Avantinath Jaysinh Siddhraj - 32 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 32

Featured Books
Categories
Share

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 32

૩૨

સંન્યાસમઠમાં

ઉદયન, કાકભટ્ટ ને ધંધરાજ થોડી વાર પછી સંન્યાસમઠમાં આવ્યા ત્યારે હજી ત્યાં જ્ઞાનવાર્તા ને વિતડાંવાદ ચાલી રહ્યાં હતાં. કોઈ શંકરને, કોઈ મહાવીરને, કોઈ વિષ્ણુને ને કો અંબાને – જેને જેમ ઠીક પડે તેમ – પ્રશંસી રહ્યા હતા. ત્રણે જણા જાણે જ્ઞાનપિપાસુ બનીને થોડા ઘણા પ્રેક્ષકો હતા તેમાં બેસી ગયા. વિશાળ મેદાનમાં ને પાન્થાશ્રમમાં આડાઅવળા પથારા પડ્યા હતા. તેમાંથી કુમારપાલને શોધી કાઢવો મુશ્કેલ હતો... વાતચીતમાંથી જણાયું કે આવતી કાલે સ્થાન વાટિકાનું રાખ્યું છે એ સંદેશો આંહીં આવી પહોંચ્યો હતો. 

એટલે તો દરેક મૂર્તિના ચરણસ્પર્શની આકાંક્ષા ઉદયનને જન્મી. તેણે ધંધરાજને કહી. ધંધરાજ આગળ થયો. કાક પાછળ રહ્યો. ત્રણ ભક્તો અચાનક શ્રદ્ધાવાન બની ગયા. દરેક ઠેકાણે ચરણસ્પર્શ થવા માંડ્યો. સંન્યાસી દ્રમ્મને અડે નહિ માટે પૃથ્વીને આધારે દ્રમ્મ મૂકતા ગયા. એ દ્રમ્મ પૃથ્વીને અડ્યા હતા ને હજી સંન્યાસીનો હસ્તસ્પર્શ પામવા માટે થોડી પળોનું એ તપ તપવાના હતા. 

ચરણસ્પર્શ કરતાં ઉદયન થાકી ગયો. બસો નવાણું દુ એટલા સંન્યાસીના પગને હાથ અડાડવા એના જેવા ચુસ્ત જૈનોને આકરા પડી ગયા. પણ છેક છેલ્લા સંન્યાસીને એના હાથ અડ્યા, મેદાનમાં કોઈ બાટી શેકી રહેલા બ્રહ્મચારીના તાપણાએ એની મુખમુદ્રા જરાક દેખાડી, અને એ સ્થળે એને વધુ જ્ઞાન જાગ્યું હોય કે પછી વધુ ભક્તિ પ્રગટી હોય – પણ એ ત્યાં બેસી ગયો. 

પછી તો એ જ્ઞાનવાર્તા લંબાતી ગઈ. શંકાની પરંપરા જાગવા મંડી. ધંધરાજને પણ એમાં રસ પડ્યો. જૈન, બૌદ્ધ, શંકર, કાપાલિક બધાંની થોડીથોડી જ્ઞાનવાર્તા પીવાનો આ ત્રણે ભક્તોને રાસ જાગ્યો. 

એ મોડેથી ત્યાંથી ઊઠ્યા ત્યારે ઘણા સંન્યાસી નિંદ્રામાં પડી ગયા હતા. જે નિંદ્રામાં ન હતા તે તંદ્રામાં હતા. ને બંનેમાંથી એકેમાં જે ન હતા તે સ્વપ્નમાં હતા. ત્રણે ભક્તો પંથે પડ્યા ત્યારે તો સંન્યસ્તમઠનાં વૃક્ષો પણ નિંદ્રાધીન જેવાં જણાતાં હતાં. આટલી જ્ઞાનગોષ્ઠિથી તૃપ્તિ થઇ ન હોય તેમ એક ભક્ત થોડાં ડગલાં આગળ જઈને પાછો ફરીને આવ્યો. તેણે સંન્યાસી મહારાજને ચરણે કાંઈક ગુપ્ત વાત મુકવાની હોય તેમ પડખેના બીજા સંન્યાસીથી એને જરા આઘેરા લીધા, ધીમેથી કહ્યું: ‘કાકભટ્ટજી! સંભાળજો બરાબર હો. સામે મલ્હારભટ્ટ છે. શંકા જાગી; લોકવાયકા સાંભળી; એટલે સાધુઓના ટોળામાં જ તમે ભળી ગયા, અને પછી તો મહારાજને એના જ સમાચાર આપવા આંહીં રોકાઈ ગયા; એણે રસ્તો રોક્યો હશે કે રોકાશે – આવી વાતે સૌના હાથ હેઠા પડી જાશે! અને ત્યાં તો હું પણ તને સૌને સામેથી આવીને માલવવાર્તા કહેતો મળીશ નહિ? ચાલો જય જિનેન્દ્ર!’

ઉદયન ને ધંધરાજ સીધા જ પોતાની વાપીમાં ઊતર્યા. કુમારપાલ એની સાથે હતો. એક પછી એક કોડા ઊતરતા તેઓ અંદર ગયા. એક દેવીના ગોખલા પાસે પ્રગટાવેલો દીપક ઉદયને દીઠો. તેણે એ ધીમેથી ઉઠાવી લીધો. 

સૌ આગળ વધ્યા.

‘પેલી ગાથા ક્યાં છે ધંધરાજજી! આપણા રસ્તામાં આવશે કે આપણે પાછું ફરવું પડશે?’

‘ના, રસ્તામાં જ છે!’

‘શેની ગાથા ઉદયનજી?’

‘તમે જોજો ને, પ્રભુ! એ તમે વાંચો – પછી મારું માનો તો કુમારપાલજી! હવે આ ભાગ્યયોગ મળી ગોય, ને ધંધરાજજી અમારા વીરશાસનની કસોટીમાં પાર ઊતર્યા, નહિતર સૌનાં મોં ઉપરથી મહારાજ! તમે તેજ લઇ લીધું હોત. આ રહી એ ગાથા, આવો...’

ત્રણ જણા ભક્તિથી આગળ વધ્યા.