Sukhna Sarname in Gujarati Motivational Stories by Mehul M Soni शौर्यम books and stories PDF | Sukhna Sarname

Featured Books
Categories
Share

Sukhna Sarname

*લેખક વિશે*

નામ- મેહુલ એમ.સોની

ધ્રાંગધ્રાના વતની છે..

લેખન કાર્ય માટેની અલૌકિકતા તેમની પહેલી પસંદ છે. "શબ્દો સાથે સંકળાયેલો માણસ"

પ્રિય મિત્રો

મારી બૂક ‘ઈશ્વરનો મોબાઈલ નંબર' અને ‘પ્રકૃતિ‘ માતૃભારતી પર પ્રકાશિત થઈ છે. ત્રીજા આ લેખ ‘સુખના સરનામે‘ આપની સમક્ષ મુકી રહ્યો છું.આશા છે વાચકમિત્રોને ગમશે અને હા પ્રતિભાવ પણ આપશો.

મહેન્દ્રભાઈ અને માતૃભારતીટીમનો આભારી છું.તેમજ મારા વહાલા વાચક મિત્રો, મારા લેખક મિત્રોના સાથ સહકાર બદલ અંત:કરણથી આભાર માનું છું.

આપના તરફથી એક પ્રતિભાવ મારા માટે અમૂલ્ય છે. આભાર

Mo- 7567537800

mail- moxmehul@gmail.com

~~સુખના સરનામે~~

સુખનું સરનામું મેળવવું છે તેવી દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે પરંતુ તે કેવી રીતે શું કરીએ તો સુખની પ્રાપ્તિ થાય?

આવો પ્રયાસ કરીએ સુખના સરનામે પહોંચવાનો.

ડેલ કાર્નેગીએ કહ્યું છે; યાદ રાખો કે સુખનો આધાર તમે શું છો, કે તમારી પાસે શું છે, તેના પર નહી; પણ તમે શું વિચારો છો તેના પર છે".

સુખ આસપાસમાં જ છે જરૂર છે તેને જોવાની આપણી એક આદત છે, જે નથી તેને મેળવવાની કોશિશમાં જે હોય છે તેને ભુલી જઈએ છીએ સુખ મેળવવા આપણે દોડીએ છીએ, ભાગીએ છીએ છતા તે હમેંશા વેંત છેટું જ રહેતું હોય છે....

સુખ મેળવવાનો એક સચોટ રસ્તો છે, વર્તમાનમાં જીવવાનો, ભવિષ્યનું આયોજન કરવું યોગ્ય તેની ચિંતા કરવાથી કોઈ લાભ નથી,ભૂતકાળને યાદ કરીને કોઈ ફાયદો નથી હા ભૂતકાળમાથી ભૂલ સુધારી શકાય પણ તેનો અફસોસ જીવનના સુખને કરમાવવે છે....

સુખ એટલે માત્ર ભૌતિકતા નહી પણ આનંદ જેમાં આનંદ મળે તે સુખ! એક મિત્ર બહારગામ જાય પોતાની પાસે કાર છે છતા તે બાઈક લઈને જ જાય તેનું કહેવું છે યાર ‘કાર‘ લઈને ફરવા કરતાં મને બાઈક પર ઘુમવાની મજા જુદી જ આવે છે.સુખની વ્યાખ્યા દરેકની જુદી જુદી હોય છે...

સુખ માટે એક સરસ દ્ષ્ટાંતકથા છે,

એક સંતપુરુષ પાસે એક દુ:ખી માણસ ગયો અને તેણે સુખની માગણી કરી.એવા જવાબમાં સંતપુરુષે કહ્યું: ભાઈ,મારી પાસે સુખ નથી,પણ તને રસ્તો બતાવું.જા,તને કોઈ સુખી લાગે તેવા માણસનું પહેરણ લઈ આવ,. પેલો માણસ તો રાજી થઈને બોલ્યો: 'ઓહો! એમાં શું? ઘણાય સુખી માણસ છે.હમણાજ પહેરણ લઈ આવું' હરખાતો હરખાતો દોડ્યો. એ ગયો એક શહેરમાં. ત્યાં જઈને એક ખૂબ ધનવાન માણસનું ઘર શોધી કાઢ્યું, પણ ત્યાં તેણે શું જોયું? સુખ નહોતું, પણ કલેશ ને કંકાસ હતા.પોતાની પત્ની સાથે ઝઘડો ચાલતો હતો.તેને તરત થયું : ‘આ સુખી ક્યાં ક્યાં છે? તે ત્યાંથી બીજે ઘરે ગયો તો ત્યાં શાંતિ નહોતી.બધા માનસિક ઉપાધીમાં ગ્રસ્ત હતા.પછી ત્રીજે ઘરે ગયો તો પણ ત્યાં શારીરિક બીમારીની તકલીફ હતી. આમ તેને આખા શહેરમાં કોઈ સુખિયો માણસ ન મળ્યો.છેવટે કોઈ વડીલવૃધ્ધ વ્યક્તિએ તેને કહ્યું: ભાઈ તું પેલા માણસ પાસે જા. એ સુખી છે, એટલે એ દુ:ખીયો તેની પાસે ગયો. પણ તેણે ત્યાં જોયું તો એ માણસના શરીર પર પહેરણ જ નહોતું,એટલે તે શી રીતે પહેરણ માંગે? આમ નિરાશ થઈને થાકીને છેવટે તે દુ:ખી માણસ પાછો સંત પુરુષ પાસે જાય છે ને હકીકત જણાવી. ત્યારે સંતપુરુષે તેને કહ્યું ‘ભાઈ જગતમાં એમ જ છે.જ્યાં પરિગ્રહ છે ત્યાં સુખ છે જ નહી.સુખ માંગ્યું મળતું નથી.કોઈ વસ્તુથી તે મળતું નથી પણ આપણે જાતે ઊભુ કરવું પડે છે.એનું રહેઠાણ આપણાં અંતરમાં જ છે.એને બહાર શોધવાની જરૂર નથી.

