે એક દિવસ રામરાય

આવી રીતે કારભારી થયા, લક્ષ્મણચંદ્રે નાની ઉમ્મરમાં રાણીની પ્રીતિ મેળવી હતી, અને કૃષ્ણદાસે સુંદરસિંહ રાણાના વખતમાં ઢગલા ધન મેળવ્યું હતું, કુટુંબને તારી દીધું હતું. અધિકારીઓમાં આણ વર્તાવી હતી અને વસ્તીમાં તેની હાક વાગતી હતી. આ સર્વ વાતો બાળક બુદ્ધિધન એકાગ્ર ચિત્તથી બોલ્યાચાલ્યા વિના સાંભળતો. માની વર્ણનશક્તિ વિદ્યાના સંસ્કાર વગરની હતી પરંતુ તેમાં સ્વભાવોક્તિ, સુંદરતા, રસિકતા અને સૂચકતા ઊભરાઇ

જતાં. સ્ત્રીભાષાનું કોમળપણું તથા સંસ્કારીપણું તેમાં બહેકી રહેતું. સુંદર અને લલિત સ્ત્રીએ સંસારના પ્રેરેલા સાધારણ અલંકારો ધ્યાન ખેંચ્યા વિના હ્ય્દયમાં પરોવાઇ જતા. માના મસ્તિકની (મગજ ની) કલ્પનાશક્તિ અને હ્ય્દયની ઇચ્છાઓ બાળકના મસ્તિક તથા અંતઃકરણમાં નદીની પેઠે વહ્યાં જતી. બાપ પોતાના કુટુંબના જૂના વખતની મોટી મોટી વાતો સંભારતો, બડાશો હાંકતો, અને રંક જન્મેલા આજકાલના મોટા થયેલા જુવાનિયાઓ અને અમલદારો તુચ્છ હોય તેમ તેમને ધિક્કારી હસી કાઢતો, ગણતરીમાં જ ન ગણતો, અને અપ્તરંગી૧ મૂર્ખ વિધાતા - નસીબ - ને માથે આ ક્ષુલ્લક

લોકને થનથન નચાવી સાતમે આકાશ ચડાવી દેવાનો દોષ તિરસ્કાર ભરેલી દૃષ્ટિથી મૂકતો. કુમળા મસ્તિકમાં આ સર્વ સંસ્કારો ભરાયા હતા અને બુદ્ધિધને ઠરાવ કર્યો હતો કે બ્રહ્માની આવી ભૂલ સુધારી દેવી અને પોતાની યોગ્યતા પ્રમાણે મોટા પદ પર ચડવું.

જન્મનો કારભારી નિશાળે ગયો હતો પણ ત્યાં ભણવાનું પ્રયોજન ન જડવાથી ઘણા દિવસ ગૂંચવાડામાં કાઢ્યા. આખરે એવી શોધ કરી કે ભણવું એ એક હુન્નર છે, પૈસાા કમાવાનું સાધન છે, એ હુન્નર પાસે હોય

તો એકની એક વાત લોક અંજાઇ જાય એમ લખતાં આવડે છે, અને

મુસદ્દાઓ લખવાસમજવામાં ઝીણવટ આવે છે. માનું કહેવું એવું હતું કે ભણવાથી બુદ્ધિ વધે છે અને આ મત સામે દીકરાએ કદી તકરાર ન કરી પણ તેના મનમાં એમ જ છેક છેલ્લે સુધી હતું કે આ બાબતમાં મા ભૂલ

કરે છે. આવી વૃત્તિથી નિશાળે કંઇક ભણ્યો અને વર્ગમાં અવકાશ મળતો ત્યારે મહેતાજી વર્ગ કેમ ચલાવે છે, છોકરાઓની સંખ્યા કેમ વધારે છે, છોકરાનાં માબાપને કેમ ખુશી કરે છે, ઠોઠ છોકરાઓ સાથે કેમ માથું કૂટે છે, અને છોકરાઓ મહેતાજીની પૂંઠે કેવું ટોળટીખળ કરે છે તે સૌ જોતો, સરત રાખતો અને ગમત તથા બોધ પામતો. પ્રથમ તો આખા જગતમાં બુદ્ધિવાળાં માણસોની સંખ્યામાં માનાથી બીજે નંબરે મહેતાજી મુકાતા, પણ આખરે મહેતાજીનો નંબર ઊતરતો ગયો. એમ કરતાં કરતાં મહેતાજી મુર્ખાઇ

