Axaytrutiya Ane Parshuram Jayanti in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતી

Featured Books
  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

  • નિતુ - પ્રકરણ 31

    નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી...

Categories
Share

અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતી

અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતી

ભૃગુ શ્રેષ્ઠ ભગવાન પરશુરામ જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર રુપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. તેઓ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે અને હૈહવકુળનો નાશ કરનાર છે. તેમણે પૃથ્વીને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી.પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામા આવે છે. કહેવાય છે કે પરશુરામ અમર છે.

હૈહવકુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે રાજા હતો તેણે ગુરુ દત્તાત્રેયની સેવા કરી તેમની પાસેથી હજાર બાહુઓ અને કોઈનાથી નાશ ન થઈ શકનાર તેવી આઠ સિદ્ધિઓ મેળવી. એક વખત ઘોર જંગલમાં મૃગયા માટે નીકળેલા ત્યારે તે જમદગ્નિના આશ્રમ જઈ ચડયા. તેણે ઋષિની કામધેનુ ગાયને હરી લેવા સૈનિકોને આજ્ઞા કરી, એટલે બરાડા પાડતી કામધેનુ તેના વાછરડા સાથે બળજબરીથી માહિષ્મતી નગરી તરફ લઈ ચાલ્યો. એટલામાં પરશુરામ આશ્રમમાં આવ્યા ને સહસ્ત્રાર્જુનની દુષ્ટતા સાંભળી તરત જ ભયંકર ફરશી, ભાલો, ઢાલ તથા ધનુષ્ય લઈ સહસ્ત્રાર્જુનની પાછળ દોડયા. પરશુરામે તેમની કઠોર ધારવાળી ફરશીથી સહસ્ત્રાર્જુનની ભુજાઓ કાપી નાખી અને કપાયેલા બાહુઓવાળા તેના મસ્તકને પણ ઉડાડી દીધું.સહસ્ત્રાર્જુન મરાયો તેથી તેના દસ હજાર પુત્રો ભયથી નાસી ગયા. પછી પરશુરામે દુ:ખી થયેલી કામધેનુને આશ્રમમાં લાવી પિતાને સોંપી. જો કે ઋષિ જમદગ્નિ આ સંહારથી દુ:ખી થયા અને કહ્યું કે પરશુરામ જેના પર રાજયાભિષેક થયો હોય તેનો વધ બ્રહ્મહત્યા કરતાં પણ વધારે છે. પરશુરામને તેઓએ ભગવાનમાં મન લગાવી તીર્થસેવન કરવાની શિખામણ આપી. પછી એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમે પાછા ફર્યા. સહસ્ત્રાર્જુનના પુત્રો વેર વાળવા જમદગ્નિના આશ્રમે આવ્યા અને તેમનું મસ્તક કાપીને લઈ ગયા.

માતાને કલ્પાંત કરતાં જોઈ પરશુરામે ફરીથી ફરશી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી તેના દસ હજાર પુત્રોના મસ્તકોને કાપી નાખ્યાં. પરશુરામે જોયું કે પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી બન્યા છે તેથી પિતાના વધને નિમિત્ત બનાવી તેમણે એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિયરહિત કરી. માતા રેણુકાએ પતિના મરણ સમયે દુ:ખમાં એકવીસ વાર છાતી કૂટી હતી તેથી પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી હતી.પરશુરામ ભગવાને શિવજીનું તપ કર્યું અને વરદાનમાં શિવજીએ પરશુ (કુહાડી) આપી હતી. ત્યારથી તેમનું નામ પરશુરામ પડ્યું હતું.

