No one is ashamed of singing Bhajan Hari yet in Gujarati Motivational Stories by Dr. Bhairavsinh Raol books and stories PDF | ભજન હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે

Featured Books
Categories
Share

ભજન હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે


ભજન"હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે"

હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયાની સાથ વદે વેદ વાણી રે... હરિને꠶ ટેક

વહાલે ઉગાર્યો પ્રહ્‌લાદ, હિરણાકશ્યપ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણને સંહાર્યો રે... હરિને꠶ ૧

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે... હરિને꠶ ૨

વહાલે મીરાં તે બાઈનાં ઝેર, હળાહળ પીધાં રે;
પાંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે... હરિને꠶ ૩

આવો હરિ ભજવાનો લહાવો, ભજન કોઈ કરશે રે;
કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોનાં દુઃખ હરશે રે... હરિને꠶ ૪

રચિત:કવિ પ્રેમળદાસ

ભજન વિશે મંતવ્ય:ભાષા અને ભાવ બંને દૃષ્ટિએ આ મારાં પ્રિય ભજનોમાંનું એક છે. આનો ભાવ સીધેસીધો બાળબોધ છે. આની શ્રદ્ધા પણ બાળબોધ ભોળી જ છે. આમાં સિદ્ધ કર્યું છે કે વેદકાળથી તે મીરાં અને નરસિંહના સમય સુધી ભગવાને જાતે આવીને ભક્તોની ભીડ ભાંગી છે. ભગવાન ભક્તોનાં દુઃખ હરે છે, એમનાં કામ જાતે કરે છે, અને હર વખતે એમને ઉગારે છે, એવી શ્રદ્ધાથી આ ભજન લખાયું છે.
આવાં ભજનોથી ભોળા લોકોને થાય છે કે ભગવાનની ભક્તિ કરીશું, તો સૌ સંકટ દૂર થશે. પણ અનુભવ તો હંમેશ એવો થતો નથી.

મીરાંએ ઝેર પીધું પણ તેની અસર ન થઈ, માટે મીરાં ભક્ત અને સોક્રેટિસે ઝેર પીધું ને એ મરી ગયા માટે એ ઓછા ધર્મનિષ્ઠ, એમ કોઈ કહી શકે ? હિરણ્યકશ્યપે મારવાના અનેક પ્રયત્ન કર્યા છતાંયે પ્રહ્લાદ મર્યો નહિ, એ ભક્તિનો મહિમા; અને ઈશુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર મરી ગયા, એ શું ભક્તિની વિફળતા ?

દુખમાંથી બચાવવા છેલ્લી ઘડીએ ભગવાન દોડી આવે જ છે, એ કેવળ કવિની ભાવના છે, લોકોને ભક્તિના માર્ગ તરફ ખેંચવા માટે મૂકેલું પ્રલોભન છે. એની પાછળ નિરપવાદ સત્ય છે, અનુભવ છે, એમ માનવાનું કારણ નથી.

હરિને ભજતાં કોઈની લાજ હજી નથી ગઈ – આનો સાચો અર્થ એટલો જ કે જે માણસ દૃઢતાથી ઈશ્વર ઉપર નિષ્ઠા રાખે છે, તે ગમે તેવાં કઠણ સંકટ આવે તોય ચારિત્રયભ્રષ્ટ થતો નથી. સાચા ભક્તવીરો માટે કાવ્યમય આશ્વાસનની જરૂર નથી રહેતી. તેઓ ભગવાન સાથે સાટુ કરતા નથી. ‘મહાભારત’માં ધર્મરાજાએ કહ્યું છે કે, સદાચાર અને ઈશ્વરનિષ્ઠાના બદલામાં મને સુખ મળે, રાજ મળે, એવું કશું હું માગતો નથી; અપેક્ષા પણ નથી. મારો સ્વભાવ છે, મારા હૈયાને સંતોષ છે, એટલા માટે જ હું ભગવાનની ભક્તિ કરું છું અને સદાચારને વળગી રહું છું.

માણસને થવું જોઈએ કે ભક્તિમાં આનંદ છે, હૃદયનું સમાધાન છે, ચારિત્રયની મજબૂતી છે, અને વાતાવરણ પવિત્ર થાય છે. ભક્તિને જોરે માણસ ઇંદ્રિયો ઉપર વિજય મેળવી શકે છે, અને એથી ચારિત્ર્યની દૃઢતા કેળવાય છે. ભક્તિનું ફળ સત્ત્વરક્ષા અને આત્મનિષ્ઠા એ જ છે. બીજાં ફળો મળે કે ન મળે, એ કેવળ અકસ્માત છે.

મંતવ્ય: શ્રી કાકા કાલેલકર
[‘ભજનાંજલિ’ પુસ્તક : 1974]

ભક્તજનોને દ્ઢ શ્રધ્ધા છે કે શ્રી હરિ જે ધારે એ કરી શકે છે. તેમની શક્તિઓ અપરંપાર છે.તે બધી બૂરાઈ દૂર કરી શકે છે અને જરૂર કરશે જ. પરમાત્મા તો પવિત્ર છે, પરમ પવિત્ર છે. પરમાત્મા પર આપણે પૂરી શ્રદ્ધા મૂકી શકીએ. આપણે કદી માણસો પર એટલો ભરોસો મૂકી શકતા નથી. પરમાત્મા દુનિયામાંથી માનવીના દરેક દુઃખ અને તકલીફો સદાને માટે મિટાવી દેશે! મુશ્કેલી ની ઘડીએ હરિ ભક્ત ને સહાયતા કરે છે તેવી શ્રદ્ધા છે.God is great.Have a faith on almighty God.

પ્રસ્તુતકર્તા: ડો.ભૈરવસિંહ રાઓલ