Kanta the Cleaner - 50 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 50

Featured Books
  • ભીતરમન - 30

    હું મા અને તુલસીની વાત સાંભળી ભાવુક થઈ ગયો હતો. મારે એમની પા...

  • કાંતા ધ ક્લીનર - 50

    50.કોર્ટરૂમ ચિક્કાર ભર્યો હતો. કઠેડામાં રાઘવ એકદમ સફાઈદાર સુ...

  • ઈવા..

    ઈવાએ 10th પછી આર્ટસ લઈને સારી સ્કૂલમાં એડમિશન મેળવ્યું હતું....

  • ખજાનો - 21

    " ભલે આપણને કોઈને યાદ નથી કે આપણે અહીં કેમ આવ્યા છીએ તેમ છતા...

  • ભાગવત રહસ્ય - 53

    ભાગવત રહસ્ય-૫૩   પ્રથમ સ્કંધ –તે અધિકાર લીલા છે. જ્ઞાન અનધિક...

Categories
Share

કાંતા ધ ક્લીનર - 50

50.

કોર્ટરૂમ ચિક્કાર ભર્યો હતો. કઠેડામાં રાઘવ એકદમ સફાઈદાર સુટ પહેરીને, પોતે એકદમ ખાનદાન નબીરો છે તેવો દેખાવ કરીને ઊભેલો.

વકીલની બેન્ચ પર ચારુ અને ડિફેન્સમાં ખૂબ જાણીતા કાબેલ વકીલ રાઘવના બચાવમાં હતા.

કોર્ટે પ્રથમ જીવણને બોલાવ્યો. તેણે પોતાની આખી દાસ્તાન કહી. રાઘવે તેને  ટુકડા કરી  કિચનની ભઠ્ઠીમાં  નાખી દેવાની અને તેનાં ઘરનાંને મારી નાખવાની ધમકી આપેલી, અવારનવાર ડામ દીધેલા તે શર્ટ ઊંચો કરી કોર્ટને બતાવ્યું. તેનાં પેપર્સ પડાવી લઈને તેને ગુલામની જેમ રાખી આ ગેરકાયદે કામો કરવાની ફરજ પડાતી હતી તે કહેતાં જીવણ રડી પડ્યો. કાંતાએ આ વાતની સાક્ષી પુરાવી. ટ્રોલી પરના ટ્રેસીસ, પકડાયો તે વખતે તેની બેગમાં રહેલા  પાઉડરના થેલાઓ અને નોટોની થોકડીઓની વાત પોલીસ વતી ગીતાબાએ કરી. 

કાંતાને કઠેડામાં ઊભી કરતાં જ  રાઘવના વકીલ દ્વારા પૂછાયું કે તેની પાસે જ્યારે રૂમ સાફ કરાવ્યો ત્યારે તેને ખબર કેમ ન હતી કે તે મહત્વના પુરાવાઓ મીટાવી રહી છે? એમ બને કે તે અગ્રવાલની ભાગીદાર હતી? તેને પૈસાની જરૂર હતી તે તો વીંટી ગીરવે મૂકતાં સાબિત થયેલું. શું રાઘવ અને સરિતાનું નામ તેણે ખોટી રીતે સંડોવ્યું છે?

કાંતાએ તેનું કથન દોહરાવ્યું કે પોતે જાણતી ન હતી કે અગ્રવાલનું ખૂન થયું છે અને પોતે તેના પુરાવાઓ મીટાવી રહી છે.  રૂમની પૂરેપૂરી સફાઈ તેની ફરજનો ભાગ હતો. 

વકીલે પૂછ્યું કે તે સરિતાને શા માટે છાવરી રહી છે? શું તેણે અને સરિતાએ સાથે મળીને અગ્રવાલનું ગળું દબાવી દીધેલું?

"મારે સરિતાને છાવરવાનું કોઈ કારણ નથી. તેણે ખૂન કર્યું જ નથી. અગ્રવાલ તેને એક પશુની  જેમ ટ્રીટ કરતા, મારઝૂડ કરતા એ સાચું પણ મને લાગે છે કે છેલ્લે અગ્રવાલ સરના કોટમાં જોયેલ  વિલાની માલિકીનાં પેપર  તેઓ વકીલને આપવા જતા હતા. ત્યારે તેમનો કદાચ હ્રદય પલટો થઈ ગયેલો એટલે વિલા સરિતાને  કાયદેસર રીતે આપવા  જતા હશે અને પેલું મીસિંગ કાગળ તેમનું નવું વીલ હોઈ શકે. તો બસ. પોતાના હાથમાંથી સરિતા તો ગઈ, મિલકત પણ ગઈ એટલે રાઘવ છેક છેલ્લે પાટલે જઈ બેઠો.  અગ્રવાલ પાસેથી હવે તેની સરિતા  ન મળે કે ન મિલકત. એશઆરામ થી રહેવા માટે એટલે એ મેળવવા અગ્રવાલને રસ્તામાંથી દૂર કરવો પડે. આ રાધવનો હેતુ હોઈ શકે. પણ એ આ હદે જશે એમ હું માનતી ન હતી." કાંતાએ કહ્યું. કારણમાં પોતે તેની વાતોમાં ભોળવાઈ ગયેલી અને માનતી હતી કે રાઘવ તેને પ્રેમ કરે છે અને તેને મદદ કરશે જ્યારે તે  પોતાનો લાભ ઉઠાવવા તેનો ઉપયોગ કરી લેતો હતો તે કહ્યું.

