Atitrag - 20 in Gujarati Film Reviews by Vijay Raval books and stories PDF | અતીતરાગ - 20

Featured Books
Categories
Share

અતીતરાગ - 20

અતીતરાગ-૨૦

એકવાર જયા બચ્ચને રેખાને સરેઆમ જોરદાર તમાચો ચોડી દીધો હતો.

કારણ...?

કારણ આપ સૌ સારી રીતે જાણો જ છો.

અમિતાભ અને રેખા બન્નેનું એક હદથી વધુ કરીબ આવવું.

એક સમયે એ સીમા પારની પરિસ્થિતિમાં જયા બચ્ચન તેમના પરનો અંકુશ ગુમાવી બેઠા અને રેખાને તેના ગુસ્સાનો ભોગ બનતા થપ્પડ ખાવી પડી.

ક્યાં ? કયારે ? કઈ પરીસ્થિતમાં ? અને કેવી રીતે ? આ ઘટના ઘટી તેના વિષે
વાત કરીશું આજની કડીમાં.

અમિતાભ અને રેખાના અફેરના ઘણાં વર્ષો પહેલાંથી રેખા અને જયાજી એકબીજાને ઓળખતા હતાં. જે સમયે જયા બચ્ચન નહીં પણ જયા ભાદુરી હતાં.

એ સમયે અમિતાભનું અફેર ચાલી રહ્યું હતું જયા ભાદુરી જોડે.
જી, હાં આ એ સમયના કિસ્સાની કહાની છે.

આ વાત જયા અને અમિતાભના લગ્ન પહેલાની છે.

એ સમયે જયા ભાદુરી મુંબઈના જૂહુ વિસ્તારના એ એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતાં હતાં જે એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં રેખા પણ રહેતાં હતાં.

આ વાત છે વર્ષ ૧૯૭૦નાના પ્રારંભિક દિવસોની છે.
જે સમયે રેખાજી ટોપની હિરોઈન એસ્ટાબ્લીસ્ટ ન્હાતા થયાં.
અને જયા ભાદુરીએ તેમના અભિનય દ્વારા તેમની ઓળખ ઉભી કરી લીધી હતી.
રેખા, જયા ભાદુરીને ‘દીદીભાઈ’ કહીને સંબોધતા હતાં.
જયા ભાદુરી બંગાળી છે, અને બંગાળીમાં મોટી બહેનને ‘’દીદીભાઈ’ તરીકે સંબોધવામાં આવે છે.
અમિતાભ અને જયાના અફેર દરમિયાન અમિતાબ ઘણી વાર જયાજી મળવા તેમના ફ્લેટ પર આવતાં અને તે સમય દરમિયાન રેખા જોડે પણ અમિતાભની મુલાકાત થતી.

અમિતાબ જયા અને રેખા ત્રણેય પરસ્પર એકબીજાના પરિચયમાં એ સમયથી હતાં જે સમયે કોઈ સ્ટાર યા નામી કલાકાર નહતું બન્યું.

આ મિત્રતાનો સંબંધ અફેરમાં ત્યારે તબદીલ થયો, જયારે અમિતાભ અને રેખાની એક ફિલ્મ વર્ષ ૧૯૭૬માં રીલીઝ થઇ..

એ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ અને રેખા ફિલ્મના પુરા યુનિટ સાથે એક મહિના માટે કોલકતાની ગ્રાન્ડ હોટલમાં રોકાયા હતાં.
આ સમયગાળામાં બન્ને એકબીજાના નજદીક આવ્યાં.
એ ફિલ્મનું નામ હતું ‘દો અનજાને’.
એ ફિલ્મ પછી બન્ને એકબીજા માટે અજનબી ન રહ્યાં.

બોલીવૂડમાં આવ્યાં પહેલા અમિતાભ કોલકતામાં જોબ કરતાં હતાં તેથી તેઓ કોલકતા શહેરના ભૂગોળના ગણિતથી સારી રીતે વાકેફ હતાં.

ફિલ્મ શૂટિંગ પછીના ફાજલ સમયમાં બન્ને કોલકતામાં ઘણું હર્યા, ફર્યા અને પછી એવાં ભળ્યાં કે, ભાન ભૂલી ગયાં.

