Indian Titanic SS Ramdas in Gujarati Anything by Siddharth Maniyar books and stories PDF | વાત ભારતીય ટાઇટેનિકની

Featured Books
Categories
Share

વાત ભારતીય ટાઇટેનિકની

આજે આપણે એવી શીપની વાત કરી શું જેને ૭૦૦ મુસાફરો સાથે જળસમાધિ લીધી હતી. જેને ભારતીય ટાઇટેનિકના નામે પણ ઓળખવામાં આવે છે. વાત એ સમયની છે, જ્યારે મધ્યમ વર્ગના ઘરોમાં રેડિયોનું ચલણ હતું. તે સમયે ઘરમાં ટેલિવિઝન એક વૈભવનું સાધન કહેવાતું હતું. વાત છે, ભારતીય જહાજ એસએસ રામદાસની. જેના પર એક મરાઠી ફિલ્મ પણ બની છે. જે ફિલ્મના નિમાર્ણનો વિચાર ૨૦૦૬માં આવ્યો હતો.


આજે વાત કરવી છે, જહાજ એસએસ રામદાસની. એસએસ રામદાસ જહાનું નિર્માણ સ્વાન અને હંટર નામની બે કંપની દ્વારા સાથે મળી કરવામાં આવી હતી. આજ કંપનીએ ક્વીન એલિઝાબેથ નામના વૈભવી જહાજનું પણ નિર્માણ કર્યુ હતું. જહાજ રામદાસના નિર્માણની વાત કરીએ તો તેની લંબાઇ ૧૭૯ ફૂટ હતી, જ્યારે તેની પહોળાઇ ૨૯ ફૂટ હતી. જે ૧૦૦૦ વ્યક્તિની ક્ષમતા ધરાવતું હતું. તેનું નિર્માણ ૧૯૩૬માં થયું હતું. જેના થોડાક વર્ષોથી ઇન્ડિયન કો-ઑપરેશન સ્ટિમ નૅવિગેશન કંપની દ્વારા તેને ખરીદવામાં આવ્યું હતું.


જે સમયે કંપની દ્વારા જહાજ ખરીદવામાં આવ્યું તે સમયે ભારતમાં આઝાદીની ચળવળ ચરમસીમાએ હતી. જહાજ ખરીદનાર કંપનીનું નિર્માણ સમાન વિચારધારા ધરાવતા દેશભક્તો દ્વારા કરાયું હતું. જેનો ઉદ્દેશ સહકારી નેવિગેશન કંપની તરીકે દર્શાવાયો હતો. કંપની દ્વારા તેની બોટ સેવાની શરૂઆત મહારાષ્ટ્રના કોંકણના દરિયા કાંઠેથી કરાઇ હતી. જેમા પહેલી સેવા સુખકર નામથી શરૂ કરાઇ હતી. ભારતની આઝાદીની ચળવળ દરમિયાન બ્રિટિશ સંચાલીત નેવિગેશન કંપનીઓએ સીધો પડકાર આપવા આ કંપનીની સ્થાપના કરાઇ હતી. તે સમયે કંપનીને લોકો માત્ર આગબોટ કંપની તરીકે જ ઓળખતા હતા. ભારતીય કંપની હોવાથી કંપનીના સંચાલક મંડળ અને કર્મચારીઓની લાગણીને ધ્યાને રાખી કંપની દ્વારા તે સમયે તેમના જહાજને સંતો અને ભગવાનના નામથી જ જહાજને નામ આપવામાં આવતા હતા. જેમાં તુકારામ, રામદાસ, સેન્ટ એન્થોની, સેન્ટ ફ્રાન્સિસ, સેન્ટ ઝેવિયર જેવા નામોનો સમાવેશ થતો હતો.


