Geologist Guzman death secret in Gujarati Crime Stories by Siddharth Maniyar books and stories PDF | ભૂસ્તરશાસ્ત્રી ગઝમેનના મોતનું રહસ્ય ?

Featured Books
Categories
Share

ભૂસ્તરશાસ્ત્રી ગઝમેનના મોતનું રહસ્ય ?

ઇન્ડોનેશિયામાં સોનાની ખાણ મળી હોવાનું સપનું બતાવી રોકાણકારોના 6 અબજ ડોલરનું કૌંભાડ કરનાર માઈકલ ડી ગઝમેનના મોત રહસ્ય આજે 30 વર્ષે પણ અકબંધ છે. કોઈ કહે છે કે, આત્મહત્યા કરી, કોઈ કહે છે કે, હત્યા થઇ તો કોઈ કહે છે ગઝમેન આજે પણ જીવંત છે. હવે, સાચું કોણ તે તો માઈકલ ગઝમેન જ કહી શકે છે.

વાત 1990ના દાયકામાં વિશ્વની એક સૌથી મોટી ખાણ કંપની દ્વારા દાવો કરવામાં હતો કે , ઇન્ડોનેશિયાના જંગલમાં સોનાનો વિશાલ જથ્થો છે. જે કંપની દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે. જે બાદ કંપનીમાં રોકાણ કરવા વિશ્વભરના ધનિકોમાં પડાપડી થઇ હતી. ત્યારે આ સોનાના જથ્થાને શોધી કાઢનાર કંપનીના મુખ્ય ભૂસ્તરશાસ્ત્રીના મૃત્યુની વણઉકેલાયેલી કહાની ખુબ જ ચોંકાવનારી છે.

વાત 19મી માર્ચ 1997ની છે. કેનાડાની માઇનિંગ કંપની બ્રે-એક્સ મિનરલ્સના મુખ્ય ભૂસ્તરશાસ્ત્રી માઈકલ ગઝમેન હેલિકૉપ્ટરમાં ઇન્ડોનેશિયાના અંતરિયાળ જંગલો તરફ જઈ રહ્યા હતા. ઇન્ડોનેશિયાના જગલમાં સોનાનો વિપુલ જથ્થો શોધી કાઢનાર માઈકલ ગઝમેન આ સ્થળની પહેલા પણ અનેક વખત મુલાકાત લઇ ચુક્યા હતા. જેથી તેમની માટે આ કોઈ નવી વાત ન હતી. પરંતુ તે દિવસે કંઈક એવું બન્યું કે માઈકલ ગઝમેનના જીવનનો અંત આવી ગયો.

હેલિકૉપ્ટરે ઉડાન ભર્યાના માત્ર 20 જ મિનિટમાં પાછળનો ડાબી બાજુનો દરવાજો ખુલી ગયો. જેની સાથે જ માઈકલ ગઝમેન હેલિકૉપ્ટરમાંથી નીચે ઊંડી ખીણમાં પડી ગયા. જે બાદ માઇનિંગ કંપની દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે, માઈકલ ગઝમેનને હેપીટાઈસિસ-બીની બીમારી થઇ હતી. તેમજ વારંવાર તેઓ મેલરીયાનો ભોગ પણ બનતા હતા. જેથી પોતાની બીમારીથી કંટાળી તેમને આત્મહત્યા કરી છે.

જોકે તે સમયે તો વાત ભૂલાઈ ગઈ. પરંતુ ઘટનાના 10 વર્ષ બાદ કેલગરી હૅરલ્ડ નામના એક અખબારે માઈકલ ગઝમેનના મૃત્યુની તપાસ કરવાનો વિચાર કર્યો. અખબાર દ્વારા ઘટનાની તપાસની જવાબદારી મહિલા કેનેડિયન પત્રકાર સુઝેન વિલ્ટનને તેની જવાબદારી સોંપવામાં આવી. સુઝેને સમગ્ર ઘટનાની તપાસ કરી હતી. જોકે, પત્રકાર હોય સુઝેન દ્વારા પોતાની એક પોડકાસ્ટ શ્રેણી શરૂ કરવામાં આવી છે. જેમાં સુઝેને હેલિકૉપ્ટર દુર્ઘટનાની તેમજ માઈકલ ગઝમેન અંગે તેમની તપાસમાં આવેલી વાતો જાહેર કરી છે.