ઇન્સ્પેકટર ગીતા જાડેજાએ સ્ટેટમેન્ટ આપ્યું કે સરિતાનો સંપર્ક કરવા સતત પ્રયત્ન કરેલો પણ તે નાસી છૂટી હતી.  એક વાર તેનું લોકેશન મળતાં ફોન કર્યો. તેણે પૂછ્યું કે 'ખુનનો ચાર્જ હવે કોની ઉપર છે, કાંતા કે રાઘવ. અમે રાઘવ પર એમ કહ્યું તો કહે હવે માંડ નિરાંતની જિંદગીનો શ્વાસ લેવા મળ્યો છે તો મને દૂર રાખો.  તમે પોલીસ છો, સાચા ગુનેગારને પકડી લો. હું આવી શકું એમ નથી.' 

"એક વાર ઓચિંતો  બીજા કોઈ નંબર પરથી તેનો ફોન આવેલો. મેં તેને પૂછ્યું કે કોર્ટમાં તું આ કેસ માટે આવી શકે છે? મેં તે વખતે ફોનનું રેકોર્ડિંગ ચાલુ રાખેલું.  કહી ગીતાબાએ રેકોર્ડિંગ સંભળાવ્યું એમાં સરિતા કહેતી હતી કે 'ભાડમાં જાય કાંતા, રાઘવ, બધાં. તમે મને પકડી શકશો નહીં. હું હાથમાં નહીં આવું.' "

કાંતાની ન્યાયમૂર્તિ દ્વારા તપાસ કરવામાં આવી. તેણે સ્વસ્થતાથી  અને પૂરા આત્મવિશ્વાસથી બધા જવાબો આપ્યા. ન્યાયમૂર્તિ તેની સ્પષ્ટતા અને નિખાલસતાથી પ્રભાવિત થયા. કાંતાએ બધી જ વિગતો ફરીથી  કોર્ટને એ જ ક્રમમાં કહી જે તે વારંવાર પોલીસ અને ચારુને કહી ચૂકેલી. તેણે આખા પ્રસંગનું વર્ણન કોર્ટ સમક્ષ કર્યું.  તેણે સાંજે પોતે ગઈ ત્યારે અગ્રવાલનું લગભગ તેની સાથે બારણું  પછાડવું, તેમની એ વખતની વાતો, રાત્રે 11 વાગ્યે બોલાવી ત્યારે સરિતાનું નહાવા જવું, શાવરનો અવાજ, આસપાસ ગોળીઓ વેરાયેલી ભરવી,  ઊંધા પડેલા અગ્રવાલ, ખાલી તિજોરી - એ બધી વિગતો કહી.

તેણે કહ્યું કે સોફા પર ચાર ઓશીકાં હોય છે, બે કડક અને બે પોચાં. એક કડક ઓશીકું ગુમ હતું.

તેને અટકાવી એ  છુપાવેલાં ઓશીકાંનું વર્ણન  ગીતાબાએ અદાલતને કર્યું. તે ક્યાં છુપાવેલું અને  કેવી રીતે મળ્યું તેની વાત કહી. આ તબક્કે જીવણે ફરીથી સાક્ષી આપી તેની વિગતો વર્ણવી. તેણે કહ્યું કે પોતાને પૂરીને રાત્રે 11 વાગે રાઘવ બહાર ગયો ત્યારે તેણે હાથે એક રૂમાલ વિંટેલો.  પોલીસે જડતી વખતે  સ્યુટ 712 માંથી મળેલો રૂમાલ બતાવ્યો જે રાઘવનો હતો એ જીવણે સાક્ષી આપી. 

અંતે કાંતાએ તે વખતે પોલીસને બધી જાણ કેમ ન કરી તેના જવાબમાં કાંતાએ જે કહ્યું તે સાંભળી કોર્ટમાં સોપો પડી ગયો. તેણે કહ્યું કે પોતાને રાત્રે 11 વાગે રૂમમાં બોલાવી ત્યારે પોતે એકલી ન હતી, રૂમમાં કોઈ બીજું હતું.

ક્રમશ: