The turn of destiny - 19 in Gujarati Fiction Stories by Kiran books and stories PDF | નસીબ નો વળાંક - 19

The Author
Featured Books
Categories
Share

નસીબ નો વળાંક - 19

આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે બન્ને કુટુંબો ની સહમતી થી વીરુ અને સુનંદા ના પ્રેમ ને એક આશરો મળ્યો અને થોડાક દિવસો માં જ વીરુ અને સુનંદા નાં લગ્ન થયાં.રાજલ પણ સુનંદા અને વીરુ સાથે જ રહેવા એના ગામડે આવી ગઈ.. કારણ કે સુનંદા એ લગ્ન પહેલા જ રાજલ સાથે બોલી કરેલી કે "માં હું લગ્ન ત્યારે જ કરીશ જ્યારે તમે પણ મારી સાથે મારા સાસરિયે રહેવા આવશો.. કારણ કે હુ તમને આમ એકલા આ જંગલ માં મૂકીને ક્યાંય નહીં જાવ.."સુનંદા ની આવી જીદ આગળ રાજલ નું પણ કંઈ ના ચાલ્યું એટલે એ પણ એની સાથે રહેવા જતી રહી.

આમ સુનંદા અને વીરુ એકસાથે પોતાનું જીવન ઉલ્લાસપૂર્વક વિતાવવા લાગ્યાં.થોડાક મહિનાઓ માં સુનંદા ને સારા દિવસો રહ્યા...અને નવ મહિના માં એણે એક રૂપવાન અને કોમળ પુત્ર ને જન્મ આપ્યો.


હવે આગળ,


"પ્રારબ્ધ ના પારખાં"



(અહી હું તમને જણાવી દવ કે અત્યાર ના સમય માં પણ માલધારી કે જેમની પાસે ઘેટાં અને બકરાં હોઈ છે તેઓને ખાસ કરીને સૌરાષ્ટ્ર ના ખેડૂતો થોડાક દિવસ પોતાના ખેતર માં બેસવા કહે છે કારણ કે ઘેટાં બકરાં ના મળ મૂત્ર વાળા કુદરતી ખાતર થી જમીન ફળદ્રુપ અને ઉપજાઉ બને છે અને જમીન ને પૂરતું પોષણ પણ મળી રહે..અને જમીન ની અંદર રહેલા સૂક્ષ્મજીવ કે જે પાકોની ઉપજ અને જમીન ની ફળદ્રુપતા માં પાયા ની ભૂમિકા ભજવે છે.આથી ખેડૂતો સામે ચાલી ને આવા માલ ઢોર અને ઘેટાં બકરાં ધરાવતા માલધારીઓ ને અનાજ નું દાણ એટલે કે બાજરી, જુવાર,ઘઉ વગેરે આપી થોડાક દિવસ પોતાના ખેતર માં બેસવા કહે છે.)



આવી જ રીતે વીરુ અને સુનંદા પણ પોતાના પરિવારજનો નું ગુજરાન ચલાવવા ખેડૂતો ના ખેતરો માં ઘણી વાર બેસતાં.


એક દિવસ ની વાત છે..વીરુ અને સુનંદા ઘેટાં બકરાં ને અને ઢોર માલ ને લઈને બીજા ગામડે ખેતરો માં બેસવા લઈ ગયેલા.આ વખતે તેઓ એક ગામનાં શ્રીમંત શેઠ ના ખેતર માં બેઠા હતા.આ શેઠ ના ખેતર માં બેસવા બદલ તેઓને ખાસુ અનાજ દાણ માં મળેલું.આ ઊપરાંત એ શેઠ ને જમીન પણ વધારે હતી. એ શેઠ નું ઘર તેના ખેતર ને સાવ અડી ને જ હતું...એટલે સુનંદા હમેશાં એની ચુંદડી નો ઘૂંઘટ એના મોઢે ઢાંકી ને જ રાખતી કારણ કે એ જમાના માં શેઠ ની સામુ સ્ત્રીઓ ને ફરજિયાત ચહેરો ઘૂંઘટ ની નીચે છુપાવીને જ રાખવો પડતો હતો..આથી સુનંદા કઈક પાણી ભરવા કે કંઇક જરૂરી ચીજ વસ્તુઓ જોઈતી હોય તો તેના ઘરે થી લેવા જતી અને ઘૂંઘટ ફરજિયાત રાખતી.

સુનંદા અને વીરુ એના દીકરા દેવ ને પણ એમની સાથે જ રાખતાં અને રમાડતાં.

એક દિવસ ની વાત છે જ્યારે સુનંદા અને વીરુ માલ ને લઈને શેઠ ના ખેતર માં બેઠા હતા ... એવામા એકવાર સુનંદા કપડાં ધોવા માટે શેઠ ના ઘરે ગઈ અને એના દીકરા દેવ ને પણ એની સાથે લેતી ગઈ.સુનંદા કપડાં ધોવા માં વ્યસ્ત હતી ત્યાં આ બાજુ એનો દીકરો દેવ ચાલતો ચાલતો શેઠના રૂમ માં જતો રહ્યો અને ત્યાં જઈને જોયું તો એના જેવડો જ એક સુંદર અને ગુલાબી ગાલ વાળો એક કુંવર(છોકરો)પલંગ ઉપર બેસીને રમકડાથી રમી રહ્યો હતો.રૂમમાં આજુબાજુ બીજુ કોઈ નજરે ન ચડતાં દેવ એ છોકરા ની નજીક જઈ થોડીવાર ઉભો રહી ગયો અને પછી અચાનક એના રમકડા સાથે રમવાનુ મન થતાં બાળવૃતિ થી સહજતા થી એના રમકડા લેવા લાગ્યો.પણ જાણે પેલા છોકરાં ને દેવ ની આ વૃત્તિ ગમી ના હોઈ અને આમ અજાણ્યાં બાળક ને પોતાના રમકડા લેતા જોઈ એ રડવા લાગ્યો.

બાળક ના રડવા નો અવાજ આવતાં જ એક સ્ત્રી કે જેણે સુવાળી મખમલ ની સાડી પહેરેલી હતી...અને ડોક માં સોનાના દાગીના પણ પહેરેલા હતા... એ રસોડાં માંથી દોડી એ બાળક ના રૂમમાં આવી. દેખાતા તો એ શેઠાણી જ લાગી રહી હતી. એણે આવીને જોયું તો પોતાના દીકરા ના રમકડા દેવ પાસે હતા અને પોતાનો દીકરો એની પાસેથી છીનવી રહ્યો હતો પણ દેવ પણ એ રમકડાં ને ચુસ્તપણે પકડી ને ઉભો હતો.

પોતાના દીકરા ને આમ પોતાના જ રમકડાં માટે રડતાં જોઈ એ શેઠાણી થી ના રહેવાયું અને એ તરત દોડી ને દેવ પાસે આવી ને કહેવા લાગી,"એ છોકરાં..કોણ છે તું??અને શા માટે મારા લાડકવાયા કિશન(એ સ્ત્રી નો દીકરો)ને રડાવે છે??"

આમ એ શેઠાણી ના રૂમમાંથી અવાજ આવતાં સુનંદા કે જે ત્યાં બાજુમા જ કપડાં ધોઈ રહી હતી એણે આમતેમ ફાંફા માર્યા અને જોયું તો દેવ એની નજરે ના ચડ્યો એટલે એ તરત દોડતી શેઠાણી ના રૂમમાં ગઈ.ત્યાં જઈને જોયું તો શેઠાણી દેવ ના હાથમાંથી રમકડાં આંચકી પોતાના દીકરા ને આપી રહી હતી.સુનંદા એ ઘુંઘટ થોડો મોંઢેથી ઊંચકાવી શેઠાણી નો ચહેરો જોયો અને તે થોડીવાર તો સ્તબ્ધ થઈ ગઈ...ત્યારબાદ એણે ફરીથી ઘુંઘટ ઢાંક્યો અને એ ચૂપચાપ કંઈ બોલ્યા વગર એ શેઠાણી પાસે ગઈ અને નીચું માથુ કરી બોલી," માફ કરજો શેઠાણી ...મારો દેવ હજુ અણસમજુ છે.. એનામાં હજુ બાળબુધ્ધી છે એટલે એને ખબર ના રહી કે રમકડા થી તો માત્ર શેઠ ના દીકરા જ રમી શકે...અમારા જેવા ધૂળ ના ઢેફાં ભાંગવા વાળા ના દીકરા તો ધૂળ સાથે જ રમી શકે."આમ સુનંદા એ એ શેઠાણી ને મેણું માર્યું.

સુનંદા ના મેણા થી શેઠાણી થોડીક વધુ ચિડાઈ એટલે એણે કહયું,"બહેન...ભૂલ તમારા દિકરા ની છે તોય...તમે મારી ઉપર જ બધું નાખો છો!!!અને મને જ મેણા ટોણા મારો છો??અને એમાં શેઠ ના દીકરા ને તમારા દીકરા નું ને વચ્ચે શું આવ્યું??"

ત્યારબાદ સુનંદા એ કીધું,"હા, હવે સાચું કીધું બહેન...શેઠ ના દીકરા નઈ ... પણ માસી માસી ના દીકરા ..!!"આટલું કહી સુનંદા એ ઘૂંઘટ હટાવી લીધો અને તરત શેઠાણી ને વળગી ને રડવા લાગી.

એ શેઠાણી બીજુ કોઈ નઈ પણ સુનંદા ની નાની બહેન અનુરાધા પોતે જ હતી.જ્યારે અનુરાધા દેવ ને ખિજાઈ ને કિશન ને રમકડા આપી રહી હતી ત્યારે જ સુનંદા એ અનુરાધા નો ચહેરો જોઈ લીધો હતો.

થોડીવાર તો અનુરાધા ને કઈ સમજાણું જ ના હોય એમ એ સાવ સૂનમૂન બની ગયેલી.પણ પછી તરત જ પોતાની બહેન સુનંદા ને પોતાની સામે જ નિહાળી રડવા લાગી અને કહેવા લાગી,"અરે મારી બેન..!!માફ કરજે તને ના ઓળખી શકી!!વળી મારા વહાલસોયા દેવ ને પણ ખીજાણી.."

સુનંદા એ વાત વાળતા કહ્યું,"અનુ..તમે બન્ને કેમ અહી આ ગામમાં એકલા રહો છો??તારા સસરા અને સાસુ ક્યાં??અને આટલા સમય થી તમે ક્યાં ખોવાઈ ગયેલા?? ન કઈ સમાચાર .. ન કઈ વાવડ!!"

અનુરાધા એ સુનંદા નો હાથ પકડી પલંગે બેસાડી અને નિરાંતે બધું સમજાવતા કહેવા લાગી,"બેન શું કવ તને??હું જે વર્ષે પરણી ને મારા સાસરે ગઈ એના થોડાક જ મહિના માં મારા સસરા નું સર્પદંશથી અવસાન થયું અને એના થોડાક જ મહિના ઓ મા મારા સાસુ પણ સવર્ગે સિંધાયા..પછી તો યશ્વિર(અનુરાધા નો પતિ)સાવ ઉદાસ રહેવા લાગ્યાં.. એ ગામમાં એના માં બાપુ ની ઘણી યાદો ને વારંવાર વાગોળી ને એ ઉદાસ રહેવા લાગ્યાં હતાં...આથી પછી મે નક્કી કર્યું કે મારા સસરા ની જમીન આ ગામમાં પણ છે એટલે અહી આવીને શાંતિથી રહીએ.એટલે અમે અહી આવતા રહ્યાં.અને બહેન આ બધું એટલું અચાનક બની ગયું કે અમે બંને સાવ એકલા પડી ગયેલા ..બધું જ કામ અમારા બન્ને ના માથે આવી ગયેલું..એટલે ક્યાંય જવાનો વેંત જ ના આવ્યો.અને બેન અમે બંને એકવાર આપણાં આનંદવન ના નેહડે ગયેલાં પણ ખરાં!!પણ ત્યાં તો કોઈ જોવા નાં મળ્યું..એટલે પછી અમે એવું વિચાર્યું કે કદાચ તમે પણ ત્યાંથી બીજે રહેવા જતા રહ્યા હશો!!"આટલું કહી અનુરાધા અટકી ગઈ અને એને અચાનક કઈક યાદ આવ્યું એમ કહેવા લાગી,"અરે બેન..!! ઈ બધું તો ઠીક તારા લગ્ન કોની સાથે થયાં??અને ઈ કોણ છે??અને આપણાં માં(રાજલ) ક્યાં?? એ ક્યાં રહે છે??એને કેમ છે??"