સુઝેન વિલ્ટને પોતાના પોડકસમાં રજૂ કરેલા અહેવાલ અનુસાર માઈકલ ગઝમેનનો જન્મ 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે 1956માં ફિલિપાઇન્સમાં થયો હતો. તેમનો જન્મ પ્રેમની અભિવ્યક્તિ કરવાના દિવસે થયો હોવાથી તેઓએ અનેક વખત પ્રેમની અભિવ્યક્તિ કરી હતી. એવું કહેવા છે કે, તેમના જીવન કાળમાં વિશ્વના જુદા જુદા દેશોમાં તેમની ત્રણથી ચાર પત્નીઓ હતી. માઈકલ ગઝમેનને કરાઓકે, દારૂ, સ્ટ્રીપ ક્લ્બ અને સોનાની જવેલરીનો ભારે શોખ હતો. તેમના શોખ ગમે તેવા હોય પરંતુ તેઓ એક અનુભવી ભૂસ્તરશાસ્ત્રી હતા. તેમના મતે તેમનું નસીબ ઇન્ડોનેશિયામાં ચમકી શકે તેમ હતું.

ઇન્ડોનેશિયામાં કુદરતી ખનીજનો વિપુલ ભંડાર હતો. જેના કારણે ખાસ કરીને સોનાની ખાણના સંશોધકો માટે 1990ના દાયકામાં ઇન્ડોનેશિયા હોટ ફેવરિટ લોકેશન બન્યું હતું. જૂના ખજાના શોધવામાં જેમ ઇન્ડિયાના જોન્સનુ નામ સૌથી પહેલું લેવાય તેમ તે સમયમાં ભૂસ્તરશાસ્રી જ્હોન ફેલ્ડરહેડને સોનાની ખાણ શોધવામાં ઇન્ડિયાના જોન્સ કહેવાતા હતા. તેઓનું માનવું હતું કે, બોર્નિયો ટાપુ પરના ઇસ્ટ કાલિમંતન પ્રાંતમાં અંતરિયાળ સ્થળ બુસાંગમાં સોનાનો વિપુલ જથ્થો છે. પરંતુ તેની શોધ કરવા માટે જ્હોનને ફંડની જરુરીયા હતી.

1993માં જ્હોન ફેલ્ડરહેડે કેનેડાની કંપની બ્રે-એક્સ મિનરલ્સના ડેવિલ વોલ્શ સાથે એક ડીલ કરી હતી. જેમાં સોનાના જથ્થાનું સપનું વોલ્શ સંભવિત રોકાણકારોને વેચશે અને તેમાંથી થેયલા રોકાણ થકી જ્હોન સંશોધન કરશે. આ પ્રોજેક્ટમાં બન્ને ભાગીદાર બન્યા. જોકે, પાયાની કામગીરી કરવા માટે જ્હોનને એક સાથીની પણ જરૂરી હતી. જેથી તેમને મિત્ર અને ભૂસ્તરશાસ્ત્રી માઈકલ ગઝમેનને સાથે લીધા.

નિયમ અનુસાર જ્હોન દ્વારા ઈન્ડોનેશિયન સરકાર પાસે એક્સ્પ્લોરેશન લાઇસન્સ લેવામાં આવ્યા હતું. જેની મુદ્દત પૂર્ણ થવામાં બે દિવસ એટલે કે 18 ડિસેમ્બર 1993 સુધીનો જ સમય હવે, બાકી હતો. જેથી જ્હોન ફેલ્ડરહો, માઈકલ ગઝમેન અને તેમની ટીમ પાસે પરીક્ષણ કરવા માત્ર 48 કલાકનો જ સમય હતો. જે સમયમાં માત્ર બે જ હોલ કરી શકાયા હતા. જોકે, તેમાં સોનાના કોઈ સંકેત મળ્યા ન હતા. તે સમયે માઈકલ ગઝમેને જ્હોનને કહ્યું હતું કે, ડ્રિલિંગનું ચોક્કસ સ્થળ મને ખબર છે. તે મને સપનામાં આવ્યું હતું.

