Graam Swaraj - 16 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | ગ્રામ સ્વરાજ - 16

Featured Books
Categories
Share

ગ્રામ સ્વરાજ - 16

૧૬

ખેતી અને પશુપાલન - ૩

સહકાર

એક મોટો પ્રશ્ન એ ઊઠયો કે ... ગોપાલન વૈયક્તિક હોય કે સામુદાયિક ? મેં અભિપ્રાય આપ્યો કે સામુદાયિક થયા વિના ગાય અને, તેથી, ભેંસ પણ - બચી શકશે જ નહીં. દરેક ખેડૂત પોતાના ઘરમાં ગાયબળદ રાખી તેનું પાલન સારી રીતે અને શાસ્ત્રીય પદ્ધતિએ કરી શકે નહીં. ઘણાં કારણોમાં વ્યક્તિગત પાલન પણ ગોવંશની ક્ષતિ થવામાં એક કારણ છે. એ ભાર વ્યક્તિગત ખેડૂતની શક્તિ ઉપરાંતનો છે.

હું તો ત્યાં સુધી કહું છું કે દરેક કાર્યમાં આજે જગત સામુદાયિક શક્તિસંગઠન તરફ જઇ રહ્યું છે. એ સંગઠનનું નામ સહકાર. ઘણી ચીજો આજે સહકારથી થાય છે. આપણા દેશમાંં સહકાર આવ્યો તો છે, પણે એવા વક્ર રૂપમાં કે એનો ખરો લાભ હિંદુસ્તાનના ગરીબોને મળ્યો જ નથી.

આપણી વસ્તી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ખેડૂતની વ્યક્તિગત જમીન ઓછી થતી જાય છે. પરિણામે દરેક ખેડૂત પાસે પૂરતી જમીન રહી નથી. જે છે તે પણ અગવડભરી છે. આવો ખેડૂત પોતાના ઘર કે ખેતરમાં પોતાનાં ગાયબળદ રાખી શકતો નથી. જો રાખે તો ઢાર તેને પોતાને જ ખાઇ જાય છે. આ જ હાલત આજે હિંદુસ્તાનની છે. ધર્મ, દયા કે નીતિની દૃષ્ટિને છોડીને વિચારનાર અર્થશાસ્ત્રી તો પોકારીને કહે છે કે હિંદુસ્તાનમાં લાખો પશુઓનું અસ્તિત્વ મનુષ્યને ખાઇ રહ્યું છે. કારણ કે તેથી લાભ થતો નથી, પણ તેને ખવડાવવું તો પડે છે તેથી એને મારી નાખવાં જોઇએ. પણ ધર્મ કહો કે દયા કહો, આવાં નકામાં ગણતાં પશુઓને મારતાં રોકે છે.

આ સ્થિતિમાં શું કરવું ઘટે ? જવાબ એ છે કે બને એટલે પ્રયત્ન પશુઓને જીવતાં રાખવાનું અને બોજારૂપ ન બનવા દેવાનું કરી શકાય એમ કરવું. એ પ્રયત્નોમાં સહકારનું સ્થાન ઘણું મહત્ત્વનું છે.

સહકાર અથવા સામુદાયિક પદ્ધતિએ પશુપાલન કરવાથી -

૧. જગ્યા બચે. ખેડૂતને પોતાના ઘરમાં પશુ રાખવાં ન પડે. આજે તો જે ઘરમાં પોતે રહે છે તેમાં જ તેનાં ઢોર પણ રહે છે. આથી હવા બગડે છે અને ગંદવાડ રહે છે. માણ પશુ સાથે એક જ ઘરમાં રહેવાને સર્જાયો નથી. એમાં નથી દયા કે નથી જ્ઞાન.

૨. પશુની સંખ્યા વધતાં એક ઘર પૂરું પડતું નથી. આથી ખેડૂત વાછડાને વેચી દે છે અને પાડાને મારી નાખે છે કે મરવા માટે છોડી દે છે. આ અધમતા છે. સહકારથી આ અટકે.

૩. પશુને રોગ થાય તો તેનો શાસ્ત્રીય ઇલાજ વ્યક્તિગત પદ્ધતિમાં થઇ જ શકતો નથી. સહકારમાં ચિકિત્સા સહેલી થાય છે.

૪. દરેક કિસાન સાંઢ રાખી ન શકે. સહકારમાં ઘણાં પશુઓ માટે સારો સાંઢ સહેલાઇથી રાખી શકાય.

૫. દરેક ખેડૂતને ગોચર જમીન તો બાજુએ રહી, વ્યાયામની (ઢોરને પગ છૂટા કરવાનીયે) જમીન રાખવી અસંભવ છે. સહકારથી સહેલાઇથી બન્ને સગવડો મળી શકે.

૬. ઘાસ વગરનું ખર્ચ વ્યક્તિગત ખેડૂતને ઘણું આવે. તેની સરખામણીમાં સહકારમાં ઓછું પડે.

૭. વ્યક્તિગત ખેડૂત પોતાનું દૂધ સહેલાઇથી વેચી શકતો નથી. સહકારમાં સારી કિંમત મળે અને દૂધમાં પાણી વગેરે નાખવાની લાલચમાંથી ઊગરે.

૮. વ્યક્તિગત ખેડૂતના ઢોરની પરીક્ષા કરવી અસંભવ છે. પણ આખા ગામનાં ઢોરોની પરીક્ષા સહેલી છે, અને તેની ઓલાદ સુધારવાનો ઉપાય સહેલો થાય.

