Barbrakjishnu - Jaisingh Siddhraj - 7 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 7

Featured Books
Categories
Share

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 7

રા’નો સંકેત

રા’ સમજી ગયો હતો કે રાજસભા વીખરાઈ જાય તે પહેલાં ચાલતી પકડી લેવામાં ડહાપણ હતું. તેણે રાજદરબારમાંથી સીધો કર્ણાવતીનો માર્ગ પકડી લીધો. થોડે સુધી તો એણે નાગવેલને ખંખેરી મૂકી. બપોરનો વખત થયો ત્યારે એક વાડીએ એણે મુકામ કર્યો.

પણ પળ-બે-પળ ન થઇ ત્યાં એને કોઈ ઘોડેસવારનાં પગલાં સાંભળ્યાં.

આતુર નયને કોઈ આવી રહ્યું છે એની એ પ્રતીક્ષા કરવા મંડ્યો. ઝાડના ઝૂંડ પાછળથી એક સવાર આ તરફ આવતો લાગ્યો. ‘આ તો પેલો ઓટીવાર ખર્પરક લાવે છે, રાણંગ!’

‘પ્રભુ! છે તો એ જ!’

‘અલ્યા! કેમ આવ્યો છે? છે કાંઈ સમાચાર? કાંઈ નવાજૂની તો થઇ નથી નાં?

‘કાંઈ નવી ને કાંઈ જૂની. પણ કુમાર ખેંગારજીએ મને સમાચાર આપીને મોકલ્યો છે! એ મળ્યા નહિ... ને રાજસભામાંથી તમે તો પરબારો પંથ પકડ્યો?’

‘શું છે કે અમારે આંહીં પાછો ચંદ્રચૂડ ભરાઈ ન  બેસે એટલે ઘોડો કરવાનો હતો – એને પાછો પાટણ તરફ આગળ વધતો અટકાવવાનો હતો, એટલે અમે તો ઊંધું ઘાલીને દોડવા માંડ્યું છે. શું કહ્યું છે ખેંગારે?’

‘બર્બરકના હવે દી ભરાઈ ચૂક્યા છે. જયદેવ મહારાજે એક સહસ્ત્રની વજ્જરસેના તૈયાર કરી છે, એટલે આપણે પાછા આપણી ગુફામાં બેસી જવું. વળી વખત આવશે!’

‘હવે વખતબખત તો ઠીક, મરદુંને વળી વેળા શું ને કવેળા શું? આ તો અમારો જમાનો જ વીતી ગયો, એટલે આવી રાજરમતુંમાં નજર નાખવી પડે. નકર આમાં તો એક ઘા ને બે કટકાવાળી વાતું છે. બીજું કાંઈ? પાટણવાળા ક્યાંય બહાર નીકળે છે કે પછી ઘરમાં બેઠા રે’ છે?’

‘એક હજાર ઘોડાં આજ પાટણમાંથી નીકળવાનાં છે.’

‘ક્યારે?’

‘એક પહોર રાત વીત્યે.’

‘ક્યાં જાય છે?’

‘કે’ છે – સારસ્વતમંડલમાં – બર્બરક ઉપર.’

રા’ વિચાર કરી રહ્યો. ‘ઠીક, બીજું કાંઈ કહેવું છે?’

‘ના.’

રા’ હજી વિચાર કરતો હતો. પાટણમાં પોતે આવ્યો. ચંદ્રચૂડ પણ બહુ આઘે નથી, અને ખેપ પોતાની ખાલી જાય એ રા’ને ગમતું ન હતું.

‘અલ્યા, એમ કર ને... હવે આપણે આટલે આવ્યા, ધક્કો ખાધો. તંઈ ભેગાભેગું કાંક કરતા જાંઈ. તું તારા ઘોડા ઉપર ખંખેરી મૂક, કાં નાગવેલને લઇ જા. ચંદ્રચૂડ સાબરના વાંધામાં પડ્યો હશે. એને જઈને ખબર દે: કાં સેનને આંહીં લાવે, તો બર્બરક સામે આ સૌ જાય ને આપણે વાંહેથી પાટણ ઉપર જ પહોંચી જાંઈ. બાબરાને’ય એમાં લાભ!’