જેથી માઈકલ ગઝમેનના સપના પર ભરશો કરી ટીમ દ્વારા ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું અને તે જ સ્થળેથી સોનાનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. જેથી ચોથા હોલના ડ્રિલિંગથી વધુ મોટી શોધની સંભાવના જાગી હતી. જ્હોન અને ગઝમેન દ્વારા શોધવામાં આવેલો સોનાનો વિપુલ ભંડાર કશું નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી છેતરપિંડીનો જ એક ભાગ હતો. હવે, પ્રશ્ન એ થાય છે કે, સોનાનો જથ્થો મળ્યો, ખાણ મળી તો પછી આ છેતરપિંડી ક્યાંથી થઇ. જોકે, આ એવું કૌભાંડ હતું જેમાં હજારો લોકોના જીવ હોમાઈ ગયા હતા. ત્યારે જાણવું એ જરૂરી છે કે, ખરેખર બન્યું શું હતું.

જ્હોન અને ગઝમેનની સફળતા બાદ તે સાઈટ પર ત્રણ વર્ષ સુધી સંધોશન ચાલુ રહ્યું હતું. જેમ જેમ સંશોધન થાય, પરીક્ષણ થાય સોનાના જથ્થાનો અંદાજ પણ વધતો ગયો. જેથી જેમ જેમ અંદાજ વધતો ગયો તેમ તેમ રોકાણકારોની સંખ્યા પણ વધતી ગઈ. તેની સાથે સાથે 20 સેન્ટના બ્રે-એક્સના શેરની કિંમત 280 ડૉલરનો આંક પાર કરી ગઈ. શેરની કિંમત વધતા કંપનીની નેટવર્થ પર વધીને છ અબજ ડૉલર પહોંચી ગયા હતી. સોનામાં રોકાણ કરવા માટે કેનેડાના નાના નાના ગામના લોકો પણ ભાગીદાર બન્યા હતા. હજારો લોકોએ પોતાની બચતમાંથી હજારો ડોલરનું રોકાણ સોનામાં કર્યું હતું. પરંતુ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ સોનાની ચમક પણ ઝાંખી થવા લાગી હતી.

1997ની શરૂઆતમાં જ ઇન્ડોનેશિયાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ સુહાર્તોએ એક નિર્ણય જાહેર કર્યો. જેમાં સોનાનો વિપુલ જથ્થો જે સ્થળે મળ્યો છે તેની સંપૂર્ણ માલિકી બ્રે-એક્સ મિનરલ્સ જેવી નાની કંપનીને આપી શકાય નહીં. કંપની એકલી તમામ લાભ લઇ શકે નથી તેનો લાભ ઈન્ડોનેશિયન સરકારને પણ મળવો જોઈએ. એટલું જ નહીં વધુ મોટી, વધુ અનુભવી માઇનિંગ કંપનીની મદદ લેવી જોઈએ. જે જાહેરાત બાદ અમેરિકન કંપની ફ્રીપૉર્ટ-મેકમોરાન સાથે કરાર કરાયો.

સોનાનો જથ્થો હોવાની માત્ર વાત જ ફ્રીપૉર્ટ-મેકમોરાને ખબર હતી. પરંતુ તેના કોઈ પુરાવા તેમની પાસે ન હતા. જેથી તમામ નાણાકીય જોખમ ઉઠાવતા પહેલા કંપની દ્વારા જાતે પરીક્ષણ કરી તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. કંપની દ્વારા બુસાંગ ખાતેના જ્હોન અને ગઝમેનની સાઈટ પર ડ્રિલિંગ માટે પોતાના ભૂસ્તરશાસ્ત્રીઓને મોકલવામાં આવ્યા. જ્યાં જ્હોન અને ગઝમેન દ્વારા શોધવામાં આવેલા સોનાના વિપુલ જથ્થાની સાઈટ ટ્વીનિંગ હતી. જેથી કંપની દ્વારા ટ્વીનિંગની બાજુમાં જ ડ્રિલિંગ કરી અને ખડકોના નમૂના લેવાના હતા.

