Ek Pooonamni Raat - 41 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-41

Featured Books
Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-41

એક પૂનમની રાત
પ્રકરણ-41
અવાવરૂ વાવ પાસે બધાં આવ્યાં. અર્ધબળેલી લાશને જોઇને વ્યોમા ચીસ પાડી ઉઠી આ કોની લાશ છે ? કાળુભાએ પણ લાશનાં ફોટાં લીધાં વીડીયો ઉતાર્યો. દેવાંશ વાવની હાલત જોઇને આધાત પામી ગયો. એણે વિચાર્યુ હમણાં થોડાં દિવસ પહેલાં વાવ કેવી હતી અને આજે કેવી હાલતમાં જોઇ રહ્યો છું એ બળેલી લાશ પાસે આવ્યો અને બોલી ઉઠ્યો ઓહ આ તો રામુ છે મીલીંદનાં ઘરનો નોકર એ અહીં ક્યાંથી આવ્યો ? એને કોણે મારીને બાળી નાંખ્યો ? વાવની આગમાં એ કેવી રીતે ભૂંજાયો ?
કાળુભાએ કહ્યું દેવાંશ તું આને ઓળખે છે ? આ રામુ એટલે કોણ ? દેવાંશ સાવ બઘવાઇ ગયેલો એને શરીરમાં ધ્રુજારી વ્યાપી ગઇ ઓહ રામુની આવી હાલત કોણે કરી ? એની આંખમાં આંસુ આવી ગયાં. વ્યોમા પણ દેવાંશની નજીક આવીને બોલી ઓહ દેવાંશ આ એ રામુજ છે ? તેં એને કેવી રીતે ઓળખ્યો ? એની લાશ તો અડધી બળેલી છે. દેવાંશે કહ્યું હાં હું ઓળખી ગયો છું એ રામુજ છે એનાં ડાબા હાથ જો એ અડધો બળેલો છે પણ એનાં એ હાથમાં મોટું ભૂરૂ લાખુ હતું. મેં જોયેલું.
કાળુભાએ સિધ્ધાર્થને ફોન લગાવીને જણાવ્યું કે સર અહીં બળેલી વાવમાં કોઇ છોકરાની અર્ધબળેલી લાશ છે શક્ય હોય તો અહીં આવો. અને એ છોકરાની ઓળખાણ દેવાંશ કરે છે કહે છે એનાં મિત્ર મિલીંદનાં ઘરનો નોકર છે. અહીં કોઇ નિશાની એવી નથી મળી રહી કે.. અને સામેથી સિધ્ધાર્થે કહ્યું હું ત્યાં આવું છું ત્યાં સુધી તમે ત્યાંજ રોકાજો એમ કહીને ફોન મૂક્યો.
લાશ જોઇને વ્યોમાની તબીયત ફરી બગડી એણે દેવાંશને કહ્યું મને જીપમાં બેસવું પડશે એ રાધીકા સાથે જીપમાં બેસવા ગઇ. રાધીકાએ અનિકેતને કહ્યું અમે જીપમાં બેસીએ છીએ અને કાર્તિક સામે કતરાતી આંખે જોયું ત્યાં કમલજીત સર તો અચંબામાં પડી ગયાં હતાં એમને કંઇ સમજાતુ નહોતું એમણે પણ ફોટો અને વીડીયો લીધાં પછી દેવાંશને પૂછ્યું દેવાંશ તમે લોકો અહીં આવ્યા પહેલાં એ સમયનાં ફોટો વીડીયો બધુ છે ને ? એમ કહીને પાછા એ વાવાનાં ધુમ્મટ તરફ ગયાં. દેવાંશે કહ્યું સર બધુજ છે અમારી પાસે અને આ ધુમ્મટ આખો હતો અમે લોકો અહીંથીજ વાવમાં અંદર ઉતરીને પણ ફોટાં લીધાં છે. સર આ કોઇનું ચોક્કસ કારસ્તાન છે આનો ભેદ ઉકેલવો પડશે. મારી પાસે ફોટાં વીડીયો છે પણ મનમાં કંઇક જુદા વિચાર આવે છે.
કમલજીત સરે કહ્યું દેવાંશ આપણું ડીપાર્ટમેન્ટ જૂની આવી જર્જરીત કે સારી એવી ઇમારતો એનો ઇતિહાસ એની મરમત કરવાનું કામ કરે છે અને આ બધાં ખૂન કેસ કે બીજી ભેદભરમ જેવી વાતો માટે કામ નથી કરતું તમે લોકો લક્ષ્ય ચૂકો છો આ બધુ કામ પોલીસનું છે એમને કરવા દો તમે તમારાં કામ થી કામ રાખો.
આવી અવાવરૂ જગ્યાઓએ અસમાજીક તત્ત્વો એમનાં અડ્ડા જમાવે છે અને ગોરખધંધા કરતાં હોય છે આપણે આપણાં વિષય ઉપરજ ધ્યાન આપવાનું છે. આ લાશને તું ઓળખે છે ? તું કહે છે તારાં કોઇ મિત્રનો નોકર છે તો એ અહીં ક્યાંથી આવ્યો ? અને આ આગમાં કેવી રીતે ફસાઇને બળી મર્યો ?