થોડી વાર પછી નાગવેલ પંથે ચડી ગઈ. રાણંગ ને ખર્પરક ઊપડ્યા હતાં. એ બંને ગયા એટલે રા’એ ઘોડાને પાસેના એક ઊંડા નળામાં લઇ લીધો. એક ઠેકાણે મોટી ખોયાણ ભેખડનો આધાર લઇ રા’ છાનોમાનો ત્યાં બેસી ગયો.

રા’ જેને દુશ્મન ગણતો એને માર્યે રહેતો, જેને મિત્ર ગણતો એને માટે મરી છૂટતો. મરવું કે મારવું એ એનો જીવનમંત્ર હતો. બર્બરક ઉપર લડાઈ થઇ રહી છે એ સમાચાર જ્યારે ખર્પરકે એને આપ્યા, ત્યારે એનો વિચાર બદલાયો હતો. એને લાગ્યું કે હવે ભાગવું એ નરી કાયરતા છે. હવે તો જે થવું હોય તે ભલે થાય. ખર્પરકને એણે નાણી જોયો હતો. ખેંગારે શોધી કાઢેલું એ ખરેખરું રતન હતું. એના જેવો ચોરવિદ્યાનો ઉપાસક તો એ વખતે બીજે કોઈ ન હતો. એ પાટણમાં રહેતો અને રા’ તથા રા’ના કુટુંબની જે વાત સામાન્ય રીતે જાણીતી થવાનો સંભવ હોય તે વાત પ્રકટ કરી દેતો. એને ને રા’ને કોઈ જ સંબંધ નથી એવી હવા ફેલાવવા માટે આ કાંઈ જેવીતેવી જુક્તિ ન હતી. હજી સુધી એના વિષે કોઈને શંકા ગઈ ન હતી. એ મહા ગુપ્તચર છે એ વાત અંધારામાં હતી એટલે રા’ને ખાતરી હતી કે ખર્પરકે આપેલાં સમાચારમાં મીનમેખ નહિ હોય. એણે પોતાનો વિચાર ફેરવ્યો. હરપળે એને ચંદ્રચૂડ આવવાના ભણકારા સંભળાતા હતા. 

મધરાતે એણે માણસોની અવરજવર સાંભળી એને લાગ્યું કે ચંદ્રચૂડ આવી પહોંચ્યો છે. એ નાળામાંથી બહાર આવ્યો. એક ભેખડ ઉપર બેસીને લાંબે સુધી દ્રષ્ટિ નાખી રહ્યો. કાંઈ દેખાતું ન હતું. નિબિડ અંધકારમાં કાંઈ દેખાય તેમ ન હતું. દૂરદૂર ખેતરમાં કોઈકોઈ રખેવાળના તાપણાં સળગતાં હતાં.

મધરાત ગળતી ચાલી. હજી કોઈ ક્યાંય દેખાયું નહિ. રા’ને લાગ્યું કે આજનો મોકો તો ચાલ્યો જાય છે. દેશભરમાં ડંકો વાગત કે જે દી રા’ ભાગ્યો એ જ રાતે એણે પાટણ ભાંગ્યું! પણ હજી સુધી ચંદ્રચૂડના ક્યાંય સમાચાર ન હતા. ને ખેંગાર તો પાટણમાં જાણે કોને વશ થયો હતો. ને કોણ જાણે ક્યાં રહેતો, પણ ડોસાની પાસે ઓછું ફરકતો. રા’ બેઠોબેઠો મધરાતી અંધારામાં પોતાની જીવનસિદ્ધિનાં થોડાંક પાનાં ફેરવી રહ્યો હતો.