ખાણમાંથી મિનરલ્સની શોધ, પરીક્ષણ, તપાસ સહિતની એક આખી પ્રક્રિયા હોય છે. જેમાં પરંતુ બ્રે-એક્સ મિનરલ્સ દ્વારા તે પ્રક્રિયા ફોલો કરવામાં આવી ન હતી. ટ્વીનિંગ ખાતે કરવામાં આવેલા ડ્રિલિંગના નમૂના બે જુદી જુદી લેબમાં મોકલાયા હતા. પરંતુ બન્ને જગ્યાના રિપોર્ટ એક જ સરખા આવ્યા હતા. જેમાં સોનાના કોઈ જ પુરાવા મળ્યા ન હતા.

જે નવા રિપોર્ટની જાણ ફ્રીપૉર્ટ-મેકમોરાન દ્વારા વોલ્શ અને ફેલ્ડરહોફને કરવામાં આવી. નવા ડેટાથી ચોંકી ઉઠેલા વોલ્શ અને ફેલ્ડરહોફ દ્વારા માઈકલ ગઝમેનનો સંપર્ક કરવામાં આવ્યો. તે સમયે ગઝમેન ટોરોન્ટોમાં એક સંમેલનમાં હાજરી આપી રહ્યા હતા. ગઝમેનને તાત્કાલિક બુસાંગ પહોંચી ફ્રીપૉર્ટ-મેકમોરાનની ટીમને સમજાવવા આદેશ આપવામાં આવ્યો હતો.

આદેશ મળતાની સાથે જ ગઝમેન કેનેડાથી પહેલા સિંગાપોર ગયા જ્યાં તેમણે પત્ની જીની સાથે સમય વિતાવ્યો. ગઝમેનને જીની સાથેના સંબંધોમાં એક પુત્ર અને એક પુત્ર હતા. જીની સાથે સમય વિતાવ્યા બાદ જ ગઝમેનના જીવનના અંતિમ કલાકોની શરૂઆત થઇ હતી. જે અંગે અન્ય એક કેનેડિયન પત્રકાર જેનિફર વેલ્સે પણ માહિતી મેળવી હતી.

વેલ્સના જણાવ્યા અનુસાર ગઝમેને પોતાના જીવનની છેલ્લી સાંજ બ્રે-એક્સ મિનરલ્સના કર્મચારી રુડી વેગા પસાર કરી હતી. તેઓએ બુસાંગ ખાણથી દક્ષિણે 161 કિલોમીટર દૂર આવેલા બાલિકપાપન શહેરમાં સમય વિતાવ્યો હતો. રુડી વેગા કંપનીની ફિલિપિનો એક્સપ્લોરેશન ટીમનો ભાગ હતા. ગઝમેન અને રુડી બન્ને સાથે ફ્રીપૉર્ટ-મેકમોરાનની ટીમ સાથે મુલાકાત કરવા સાથે જ જવાના હતા. જોકે, ઈન્ડોનેશિયન પોલીસને રુડીએ ઘટના બાદ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ ગઝમેન સાથે એક કરાઓકે બારમા ગયા હતા. જ્યાંથી હોટલમાં પરત ફર્યા બાદ ગઝમેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, તે માત્ર પ્રયાસ જ નહતો જેથી રુડી અને ગઝમેન બીજા દિવસે સવારે હેલિકૉપ્ટર મારફતે બુસાંગ નજીકના સમરિડા ગયા હતા. જ્યાંથી ગઝમેન ખાણ સુધી પહોંચવા માટે ફરી હેલિકૉપ્ટરમાં મુસાફરી શરૂ કરી પરંતુ તે સમયે રુડી તેમની સાથે ન હતા. તે મુસાફરીમાં ગઝમેન સાથે અન્ય બે વ્યક્તિ હતા. જેમાં એક પાઇલટ જે ઈન્ડોનેશિયન એરફોર્સનો પાયલટ હતો તેમજ બીજો એક મેન્ટનન્સ ટેકનિશિયન હતો. ગઝમેને પહેલા ક્યારેય બુસાંગની ખાણ સુધીની હેલિકૉપ્ટર ટ્રીપ ક્યારેય કરી નહોતી. તેમનું સમરિંદામાં રોકાણ પણ એક પ્રશ્ન ઉપજાવે તેવું જ છે. ગઝમેન સામાન્ય રીતે બાલિકપાપનથી સીધા બુસાંગ જતા હતા.

