Shrapit Prem - 6 in Gujarati Love Stories by anita bashal books and stories PDF | શ્રાપિત પ્રેમ - 6

Featured Books
Categories
Share

શ્રાપિત પ્રેમ - 6

રાધા એના જેલમાં આવી ગઈ હતી પણ ત્યાંનું વાતાવરણ થોડું ગરમ હતું. ક્યાંથી હવા આવવાની જગ્યા ન હતી અને તેમાં પંખા ની પણ વ્યવસ્થા ન હતી. તેની સાથે રહેતી પહેલી પાંચ કેદીઓએ પોતાનું ગાદલું પાથરી લીધું હતું અને તે જેલના સળિયા ની એકદમ સામે હતું એટલે તે લોકોને બહારથી થોડી ઘણી હવા આવી રહી હતી.
એ લોકો ગાદલામાં સુતા હતા અને એકબીજાની સાથે વાતો કરી રહ્યા હતા જ્યારે રાધા ત્યાં આવી ત્યારે ચંદા ઊઠીને બેસી ગઈ અને તેના તરફ જોઈને કહેવા લાગી.
" તું ઓફિસમાં કેમ ગઈ હતી?"
રાધા એ તેની વાતમાં ધ્યાન ન દીધું અને તેને ચૂપચાપ પોતાનું ગાદલ લીધું અને ખૂણામાં પાથરીને તેના ઉપર સુઈ ગઈ. રાધા ના આવા વર્તનથી ચંદા ને તેના ઉપર ગુસ્સો તો આવ્યો પરંતુ બહાર જ લેડીઝ પોલીસ આમ થી તેમ ફરી રહી હતી જેના તરફ જોઈને તે કંઈ કરી ન શકી.
" તારું નામ રાધા છે? મારું નામ સવિતા છે."
એક લગભગ 40 વર્ષની મહિલાએ રાધા ને જોઈને પૂછ્યું. રાધા તેની સાથે પણ વાત કરવા માંગતી ન હતી પરંતુ તે સવિતા તેના તરફ ખૂબ જ પ્રેમથી જોઈ રહી હતી એટલે રાધા એ કહ્યું.
" હા મારુ જ નામ રાધા છે."
" વહેલા સવારે ઉઠવાની આદત છે કે પછી હું ઉઠાવી દઉં?"
" જરૂરત નથી હું સવારે જલ્દી ઉઠી જાવ છું."
એમ કહીને રાધા એ પોતાની આંખો બંધ કરી લીધી. સવિતા એ પણ સુવાનો પ્રયત્ન કરતા પુછ્યું.
" તારા લગ્ન થઈ ગયા છે કે નહીં?"
રાધા એ વાતનો કઈ જવાબ ના આપ્યો અને આંખો બંધ કરીને સૂતી રહી. સવિતાએ થોડીવાર માટે તેના જવાબ ની રાહ જોઈ અને પછી તેને લાગ્યું કે રાધા સુઈ ગઈ છે એટલે પોતે પણ સુઈ ગઈ. રાધા સુતી ન હતી, સવિતાના આ સવાલના લીધે તે સૂઈ શકે તેમ પણ ન હતી કારણ કે હવે તેને તે દિવસ યાદ આવવા લાગ્યો હતો જ્યારે તેના લગ્ન થઈ રહ્યા હતા.
છગનલાલ અને મનહર બેન બંને ખુબ ખુશ હતા, હા મનહર બેન ને પોતાની 16 વર્ષની દીકરી ના લગ્ન એક સાંઠ વર્ષના માણસની સાથે કરવામાં આનંદ તો ન હતો પરંતુ તેમને એ વાતની ખુશી હતી કે તેમની દીકરી સરપંચના ઘરમાં જઈ રહી છે. લગ્ન પછી તેમનો તો ગામમાં વટ થઈ જશે.
બધું બરાબર થઈ રહ્યું હતું અને રાધા ને ખુબ સુંદર રીતે તૈયાર કરવામાં આવી હતી. તેની સહેલી દક્ષા પણ આવી હતી કારણ કે આવતા મહિનામાં તે તેના મામાના ઘરે જવાની હતી અને ત્યાંથી જ આગળનું ભણતર પૂરું કરવાની હતી.
