Fly back to your loved ones in Gujarati Motivational Stories by Dr. Bhairavsinh Raol books and stories PDF | Fly back to your loved ones

Featured Books
Categories
Share

Fly back to your loved ones



આજે સતત ત્રીજા દિવસે એવા દર્દીને મળવાનું થયું જેમના સંતાનો તેમનાથી દૂર કોઈ અન્ય શહેર કે વિદેશમાં વસતા હોય. વિદેશમાંથી તો એમ દોડીને આવવું શક્ય નથી પણ ગંભીર માંદગી કે ઓપરેશનની જરૂરીયાત હોય ત્યારે દુરાગ્રહ રાખ્યા વગર હું હંમેશા ફ્રેન્ડલી અને non-assertive ટોનમાં કહેતો હોઉં છું, ‘એમને બોલાવી લો ને !’ તો વળી ક્યારેક જરૂર ન હોવા છતાં અને મારી ‘ના’ હોવા છતાં સંતાનો રાતોરાત સુરત કે મુંબઈથી નીકળી જાય છે. એ એમની ચિંતા હોય કે નિસબત, કાળજી હોય કે ફરજ, કંઈક તો એવું બળ હોય છે જે તેમને બીજા બધાં જ કામ પડતા મૂકીને તાત્કાલિક દોડી આવવા માટે મજબુર કરે છે. પેલું કહેવાય છે ને ‘blood is always thicker than water’.

સાચું કહું તો હું એમને આવતા અટકાવતો પણ નથી. દર્દીઓ ભલે ના પાડતા હોય, સંતાનોના આવી ગયા પછી તેમને રાહત લાગે છે. સારું ફીલ થાય છે.

પણ...ક્યારેક તેઓ નથી આવી શક્તા. દીકરા કે દીકરીના સંતાનોની પરીક્ષા ચાલતી હોય, ઓફિસમાંથી રજા ન મળે, છેલ્લી ઘડીએ રિઝર્વેશન કે ટીકીટ ન મળે, ફ્લાઈટના ભાવ વધારે હોય અને આવા તો કેટલાય જીન્યુઈન કારણોસર સંતાનો નથી આવી શક્તા. એવા સંજોગોમાં જો ઈલેક્ટીવ સર્જરી હોય તો હું કહું કે ‘તેઓ આવી શકે ત્યારે કરીએ’ અથવા ‘તમે ત્યાં જઈને કરાવજો.’ જો ઈમરજન્સીમાં એડમીશન કે સર્જરી કરવી પડી હોય તો રિકવરી આવ્યા પછી અને મુસાફરી થઈ શકે એટલે તરત જ હું એમને એકવાર પ્રિયજનોને મળી લેવાનું કહેતો હોઉં છું.

The reason is very simple. We can always heal better and faster in the presence of our loved ones. જે રાહત અને રુઝ પ્રિયજનોની હાજરી અને હૂંફથી આવે છે એ શ્રેષ્ઠ હોય છે. દવાઓ તો એમનું કામ કરતી જ હોય છે, પણ દવાઓની એક મર્યાદા હોય છે. દવાઓ દર્દીનું માઈન્ડસેટ નથી બદલી શક્તી. એ કામ તો ફક્ત સ્વજન જ કરી શકે છે.

‘હું સાજો થઈ જઈશ’ કે ‘હું સાજી થઈ રહી છું’ જેવી માન્યતાઓ દર્દીમાં Imbibe કરવાનું કામ સૌથી કપરું હોય છે. લાખ પ્રયત્નો છતાં પણ અમે ડૉક્ટર્સ ક્યારેક એ કામ નથી કરી શક્તા. દર્દીની બિલીફ સિસ્ટમને ચેન્જ કરવાનું કામ કોઈ સહ્રદયી મિત્ર કે સ્વજન જ કરી શકે છે.

સ્વજનોની હાજરીમાં પીડા વહેંચાઈ જાય છે. દુઃખ ડાઈલ્યુટ થઈ જાય છે. બીમારી કે રોગની ગંભીરતા એટલી જ હોવા છતાંય એની તીવ્રતા ઘટી જાય છે. અને એનો સૌથી વધારે લાભ દર્દીને થાય છે.

દુર્ભાગ્યવશ સંતાનો સાથે અબોલા કે અણબનાવ હોય તો અલગ વાત છે પણ હકીકત એ છે કે પ્રિયજનોની હાજરીમાં પીડા જલ્દીથી ગાયબ થાય છે. હું તો કહું છું એમના આવવાની કે એમને રજા મળવાની રાહ ન જુઓ. If you are not well, Fly back to your loved ones. એ વાત યાદ રાખજો કે ઈમરજન્સીમાં સારવાર મળે છે, સંબંધ નહીં.

સમૂહમાં ઉડતા પક્ષીઓની એક અફલાતુન વાત કહું ? ‘V’ આકારમાં ઉડતા પંખીઓમાંથી જો કોઈ એક પંખી માંદુ પડે, ઘાયલ કે ઈજાગ્રસ્ત થાય તો એની સારસંભાળ અને કાળજી લેવા માટે બીજા બે તંદુરસ્ત પંખીઓ આપોઆપ એ ‘ફોર્મેશન’ કે સમૂહમાંથી નીકળી જતાં હોય છે અને પેલા બીમાર પંખીની સાથે રહેતા હોય છે. આ સુંદર ઘટના ખાસ કરીને હંસમાં જોવા મળે છે. પ્રિયજનની માંદગી વખતે તેઓ ઉડવાનું મોકૂફ રાખે છે.

તેઓ પ્રિયજન સાથે રહેવા માટે સ્થાયી થઈ જાય છે. અને આપણે... ઉડીને ત્યાં જતાં રહેવાનું છે જ્યાં પ્રિયજનો સ્થાયી થયેલા હોય છે. આ આખી વાતનો સાર તો એટલો જ રહેશે કે શક્ય હોય તો અને ત્યારે...Fly back to your loved ones.

લેખક-ડૉ. નિમિત્ત ઓઝા