ફિલ્મ ‘દો અનજાને’ બાદ રેખા, અમિતાભ જોડીની કેમિસ્ટ્રી દર્શકોને એવી પસંદ પડી કે, તે પછી ‘ખૂન પસીના’, ‘ગંગા કી સૌગંધ’, આલાપ, ‘મિ. નટવરલાલ’, ‘મુકદ્દર કા સિકંદર’ જેવી કંઇક સુપરહિટ ફિલ્મોમાં બન્ને એકસાથે પડદા પર આવ્યાં.

ધીમે ધીમે બંધ બારણે ચાલતાં અફેરના ધુમાડાએ આગનું સ્વરૂપ ધારણ કર્યું.
અમિતાભ અને રેખાના અનૈતિક સંબંધની ચર્ચા બોલીવૂડમાં ટોક ઓફ ધ ટોપનો વિષય બની ગઈ.

એક હદ સુધી જયા બચ્ચને આંખ આડા કાન કરી, આગ વગરના ધુમાડાની હવાને નાહકની હવા આપવાનું ટાળ્યું.

એક સમયે તેમના સંયમની સીમા તૂટતાં, તેમણે આ ઓન સ્ક્રીન જોડીને તોડવાના સમજણ ભર્યા પ્રયત્નો શરુ કર્યા.

વર્ષ ૧૯૮૦માં અમિતાભ અને રેખાને એક ફિલ્મ માટે સાઈન કરવામાં આવ્યાં છે. એ વાતની જાણ જયા બચ્ચનને થઇ. એ ફિલ્મના નિર્માતા હતાં ‘ટીટો’. જે “દો અનજાને’ના પણ નિર્માતા હતાં. જે ફિલ્મ આ અફેરનું એ.પી. સેન્ટર હતું.

‘ટીટો’ની આ નવી ફિલ્મના ડાયરેકટ તરીકે નામ આવ્યું ‘વિજય આનંદ’નું.
અમિતાભ અને રેખા સિવાય આ ફિલ્મમાં બીજી પણ એક જોડી હતી.
ધર્મેન્દ્ર અને જીન્નત અમાન.

ફિલ્મ રીલીઝ થઇ ૧૯૮૦માં. ફિલ્મનું નામ હતું ‘રામ બલરામ’.

અમિતાભ અને રેખાને ઓન સ્ક્રીનની આડ તળે ફરી મળવાની તક ન મળે એટલા માટે જયા બચ્ચને નિર્માતા ટીટોને આગ્રહ કર્યો કે, તમે આ ફિલ્મમાંથી રેખાને રુખસત આપી દો.
કાફી લંબાણપૂર્વકની વાટાઘાટ પછી ટીટોએ જયાજીને એવી ખાતરી આપી કે હું મારાથી બનતાં તમામ પ્રયત્નો કરીશ.

ટીટોએ ધર્મસંકટ અને માનસિક તનાવમાંથી મુક્તિ મેળવવા માટે એવો નિર્ણય કર્યો કે તેઓ રેખાને રિપ્લેસ કરશે.

આ વાતની જાણ જયારે રેખાને થઇ ત્યારે તે દુઃખી થઇ ગયાં, તેમને ફિલ્મ હાથમાંથી જતી રહેવાનો રંજ નહતો પણ, અમિતાભ સાથે ફરી એકવાર ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરવાનો મોકો હાથમાંથી જતાં રહેવાની ભીતિ હતી.

હવે રેખાએ એવો દાવ ખેલ્યો કે, જયાજીના પાસા અને મનસુબા ઊંધાં પડી ગયાં.

રેખાની ગણતરી એ સમયમાં ટોપની હિરોઈનોમાં થતી હતી અને કોઇપણ ફિલ્મમાં રેખા અને અમિતાભની જોડી હોય તો ફિલ્મની પચાસ પ્રતિશત્ત સફળતાની ખાતરી તો નિર્માતાને થઇ જ જતી. પૈસાની ભાષાથી નિર્માતા સારી રીતે વાકેફ હોય છે.
એટલે રેખાજીએ તેની ચતુર ચાલના પાંસા ફેંકતા નિર્માતા ટીટોને એવું કહ્યું કે તેઓ તેમની ફિલ્મમાં મફત... કોઈપણ કિંમત લીધા વિના કામ કરવાં રાજી છે.