રાધા પણ આગળ ભણવા માંગતી હતી પરંતુ તેના બાપુજી ના શબ્દો કડક હતા. એક સુંદર લાલ રંગનુ પાનેતર પહેરીને રાધા ખુબ જ સુંદર લાગતી હતી. થોડીવારમાં જ વરઘોડા નો અવાજ પણ આવવા લાગ્યો. રાધા એક પોતાના નસીબથી હાર માની લીધી હતી અને તે પણ લગ્ન માટે તૈયાર હતી.
તે તેના રૂમમાં બેઠી હતી જ્યાં તેને બધો જ અવાજ આવી રહ્યો હતો. તેની મા બધાનો સ્વાગત કરી રહી હતી અને તેમના આંગણા ના સામે જ જ્યાં તેમનું ખેતર હતું ત્યાં જ લગ્નનું મંડપ બાંધવામાં આવ્યું હતું. થોડીવાર સુધી તો રાધાને બધો અવાજ આવી રહ્યો હતો અને પછી દક્ષા તેને બોલાવવા આવી.
રાધા લાંબો ઘૂંઘટ પહેરીને બહાર નીકળી ગઈ. તેને વરરાજા ની બાજુમાં બેસાડવામાં આવી. રાધાની તેટલી હિંમત પણ ન હતી કે તે એકવાર મોઢું ઉપર કરીને સામે જ હોય કારણ કે તે સરપંચને સરખી રીતે ઓળખતી હતી. તને યાદ હતું કે જ્યારે તે સ્કૂલ જતી ત્યારે આવતા જતા ઘણી વખત સરપંચ તેને મળતા હતા અને તેના શરીરને ધ્યાનથી જોતા હતા.
જ્યારે ગોરબાપાએ ફેરા ના માટે બંનેને ઉભા કર્યા ત્યારે બે ફેરા સુધી તો બરાબર ચાલે પરંતુ ત્રીજા ફેરામાં વરરાજા જમીનમાં પડી ગયા. પહેલા તો બધાને લાગ્યું કે મોજડી ના ઠેસ લાગવાથી તે નીચે પડી ગયા છે એટલે બધા હસવા લાગ્યા, પરંતુ સમય જતા પણ વરરાજો ઉઠ્યો નહીં ત્યારે લોકોને થોડી ચિંતા થઈ.
જ્યારે વરરાજા ને ઉઠાડવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે ખબર પડી કે વરરાજા ને હાર્ટ અટેક આવ્યું છે. સરપંચનું આખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હતું અને તે લાંબો લાંબો શ્વાસ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તાબડતોબ તેમને દવાખાના લઈ જવામાં આવ્યા.
રાધા આ બધું જોઈને બહુ ડરી ગઈ હતી એટલે દક્ષા તેને તરત જ પાછી ઘરના અંદર લઈ ગઈ. બહાર શું થઈ રહ્યું છે તેના અવાજો આવી રહ્યા હતા. લોકો આમથી તેમ કરી રહ્યા હતા અને થોડીવારમાં જ રાધા ને માં મનહર બેન તેના રૂમમાં આવ્યા અને તે રાધા ને વળગીને રડવા લાગ્યા.
" રાધા, મારી દીકરી, લગ્ન પહેલા જ તુ વિધવા થઈ ગઈ છે. સરપંચ હાર્ટ અટેક થી મરી પડવાર્યા છે."
રાધા તો થોડીવાર તેમનો ચહેરો જોઈને બેસી રહી કારણ કે તે તો કંઈ સમજી શકે તેમ જ ન હતી. થોડીવાર પહેલા જ તે લાડી બનીને લગ્ન મંડપમાં બેઠી હતી અને હવે બસ થોડીવારમાં જ તેને વિધવા બનાવવામાં આવી રહી છે. રાધા ને આ બધું સમજવામાં થોડુંક સમય લાગ્યો.
ત્રણ દિવસ સુધી રાધાને ત્યાં જ રાખવામાં આવી અને આ ત્રણ દિવસ દરમિયાન તેને સફેદ કપડાં પહેરાવવામાં આવ્યા. જ્યારે ત્રણ દિવસ પછી તેને તેના બાપુજી છગનલાલ સાસરામાં મૂકવા ગયા ત્યારે સરપંચના દીકરા દેવુભા એ તેમને જોતા જ દરવાજાના આડો હાથ દીધો અને કહ્યું.