19મી માર્ચ 1997માં સ્થાનિક સમય અનુસાર 10.30 કલાકે ગઝમેનની મૃત્યુ થયું હતું. જે ઘટના બાદ પાઇલટ દ્વારા પ્રારંભિક નિવેદન આપવામાં આવ્યું હતું. જોકે તે બાદ પાઈલટ ભાગે જ ઘટના વિષે વાત કરી હતી. જોકે, પ્રારંભિક નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, ગઝમેન સાથે જે પણ કઈ થયું તેમાં તેનો કોઈ હાથ નથી. અને જે થયું તે પોતે જોયું પણ નથી.

હેલિકૉપ્ટરમાંથી આત્મહત્યા પહેલા હાથેથી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી અને ચાર દિવસ પછી ઇન્ડોનેશિયાના વિશાળ જંગલમાંથી એક લાશ મળી હતી. ગઝમેનના મૃત્યુના 6 સપ્તાહમાં જ સોનાની ચમક વિખેરાઈ ગઈ હતી. બુસાંગનાં સોનાનાં સપનાનો અંત આવી ગયો અને રોકાણકારોમાં નિરાશા વ્યાપી ગઈ. એટલું જ નહીં બ્રે-એક્સ મિનરલ્સ કંપનીની નેટવર્થ જે છ અબજ ડૉલર પર પહોંચી હતી તે પણ ઘટીને કોડીની થઇ ગઈ હતી.

એક સ્વંતત્ર રિપોર્ટમાં પુષ્ટિ કરાઈ હતી કે, બુસાંગ સાઇટ પર સોનાનો એક કણ સુદ્ધાં નથી. ખાણમાંથી લેવામાં આવેલા સેમ્પલનું 1995થી 1997 સુધી વિશ્લેષણ કરાયું હતું. પરંતુ તેમાં સોલ્ટિંગ નામની પ્રક્રિયા દ્વારા ચેડાં કરાયા હતા. જે સ્થળે ડ્રિલિંગ કરવામાં આવ્યું છે ત્યાં સોનુ છે તેવું પુરવાર કરવા માટે અન્ય સ્રોતમાંથી સોનાના કણો મેળવી સોલ્ટશેકર દ્વારા છાંટવામાં આવ્યા હતા. આ કૌભાંડને આજે 30 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં કોઈને પણ જવાબદાર ઠેરવ્યા નથી.

વોલ્શના જણાવ્યા અનુસાર તેઓને આ વિષે કોઈ જ માહિતી નથી. 1998માં વોલ્શનું પણ અવસાન થયું હતું. જોકે, કૅનેડિયન કોર્ટમાં થયેલા કેસમાં 2007માં ચુકાદો આવ્યો હતો. જેમાં ફેલ્ડરહેડ છેતરપિંડીથી અજાણ હોવાનું તેમજ ઇનસાઇડર ટ્રૅડિંગ માટે દોષિત ન હોવાનો ચુકાદો આપયો હતો. ડચ ભૂસ્તરશાસ્ત્રી ફેલ્ડરહેડનું 2019માં અવસાન થયું હતું.

પરંતુ હજી પણ ગઝમેનનું મૃત્યુ અને કૌભાંડ બન્નેનું સત્ય જાણવાનું બાકી છે. એવો પણ એક પ્રશ્ન છે કે, કૌભાંડનો માસ્ટર માઈન્ડ ગઝમેન જ હતો અને પોતાનું નામ જાહેર ન થાય તે માટે તેને આત્મહત્યા કરી હતી. વિલ્ટનના જણાવ્યા અનુસાર ગઝમેનના મૃત્યુ બાદ એક સુસાઇડ નોટ પણ મળી હતી. જેનાથી ચિંતામાં વધારો થયો હતો. ગઝમેનની સુસાઇડ નોટમાં તેમની શારીરિક બીમારીનો ઉલ્લેખ હતો. પરંતુ ગઝમેનના પિતરાઈ ભાઈએ તેના પર શંકા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, સુસાઇડ નોટમાં તેમની બીમારીની વાત છે પરંતુ તેમના સંબંધોમાં ક્યારેય ગઝમેને પોતાની બીમારી અંગે ચર્ચા પણ નથી કરી.