એણે  યુદ્ધ પાર વિનાનાં કર્યાં હતાં – બધાંય હેતુ વિનાનાં. હેતુ વિનાનાં યુદ્ધ એ એના જીવનનો એક છાનો આનંદ હતો. એણે અનેક યોદ્ધાઓને હણ્યા હતાં – સૌને વાતવાતમાં. સામે મોંએ દુશ્મનને હણવો એ એના જીવનનો બીજો આનંદ હતો. એણે અનેક કોટકાંગરાના ખંડેર સર્જ્યા હતાં. કોટકાંગરા રચવા એ નહિ, એનાં ખંડેર કરવાં એ એનો એક આનંદ હતો. એ મહાન ખંડેરોનો સર્જક હતો. એણે જેને-જેને મિત્ર ગણ્યાં એને માટે એ ખેદાનમેદાન થઇ ગયો. જેમને-જેમને દુશ્મન ગણ્યા, એમને ખેદાનમેદાન કરી નાખ્યા. પોતાની પાછળ ભવ્ય મહાલયો નહિ, મહાન ખંડેરો મૂકી જવાની રા’ને તમન્ના હતી. એ પોતાના પુત્રોને વારંવાર કહેતો: ‘પાટણના મહાલયોમાં તમને મોહ થાય છે, પણ મહાલયોને બાંધનારા માત્ર કડિયા છે. મહાલયોને હતાં-ન-હતાં કરી નાખનારા જ ભગવાન મહાકાલના ખરા ઉપાસકો છે!’ અને એના ચારે છોકરાં – રાયઘણ, શેરઘણ, દેવગણ ને ખેંગણ-ખેંગાર. ચારેચાર એનો વારસો જાળવવામાં તો એકબીજાને હંફાવે તેવા હતા. રા’ને પોતાની ફિલસૂફી હતી અને એ ફિલસૂફીના અનુયાયીઓ પણ હતાં. તેઓ વૈરને વંશપરંપરાના – એક હાથથી બીજે હાથ સોંપવામાં માનતા. બીજા રાજાઓ મરે ત્યારે જર-જવાહિર અને રાજગાદીઓનો સોંપણ થતી. રા’ મરતા ત્યારે હાથોહાથ વંશપરંપરાના વૈરની સોંપણ થતી. મૃત્યુશય્યા પાસે હિસાબ-કિતાબ ને જમેઉધાર દ્રમ્મનાં નહિ, વૈર લીધાના ને જે વૈર હજી લેવાનાં બાકી છે એના થતાં. જૂનાગઢી રા’નો ઉછેર આખો જુદી ભૂમિકા ઉપર સરજાયો હતો. અને રા’ નવઘણે એ ઉછેરને સાંગોપાંગ જાળવી રાખ્યો હતો. રા’ની તલવારના પાણી ચાખનારા પછી બીજી તલવારોને દાતરડી લેખતા. એવા જૂનાગઢી વંશવેલાને ડોસો વર્ષોથી જાળવી આવતો હતો. હવે થાક ચડ્યો હતો, પણ હજી ખેંચતો હતો હજીતો હિસાબકિતાબમાં પણ ત્રણ-ચાર વેર લેવાનાં બાકી પડ્યાં હતાં. રા’એ ઘણી વાર સુધી પોતાની આખી જીવનગાથા પહેલેથી છેલ્લી સુધી સંભારી લીધી. એને સંતોષ થતો દેખાયો. એમાં ક્યાંય પોતે રણક્ષેત્રમાં ભાગ્યાનો દાખલો ન હતો.ક્યાંય માર ખાધાનો દાખલો ન હતો. ક્યાંય કોઈને અજાણ દગો ફટકો કર્યાનો દાખલો ન હતો. હવે છેલ્લી પળો સચવાઈ જાય એટલે રા’ની રાખ ભલે મૈયા સોનરેખમાં ભળી જાય. રા’ વિચારમાં પડ્યો હતો.