પરશુરામની એક કથા આવી પણ છે:જમદગ્નિનાં પુત્ર હોવાથી જામદગ્નેય પણ કહેવાય છે. તેમનાં દાદા પ્રસિધ્ધ ઋષિ ભૃગુનાં પુત્ર એવા મહાન ઋષિ રુચિકા હતા. એ સમયે માત્ર બે જ વંશ અસ્તિત્વમાં હતાં, સૂર્યવંશ અને ચંદ્રવંશ. ચંદ્રવંશમાં એક ગધી નામે રાજા હતો, જેની સત્યવતી નામે પુત્રી હતી. અત્યંત સુંદર. ઋષિ રુચિકાને એ પસંદ આવી ગઈ. તેમણે રાજા પાસે એનો હાથ માંગ્યો. રાજાને આ વાત પસંદ ન પડી. પણ એક ઋષિને તેઓ નારાજ કરવા માંગતા ન હતા. આથી ના પાડવાને બદલે તેમણે એક મુશ્કેલ શરત રુચિકા સામે મુકી. રાજાએ કહ્યું, “મને તમારી સાથે મારી પુત્રીના લગ્ન કરાવવામાં વાંધો નથી, પરંતુ મારી એક શરત પૂરી કરો. મને કન્યાવિદાય પહેલાં કાળા કાનવાળા એક હજાર ઘોડા ભેટમાં આપો.ઋષિ આ સાંભળી નિરાશ થઈ ગયા, તો પણ શરત તો સ્વીકારી જ લીધી.

તેઓ નગરની બહાર જઈ વરુણ દેવની કઠોર તપસ્યા કરવા લાગ્યા. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ તેને વરદાન માગવા કહ્યું. ઋષિએ કાળા કાનવાળા એક હજાર ઘોડા માંગ્યા. વરુણદેવે આપી દીધાં. રુચિકા આ ઘોડાઓ લઈને ગધી રાજાને આપી દીધાં. હવે રાજા પાસે કોઈ વિકલ્પ બાકી ન રહેતાં પોતાની પુત્રી રુચિકા સાથે વિદાય કરી. સત્યવતી ઋષિ સાથે કુટિરમાં રહેવા લાગી. પરંતુ એનાં પિતાનું એ એકમાત્ર સંતાન હોવાથી એને પિતાની ચિંતા સતાવતી હતી. આ વાત તેણે એનાં પતિને કહી. આથી ઋષિ રુચિકાએ પોતાની ધ્યાનશક્તિથી બે ઔષધિઓ બનાવી. આ સત્યવતીને આપતાં કહ્યું કે, “એક ઔષધિ ખાવાથી વીર યોદ્ધાનો જન્મ થશે અને બીજીથી મહાન ઋષિનો જન્મ થશે. આથી યોદ્ધાવાળી ઔષધિ માતાને આપવી અને ઋષિવાળી તમે પોતે લઈ લેજો.

સત્યવતીએ બંને ઔષધિઓ પોતાની માતાને આપી તેની વિશેષતાઓ જણાવી. પરંતુ તેની માતાને રુચિકા પર વિશ્વાસ ન હોવાથી તેમણે ઔષધિઓ બદલી નાખી. સત્યવતી આ વાતથી અજાણ હતી. સત્યવતીએ યોદ્ધાવાળી ઔષધિ પીધી અને એની માતાએ ઋષિવાળી. એની માતાને કૌશિકા નામે પુત્ર થયો, જે હિંદુ ધર્મમાં કૌશિકા ખૂબ જ જાણીતા ઋષિ છે, જે પોતાની કઠોર તપસ્યાનાં જોરે બ્રહ્મઋષિ વિશ્વામિત્ર બન્યા.બીજી તરફ સત્યવતી ગર્ભવતી થઈ. પરંતુ ગર્ભની અંદરનું તેજ જોઈ ઋષિ રુચિકા આશ્ચર્યમાં મૂકાઈ ગયા. કારણ કે આ તેજ કોઈ ઋષિ નહીં પરંતુ એક યોદ્ધાનું હતું. તપાસ કરતાં ખબર પડી કે સત્યવતીની માતાને કારણે આ બધુ થયું. સત્યવતીએ પતિને આ ગર્ભ બદલવાની વિનંતી કરી. એને યોદ્ધા નહીં પરંતુ ઋષિ પુત્ર જોઈતો હતો. રુચિકાએ કહ્યું કે તે આવું તો ન કરી શકે પણ આ ગર્ભની તમામ શક્તિઓ એની આવનારી પેઢીને આપી શકે છે. એટલે કે રુચિકાનાં પૌત્રમાં યોદ્ધાનાં ગુણો આવશે. સત્યવતી તૈયાર થઈ ગઈ. રુચિકાએ પોતાની પત્નીને એક ફ્ળ ખાવા આપ્યું કે જેથી આ ગર્ભની શક્તિઓ નષ્ટ થઈ જાય અને આવનારી પેઢી સુધી પહોચી જાય. સમય જતાં તેમને એક પુત્ર થયો, જેનું નામ એમણે જમદગ્નિ રાખ્યું. એઓ એક મહાન ઋષિ હતાં. પરંતુ રુચિકાનાં કથન અનુસાર તેમનાં પુત્રમાં યોદ્ધાનાં ગુણો આવવાનાં હતાં. જમદગ્નિ અને તેમની પત્ની રેણુકાને પાંચ પુત્રો થયા વાસુ, વિસ્વાસુ, બૃહધાનું, બૃતવાંકવા અને પાંચમાં અને સૌથી નાના પરશુરામ.