" આ છોકરીને અહીંયા આવવા માટે લઈ આવવામાં આવી છે? લગ્નના ચાર ફેરા પુરા થયા જ ન હતા અને ત્રીજા ફેરે જ મારો બાપ મરી ગયો તો પછી આ અહીંની વહુ કેવી રીતે થઈ?"
" દેવુભા કેવી વાત કરો છો અડધા ફેરા તો પૂરા થઈ ગયા હતા. આવી રીતે તમે આને સ્વીકાર નહીં કરો તો આના લગ્ન જ નહીં થાય. એને અહીંયા જ આવવા દો ને."
છગનલાલ એ હાથ જોડીને દેવુભા ને વિનંતી કરી પણ તેણે તો છગનલાલ ને ધક્કો મારીને બહાર ફેંકી દીધો મોટા અવાજથી કહ્યું.
" અરે લગ્નના ત્રીજા ફેરામાં જ આ મારા બાપને ખાઈ ગઈ હવે અહીંયા આવીને શું આખા ઘરને ખાવું છે? આવી ડાકણ મને મારા ઘરમાં ન જોઈએ. લઈને નીકળી જાઓ અહીંયાથી અને ખબરદાર જોવે મારી સામે આ છોકરી આવી છે તો."
આટલું કહીને તેણે બાપ દીકરીના મોંની સામે દરવાજો બંધ કરી દીધો. ઘરે આવ્યા બાદ છગનલાલે એ ઘણી બધી વાતો રાધાને સંભળાવી. રાધા ને કરમ બુંધિયારી અને ડાકણ જેવા શબ્દોથી વધાવવામાં આવી. આમને આમ લગભગ એક મહિનો નીકળી ગયો અને એક દિવસ મહેતા સાહેબ તેમના ઘરે આવ્યા.
" સાહેબ હવે અમે આને ક્યાંથી ભણાવીએ આના તો લગ્ન,,,"
" છગનલાલ રાધા ના લગ્ન નથી થયા અને અધૂરા લગ્ન જ સરપંચ સાહેબ ગુજરી ગયા હતા તો પછી આ તેમની વહુ કેવી રીતે થઈ? મારી વાત માનો રાધા ને આગળ ભણાવો અને આમ પણ તમે તેને ભણાવશો તો તેનું જ જીવન સુધરશે. તમારે કોઈ દીકરો નથી અને ફટાફટ જો તમને કંઈ થઈ ગયું તો બિચારી રાધા એકલી શું કરશે?"
છગનલાલ એ દરવાજાના પાછળ ઉભેલી રાધા ના તરફ જોયું. તે જાણતા હતા કે જે કંઈ પણ થયું હતું તેમાં રાધા નો વાંક જરા પણ ન હતો પણ તેમનો ગુસ્સો રાધા ઉપર જ ઊતર્યો હતો. મહેતા સાહેબ એ છગનલાલ ને સમજાવ્યા અને કહ્યું કે તે રાધાને ભણવાની પરમિશન આપી દે અને આગળ જતા જો કોઈ મદદની જરૂર પડી તો તે મદદ કરવા માટે તૈયાર છે.
આખરે છગનલાલ માની ગયા અને રાધા ઘર બેઠા જ આગળનું ભણતર કરવા લાગી.‌ તે ઘરે બેસીને જ ભણતી હતી અને પરીક્ષા દેવા માટે જ સ્કૂલમાં જતી હતી. આમને આમ તેનું બારમું ધોરણ પણ પાસ થઈ ગયું. તે ઘરમાં રહીને પણ ભણવામાં પૂરું ધ્યાન દેતી હતી એટલે તેને સારા એવા ટકા પણ મળ્યા હતા.
બધું બરાબર ચાલી રહ્યું હતું પણ અચાનક એક દિવસ એક ચિઠ્ઠી તેમના ઘરમાં આવી. આ ચિઠ્ઠી બીજા કોઈની નહિ તુલસીની હતી.