એટલામાં એની પડખે જ – રારીડિયો થવા માંડ્યો. થોડી વારમાં જ અવાજ સ્પષ્ટ થયો. કોઈ બે પક્ષની વચ્ચે તુમુલ યુદ્ધ જામ્યું હોય તેમ લાગતું હતું. રા’ ઊઠ્યો. પોતાની તલવાર સાંભળી. મોટે ઘેરે અવાજે હાકલ મારી. ‘અલ્યા! કોણ ઈ લોંઠકીનો થ્યો છે?’

એના અવાજ ઉપર તરત જ ઝાડઝૂંડમાંથી વીસ-પચીસ જણા દોડી આવ્યા. રા’ને ઘેરી વળ્યાં. બે પક્ષીયુદ્ધ કૃત્રિમ હોય તેમ શમી ગયું ને આંહીં રા’ જ છે એ ખાતરી થતાં બીજા સૈનિકો પણ આવવા માંડ્યા. રા’ એ સબ દેતીકને શમશેર ખેંચી અને જુવાનની ત્વરાથી તેણે એકાએક તલવારનો ચકરાવો રચી દીધો. કોઈની દેન ન હતી કે રા’ના શમશેરી ચકરાવામાં પગ મૂકે ને જીવતો પાછો જાય!

‘જીવતા પકડવા છે, અલ્યા! ખાબકી પડો!’

‘હવે પકડ્યા જીવતાં...’ રા’ની તલવારે બે-ત્રણ જણાને આઘા ફેંકી દીધા હતા. એટલામાં જેમ ગોફણનો ઘા આવે તેમ એક જુવાનડો રા’ના પગમાં આવી પડ્યો. એના બેય પગને પકડીને મરણગાંઠ પાડીને ઊંધો જ પડી ગયો. રા’ નીચે નમી ગયો ને તલવાર હવામાં ઉછાળી.

પણ એ તલવાર કોઈકે ઊંચકી લીધી. રા’ની ડોકમાં દોરડાનો ગાળિયો પડી ગયો હતો.

ખેંચતાણ કરવા જતાં ગાળિયો ભીંસાતો હતો. રા’એ પોતાના બેય હાથે ગાળિયો પકડી રાખ્યો. એ જ વખતે એક મશાલ પ્રકટી. રા’ની નજર એક જણા ઉપર પડી.

‘અલ્યા! છોકરા! તું આવ્યો છે?’ તેણે કેશવને જોયો. ‘મેં કીધું, આમ અંધારે ઘા ભામણા વિના બીજું કોણ મારે?’

‘હા, કાકા! બીજું કોઈ આવે એમ નો’તું. શું લાવવું છે? – ઘોડો કે સાંઢણી?’

‘સાંઢણી જ લાવે ને! દીએ મફતનો તમારો કામો દેખાઈ જાશે!’

‘તમારે તો અંધારે જ રે’વું હશે નાં?’ કેશવે પણ એટલી જ મર્માળી ભાષા વાપરી: ‘ને દીએ અમારું કામ ને તમારું નામ બેય મફતનાં વાગોવાશે!”      

રા’ કાંઈ બોલ્યો નહિ. પણ કેશવને એના સ્વભાવનો પરિચય હતો. રેઢી મુકાય તો રા’ હવામાં ઊડી જાય. એ સાંઢણીની પાસે એવી જ ઝડપી બીજી બે સાંઢની ઉપર હથિયારબંધ સૈનિકો રાખ્યા. પોતે રા’ની સાથે જ રહ્યો. ઝપાઝપીનો અવશેષ પણ ન રહે એની સંભાળ એણે પહેલેથી જ લીધી હતી. રા’ની સાંઢણી ઊપડી ગયા પછી થોડી વારે ત્યાં સાત-આઠ સવારો આવી પહોંચ્યા. પાછળ આવી રહેલાં બીજા માણસોની એ પ્રથમ હરોળ હોય એમ લાગતું હતું.

‘પણ આ શું? મને મળવાનું તો આંહીં જ કહ્યું હતું! આ ભેખડ ઉપર બેસવાના હતાં. કાંઇક દગો થયો લાગે છે!’