અને કમબુદ્ધિના નમૂના જેવા લાગવા માંડ્યા એટલે તેમને પોતાની વિદ્યાથી, બુદ્ધિથી અને દ્રવ્યથી સંતોષ આપી અક્કલવાળા વિદ્યાર્થીએ નિશાળ છોડી, અને ભણેલા માણસો ઘણુંખરું મહેતાજી જેવા જ હશે એવો વિચાર જગતમાં

પ્રવાસ સમયે ભાથા સારુ લીધો. આવી રીતે તેણેે નિયમ બાંધ્યો હતો તેમાંથી બહુ બળવાન સાબિતીવાળા અનુભવ પછી જ એ મોટી વયે પણ થોડાક પ્રસંગ પડેલા માણસોની બાબતોમાં અપવાદ સ્વીકારતો.

નિશાળ છોડ્યા પછી સંસારશાળામાં પાસ થવાની મહેનતમાં ઘણાક અનુભવ થયા અને ઘણાક વિચાર બદલવા પડ્યા. નાનપણાનાં સ્વપ્નોમાં એકદમ મોટા થઇ જવાનો વિચાર રાખ્યો હતો તેનો આવેગ કપરા અનુભવે

મંદ પાડી નાંખ્યો; અને ધીમે ધીમે, પગલે પગલે, અડચણો વેઠી, ઘણીક

મહેનત કરી, ઘણીક ચિન્તા સહી, ઘણીક વખત નિરાશ થઇ, પોતાની બાજીનું પરિણામ લાચાર બની અદૃષ્ટના હાથમાં રહેવા દઇ, ઘણાં વર્ષ પછી, મૂળ ધારેલા પદે તો નહીં જ પણ એનાથી અર્ધે રસ્તે પણ પહોંચાય

તો સંતોષ રાખવા વિના છૂટકો નથી એવો સિદ્ધાંત કરી, બુદ્ધિધને સંસારસાગરમાં વગર તૂમડે તરવા વામો ભરવા માંડી. બાપની બુદ્ધિ વિષે બહુ ઊંચો અભિપ્રાય ન હતો તે છતાં તેનો અનુભવ ઘણી વખત કામ લાગતો અને કેટલીક વખત તેની શિખામણ અને સૂચનાઓની અવગણના કરવા પછી

‘મા, તું કહેતી હતી તે કહે’ કરવું પડતું. માની સૂચનાઓ કેટલીક વખત રુચિને અનુકૂળ લાગતી હતી, તથાપિ પ્રથમ જે માન તેની બુદ્ધિ વાસ્તે હતું તેમાંથી દિવસે દિવસે ઘણું કમી થતું ગયું. પુત્રને બહારના અનુભવે વધારે વધારે ઘડ્યો અને તેની બુદ્ધિને વધતી વયે પકવી તેમ તેમ ઘરના જ અનુભવવાળી જનનીની બુદ્ધિમાં કચાશ માલૂમ પડવા માંડી તથા અંગવિકલ

થતો પિતા બુદ્ધિવિકલ થતો લાગ્યો. બાળક પક્ષી માબાપના આશ્રય વિના ઊડવાની હિંમત કરવા લાગ્યું . માબાપના ધર્મની સીમા અનુમોદન અને અનુશોચનમાં આવી રહી. વ્યવહારશક્તિ જવાથી, બીજા સ્વાર્થ પરથી, દૃષ્ટિ વિરામ પામવાથી અને કઠણ વૃત્તિઓ વિકલ થઇ જવાથી વૃદ્ધ માબાપની વત્સલતા ઘાડી થઇ, ઉઘાડી ઊભરાવા લાગી, અને તે જમીન પર નિષ્ફળ

ઢોળાઇ ન જાય એવી રીતે પોતાના ઉમળકાથી તેનો યોગ્ય સત્કાર કરી વૃદ્ધોના અપંગ આનંદને ટેકો આપવો એ મારો ધર્મ છે એવી બુદ્ધિ બુદ્ધિધનમાં સ્પષ્ટ સ્ફુરવા લાગી. સંસારપંડિતનો સ્વાભાવિક પ્રેમ સ્વાભાવિક રીતે નિર્ગન્ધ

અદૃષ્ટ રહેતો તેના પર બુદ્ધિના રેડ્યા કૃત્રિમ પ્રેમનું પડ બંધાયું - જેણે રમણીયતા તથા સુગંધ ધરવા માંડી.

