Vardaan ke Abhishaap - 23 in Gujarati Classic Stories by Payal Chavda Palodara books and stories PDF | વરદાન કે અભિશાપ - ભાગ 23

Featured Books
Categories
Share

વરદાન કે અભિશાપ - ભાગ 23

વરદાન કે અભિશાપ (ભાગ-૨૩)

            (નરેશ અને સુશીલા ઘરના વાતાવરણનું હવે ધ્યાનથી નિરીક્ષણ કરતાં હતા અને તેઓ બંને હવે મણિબેનના નિર્ણયની રાહ જોઇ રહ્યા હતા. આતુરતાથી તો નહિ પણ ગભરાહટથી રાહ જોઇ રહ્યા હતા. એ જ અરસામાં નરેશના દીકરા મયુરનો જન્મદિવસ આવે છે. નરેશ અને ઘરના બધા જ કુટુંબીજનો વ્યવહાર કરવા બેસે છે. નરેશ ઉત્સાહમાં ને ઉત્સાહમાં કાકા પાસે બધી દીકરીઓને વ્યવહાર કરાવે છે. ધનરાજ કરતાં દેવરાજ નાનો હતો અને બધાની સંમતિ હતી એટલે જ દેવરાજે વ્યવહાર કર્યો. મણિબેનને નરેશના આ વર્તનથી ખરેખરમાં ઘણું જ ખરાબ લાગે છે. હવે આગળ...............)

            નરેશના પોતાના કાકા દેવરાજને વ્યવહાર કરવાના નિર્ણયથી મણિબેનને ઘણું જ ખરાબ લાગે છે. તેઓ આખી રાત ઉંઘી શકતા નથી. આખી રાત તેઓના મનમાં થોડું-થોડું કરીને ઝેર ભરાઇ ગયું હોય છે અને એમાં પણ નરેશની સાથે-સાથે હવે તેમના મનમાં દેવરાજ માટે પણ ઝેર ભરાઇ ગયું હોય છે. જે હવે તેમના મનમાં ઘર કરી ગયું હતું. આ બાજુ સુશીલા નરેશને જન્મદિવસની વાત કરે છે કે તેણે દેવરાજકાકાને વ્યવહાર આપીને મોટી ભૂલ કરી છે. નરેશ તેની વાતને નકારી દે છે અને કહે છે કે, મારી મમ્મી મને બહુ જ પ્રેમ કરે છે તે એવું કંઇ જ વિચારતી નઇ હોય.

            બીજા દિવસે સવારથી જ મણિબેન મોં ફૂલાવીને બેઠા હોય છે. ત્યાં જ કમલેશ આવી જાય છે. મણિબેન તરત જ નરેશ અને સુશીલાને બોલાવી લાવવા જણાવે છે. કમલેશ તરત જ તે બંનેને બોલાવી લાવે છે.

મણિબેન : મારે એક વાત કરવી છે તમારા બંને જોડે.

નરેશ : હા, બોલો મમ્મી અને હા કાલ માટે હું તમારી માફી માંગું છું. મારો ઇરાદો કોઇનું અપમાન કરવાનો ન હતો.

મણિબેન : હમમમમ.......(આજુબાજુ જોઇને મોં ફુલાવીને) મારે એ વિશે ચર્ચા નથી કરવી. (નરેશ અને સુશીલા એકબીજાની સામે જુએ છે. તેઓ સમજી જાય છે કે વાત જરા ગંભીર છે અને જે તેઓ વિચારવા પણ નહોતા માંગતા એ જ થવા જઇ રહ્યું છે અને આ બાજુ ઘરના બધા સભ્યો આવી જાય છે.)

મણિબેન : મારી એવી ઇચ્છા છે કે, તું અને સુશીલા હવે ઉપરના માળે અલગ રહેવા જાઓ. કેમ કે, પરિવાર વધી રહ્યો છે. એટલે બધાને રહેવાની અગવડ પડે છે. આથી મે આ નિર્ણય કર્યો છે.  

નરેશ : (એકદમ ચકિત થઇને) મમ્મી, આ શું કહી રહી છે ? હું તમારાથી અલગ કયાંથી જાઉં ??

મણિબેન : હું કઇ તમને અલગ નથી મોકલતી. બસ તારે ઉપરના માળે રહેવા જવાનું છે. તમારે આ ઘરમાં જ રહેવાનું છે.

નરેશ :  (રડમસ અવાજે) પણ એ રીતે પણ શું કામ મારે જવું પડે? મમ્મી, હું તારી સાથે જ અહી રહેવા માંગું છું.

કમલેશ અને પુષ્પા : પણ મમ્મી તમને કયા અલગ કરે છે. એ તો ખાલી તમને અને તમારા બાળકોને જગ્યા કરી આપે છે. એટલે બધા આરામથી રહી શકે.

(નરેશ અને સુશીલા એકબીજાની સામે જુએ છે. તેઓ બંને સમજી જાય છે કે, કમલેશે કરેલી કાનભંભેરણીમાં મણિબેન ભરમાઇ ગયા છે અને જન્મદિવસના દિવસે થયેલ બનાવે તેમા ઘી હોમી દીધું છે. તે બંનેને હવે મણિબેનનો નિર્ણય સ્વીકાર કરવો જ પડશે એમ તેઓ બંનેને લાગે છે.)

નરેશ અને સુશીલા : અમને તમારી વાત મંજૂર છે, મમ્મી.... જેવી તમારી મરજી.

કમલેશ અને પુષ્પા મનમાં હરખાતા હોય છે. તેઓ વિચારે છે કે, હવે ઘરમાં તેમનું જ રાજ ચાલશે. કેમ, કે મણિબેન હવે તેમની તરફેણમાં છે અને નરેશ તો મણિબેનના નજરમાંથી ઉતરી ગયો છે. આથી તેમનો રસ્તો હવે આસાન છે.

 

(મણિબેનના નરેશના અલગ મોકલી દેવાના નિર્ણયની અસર શું થશે ? અને હવે પુષ્પાના રાજમાં ઘરમાં કયા નવા ખેલ શરૂ થશે?)     

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૨૪ માં)

 

-   પાયલ ચાવડા પાલોદરા