રામદાસ જહાજની દુર્ઘટના જે માર્ગે બની હતી તે જ માર્ગ પર અન્ય બે જહાજ સાથે એવી જ ઘટના બની હતી. જાેકે, તેના વિશે લોકોને માહિતી ઘણી ઓછી હતી. ૧૧ નવેમ્બર ૧૯૨૭ના રોજ રામદાસના માર્ગે જ જઇ રહેલા એસએસ જ્યંતી અને એસએસ તુકારામે જળસમાધી લીધી હતી. જેનો દિવસ પણ લગભગ એક જ હતો. એસએસ જ્યંતીના અકસ્માતમાં ૯૬ વ્યક્તિ અને એક ખલાસીનું મોત થયું હતું. જ્યારે એસએસ તુકારામ ૧૪૬ મુસાફરો સાથે પ્રવાસ કરી રહ્યું હતું ત્યારે ઘટના બની હતી. જેમાંથી ૯૬ વ્યક્તિ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. આ ઘટનાના લગભગ ૨૦ વર્ષ બાદ આજ રૂટ પર એસએસ રામદાસે જળસમાધી લીધી હતી. જેમાં ૪૮ ખલાસી, ચાર અધિકારી, ૧૮ હોટલ સ્ટાફ અને ૬૭૩ મુસાફરો સવાર હતા. એવું પણ કહેવાય છે કે, આ ઉપરાંત ૩૫ વ્યક્તિ એવા હતા જેમને ટિકિટ લીધી ન હતી. જેની સાથે કર્મચારીઓ અને મુસાફરોનો કુલ આંક ૭૭૮ થાય છે.


૧૯૪૭માં જુલાઇ મહિનાની ૧૭મી તારીખે સવારે ૮ વાગ્યોનો સમય હતો. એસએસ રામદાસે મુંબઈના ભાઉ ચા ઢાકાથી અલીબાગ પાસે આવેલા રેવાસ જવા માટે સફર શરૂ કરી હતી. એ દિવસે અમાસ હોય રજાનો દિવસ હતો. જેથી લોકો રેવાસ અને અલીબાગ પોતાના ઘરે જઇ રહ્યા હતા. એસએસ રામદાસમાં મહારાષ્ટ્રના પંઢરપુરથી પરત આવી રહેલા માછીમારો અને નાના વેપારીઓનો સમાવેશ થતો હતો. જહાજના ઉપરના માળે કેટલાક અંગ્રેજ અધિકારીઓ પોતાના પરિવાર સાથે પ્રવાસ કરી રહ્યા હતા. તે સમયે ૧૦ ર્વષિય બારકુ શેઠ મુકાદમ પણ આજ જહાજમાં સફર કરી રહ્યા હતા. તેમની સાથે ૧૨ ર્વષિય અબ્દુલ કાઇસ પણ હતા. એટલું જ નહીં જહાજમાં કેટલીક મહિલા મુસાફરો પણ હતી જેમાં કેટલીક ગર્ભવતી પણ હતી.


તમામ મુસાફરો જહાજમાં આવી ગયા બાદ વ્હિસલ વાગી અને સફર શરૂ થઇ. વ્હિસલ વાગતાં જ કુલીઓએ જહાજમાં ચઢવા માટે મુકેલી સીડી હટાવી લીધી. છતાં કેટલાક મુસાફરો જહાજ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. બારકુ શેઠે એક ઇન્ટરનેશનલ મિડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જાણે મોત અમને સામેથી પોકારી રહ્યું હતું. એક તરફ મુંબઇમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો, મુંબઇ પાણી પાણી થઇ ગયું હતું. દરિયામાં પણ વરસાદ વરસી રહ્યો હતો, જેથી મુસાફરોને વરસાદથી બચાવવા માટે જહાજમાં કવર ઢાંકવામાં આવ્યું હતું. જહાજમાં કેટલાક મુસાફરો રોજ અપડાઉન કરતા હોય એક બીજાને ઓળખતા હતા. જહાજ દરિયાના પાણીમાં હિલોળે ચઢયું હતું. પોતાના નિશ્ચત સ્થળ સુધી એસએસ રામદાસ આગળ વધી રહ્યું હતું.


તેમણે વધુમાં જણાવ્યું કે, સામાન્ય રીતે જહાજ દરિયામાં આગળ વધે એટલે વધારે હિલોળે ચઢે. એવામાં અમારી સાથેના એક મુસાફર નિકમનું ધ્યાન અન્ય મુસાફરો પર હતું. તેઓ એસએસ તુકારામ અને એસએસ જ્યંતીના અકસ્માતની વાત કરી રહ્યા હતા. એસએસ રામદાસ દરિયામાં બંદરથી લગભગ ૧૩ કિલોમિટર દૂર પહોંચ્યું હશે. એવામાં જ વરસાદ વધ્યો તેની સાથે પ્રચંડ પવન ફુંકાઇ રહ્યો હતો. જેના કારણે દરિયાનાં પાણીનાં મોજા વધુ ઉંચા ઊછળી રહ્યા હતા. દરિયાનું પાણી જહાર પર આવવા લાગયું હતું, એવામાં ગભરાયેલા મુસાફરોને લાઇફ જેકેટ આપવામાં આવ્યા. લાઇફ જેકેટ માટે પણ લોકોને ઝઘડતા જાેયા હતા. અને એક બીજાને ઓળખતા હોય તેવા લોકો પણ લાઇફ જેકેટ માટે ઝઘડી રહ્યા હતા. જહાજના કૅપ્ટન શેખ સુલેમાન અને આદમભાઈએ તમામ મુસાફરોને શાંતિ જાળવવા અપીલ કરી. જાેકે, એ પરિસ્થિતિ જ એવી હતી કે કોઇ તેમને સાંભળવા તૈયાર ન હતું. એવામાં જ જહાજ એસએસ રામદાસ એક તરફ નમવા લાગ્યું હતું.


તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, એક તરફ વારકરી સમાજના લોકો જે જહાજમાં મુસાફરી કરી રહ્યા હતા તે ભગવાન વિઠ્ઠલનું નામ સ્મરણ કરવા લાગ્યા અને કેટલાક મુસાફરો જેમને તરતા આવડતું હતું તેઓ તો દરિયામાં કૂદી ગયા હતા. એવામાં જ એસએસ રામદાસ એક ટાપુ પાસેથી પસાર થઇ રહ્યું હતું અને એક મોટું મોજું આવ્યું. જે જહાજ સાથે અથડાતા એસએસ રામદાસ આડું થઇ ગયું. વરસાદથી બચવા માટે જહાજમાં તાડપતરી બેઠેલા મુસાફરો સમયસર બહાર નિકળી શક્યાં નહીં. એવામાં જ એક બીજું વિશાળ મોજું આવ્યું અને જહાજ સાથે અથડાયું, જહાજ પાણી પાણી થઇ ગયું.


એવું કહેવાય છે કે, ભારતના દરિયાઇ ઇતિહાસની એ સૌથી મોટી ઘટના હતી અને અત્યાર સુધી આવી મોટી ઘટના હજી બની ન હોવાનંુ કહેવાય છે. એસએસ રામદાસે લગભગ સવારે નવ વાગ્યાની આસપાસ જળસમાધી લીધી હતી. પરંતુ મુંબઈમાં સાંજના ૫ વાગ્યા સુધી એસએસ રામદાસ સાથે શું થયંુ તેની કોઇ જાણકારી ન હતી.
બારકુ શેઠે જણાવ્યું કે, હું લાઇફ જેકેટ પહેરી દરિયામાં કુદી ગયો હતો. જેથી મુંબઇના દરિયા કાંઠે પહોંચવામાં સફળ રહ્યો હતો. હું મંુબઇ આવ્યો અને મેં જ લોકોને એસએસ રામદાસની જળસમાધિની વાત લોકોને જણાવી હતી. જે બાદ વાત ખુબ જ ઝડપથી સમગ્ર શહેરમાં પ્રસરી ગઇ હતી. એસએસ રામદાસમાં મોટાભાગના મુસાફરો મુંબઈના ગીરગાવ અને પરેલ વિસ્તારના જ હતા. સમાચાર મળતાં જ મુસાફરોના પરિજનો તેમની ભાળ મેળવવા માટે ભાઊ ચા ઢાંકા પહોંચી ગયા હતા. એક તરફ ૧૭મી જુલાઈ ૧૯૪૭ના રોજ એસએસ રામદાસે જળસમાધિ લીધી અને બીજી તરફ એક મહિના બાદ ૧૫મી ઓગસ્ટના રોજ ભારતને આઝાદી મળી હતી. આખો દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે મુંબઈ, રેવાસ, અલીબાદ, નંદગાંવ, માનગાંવ અને આસપાસના વિસ્તારના લોકો એસએસ રામદાસમાં મુસાફરી કરનાર પરિવારજનોની શોધખોળ કરી રહ્યા હતા. જહાજમાં મુસાફરી કરનાર અનેકના મૃતદેહ મળ્યાં તો અનેકના તો મૃતદેહ પણ મળ્યાં ન હતાં.


આ હતી ભારતીય ટાઇટેનિક એસએસ રામદાસની કહાની. જે મુંબઇગરાઓને આજે પણ યાદ છે.