સંસારમાં ક્યા પ્રવાહમાં દોરાવું અને ક્યા બંદર ભણી જવું એ વિચાર કરવાની બુદ્ધિધનને હવે જરૂર પડી અને તેના વિચારને પોતાના અભિલાષ પ્રમાણે વાળવા વૃદ્ધ માબાપ મથતાં. બાપના મનમાં જીવવાની

મર્યાદા આ સંકલ્પ સિદ્ધ થયો જોવા સુધીની હતી. તેના મનમાં એમ હતું કે મારા કુટુંબના ઓળખાણથી રાણાનો અને બુદ્ધિધનનો પ્રસંગ કરી આપવામાં હું સાધનભૂત થાઉં અને પોતાની ગરીબ અવસ્થા છતાં પણ બાપના તરફથી આટલી મદદ વારસામાં આપ્યાનો સંતોષ પામું. માની ઇચ્છા એવી હતી કે રાણાનો કારભારી મારા પિયરનો સગો થાય છે તેના ઉપર મારા મસિયાઇ

ભાઇ પાસે ભલામણ કરાવી પુત્રને તેની વયના બીજા છોકરાઓ કરતાં ઊંચી પાયરીની જગા અપાવું. ડોસોડોસી પરસ્પર એકબીજાની દરખાસ્તના સરસપણા વિશે ચર્ચા ચલાવતાં. બુદ્ધિધન સર્વ ચર્ચાનો ઉદ્દેશ સમજતો અને ઇચ્છતો કે વિચાર પોતાના પાર પડે અને માર્ગ માબાપનો ઇચ્છ્યો લેવાય.

સર્વસાધનભીૂત લક્ષ્મીને ખેંચી કાઢવી એ તો સૌને સિદ્ધ હતું પણ ક્યા કૂવામાંથી તે બાબત મતભેદ હતો. રાજદ્ધારે મહાલક્ષ્મીર્વ્યાપારે વસતિ તથા વ્યાપાર કરવો, કે રાજલક્ષ્મી શોધવી ? વ્યાપારમાં ખોટની બીક; મૂડીની જરૂર, ચિંતાની જરૂર, અધિકારીની ગરજ પડે ઇત્યાદિ કારણોથી રાજલક્ષ્મી શોધવી એવો ઠરાવ સંસારના ઉમેદવારે કર્યો : પણ આ કામ શી રીતે પાર પાડવું તેની ચિંતા રાતદિવસ રહ્યાં કરતી. રાણાને રાણાને ત્યાં પ્રથમ તો નાની સરખી નોકરી મળે, તેમાં પેટ ભરાય નહીં, પ્રતિષ્ઠાનું દ્ધાર રહે નહીં, રાજસત્તા તો દૂર જ રહે, અને વળી મૂર્ખ અને પારકી માના જાયા અમલદારો પાસે વગર રાખવા કરગરવું પડે. બળી આ નોકરી. ધૂળ નાખી, દુઃખી તો દુઃખી પણ વ્યાપારમાં આમ અરુચિકર ન થાય. આવી રીતે સંશયહિંદોળે બુદ્ધિધન ચડ્યો અને રાત્રે અને દિવસે, ઘરમાં અને બહાર એકાંત શોધતો, વિચારમાં ગરક થઇ જતો, અને ઘણી વાર માબાપની પાસે પણ શૂન્યનેત્ર, શૂન્યકર્ણ બનતો. એકલો બેઠો બેઠો હજારો તર્ક કર્યા કરતો, હજારો લોકો પોતાનો નિર્વાહ કેમ ચલાવે છે તેનું સંશોધન કરતો, તેમને ઉપજીવિકાનું સાધણ પ્રથમ કેમ મળ્યું એ વિષે ખંતથી પૂછતો અને એ સૌ રસ્તા પોતાને વાસ્તે ઉઘાડા છે કે નહીં તે વિચારતો. વળી એક રસ્તો અરુચિકર લાગતો. બીજો નિર્ભય નથી. ત્રીજામાંથી લક્ષાધિપતિ થવાય એમ

નથી. ચોથામાં તો ઘણીક ખરાબ અડચણો પડે. એવી રીતે ગણતો ગણતો આંગળી વડે ભોંય ઉપર, હવામાં અને કપાળે, મોટાં મોટાં મીંડાં વાળતો અને ગણગણતો કે :

શું થાશે તેની નહીં સમજણ પડતી કાંઇ;

વિફળ વિમાસી ભાવિને અમુઝાવું મનમાંહ્ય.

