A story of clever people in Gujarati Short Stories by કહાની નંબર વન books and stories PDF | ચતુર લોકો ની વાર્તા

Featured Books
Categories
Share

ચતુર લોકો ની વાર્તા

1.ચતુર માજી
એક ગામમાં એક ઘરડા માજી એકલાં રહેતાં હતાં. એમને સંતાનમાં એક માત્ર દીકરી હતી જે પરણેલી હતી અને પાસેના ગામમાં રહેતી હતી. એક દિવસ માજીએ એની દીકરીને મળવા જવાનું નક્કી કર્યું.

એ ગામમાં જવા માટે એક જંગલમાંથી પસાર થવું પડતું હતું. માજી જંગલમાંથી જઈ રહ્યાં હતાં ત્યારે એક સિંહ આવ્યો અને માજી ને કહેવા લાગ્યો કે એ ઘણો જ ભૂખ્યો છે એટલે તેને ખાઈ જશે. માજી ઘણા ચતુર હતા. તેમણે સિંહને મૂરખ બનાવવાનો રસ્તો વિચાર્યો. માજીએ સિંહને કહ્યું:

"હું તો ઘણી ઘરડી છું. ઘણી દૂબળી-પાતળી છું. તું મને ખાઇશ તો તને શું મળશે? પહેલાં મને મારી દીકરીને ઘરે જવાદે. સારું સારું ખાવા દે. તાજી - તંદુરસ્ત થવા દે. પછી મને ખાજે".

સિંહે વિચાર્યું કે માજીની વાત સાચી છે. આવા દૂબળા-પાતળા માજીને અત્યારે ખાશે તો એને કશું નહિ મળે. માત્ર હાડકાં જ ખાવા મળશે. એના બદલે માજી દીકરીને ઘરે જઈ આવે પછી ખાય તો એને થોડાં લોહી-માંસ પણ મળશે. આમ વિચારીને સિંહે માજીને જવા દીધા.

રસ્તામાં માજીને વાઘ અને રીંછ પણ મળ્યા. એમણે આ જ યુક્તિ વાપરીને બંનેને મૂરખ બનાવ્યા.

દીકરીને ઘરે થોડા દિવસ રહ્યા પછી માજીએ પોતાના ઘરે પાછા ફરવાનું વિચાર્યું. માજી જાણતાં હતાં કે એમને સિંહ, વાઘ અને રીંછ મળશે અને મારી નાખશે. એમણે એક યુક્તિ વાપરીને મોટી ગોળ કોઠી બનાવી. માજી કોઠીમાં બેસી ગયા અને કોઠીને અંદરથી ગબડાવતા ગબડાવતા જવા લાગ્યા.

જંગલમાં સિંહે આ ગબડતી કોઠી જોઈ. સિંહે કોઠીને પુછ્યું:

"તેં પેલા માજીને જોયા છે જે એની દીકરીને ગામ ગયા છે?".

ચતુર માજીએ અવાજ બદલીને કોઠીની અંદરથી જવાબ આપ્યો:

"કઈ માજી? કયું ગામ? ચાલ કોઠી આપણે ગામ...".

આમ કહીને એમણે કોઠીને અંદરથી ધક્કો મારીને ગબડાવવા માંડી. સિંહ આવી પોતાની મેળે જ ગબડતી કોઠી જોઇને ગભરાઈ ગયો અને રસ્તામાંથી ખસી ગયો. આવી જ રીતે વાઘ અને રીંછ પણ ગભરાઈને ભાગી ગયા.

ચતુર માજી સહી-સલામત પોતાને ઘરે પહોંચી ગયા.

2.ચતુર વેપારીઓ


એક ગામમાં કેટલાક વેપારીઓ રહેતા હતા. એમને માલ વેંચવા જુદા જુદા સ્થળે જવું પડતું. એક વખત તેઓ માલ વેંચવા જતા હતા ત્યારે ઘણું મોડું થઇ ગયું. એમને રાતના અંધારામાં જંગલમાંથી પસાર થવું પડ્યું. કેટલાક લૂંટારાઓએ એમનો માલ લૂંટી લીધો.

વેપારીઓ બહાદુર અને ચતુર હતા. એમણે એક યુક્તિ કરી. એમણે લૂંટારાઓને કહ્યુંકે તેઓ ઘણા સારા કલાકાર છે. તેઓ એક સરસ નાટક કરીને એમનું મનોરંજન કરશે. લૂંટારાઓ નાટક જોવા બેસી ગયા.

વેપારીઓએ નાટક શરુ કર્યું. સૌપ્રથમ એમણે ભરવાડનો વેશ લીધો અને ગાવા લાગ્યા:

"વેપારી કલાકાર આવે છે. ભરવાડનો વેશ લાવે છે".

એમણે ભરવાડનો અભિનય કરીને લૂંટારાઓનું મનોરંજન કર્યું. પછી એમણે સુથાર, મોચી, લુહાર વિ. ના અભિનય કરીને લૂંટારાઓનું મનોરંજન કર્યું.

લૂંટારાઓ મોજમાં આવી વેપારીઓ સાથે નાચવા-ગાવા લાગ્યા. પછી વેપારીઓએ ચોર-પોલીસનું નાટક શરુ કર્યું. કેટલાક વેપારીઓ ચોર-લુંટારા બન્યા અને કેટલાક પોલીસ બન્યા. આ નાટકમાં એમણે બતાવ્યું કે પોલીસ આવીને લૂંટારાઓને પકડી જાય છે. વેપારી કલાકારો ગાવા લાગ્યા:

"વેપારી કલાકાર આવે છે. ચોરનો વેશ લાવે છે. જલ્દી દોડો ભાઈ જલ્દી દોડો, જઈ પોલીસને જાણ કરો".

કેટલાક વેપારીઓ શહેરમાં ગયા અને અસલી પોલીસને લૂંટારાઓ વિષે જાણ કરી. અસલી પોલીસ વેપારીઓની સાથે જયાં નાટક થતું હતું એ જગ્યાએ આવ્યા .

હવે વેપારી કલાકારો ગાવા લાગ્યા:

"વેપારી કલાકાર આવે છે. પોલીસનો વેશ લાવે છે".

જે વેપારીઓએ પોલીસનો વેશ લીધો હતો તેઓ આવ્યા. લૂંટારાઓ સમજ્યા કે આ તો નાટકનો જ એક ભાગ છે એટલે તેઓ કલાકારો સાથે નાચવા લાગ્યા. ત્યારે જ અસલી પોલીસ આવ્યા અને લૂંટારાઓને પકડી લીધા. હજી પણ લૂંટારાઓ એમ જ માનતા હતા કે આ તો નાટકનો જ એક ભાગ છે! પોલીસ લૂંટારાઓને જેલમાં લઇ ગયા અને વેપારીઓને એમનો માલ પાછો મળી ગયો.

આમ બહાદુર અને ચતુર વેપારીઓએ એમનો માલ પાછો મેળવ્યો અને લૂંટારાઓને પણ પકડાવી દીધા. આપણે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં (જેમ કે અહીં વેપારીઓ લૂંટાઈ ગયા) પણ ગભરાવું ન જોઈએ. આપણે બહાદુરીથી પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને ચતુરાઈપૂર્વક સાચા નિર્ણય લેવા જોઈએ.
-‌કહાની નંબર વન