બમ્બર લોટરીનું ઇનામ લાગ્યાં જેવી વાત સાંભળતા નિર્માતા ટીટોની બોલતી બંધ થઇ ગઈ. બીજી પળે તેમણે જયાજીની વાતને દિમાગમાંથી ખંખેરી નાખી.

આ વાતની જાણ જયાજીને થઇ તો તેણે શાંત દિમાગથી કામ લેતાં અમિતાભને કહ્યું કે, તેઓ આ ફિલ્મને છોડી દે.

અમિતાભે કહ્યું કે, હું વચનબદ્ધ વ્યક્તિ છું. કોઈને વચન આપ્યાં પછી વચન તોડવું એ મારાં વ્યક્તિત્વ પર લાંછન લગાવવા જેવી બાબત છે. એટલે એ શક્ય નથી.

અંતે એ જ થઈને રહ્યું, જે જયાજી નહતા ઇચ્છતાં.
‘રામ બલરામ’નું શૂટિંગ પુરજોશમાં શરુ થયું.

અને રેખા અને અમિતાભના અફેરની ભડકે બળતી આગના તણખાં પણ ચોતરફ ફેલાવા લાગ્યાં.

એક દિવસ તેમનું માનસિક સંતુલન ખોઈ બેસતાં, એ તણખાથી દાજેલા જયાજી તેની દાઝ ઉતારવા સીધા પહોંચી ગયાં ફિલ્મ ‘રામ બલરામ’ ના સેટ પર,
એ જોવા અને જાણવા કે ખરેખર આખરે આ માજરો છે શું ?

જોગાનુજોગ કહો અથવા રેખા, અમિતાભના દુર્ભાગ્યવશ કહો, ત્યારે શૂટીંગમાં બ્રેક ટાઈમ હતો, રેખા અને અમિતાભ એક કોર્નરમાં હસી મજાક સાથે કંઇક ગુફ્તગુ કરી રહ્યાં હતાં.

આ દ્રશ્ય જોઇને જયાજીના ગુસ્સાનો પારો ઉછળ્યો. તેઓ રેખાની પાસે ગયાં, ઉગ્ર સ્વરમાં વાત કરી અને પછી પૂરી યુનિટના સૌ લોકોની સામે.. એક જોરદાર થપ્પડ રેખાજીના ગાલ પર ચોડી દીધી.

તરત જ અમિતાભ ચુપચાપ મૂંગા મોઢે શૂટિંગ લોકેશન છોડીને જતાં રહ્યાં.

પણ આ ઘટના પછી જે લોકો છાનામાના આ અફેરની વાતો કરતાં હતાં અથવા એક અફવાનું નામ આપતાં હતાં તે અફવા અને અફેરને જયાજીની થપ્પડે સજ્જડ માન્યતા આપી દીધી.

જયાજીનીએ થપ્પડ બાદ અફેરની આગે જવાળામુખીનું કામ કર્યું.

આગામી કડી...

મહાન એક્ટર, ડીરેક્ટર, પ્રોડ્યુસર સુનિલ દત્ત તેમનો ડ્રીમ પ્રોજેક્ટ જેવો બંગલો બનાવવા માટે મુંબઈમાં જમીન શોધી રહ્યાં હતાં.

અંતે તેમને બાંદ્રા સ્થિત પાલીહિલ વિસ્તારમાં તેમના બંગલા માટે મનપસંદ જગ્યા મળી ગઈ.

પણ બંગલાનું નિર્માણ કરતાં પહેલાં સુનિલદત્ત સાબને તે જમીન તળે કોઈ છુપો ખજાનો છે, તેવાં સંકેત મળ્યાં....

અને અંતે તેમને એ ખજાનો મળ્યો પણ ખરો..

કઈ રીતે તે ખજાનાનો સંકેત મળ્યો ? અને શું શું મળ્યું હતું, એ ખજાનામાંથી ?

તેની ચર્ચા આપણે નેસ્ક્ટ એપિસોડમાં કરીશું.

વિજય રાવલ
૨૭/૦૮/૨૦૨૨