વળી આ રસ્તામાં બેવકૂફી લાગતી અને અચિંત્યો એકાંતે ખડખડ હસી પડતો. આખરે પાછો ફરી ઠરાવ કર્યો કે નોકરી ખોળવી, પણ થોડા દિવસ વાટ જોઇ, ધીરજ ખમી, સારી નોકરી કઇ છે તે ખોળવું અને ખોળી તેને જ મેળવવા યત્ન કરવો, આ સર્વ વિચાર પુત્રના મગજમાં ચાલતા અને તોફાન મચાવતા તે વખતે માબાપ તેથી અજાણ્યાં રહેતાં. તેઓ તો ઘણી વખત પૂછતાં કે ‘ભાઇ, શું કરવું છે ?’ પણ જવાબમાં કંઇ સંતોષકારક

મળતું નહીં.

આ બધા સમયમાં બુદ્ધિધનનો બાહ્ય વ્યાપાર દેખીતો આનંદમય

હતો. તેમાંથી તે કાંઇ કાંઇ ઉપયોગ શોધી લેતો અને તેમાં તેની મા રસ પૂરતી. વિદ્યાભ્યાસનો ખાસ પ્રસંગ ન હતો તોપણ કાજીસાહેબ સાથે ઘરનું જૂનું ઓળખાણ હતું તેમની પાસે જઇ ફારસી બેતો મોઢે કરતો અને સમજતો અને આખરે તેમાંથી તેનો સ્વભાવ ગંભીર અને શાણા બગલા જેવો થયો.

શાસ્ત્રીપુરાણીની કથાઓમાંના સંસ્કાર વડે તેનું અંતઃકરણ ઊંચી વૃત્તિઓમાંથી ભરાયું અને સંન્યાસીઓને પ્રસંગે તેમાં શાંતિનોપટ બેસાર્યો. બ્રહ્મજ્ઞાનના શબ્દ કાનમાં પડવાથી તથા તેના સંસ્કાર સ્ફુરવાથી સંસારી વિષયોમાં પણ ઊંડી વિવેકબુદ્ધિ (ફિલસૂફી) ઉત્પન્ન થતી. અવકાશને વખતે વૃદ્ધ પુરુષો સાથે ગપાટા મારવામાં પણ આવતા. તેઓએ પોતાની જુવાનીના જોરમાં અને મદમાં પરાક્રમ કરેલાં અથવા ખત્તા આવેલા તથા યુક્તિઓ રચેલી; તેઓ ફાવેલા, હારેલા, ફસાયેલા, લલચાયેલા અને બચેલા, કોઇએ કારભાર કરેલો, કોઇએ વ્યાપાર કરેલો, કોઇએ રંડીબાજીમાં જુવાની ગુમાવેલી, કોઇથી બેવફૂકીમાં કંઇ જોવાયેલું નહીં, કોઇએ પ્રમાદમાં થતું થવા દીધેલું, કોઇ

ખટપટનો ભોગ થઇ પડેલો; ઇત્યાદિ વાતો અનુભવનારને જ ઘરડે મોંએ કોઇ વાર વગર પસ્તાવે, કોઇ વાર બડાશના સંતોષ સાથે, અને કોઇ વાર કથાઓ અને ઘરડાઓના ગપાટા, સર્વ વાતો પ્રસંગે તથા અપ્રસંગે પુત્રના

મોંથી નીકળતી તેમાં હોંકારો ભણી, ઉમેરો કરી, તેના જેવી જ બીજી વાતો પોતે કહી, ટોળ કરી, તાળી આપી, ‘જોયું ? આમ થયું તેનું આ પરિણામ’

કહી સાર કાઢી આપી, મા દીકરાને રીઝવતી, કેળવતી અને રાચતી. આ વાર્તાઓ રસભરી થઇ બુદ્ધિધનના મનમાં ઠરતી અને વજ્રલેપ થતી. બ્રહ્મની પેઠે આ સર્વ માયામયી સૃષ્ટિનો નિર્ગુણ અને નિષ્કર્મ સાક્ષી - કુટુંબનો વડીલ-બુદ્ધિધનનો બાપ સાંભળતો અને સૌના આનંદમાં ગુપ્ત ભાગ લેતો.