‘વખતે હજી નાળામાં બેઠા હશે. ખર્પરક! જોઈ આવ તો!’

ખર્પરક ત્વરાથી નાળા તરફ વળ્યો. તે પાછો ફર્યો. એટલામાં એના પગમાં કાંઇક અથડાયું. એક છલાંગે એ આઘો થઇ ગયો. ‘ભોરંગ!’ તેનાથી રાડ પડી ગઈ: ‘ચંદ્રચૂડજી! આમ – આમ –’

‘ક્યાં છે?’

‘આ મારા પગમાં અથડાયો હતો.’

‘અરે! આ તમારો ભોરંગ!’ એક સૈનિકે દોરડું ઉપાડી લીધું.

ખર્પરકે એ જોયું. ‘નક્કી કંઈક દગો થયો છે. ચંદ્રચૂડજી! વખતે ચેતી જઈને બાપુ જૂનાગઢ ઊપડી ગયા હોય. પણ તમને જે માટે બાપુએ બોલાવ્યા હતા. તે વાત તો ઊડી ગઈ લાગે છે ને પાછી ઝડપી કૂચ. તો તમારા ઉપર લટકે છે. કોણ જાણે, ક્યે રસ્તે શો ભય હશે એ  હવે કહેવાય  નહિ. જે રસ્તે આવ્યા તેનાથી જુદે જ માર્ગે જવું જોઈએ. હું તો પાટણ ઉપડું... ત્યાંથી પત્તો લાગશે. તમને ગમે તેમ કરીને ખબર તો પહોંચાડી દઈશ! પળનો ભરોસો રખાય તેમ નથી. આંહીંથી તરત ખસી જવું જ જોઈએ.’ ખર્પરક એકલો પાટણ તરફ ઊપડ્યો. કેશવ તો મોંસૂઝણું થાય એ પહેલાં જ પાટણમાં પ્રવેશી ચૂક્યો હતો. રાજમહાલયના પાછળના ભાગમાં તે પહોંચી ગયો. અગાઉથી કરેલી યોજના પ્રમાણે ત્યાં તમામ તૈયારી કરી રાખી હતી. રાજમહાલયના દેખીતા જીવનમાં કાંઈ ફેરફાર થયો ન હતો. ખડી ચોકીની સંખ્યા વધી હતી ને કેશવની આવજા વધી હતી.

થોડા દિવસ તો મુંજાલને મનમાં આ તાત્કાલિક થયેલા નજીવા ફેરફારે મોટું તોફાન મચાવી દીધું. એને કેશવે વાત તો કરી હતી. કદાચ રા’ને આંહીં રાખ્યો હોય. વાયુને બાંધવાનો એ પ્રયોગ જયદેવે કસમયે કર્યો હોય – તો રા’ના સિંહ જેવા છોકરા છૂટા હતાં. એમાં ખેંગાર તો આંહીં જ હતો. બર્બરકનું ઉપર ગાજે છે. એ સમયે આ બીજાનું ઘર્ષણ એને પણ વધુપડતી સાહસિકતા જેવું લાગ્યું. એણે વિચાર કર્યો કે સાંતૂને આ ઘટના પસંદ નહિ પડે, રાજમાતાને પંસદ નહિ પડે. પોતે જો આ વાત અગાઉથી જાણી લે તો જ્યારે યુદ્ધની મંત્રણા થાય ત્યારે પોતાનો માર્ગ સ્પષ્ટ રીતે લઇ શકે. આવી રહેલી યુદ્ધની મંત્રણાસભાથી જ એણે શ્રીગણેશ માંડી દેવાં જોઈએ. બર્બરકના યુદ્ધ પછી તો એમાં કામ કરનારા આગળ આવી ગયા હશે અને એ નવાં બળ બની જશે. તે પહેલાં જ એણે પોતાનો એકડો નોંધાવી લેવાનો વિચાર કર્યો.