અનુરાધા ના આવા તાલાવેલી સાથે ના સવાલો થી સુનંદા થોડીવાર હસવા લાગી અને પછી નિરાંતે અનુરાધા ના ખભ્ભા ઉપર હાથ ફેરવતાં કહેવા લાગી,"જો સાંભળ આપણાં માં(રાજલ) મારી સાથે જ રહે છે અને એમને એકદમ સારું છે.અને વાત રહી મારા લગ્ન ની તો તું એ માણસ ને ઓળખતી જ હશે.. મેં એના વિશે તને નાનપણમાં ખૂબ વાત કરી હતી.. એ બીજું કોઈ નઈ પણ મારો બાળપણ નો મિત્ર વીરુ પોતે જ છે તારા બનેવી."આટલું કહી સુનંદા થોડુ સ્મિત આપી શરમાઈ ગઈ.

અનુરાધા ને તો આ વાત જાણે સ્વપન માં સાંભળી હોઈ એમ એકદમ ચકીત થઈ ને સુનંદા સામુ જોવા લાગી.

આમ, બન્ને બહેનો એ થોડીવાર એકબીજા નાં સુખ દુઃખ ની વાતો કરી અને ત્યાબાદ બન્ને એ પોતાના ધણી (પતિ) ને આ કહાની વિશે વાત કરી અને એમને બધી જ હકિકત જણાવી દીધી.

ત્યારબાદ સુનંદા અને અનુરાધા રાજલ ની પાસે ગયા અને ત્યાં પણ થોડીવાર તો માતૃપ્રેમ છલકાવ્યો.ત્યાં સામેથી ઘેટાં ના ટોળાં માંથી સેતુ અને વેણું (માં દીકરો) તરત જ દોડીને આ બન્ને બહેનો પાસે આવ્યા અને એમને વળગીને ચાંટવા લાગ્યાં અને બન્ને બહેનો પણ બન્ને ને પ્રેમથી પંપાળવા લાગી.

આમ, બન્ને બહેનો સુખે થી રહેવા લાગી..રાજલ પણ વારાફરતી બન્ને બહેનો ના ઘરે રહેવા લાગી.આમ ઘણા નસીબ ના વળાંકો પાર કરી બન્ને બહેનો ના જીવન માં અંતે સુખ આવ્યું અને બધા શાંતિથી રહેવા લાગ્યાં.

બોધ :

આમ, આ નવલકથા માં આપણને બન્ને બહેનો એ પોતે અનેક નસીબ ના વળાંકો નો સામનો કરી પોતાના જીવન ને એક યોદ્ધા ની જેમ કેમ જીવવું અને અનેક મુસીબતો નો સામનો કરી નીડરતા થી જીવતા શિખવાડ્યું.આ ઉપરાંત આ "નસીબ ના વળાંક" અને "પ્રારબ્ધ ના ખેલ''માંથી ઘણું બધુ આપણે આપણા જીવન માં ખરેખર ઉતારવા જેવું છે.

મારી આ નવલકથા નું season-1 અને season-2 તમને કેવું લાગ્યું એ નીચે comment box માં જણાવવા નમ્ર વિનંતિ 🙏🙏

અંતે તો એટલું જ કહીશ કે મારી આ નવલકથા ને તમે ઘણો support કર્યો છે અને ખૂબ સારા reviews પણ આપ્યા છે...તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું 🙏🙏