દાતણને વખતે, નહાતાં નહાતાં, જમવાની ઘડીએ, વાળુ કરતાં, પથારીમાં સૂતાં સૂતાં, શિયાળામાં તાપણાં તાપતાં, ઉનાળામાં ચાંદની રાતના ગપાટા વખતે, અને ચોમાસામાં અંધારી રાતે કાળા વાદળમાંથી વરસાદ ટપક ટપક થયો કરતો સાંભળતાં સાંભળતાં - સુવર્ણપુરના ‘કારભારી કુટુંબ’માં આવી રીતે સંસારશાળા વગર મહેતાજીને વગર પુસ્તકે વણજાણી ચાલતી. સ્ત્રીજાતની કોમળતા, કલ્પના કરનારના અંતઃકરણમાં સતતગતિ૧ બની પેસી જતી, અને નદી ઉપર પ્રભાતનો કમલસ્પર્શી પવન શરીરના ઉપર જેવી રમણીય, પાચક અને બળવાન ગુપ્ત અસર કરે છે તેવી જ અસર આ અંતઃકરણ ઉપર થતી. બેસો, કથાઓ, શ્લોકો અને ગપાટા પ્રાસાદિક૨ બુદ્ધિશાળી બાઇએ ભેળવેલા સ્વાદિષ્ટ સંભારથી પચવામાં સુલભ થઇ જતાં.

બુદ્ધિધનના બાપને પરાપૂર્વથી ચાલતું આવેલું વર્ષાસન મળતું. તે વર્ષાસન માત્ર બસેં રૂપિયાનું હતું પરંતુ હાલ તેની કનિષ્ઠ અવસ્થામાં કોઇક વખતે મદદ કરનારું થઇ પડતું અને લોકમાં પ્રતિષ્ઠા આપનારું ગણાતું.

કારભારી મંડળમાં એ વર્ષાસનથી ‘કારભારી કુટુંબ’નું નામ વર્ષે દિવસે એકેકી વાર સ્મરણમાં આવતું. એ સિવાય મૂળ કારભારીઓએ પૈસો એકઠો કરી મૂકેલો તથા જમીન હાથમાં રાખેલી તેમાંથી આવદાન ભરવા જોગ ઉત્પન્ન થાય એટલું બાકી રહ્યું હતું. રાજસત્તા હોય તો ઘણી મિલકત ખરી થાય એવી હતી. પણ એવી સત્તા તો ભૂતકાળની વાત થઇ હતી અને હાલ તેનું સ્વપ્ન પણ કોઇને આવતું ન હતું. પૈસો પૈસાને પેદા કરે છે. પણ આ કુટુંબમાં તો પૈસો ન હતો એટલે સરકાર દરબારને રસ્તે ચડવું અને

લાંચ આપી જીતવું મુશ્કેલ થયું હતું. વગવાળા અને પૈસાવાળાઓ પાસે હાથ નીચે પડી જતા અને પોતાના જેવા જ માણસો પ્રતિસ્પર્ધી હોય ત્યારે ન્યાય મળવાનો સંભવ રહેતો અને એ સંભવનો આધાર પણ અમલદારના ઉદ્યોગ, ઉત્સાહ અને સાવધાનપણા ઉપર રહેતો. આવું છતાં કુટુંબનો વ્યવહાર ચાલતો અને ઘર ચલાવનારીની બુદ્ધિ, વેતરણ અને કરકસરથી નામ પ્રમાણે ખરચ રાખ્યું દેખાતું છતાં ઝાઝું ખરચ થતું ન હતું અને કોઇ

રીતે લાગે એવી અડચણ પડતી ન હતી અને કેટલીક અડચણો વેઠવાની તો સૌને ટેવ પડી ગઇ હતી. મોજશોખ અપથ્ય ગણાતા; અને કુટુંબનો આનંદ, વૈભવ અને ભોગ માદીકરાના ટાઢા પહોરના ગપાટાની બાંધી હદમાં રહેતા.

બુદ્ધિધનનો વિવાહ એના જેવા જ કુટુંબની કન્યા સાથે થયો હતો અને તે નમાઇ હોવાથી સાસુના હાથ નીચે ઊછરી હતી એટલે ગજા પ્રમાણે કુશળ થઇ હતી. તેનું નામ સસરાએ પાડ્યું હતું અને નિર્ધનના ધન -

વરકન્યા - ઉપર રંક ‘કારભારી કુટુંબ’ સૂતું ઊઠતું હતું.