જેમાં નિર્દોષ મજા આવે તે સુખ.સુખ ભૌતિક પણ હોય ત્યારે તેનો અનાદર નથી સરસ મજાનું ટી.વી હોય તેમાં મનગમતું પિક્ચર ચાલતું હોય તે જોવાની મજાને સુખ કહી જ શકાય.હા કોઈ પણ સુખ પરમેનેન્ટ (કાયમી) નથી હોતું પણ જે મનને સંતોષ આપે ભલેને તે ક્ષણ માત્રનું હોય તો પણ તે સુખ છે. સુખ અંતરમાં છે, બરાબર અંતરમાં છે પણ કઈ રીતે? સરળ છે..સુખને શોધવાનું નથી અનુભવવાનું હોય છે,રોજ રોજની ઘટનામા દુ:ખ હોય છે તેમાથી સુખને શોધવાનું હોય.

એક દોડતા જઈશું તો આસપાસનાં આનંદને ક્યારેય નહી જોઈ શકાય અને ઉભા જ રહીશું તો કંઈ જ નહી પામી શકાય બહેતર છે,ચાલતા રહેવું તેમા જ સુખની અનુભૂતિ થઈ શકે.સુખી રહેવું તે પોતાના મન પર નિર્ભર છે,કોઈ પણ પરિસ્થિતીમાં સહેજ રોકાઈને(મનથી) શાંત રહીને નિર્ણય કરીએ ત્યાં સુખ હોવાની શક્યતા વધી જાય છે....ચાલો ફરી એક સત્ય ઘટના જોઈએ...

પ્રખ્યાત તત્વચિંતક ઈમર્સનનો એક વાર હાથનો અંગૂઠો પાકી ગયો.એટલો બધો પાકી ગયો કે એ અંગૂઠાની વેદના સખત હતી.તે ડોકટર પાસે ગયા.ડોકટરે કહ્યું કે‘ "ભાઈ તારો અંગૂઠો આટલો બધો પાકી ગયો છે.આમ કાપી નાખવો પડે તેવી સ્થિતિ છે.તું થોડો મોડો આવ્યો હોત તો આખો હાથ કાપી નાખવો પડત.તારી આ હાલત હોવા છતાં પણ તું આટલો બધો આનંદમાં કેમ રહી શકે છે? આવી પીડાજનક સ્થિતિમાં તું કેવી રીતે હસતો રહે છે? તેનું રહસ્ય શું છે?"

ઈમર્સને ડોક્ટરને કહ્યું કે', આટલા મોટા શરીરમાં માત્ર અંગૂઠો જ પાક્યો છે, બાકીનું શરીર કેટલું સ્વસ્થ છે. મારું ધ્યાન અત્યારે બાકીના શરીર પર આપું છું.અંગૂઠો દુ:ખે છે બરાબર, પણ અંગૂઠા કરતા આખું શરીર કેટલું બધુ સ્વસ્થ છે એ મારા માટે આનંદનો વિષય છે."

ઈમર્સનને ઘણા બધા કરોડપતિ લોકો મળવા આવતા કે તમારી પાસે કશું જ નથી છતાં જ્યારે જોઈએ ત્યારે તમારા મોઢા પર પ્રસન્નતા,આટલો બધો આનંદ, એનું કારણ શું? ત્યારે ઈમર્સન કહેતા કે, "હું હમેંશા મારી પાસે શું નથી એના કરતા શું છે એની ઉપર જ મારું ધ્યાન કેન્દ્રિત કરું છું"

ઉનાળાની ભયંકર બપોરે એમને કોઈએ પૂછ્યું કે "આટલી બધી ગરમીમાં પણ તમે આનંદમાં કેમ છો?" તો એમણે કહ્યું કે " આ ગરમીમાં મને ભાવી વર્ષાનાં દર્શન થઈ રહ્યાં છે.આટલી સખત ગરમી છે તો વરસાદ પડવાનો છે"

અમાસની ઘનઘોર રાત્રિએ કોઈએ પૂછ્યું કે "આટલી ઘનઘોર રાત્રિએ તમે આટલા બધા આનંદમાં કેમ છો?" તો કહે, " મને અમાસની ઘનઘોર રાત્રિમાં તારલાના દર્શન થાય છે."

