Prem - Nafrat - 107 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૧૦૭

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૧૦૭

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૦૭

લખમલભાઇએ લતાબેન સાથે મુલાકાત કરાવ્યા પછી રચનાનું મન હજુ એ વાત માનવા તૈયાર થતું ન હતું કે રણજીતલાલના મોત માટે એ જવાબદાર નથી. પરંતુ મીતાબેનનું મન હવે માની રહ્યું હતું કે લખમલભાઇ નિર્દોષ છે. મીતાબેનને એ સમય યાદ આવી ગયો જ્યારે રણજીતલાલ મૃત્યુ પામ્યા હતા. એમાં લખમલભાઇની સીધી સંડોવણી ક્યાંય દેખાતી ન હતી.

લતાબેનને ત્યાંથી નીકળ્યા પછી કારમાં લખમલભાઇ એક શબ્દ પણ બોલ્યા નહીં. મીતાબેનને ખ્યાલ આવી ગયો કે એમને જે કહેવાનું હતું અને બતાવવાનું હતું એ એમણે પૂરું કરી દીધું છે. હવે નિર્ણય અમારે કરવાનો છે.

મીતાબેન અને રચનાને એમના ઘરે ઉતાર્યા પછી એ માત્ર એટલું જ બોલ્યા:મીતાબેન, હજુ પણ તમને રણજીતલાલના સમયમાં કામ કરતા કોઈ પરિવારને તકલીફ પડી હોવાનું ધ્યાનમાં હોય તો જણાવશો. એમને હું ચોક્કસ મદદરૂપ થઈશ... મારી જાણ બહાર કંપનીના માણસોએ જે પાપ કર્યા હોય એને ધોવાની મારી ફરજ પૂરી કરવા માગું છું. હું કોઈ ભાર લઈને મરવા માગતો નથી...

મીતાબેન કોઈ જવાબ આપે એ પહેલા જ લખમલભાઇએ કાર ઉપાડી અને જતા રહ્યા.

મીતાબેન અને રચનાને લાગ્યું કે એમના છેલ્લા શબ્દોમાં અદ્રશ્ય રુદન હતું. રચનાને પહેલી વખત એમના પ્રત્યે માનની અને દયાની લાગણી થઈ આવી. એ બોલી:મા, લખમલભાઇ બહુ લાગણીશીલ માણસ છે...

હા બેટા, મને તો હવે અફસોસ થાય છે કે આપણે એમને નુકસાન પહોંચાડીને પાપ કર્યું છે. એમણે તો એમના પાપ ધોઈ નાખ્યા છે. એમણે ગુના કર્યા નથી એની સજા ભોગવી છે. એમણે પોતાનાથી જેને નુકસાન થયું નથી એમને પણ મદદ કરી છે. મને તો આજે એ ભગવાનના માણસ લાગ્યા છે... મીતાબેન દિલથી બોલી રહ્યા હતા.

રચના ચૂપ થઈ ગઈ હતી. રચનાને થયું કે લખમલભાઇએ એમને નિર્દોષ સાબિત કરી દીધા છે. આથી વધુ એ શું કહી શકે કે કરી શકે? પોતે જ હવે આગળ શું કરવું એ વિચારવું પડશે.

રચનાને સમજાતું ન હતું કે હવે એણે શું કરવું જોઈએ. એને થયું કે લખમલભાઇ મહાન કહેવાય. એમણે મારા ખરાબ ઈરાદાઓ છતાં મારા પ્રત્યે હેતભાવ રાખ્યો છે. હજુ એમને એ વાતની ખબર છે કે નહીં કે હું એમને બરબાદ કરવાની યોજનાઓ પર કામ કરી રહી છું એનો અંદાજ નથી પણ એમનો વ્યવહાર અને વર્તન નવાઈ પમાડે એવા છે. એમને ખબર ના હોય તો પણ અંદાજ ના આવ્યો હોય એ વાત એમના સારાપણાની નિશાની છે. એમના કારણે જ હિરેનભાઈ અને કિરણભાઈ જ નહીં એમનો આખો પરિવાર ક્યારેય અમારી વિરુધ્ધમાં ગયો નથી. ક્યારેક થોડી નારાજગી જરૂર રહી હશે પણ એમની હામાં હા મિલાવતો રહ્યો છે.

ઘણું વિચારીને એને દિલમાં ગભરાટ થવા લાગ્યો હતો. એ પૂછી રહી:મા, મને તો સમજાતું નથી કે હવે આગળ શું કરવું? મને આરવનો પણ વિચાર આવે છે. એને અન્યાય કરી દીધો હોય એવી લાગણી થાય છે. હું એની લાગણીઓ સાથે રમત રમી રહી છું...

જો એમને ખબર પડી ગઈ હશે કે આપણે એમના વિષે ખરાબ વિચારીને એમનું બૂરું કરી રહ્યા છીએ તો કેવું લાગશે?’ મીતાબેન ચિંતિત બની ગયા.

મા, હવે આપણે અહીં જ અટકી જવું જોઈએ. હું માનું છું કે આપણે કોઈને કંઇ કહ્યા વગર અહીંથી આ શહેર છોડીને જતાં રહીએ. હું એક અઠવાડિયામાં આરવને છૂટાછેડા આપી દઇશ. એને મુક્ત કરી દઇશ... રચનાને પોતે શું બોલી રહી છે એનું જાણે ભાન ન હતું.

બેટા, તું આ શું કહી રહી છે? આરવકુમાર તને કેટલું ચાહે છે. મને લાગે છે કે આપણે રણજીતલાલના મોતનો બદલો લેવા આવ્યા છે એનો એમને અંદાજ નથી... બાકી કોઈ પોતાના ધંધા અને પરિવાર સાથે આવું થોડું થવા દે? એ સારા અને સાચા માણસ છે એટલે તું જે કોઈ સૂચન કરતી રહી એને વધાવીને આગળ વધતા રહ્યા છે. મીતાબેન વિચાર કરીને બોલ્યા.

તારી વાતમા દમ છે. પણ લખમલભાઈ એમનો પક્ષ રજૂ કરીને આપણાંને મનોમન પણ શરમિંદા કરી ગયા છે. બદલાની આગમાં એમને તો બાળ્યા છે પણ હવે આપણે પશ્ચાતાપથી બળી રહ્યા છે... બોલતા બોલતા અચાનક રચનાને ચક્કર આવ્યા અને એ બેભાન થઈને પડી ગઈ.

મીતાબેન ગભરાઈ ગયા.

ક્રમશ: