Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 107 and 108 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 107 અને 108

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 107 અને 108

(૧૦૭) ધન્ય છે રાવત ભાણને

ડુંગરપુર અને વાંસવાડા આ બંને રાજપૂતાનાના નાનકડા રાજ્યો હતા. એના શાસક ચૌહાણવંશીય રાજપૂત હતા. શહેનશાહ અકબરની વિશાળ ફોજ સામે પોતે ટકી નહિ શકે એમ માનીને, પહેલેથી જ આ નરેશોએ મોગલ સલ્તનતની અધીનતા સ્વીકારી લીધી હતી.

“મહારાણાજી, મોગલસેના આપણ પાડોશી રાજ્યોને જીતીને આપણને..... મિત્ર વિહોણું પાડી રહ્યું છે. મેવાડ માટે ડુંગરપુર અને વાંસવાડા ખૂબ જ જરૂરી છે. આ રાજ્યો ગુજરાત સાથેના સંબંધની ધોરી નસ છે. હાલ મોગલસેના પંજાવ્બ અને બંગાળામાં વ્યસ્ત છે ત્યારે મોગલસેના પર મુસ્તાક રહેતા ચૌહાણોને સબક શીખવાડવાની જરૂર છે.” કેટલાક સરદારોએ મહારાણા પ્રતાપસિંહને કહ્યું.

“ડુંગરપુર અને વાંસવાડા મેવાડમાં ભેળવી દેવાનું તો મારૂંયે સ્વરનું છે. પરંતુ અને કઠિન કામ કરશે કોણ?

“આ કામ કરી શકે એવો એક વીર રાવત ભાણ આપણી પાસે છે. એની ભુવનવિજયીની શમશેર ચમકે એટલો દુશ્મનના હાજા ગગડી જાય.

રાવત ભાણ!

મહારાણાનો માનીતો યુવક આ યુવકમાં સેનાપતિના સર્વ ગુણો હતા.

“રાવત ભાણ! તૈયાર છો ને?

“મહારાણાજી, આદેશ આપો. ડુંગરપુર અને વાંસવાડા જીતીને આપના કદમોમાં ધરી દઉં.”

ચુનંદી સેના સાથે રાવત ભણે આક્રમણ કર્યું. ચૌહાણ રાજવીઓ મોગલસેનાની સહાયતા વગર પાંગળા બની ગયા.

રાજ્ય બચાવવા ખૂનખાર યુદ્ધ કર્યું. પરંતુ ઘાયલ થવા છતાં રાવત ભાણે બંને રાજવીઓનો વધ કર્યો.

પ્રજા તો સ્વતંત્રતા વાછું જ હતી.

રાવતભાણનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું યોગ્ય વ્યવસ્થા કરી રાવત ભાણ મહારાણાને મળવા ગયો.

“ધન્ય છે રાવત ભાણ! તારા જેવા યુવાનો જ મેવાડનું સાચું ધન છે.” મહારાણા બોલી ઉઠ્યા.

 

 

 

 

(૧૦૮) મોગલ દરબારમાં સાગર

ભગવાન સવિતાનારાયણ પોતાના સપ્તઅશ્વોના રથમાં બેસીને વસુંધરાને પુલકિત કરવા પધાર્યા. પરિણામે ધરતીમાં ચૈતન્ય પ્રસરી ગયું. સર્વત્ર નર, નારી, બાળ, પશુ-પંખી વૃક્ષો પ્રવૃત્તિમય જણાવા લાગ્યા. મલયાનીલ મંદ મંદ સુગંધિત થઈ વહેવા લાગ્યો હતો. એવા ટાણે  એક કદાવર અશ્વારોહી આગ્રા તરફ આવી રહ્યો હતો એ હતો મેવાડનો રાજકુમાર સાગર. મહારાણા પ્રતાપસિંહથી દુંભાઇને એણે મેવાડ છોડ્યું. અજમેરમાં એનું મન ન લાગ્યું. એટલે એણે આગ્રાની વાટ પકડી.

“મેં મારા સહોદર જગમાલ વિરૂદ્ધ મહારાણા પ્રતાપને હંમેશા સાથ આપ્યો. પરંતુ મારા સહોદર જગમાલની ક્રુર હત્યા કરનાર રાવ સૂરતાણજીને દંડ ભલે ન આપો. યુદ્ધમાં એક તો અવશ્ય મરે,પરંતુ એ જ રાવ સૂરતાણજીને અમરસિંહની પુત્રી પરણાવવાની શી જરૂર હતી? શું હંમેશા મારે મારા ભાઇના હત્યારાને મેવાડમાં માન પામતો જોવો? આ પરિસ્થિતિ શું મારે માટે સહય હોત? મારી વફાદારી કરતાં મહારાણાજીએ રાજકીય જોડાણને વિશેષ મહત્વ આપ્યું.”

વિચારોના પ્રવાહમાંથી ચોંકીને જોયું તો સામે આગ્રા શહેરમાં પ્રવેશ માટેનો દરવાજો ખુલી રહ્યો હતો. જેવો દરવાજો ખોલ્યો કે, સાગરે સર્વપ્રથમ આગ્રા શહેરમાં પ્રવેશ કર્યો. “મારે હવે ક્યાં જવું?” મનમાં પ્રશ્ન ઉદ્‍ભવ્યો. તરત જવાબ પણ સ્ફૂર્યો. આમેરના રાજા માનસિંહ પાસે.  અત્યારસુધી તો પોતે મોગલો સામે લડ્યો હતો તે હસ્યો.

એક નગર નિવાસીને ઉભો રાખી સાગરે સેનાપતિ માનસિંહની હવેલીનો પત્તો પૂછી લીધો.

રાજા માનસિંહ અકબરના નિકટના વ્યક્તિ ગણાતા રણનીતિ અને યુદ્ધ સંચાલનમાં એમનો જોટો મળવો મુશ્કેલ હતો. ગુજરાત, બંગાળ અને અફઘાનિસ્તાનના પ્રાંતોમાં મોગલસેનાનું એમણે જે રીતે નેતૃત્વ કર્યું હતું તે રીતે તેઓ અજોડ સેનાની સાબિત થયા હતા.

રાજા ભગવાનદાસ અને રાજા માનસિંહની નેમ હતી કે, જોધાબાઇનો દીકરો શાહજાદો સલીમ જ ભવિષ્યમાં મોગલ તખ્તનો શહેનશાહ બને. રાજપૂત મનસબદારોના વર્ચસ્વ માટે આ અત્યંત આવશ્યક હતું.

રાજપૂતાનામાંથી આવતા રાજપૂતો માટે, રાજા માનસિંહનો મહેલ મોટામાં મોટો આશરો હતો. નાનામાં નાના રાજપૂત વીરને પણ સેનામાં દાખલ કરાવવાની પેરવી કરવામાં રાજા ચૂકતા નહિ અને રાજપૂતો શસ્ત્રવિદ્યાની પરીક્ષામાં પાછા પડતા નહિ.

સાગર રાજા માનસિંહના મહેલ આગળ આવીને ઉભો રહ્યો. સુંદર મહેલ, વિશાળ પ્રાંગણ અને ચોકીદારોની અવરજવર મહેલની અટારીમાં ચારે બાજુ ઘૂમતી બાંદીઓ, દાસીઓ, નોકરો, મોગલ સેનાપતિના વૈભવની સાગરને ઘડીભર ઇર્ષા આવી ગઈ.

મહારાણાએ જો સંધિ કરી હોત તો આવો વૈભવ મેવાડપતિના ચરણોમાં આળોટતો હોત, પરંતુ હઠ એ કેવી વિટંબણા સર્જે છે! ન્યાયની પડખે રહેવા માટે માં અને સહોદરને ત્યજી દેનાર સાગરને આજે દુશ્મનની ડેલીએ હાથ દેવાનો વારો આવ્યો.

અશ્વ પરથી ઉતરી સાગરે દરવાન પાસે જઈ કહ્યું, “સેનાપતિજીને ખબર આપો કે, મેવાડથી રાજકુમાર સાગર મળવા આવ્યા છે.”

મેવાડનું નામ પડતાં જ દરવાન ઝડપથી ખબર આપવા દોડી ગયો. જે ક્ષણે, રાજા માનસિંહે સાંભળ્યું કે, મેવાડથી રાજકુમાર સાગર આવ્યા છે અને દરવાજે પ્રતીક્ષા કરે છે એટલે તેઓ બોલ્યા.

“જોરાવરસિંહ, પુરા સમ્માન સાથે સાગરજીને મારી પાસે લઈ આવો.” સાગર અને રાજા માનસિંહ ભેટયા. આનંદ વ્યક્ત કર્યો. છેવટે સાગરે પોતાના આગમનનો હેતુ જણાવ્યો.

“રાજકુમાર તમારી ભાવના હું સમજું છું કદાચ મહારાણાજી પણ તમને મારા કરતાં વધારે સમજતા હશે. પરંતુ રાજનીતિમાં બહુરૂપી બનવું પડે છે. રાજનીતિ અને વેશ્યા બંને સરખા છે. માણસ જ્યારે બહુ અકળાય ત્યારે પોતાના હોય તેને જ પીડે છે. વ્યક્તિગત સુખ દુઃખથી પર થઈને સમષ્ટિના હિતને ધ્યાનમાં લઈને રાજનીતિમાં ઘણાં સરવાળા બાદબાકીમાં અને ઘણી બાદબાકી સરવાળામાં ફેરવાઈ જાય છે. હું માનું છું કે, તમે મોગલોની રાજધાનીમાં આવવામાં ભૂલ કરી છે. મહારાણા જે પવિત્ર યજ્ઞ માંડીને બેઠા છે તેમાં તમે એમના હૈયાને ઠેસ પહોંચાડી છે.

“મોગલ સેનાપતિ આવું બોલે, આશ્ચર્ય છે?”

“સાગરજી, મોગલ સેનપતિ પણ આખરે તો ઇન્સાન છે. રાજપૂત છે અમે પણ આ ધરતીના છોરૂ છીએ. દુર્યોધનના દરબારમાં બેઠેલા દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ જેવા લાચાર બનીને બેઠેલા માનવીઓ છીએ. મહારાણા પ્રતાપ તો અમારાથી દશાંગુલ ઉંચા છે. તમે એમના બંધુ છો એ ગૌરવની વાત છે. મારી તો તમને સલાહ છે કે, મહારાણા વિરૂદ્ધ કોઇ અભિયાન ચલાવવા કરતાં અહીં શાંતિથી સ્થાયી થઈ જાઓ. મારી તો કમનસીબી છે કે, એમનો મિત્ર પણ ન બની શક્યો. પરંતુ મારા હૈયામાં તેઓ માટે ભરપૂર આદર છે. તમને નવાઇ લાગશે. ખુદ શહેનશાહ અકબર મહારાણા માટે ભારે આદર ધરાવે છે.”

“પરંતુ હવે હું પાછો ફરનાર નથી. મેવાડમાં મારૂં મન નહિ લાગે.”

“તો આ તમારો અટલ નિર્ણય છે?”

“હા.”

“તો આજે મોગલ શહેનશાહને મળીએ, પણ એ ભુલવું ન જોઇએ કે, એક વખતે મોગલ શહેનશાહની સહાયતા સ્વીકારી એટલે એ તમારો  ગમે ત્યારે પ્યાદાં તરીકે ઉપયોગ કરે. આજે તો શહેનશાહ પંજાબ, અફઘાનીસ્તાન, દક્ષિણ ભારત વગેરે પ્રદેશોના મામલામાં વધુ ગુંચવાયા છે એટલે મેવાડની સ્થિતિ યથાવત જ રાખવા માંગે છે. તમને બહુ બહુ તો કોઇક જગ્યાએ મનસબદારી આપી બેસાડી દેશે.”

“જી, મને મંજુર છે. મેવાડમાં સહોદરના હત્યારાને માન પામતો જોવા કરતા એ વધુ સહ્ય બનશે.’

“તો તમે હમણાં તો મારા અતિથિ છો.” આમ કહી રાજા માનસિંહે પ્રેમથી સાગરને પોતાને ત્યાં રાખ્યા.

મોગલ શહેનશાહના  મંત્રણાગૃહમાં રાજા માનસિંહ પ્રવેશ્યા. “ જહાઁપનાહ, શતરંજનો એક મ્હોરો આપોઆપ આવી ચડ્યો છે.

“રાજા માનસિંહ, કોણ સપડાયું તમારી જાળમાં?”

“બહુ મોટો શિકાર, માછલી નહિ મગરમચ્છ, સ્વયં મહારાણા પ્રતાપસિંહનો ભાઇ સાગર.”

“અચ્છા ! સાગર રેગિસ્તાનમાં રહી જ કેવી રીતે શકે? તમે એનો ઉપયોગ કેવી રીતે કરવા માંગો છો?”

“જહાઁપનાહ, હમણાં તો એને આશરાની જરૂર છે. હૂંફની જરૂર છે. સમય આવ્યે, મેવાડી સેના સામે એનો ઉપયોગ કરીશું.”

“જેવી તમારી ઇચ્છા, માનસિંહ” હસતા હસતા અકબરશાહ બોલ્યા.

“જહાઁપનાહ, હું તો મુગલિયા સલ્તનતનો નાચીઝ સેવક છું. હું સલ્તનતની ખિદમત કરીને મારી લડાયક કૌમને ઇજ્જતની રોટી, મારાં સગાંઓને સમ્માન મળે એ જ ઇચ્છું છું. જે આપ બક્ષી રહ્યાં છો. સાગરને બસો ઘોડેસવારોનો મનસબદાર બનાવીને રાજધાનીમાં જ રોકી લઈએ.”

“રાજકુમાર સાગર પાસેથી, અત્યારની મેવાડની પરિસ્થિતિ અને જાણવા લાયક વિગતો જાણી લો અને વખત આવે આપણે એને મેવાડી સેના સામે ઉપયોગમાં લઈશું.”

“ જી, જહાઁપનાહ”

આમ સાગરને બાદશાહ અને સેનાપતિની મસલતથી રાજધાનીમાં મનસબદારી મળી તે સુખે પોતાનો સમય વ્યતીત કરવા લાગ્યો.