Why are crows black? in Gujarati Children Stories by Bhavna Chauhan books and stories PDF | કાગડા કાળાં કેમ હોય છે?

Featured Books
Categories
Share

કાગડા કાળાં કેમ હોય છે?

આજે તો લઈ આવી છે મીરાં.. વહાલાં બાળકો માટે એક સરસ મજાની સુંદર વાર્તા.

"તમને ખબર છે બાળકો કે કાગડા કાળાં કેમ હોય છે?"

"નથી ખબરને?"

ચાલો હું તમને કહું.પહેલાનાં સમયમાં બધાં જ પક્ષીઓ સફેદ રંગનાં હતાં.આથી શિકારીઓને તે તરત જ નજરમાં આવી જતાં હતાં.બિચારા નિર્દોષ પક્ષીઓ રોજ શિકાર બની જતાં.

એક વાર બધાં પક્ષીઓ ભેગાં થયાં અને વિચાર્યું કે,

"શું કરીએ તો આ શિકારીથી બચી શકાય?"
પછી નક્કી થયું કે બધાં ભગવાન પાસે જાય અને એમને આ સમસ્યા વિશે વાત કરે.

બધાં પક્ષીઓ ભેગાં મળીને ભગવાન પાસે ગયાં.અને ભગવાનને વાત કરી કે,
"હે ભગવાન!અમારી રક્ષા કરો.અમારો શિકાર શિકારી રોજ કરી જાય છે.અમારો રંગ સફેદ હોવાથી અમે સરળતાથી એની નજરમાં આવી જઈએ છીએ."
પક્ષીઓની વાત સાંભળી ભગવાન બોલ્યાં,

"તમે ચિંતા નાં કરો મારાં વહાલાં પારેવડાંઓ ! હું જરૂર તમારાં માટે કંઈક વિચારીશ.તમે અઠવાડિયા પછી મને મળો."

બધાં પક્ષીઓને હવે "હાશ"થઇ.બધાં અઠવાડિયું ક્યારે પૂરું થાય એની રાહ જોવાં લાગ્યાં.અઠવાડિયું પૂરું થયું એટલે બધાં પક્ષીઓ ભગવાન પાસે ગયાં. સૌ પ્રથમ પોપટ અને ચકલી ભગવાન પાસે ગયાં.
પોપટ ભગવાન પાસે જઈને બોલ્યો,

"ભગવાન તમે મને ઝાડનાં પાન જેવો રંગ આપો અને મને મરચું બહું ભાવે છે તો મારી ચાંચ લાલ બનાવો."

ભગવાન બોલ્યાં,

"સારું!જેવી તારી મરજી."

ભગવાને પોપટને લાલ ચાંચ અને લીલો કલર આપ્યો.પછી ચકલી આવી.અને ભગવાન પાસે જઈને બોલી,

"ભગવાન! મારે તો ધરતી પર દાણાં ચણવાનાં એટલે મને ધરતી જેવો રંગ આપો."
ભગવાને તેની ઈચ્છા પણ પૂરી કરી.પછી મોર આવ્યો.ભગવાન તો ઘણાં બધાં રંગ લઈને બેઠાં હતાં.મોરને તો બધાં જ રંગ ગમી ગયાં.એટલે એણે ભગવાનને કહ્યું,
"ભગવાન મને તો બધાં જ રંગ ગમે છે.તમે મને બધાં રંગ થોડાં થોડાં આપો."

ભગવાને એની ઈચ્છા પણ પૂરી કરી.ત્યાર બાદ બધાં પક્ષીઓને ભગવાને રંગ આપ્યો.ફકત કાગડો,ઘુવડ,બતક,બગલા અને હંસ રહી ગયાં.

બધાં પક્ષીઓએ એમને કહ્યું કે,"
તમે પણ ભગવાન પાસે જાઓ.હવે થોડાં જ રંગ રહ્યા છે.કાગડો અને ઘુવડ તરત જ ભગવાન પાસે ગયાં.જોયું તો બધાં જ રંગ વપરાય ગયાં હતાં.બધાં રંગ બસ થોડાં થોડાં બાકી રહ્યાં હતાં. કાગડો બોલ્યો,

"ભગવાન! તમે એમ કરો બધાં રંગ ભેગાં કરો ને જે રંગ બને તે અમને આપો.ભગવાન જાણતાં હતાં કે રંગ કાળો બનશે પણ તેઓ કંઈ બોલ્યાં નહીં."

ભગવાને તો રંગ બધાં ભેગાં કર્યાં તો રંગ બન્યો કાળો.કાગડા અને ઘુવડને કાળો રંગ મળ્યો.ઊડતાં ઊડતાં બંને નદી કિનારે ગયાં.બંનેને જોઈ બગલો અને બતક હસવા લાગ્યાં.કાગડે પૂછ્યું કે,"

"શું વાત છે કેમ હસો છો બંને?"

બતકે કહ્યું કે,

" તમારો આ કાળો રંગ જોઈને અમે હસીએ છીએ."

કાગડે કહ્યું કે,

"અમારી પાસે કાળો તો કાળો પણ રંગ તો છે ને?તમારી પાસે તો કોઈ રંગ જ નથી!"

તો દોસ્તો શું શીખ્યાં તમે આ વાર્તા પરથી?
ચાલો, હું જ કહીં દઉં !

"જે સમયે જે કામ કરવાનું હોય ત્યારે તે કરી લેવું જોઈએ નહિં તો કાગડાની જેમ કામ પૂરું ના થાય અથવા બગલાની જેમ કામ જ ના થાય."

તો હવે તમને સમજાયું ને બાળકો કે કોઈ પણ કામ કરવાનું હોય તો તેને સમયસર પૂર્ણ કરવું જોઈએ.સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ કામ કરીએ તો વિચારીને કરીએ...તો હવે આવજો....પછી મળીશું એક નવી વાર્તા સાથે.... બહું જલ્દી...

જય શ્રી કૃષ્ણ..઼઼઼઼઼઼઼઼હર હર મહાદેવ 🙏 આવજો...

બાળ ગોપાલ....જય ગોપાલ...


ચૌહાણ ભાવના"મીરાં"