એમ દિવસ ચાલ્યા જતા હતા અને રંક કુટુંબ ઉન્મત્ત પ્રમત્ત જગતમાંથી કોઇ પણ આંખ ફરકતીયે ન હતી. સૂર્ય કિરણનાં દર્શન કરવા વગર જમીનની અંદર કોઇ બળવાન ઝાડનું બીજ વધતું જાય તેવી અવસ્થા બુદ્ધિધણ ભોગવતો હતો, તેમ વિપત્તિનો તાપ તેના ઉપર પડ્યો ન હતો, મોટા થવાની ઇચ્છા સિવાય તેના મનમાં પણ બીજું ચિંતાનું કારણ ન રહેતું, અને આ ઇચ્છા એક જીર્ણજ્વર જેવી તેના મનમાં રહ્યાં કરતી. એ વ્યાધિની હયાતી ઘરમાં કોઇ જાણતું ન હતું. માત્ર જાતે જ એકાંત સમયે તેની સહજ પીડા અનુભવતો.

આવી અવસ્થા પણ ઘણા દિવસ ન ટકી. વિપત્તિનું વાદળ વાદળ

ઊછરતા છોડ ઉપર તૂટી પડવા લાગ્યું. બાપનું મરણ અણચિંતવ્યું વિષૂચિકાથી૩

થયું. આ બનાવ સારું બુદ્ધિધન જરા પણ તૈયાર થયો ન હતો. અજાણ્યા અચિંત્યાં થતા ઘાની પેઠે તે તેને લાગ્યો. તેનું બળવાન મન ઘડીક ચૂરા થતું જણાયું. તેના સ્વભાવને લીધે ગમત કરનાર જુવાન જગતમાં તેના સમાનશીલ

વ્યસનવાળું કોઇ ભાગ્યે મળી શકે એમ હતું. ગરીબ અવસ્થાને લીધે પૈસાવાળા ખુશામત સિવાય મિત્રતામાં બીજાં દ્ધાર બંધ રાખતા. ગરીબ લોકોમાં કુલીન સંસ્કાર ન મળતો. અને કોઇ એમ છતાં મિત્ર થવા જેવો મળે તો બુદ્ધિમાં અંતર રહેતું. આથી થયું એ કે બુદ્ધિધન મિત્ર વગરનો રહ્યો અને ખરી વિપત્તિ સમયે તેના મનનું ઔષધ કરવા તેની મા વગર બીજું કોઇ હતું નહીં અને તે માને પણ વૈધવ્ય દુઃખ પડવાથી તેની મનની સંભાળ લેવી એ પણ હવે ખરેખરા એકલા પડેલા બુદ્ધિધનને માથે ફરજ થઇ પડી.

આટલાથી જ વિપત્તિનું ઝાપટું પૂરું થયું નહીં.

‘જીવતો વાક્યકરણાત્‌ મૃતાહે ભૂરિભોજનાત્‌ । ગયાયાં પિણ્ડદાનેન ત્રિભીઃ પુત્રસ્ય પુત્રતા ।।’

બ્રાહ્મણસંસ્કારવાળા પુત્રને આ શ્લોક ઘણો વહાલો હતો અને રમણીય

લાગતો. સુધારાવાળાઓની પુત્રના પોતાની રુચિને અનુસરતી રીતે પિતાનુંનામ

લોકપ્રસિદ્ધ કરવામાં વિકાસ પામે છે. બુદ્ધિધનની પુત્રતા પિતાની રુચિને અનુસરતી રીતે વર્તવામાં સ્ફૂરવા ઇચ્છતી હતી. ઘણી ચિંતા કરી, ્‌આમતેમથી પૈસા એકઠા કરી, શ્રમ વેઠી, અને એવી અનેક વર્તમાન ભવિષ્ય વિપત્તિઓ

માથે વહોરી, તેમ કરવામાં પિતાના મરણનો શોક વ્યવહારવિપત્તિઓમાં

લીન કરી, બુદ્ધિધને શાસ્ત્રોક્ત પુત્રતા અનુભવવા માંડી. આ વિપત્તિઓના કુહાડા ખમી ખમી ચંદનવૃક્ષ જેવો બાળક શરીરે ક્ષીણ થતો ગયો અને તેના અંતરમાંથી બુદ્ધિગંધ બહેકવા લાગ્યો. ચારે પાસ વિપત્તિઓની ભીડ થઇ

રહી હતી. તેને બળવાન બાહુ વડે હડસેલી હડસેલી ધક્કાધક્કી વચ્ચેથી અગાડી ધપી સંસારસુખની ઝાંખી ખોળવામાં પાછળ રહી ગયેલા ભૂતકાળ

ઉપર નજર નાખવાનો અવકાશ ન રહ્યો; અને તે નિમિત્તે વિપત્તિઓની વધતી ભીડમાં ચગદાતો બાળક એકલો બળ અજમાવવા લાગ્યો.