સામુદાયિક અથવા સહકારી પદ્ધતિના પક્ષમાં આટલાં કારણો પૂરતાં લાગવાં જોઇએ. પણ સૌથી મોટી અને સચોટ દલીલ તો એ છે કે વ્યક્તિગત પદ્ધતિને પરિણામે આપણી તેમ જ પશુઓની દસા દયાજનક થઇ છે. તેને ફેરવીએ તો જ આપણે બચી શકીએ અને પશુનેય બચાવી શકીએ.

મારી તો ખાતરી છે કે જો જમીનનેયે આપણે સામુદાયિક પદ્ધતિથી ખેડીએ તો જ તેમાંથી આપણે પૂરો લાભ ઉઠાવી શકીએ. એક ગામની જમીન સો ટુકડાઓમાં વહેંચાઇ જાય તેના કરતાં શું એ વધારે સારું નથી કે સો ખેડૂતો ગામની બધી જમીન સહકારથી ખેડે અને આવક વહેંચી લે ? જે ખેતીને તે જ પશુનેય લાગુ પડે છે.

એ બીજી વસ્તુ છેે કે સહકારી પદ્ધતિ પર લોકોને લાવવામાં મુશ્કેલીઓ છે. સાચી ચીજો કરવામાં મુશ્કેલીઓ હોય છે જ. ગોસેવાનાં સર્વે કામોમાં મુશ્કેલીઓ છે. મુશ્કેલીઓ દૂર કરવામાં જ સેવાનો માર્ગ સાફ થઇ શકે છે. અહીં તો એટલું જ બતાવવું હતું કે સામુદાયિક પદ્ધતિ શી ચીજ છે, અને તે વૈયક્તિક પદ્ધતિથી શી રીતે વધારે સારી છે. એટલું જ નહીં, બલકે વૈયક્તિક ભૂલભરેલી છે અને સામુદાયિક સાચી છે. વ્યક્તિ પોતાની સ્વતંત્રતાની રક્ષા પણ સહકારનો સ્વીકાર કરીને જ કરી શકે છે. અહીં સામુદાયિક પદ્ધતિ અહિંસા છે, વૈયક્તિક હિંસા છે.૧

‘પોતાની બધી જમીન એકઠી કરીને પોતપોતાનાં ખેતરોના ક્ષેત્રફળના પ્રમાણમાં નીપજ વહેંચી લેવી ?’

સહકારી પદ્ધતિનો મારો ખ્યાલ એવો છે કે જમીનના માલિકો બધી જમીનની સહિયારી માલિકી ધરાવશે અને તેમાં ખેતી પણ સહકારને ધોરણે જ કરશે. એથી મજૂરી, મૂડી અને ઓજારો તેમ જ હથિયારો વગેરેને અંગે મોટી કરકસર થઇ શકશે. જમીનના માલિકો સહકારને ધોરણે ખેતી કરી મૂડી, ઓજારો, જનાવરો, બિયાવું વગેરે પણ સહકારને ધોરણે સહિયારું રાખશે.

મારા ખ્યાલ મુજબની સહકારી ખેતી આ ભૂમિની સૂરત બદલી નાખશે અને આપણી વચ્ચેથી ગરીબી ને આળસ અથવા જડતાને હાંકી કાઢશે, પણ લોકો પરસ્પર મૈત્રી ન કરે અને એક કુટુંબનાં અંગો જેવા ન બને તો આ બધું શી રીતે થાય ? એ સારો દિવસ ઊગશે ત્યારે કોમી સવાલનું ભૂંડું ચાંદુ આપણા દેશના શરીર પર નહીં હોય.૨

ખેડૂતોને માટે સહકારી પદ્ધતિની ગણી વધારે જરૂર છે. હું ચોક્કસ માનું છું કે જમીનની માલકી રાજ્યની હોય. એટલે તેના પર સહકારી પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો જ વધારે નીપજ થાય.

વળી એ પણ યાદ રાખવું જોઇએ કે સહકારી પદ્ધતિ ચુસ્ત અહિંસાના પાયા પર જ રચવી જોઇએ. હિંસાથી ભરેલી સહકારી પદ્ધતિ કદી સફળ નહીં થાય. એવી પદ્ધતિ અજમાવનારાઓમાં હિટલરનો દાખલો બહુ યાદ રાખવા જેવો છે. તે સહકારી પદ્ધતિની નાહક વાતો કરતો હતો પણ તેણે તે પદ્ધતિ લોકો પર જબરજસ્તીથી લાદી. એને પરિણામે જર્મની ક્યે રસ્તે ચડી ગયું ને તેની કેવી અવદશા થઇ તે સૌને જાહેર છે.

આ સવાલને અંગે છેવટમાં મારે એટલું જ કહેવાનું છે કે હિંદુસ્તાન સહકારના પાયા પરની નવી સમાજરચનાના કાર્યમાં હિંસાનો ઇલાજ લેશે તો મોટા દુઃખની વાત થશે. સારા કામને માટેયે જબરજસ્તી કરવાથી માણસનું વ્યક્તિત્વ નાશ પામે છે. અહિંસક અસહકારની એટલે કેપ્રેમની સજાવટની પદ્ધતિથી સામાજિક ને એવા બીજા ફેરફારો થાય છે ત્યારે વ્યક્તિના વ્યક્તિત્વનો પાયો સચવાઇ રહે છે અને દુનિયાને સાચી તેમ જ કાયમની પ્રગતિની ખાતરી આપી શકાય છે.૩