પોતાનાં પિતા પાસે તાલીમ લઈ તેઓ એક શ્રેષ્ઠ યોદ્ધા બન્યા. ગંદમદન પર્વત પર જઈ શિવજીની કઠોર આરાધના કરી. શિવજીએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું ત્યારે તેમણે શસ્ત્રો માંગ્યા. પરંતુ શિવજીએ તેમને આ માટેની યોગ્યતા સાબિત કરવા કહ્યું. કેટલાય વર્ષોની કઠોર તપસ્યા પછી શિવજી ફરીથી પ્રગટ થયા અને દૈત્યો તેમજ દાનવોનો નાશ કરવા કહ્યું. પરશુરામે આ કરી બતાવ્યું. આથી શિવજીના વરદાનનાં એ અધિકારી બન્યાં. તેમણે એમની પાસેથી તમામ અસ્રો મેળવી લીધાં.

એક વાર તેમની માતા રેણુકા રાજા ચિત્રરથ પર મોહિત થઈ,જેની જાણ ઋષિ જમદગ્નિને પોતાની દિવ્યશક્તિથી થઈ. આથી ક્રોધમાં આવી તેમણે પોતાનાં ચારેય મોટા પુત્રોને વારાફરતી બોલાવી તેમની માતાનો વધ કરવા કહ્યું, પરંતુ કોઈ તૈયાર ન થયો. આથી તેમણે શાપ આપી ચારેયને જડબુદ્ધ કરી નાંખ્યાં. પરશુરામે તરત જ પિતાની આજ્ઞાનું પાલન કર્યું. આથી ખુશ થઈ જમદગ્નિએ વરદાન માંગવા કહ્યું. પરશુરામે પોતાની માતાને ફરીથી જીવિત કરવાનું અને ચારેય ભાઈઓને માફ કરી દેવાનું કહ્યું. આથી તેનાં પિતાએ ખુશ થઈ એવું કર્યું અને પરશુરામને અમર થવાનું વરદાન આપ્યું.

અખાત્રીજના દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવે છે. અખાત્રીજને વિવિધ સ્વરૂપોમાં ઉજવવામાં આવે છે.આ તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે દાન ઉપરાંત સોનું ખરીદવાનું પણ મહત્વ છે. આ દિવસે લગ્ન વગેરે જેવા માંગલિક કાર્યો મુહૂર્ત વિના કરવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજના દિવસે ભગવાન વિષ્ણુએ પોતાનો છઠ્ઠો અવતાર લીધો હતો.તે તેમનો આવેશાવતાર ભગવાન પરશુરામના હતા. આ કારણોસર અખાત્રીજના દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવે છે.

ભગવાન વિષ્ણુના છટ્ઠા અવતાર એવા પરશુરામના જીવનમાંથી શીખ મેળવીએ અને અક્ષય તૃતીયાનું મહત્વ સમજી,માનવતાના કાર્યો / શુભ મંગલ કાર્યો દ્વારા માનવ તરીકેનું જીવન દીપાવીએ.