વિલ્ટને વધુમાં કહ્યું છે કે, ગઝમેન દ્વારા બ્રે-એક્સ મિનરલ્સના ફાઇનાન્સ મૅનેજર માટે પણ એક સુસાઇડ નોટ લખી હતી. જોકે, પ્રશ્ન એ થાય છે કે, ગઝમેન પોતે ફાઇનાન્સ મેનેજરને જાણતા ન હતા. તેમજ સુસાઇડ નોટમાં ગઝમેનના એક પત્નીના નામની જોડણી પણ ખોદી લખાઈ હતી. જેથી તે સુસાઇડ નોટ પણ શંકા ઉપજાવે તેવી હતી.

જોકે, 6 અબજ કેનેડિયન ડોલરના કૌભાંડની વાત હોય ટીમ દ્વારા લાંબા સમય સુધી મૃત્યુની તપાસ કરવામાં આવી હતી. શબપરીક્ષણનો અહેવાલ જાહેર થયા બાદ ગઝમેનના પરિવાર દ્વારા પણ એક ટીમમાં એક સભ્યની નિમણુંક કરાઈ હતી. પરિવાર દ્વારા ફિલિપિનો તપાસ ટીમના સભ્ય તરીકે ડૉ. બેનિટો મોલિનોને મુકવામાં આવ્યા હતા. હતા.

ડૉ. મોલિનોના જણાવ્યા અનુસાર જંગલમાંથી મળેલા મૃતદેહના ફોટોગ્રાફ્સમાં ગઝમેનની ગરદનના ભાગે ઉઝરડા જોવા મળ્યા હતા. જેથી ગઝમેનનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું પણ લાગી રહ્યું છે. ગઝમેને મૃત્યુ પામ્યા ત્યારે તેઓએ આત્મહત્યા કરી છે તેવું બતાવવાનો પ્રયાસ કરાયો હોય તેમ લાગે છે. જેથી જ ગઝમેનના મૃતદેહને હેલિકૉપ્ટરમાંથી જંગલમાં ફેંકી દેવામાં આવ્યા હશે. મોટા ષડયંત્રો હોય કે ગુના માસ્ટરમાઈન્ડને બચાવવા માટે બલીનો બકરો શોધી કાઢવામાં આવતો હોય છે. આ કિસ્સામાં પણ કદાચ તેવું બન્યું હશે તેવું મારુ માનવું છે.

તપાસ કમિટીમાં ડૉ. મોલિના સાથે કામ કરતા ફૉરેન્સિક નૃવંશશાસ્ત્રી ડૉ. રિચાર્ડ તાદુરને જણાવ્યું હતું કે, શબ શોધવામાં ચાર દિવસનો સમય લાગ્યો હતો. પ્રારંભિક વર્ણનોના આધારે એવું લાગે કે જે વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે તેનું મૃત્યુ ચાર દિવસ કરતા વધારે સમય પહેલા થયું છે. તો ગઝમેનની પત્ની જીનીનું કહેવું છે કે, ગઝમેન દાંતનું ચોકઠું પહેરતા હતા. પરંતુ જે મૃતદેહ મળ્યો તેના દાંત અકબંધ હતા.

વિલ્ટનના જણાવ્યા અનુસાર ગઝમેનના ડેન્ટલ રેકર્ડ તેમના પરિવારે ક્યારેય જાહેર કર્યા નથી. તો બીજી તરફ ગઝમેનના ભૂસ્તરશાસ્ત્રી મિત્ર મનુસર ગેઇગેરે જીનીને કહ્યું હતું કે, ગઝમેન જીવતા છે અને દક્ષિણ આફ્રિકા ભાગી ગયા છે. અને હાલ કૅમૅન આઇલેન્ડ્સમાં રહે છે. ત્યારે અનેક પ્રશ્નો ઉભા થાય છે કે, ગઝમેન જાતે જ પોતાની મોતનું નાટક કર્યું અને મૃતદેહ હેલિકૉપ્ટરમાં સાથે લઈ જવાની વ્યવસ્થા કરી હશે? શું ગઝમેન ખરેખર હેલિકોપ્ટરમાં સવાર હતા? હજી પણ આ પ્રશ્નોના જવાબ મળ્યા નથી. ભૂસ્તરશાસ્ત્રી બની પિતાનો વારસો સાચવતો ગઝમેન અને જીનીનો પુત્ર માને છે કે, મારી માતાએ કહ્યું હતું કે, મારા પિતા હજી જીવે છે.