એક ખેડૂતના ખેતરમાં ખૂબ તીડો તૂટી પડ્યા અને આખો પાક નાશ પામ્યો.પેલો ખેડૂત ખૂબ જ રડવા લાગ્યો.કોઈએ ઈમર્સનને પૂછ્યું કે, "તમે ખેડૂતની જગ્યાએ હો તો આ સ્થિતિમાં કેવી રીતે રાજી રહી શકો?" તો એમણે કહ્યું, " આખો પાક તીડ ખાઈ ગયો તો શું થઈ ગયું?મને તો ભાવી ફળદ્રુપ પાક દેખાય છે.કારણ કે તીડ પાકને ખાય ગયા પણ ખાતર બનાવતા ગયાં.એક વખત જો ખેતરમાં તીડ પડે તો એના પછીની સીઝન હંમેશાં મબલખ પાક ઉતરતો હોય છે.તો મને તીડમાં પણ ભાવિ મબલખ પાકના જ દર્શન થાય છે".

સાચું સુખ સમજણમાં જ છે.કોઈની હેલ્પ કરીએ અને અંદર જે આનંદની લાગણી થાય છે તે અનુપમ સુખ જ છે! ક્યારેક સુખ સાદગીમાં હોય તો ક્યારેક ફેશનમાં પણ હોય છે.સુખ બદલતી વ્યાખ્યાં છે.પોતાનું રીમોટ જ્યારે બીજાના હાથમાં જતું રહે ત્યારે સુખ અને દુ:ખની શરૂઆત વિશેષ બની જાય છે..ભાઈ સમજો પોતાનું રીમોટ પોતાની પાસે જ રાખો.

કોઈ કહે,‘ યાર તને આ કપડા બરાબર નથી લાગતા‘. અરે..પણ તમે પોતે પસંદ કર્યા હોય અને બીજા તેને જજ કરે તે કેમ ચાલે?

જાતે વિચારો બીજાના વિચારોને જુઓ યોગ્ય હોય તો જ સ્વીકારો સુખ સસ્તુ નથી જે તમારું પોતાનું છે.તેની કિમંત કરો....પોતાના સુખનું રીમોટ પોતાની પાસે જ રાખીએ.દરેક પરિસ્થિતીને હકારાત્મકતાથી જોવાની શરૂઆત કરી દઈએ એટલે સુખની શરૂઆત થઈ જાય.એક જીવન મંત્ર બનાવીએ ’જીવવું તો વર્તમાનમાં જ!’ આપણે સૌ ભૂતકાળ અને ભવિષ્યમાં જીવીએ છીએ અને સુખ હોય છે વર્તમાનમાં.સુખ સર્વત્ર છે બસ તેને જોવાની દ્રષ્ટી કેળવવી પડે. જે છે તે તરફ ધ્યાન કરીએ તો સુખ. નથી તેની પાછળ પડીએ તે દુ:ખ પૈસા કમાવવા ખૂબ જરૂરી છે.પણ માત્ર પૈસા જ કમાવવા ત્યાં સુખની ખોટ આવી જાય છે..

સુખ માટે ભૌતિકતા પણ જરૂરી છે,યાર વિચારો તમારી પાસે ફાટેલા-તુટેલા કપડા જ હોય તો ગમશે કે સરસ મજાના ધોયેલા ઈસ્ત્રી કરેલા (ભલે કિમંતી ના હોય) કપડા હોય તે ગમશે? સિમ્પલ સારા કપડા હોય તે જ ગમે.માટે યોગ્ય મહેનત કરી જે કમાઈએ તેમાં પણ સુખ મેળવી શકાય બસ યોગ્યતા મેળવવી તે આપણાં હાથમાં જ છે.....

સુખ નામનું સરનામું પોતાની અંદર જ છે..

કોઈના કંઈ કહેવાથી, મનની ઈચ્છા પુરી ના થવાથી,મોટા દેખાવ કરવાની ઈચ્છાથી યાર દુ:ખી જ થવાય. પણ કોઈ કંઈ પણ કહે હસતા રહેવાથી, મનની ઈચ્છા પુરી ના થાય તો તેને બીજે વાળવાથી, જેવા હોઈએ તેવા દેખાવાથી સુખી થવાય, થવાય અને થવાય.

સુખી થવાનો બીજો જીવન મંત્ર- જે થાય છે તે સારા માટે જ થાય છે. બસ આને જીવનમાં ઉતારી લો મજા આવી જશે!

બધા પોત પોતાની રીતે સાચા જ હોય છે માટે પોતાના સુખનું રીમોટ પોતાની પાસે જ રાખવું.

અને હા ‘સુખનું સરનામું પોતાની અંદર જ છે'

"અમને નાખો જિંદગીની આગમાં,

આગને પણ ફેરવીશું બાગમાં,

સર કરીશું આખરી સૌ મોરચા.

મોતને પણ આવવા દો લાગમાં.

-- શેખાદમ આબુવાલા.

-મેહુલ સોની

Mo:-7567537800