દેવાંશે કહ્યું સર હું અને વ્યોમા આપણાં પ્રોજેક્ટ પ્રમાણેજ કામ કરી રહ્યાં છીએ પણ અમારી સાથે એવું બધુ બન્યું છે અને બની રહ્યું છે એનું કારણ તો શોધવું પડશે ને ? અને આજે વ્યોમાની તબીયત પણ બગડી છે.
કમલજીત સરે કહ્યું બસ બહુ થયું આ બધી વાતોમાં મને રસ નથી વિશ્વાસ નથી મને એવું લાગે છે કે તારે અને વ્યોમાએ બ્રેક લેવો જોઇએ તમને લોકોને 3 દિવસનો બ્રેક આપુ છું માનસિક તમે લોકો સ્વસ્થ થાવ પછી આગળ કામ કરીશું.
દેવાંશે કહ્યું સર તમે વિચારો છો એવું કંઇ નથી તમે વાવ આગળ જે બળેલાં નાગ અને સર્પ જુઓ છો એ લોકોને અમે જીવતા જોયાં છે એનાં ફોટાં અને વીડીયો મારી પાસે છે. વાવની કોતરણી કળા કારીગરીનાં પણ ફોટાંઓ છે અને અમારાં લક્ષ્ય સુધી પહોચીએ એ પહેલાં અમારી સાથે એવું બન્યુ છે કે તમે સાચુંજ નહી માનો.
કમલજીતે સરે કહ્યું સિધ્ધાર્થ સર આવે ત્યાં સુધી આપણે અહીં છીએ પછી સીધા પોલીસ સ્ટેશન જઇએ ત્યાં બધી શાંતિથી વાત કરીશું. સિધ્ધાર્થ સર પોતે અહીં આવે છે એટલે હું એમની સાથે વાત કરી લઊં છું.
ત્યાંજ કલમજીત સરની નજર પડી કે કાર્તિક અને ભેરોસિંહ વાવની પાછળનાં ભાગમાંથી પાછા આવી રહ્યાં છે એમણે બૂમ પાડીને કાર્તિકને પૂછ્યું તમે લોકો પાછળ શું કરો છો ? ત્યાં કંઇ છે ? કંઇ જાણવા મળ્યું ?
કાર્તિકે કહ્યું હું તમારી પાસે આવીને જણાવું છું અનિકેત કમલજીત સર સાથે ઉભો રહીને બધુ સાંભળી રહેલો અને નિરિક્ષણ કરી રહેલો ત્યાં કાર્તિક અને ભેરોસિંહ કમલજીત સર પાસે આવ્યાં. અને કહ્યું સર પાછળનાં ભાગમાં 6 ત્રણ કાર્બા પડ્યાં છે એ ખાલી છે પણ એમાં કેરોસીન કે પેટ્રોલ જેવું પ્રવાહી ભર્યુ હશે એવી વાસ આવે છે પોલીસનાં માણસો હાજર છે એટલે અમે અડ્યાં નથી એ લોકોને તપાસ કરવા દો.
આવું સાંભળી કાળુભાએ કહ્યું તમારે અમને જાણ કરવી જોઇએને જાવ મારાં કોન્સ્ટેબલને લઇને જાવ અને એ કાર્બા અહીં લઇ આવો અને કાળુભાએ કાર્તિકની સાથે કોન્સ્ટેબલને મોકલ્યાં.
ભેરોસિંહે અનિકેતની સામે જોઇને કહ્યું તારે જોવા હોય તો તું પણ પાછળ જઇ આવ. મને તો એવું લાગે છે કે કોઇએ જાણી સમજીને અહી આગ લગાડી છે જરૂર કોઇ પુરાવાનો નાશ કર્યો છે અને આ છોકરો અહીં કોની સાથે અહીં આવેલો એ નથી સમજાતું પછી દાઢમાં હસતાં બોલ્યો કંઇ કાળુ ધોળું કર્યું હશે અને પછી ફસાઇ ગયો હશે.
અનિકેત કહ્યું મારે જોવા નથી જવું કાર્તિક ગયો છે ને ? એ વધારે જાણકાર છે તમે બંન્ને એ કંઇક તો શોધ્યું હશે ને અહીં ?
ભેરોસિંહ કહ્યું અમે અહીં પહેલીવાર આવ્યા આ જગ્યા તો દેવાંશનાં પ્રોજેક્ટમાં હતી પણ એ પોલીસવાળાનો છોકરો છે ને એટલો ઇમારતોનાં અભ્યાસ કરતાં એને પોલીસવેડા કરવા વધારે ગમે છે.
દેવાંશે એ વાત સાંભળીને કહ્યું કેમ એવું કહે છે ? હું અહીં પોલીસવેડા કરવા નથી આવ્યો હું આપણા પ્રોજેક્ટ અંગેજ અહીં આવેલો તને ખબર ના હોય તો ખોટી ખોટી નોંધાવીશ નહીં તું આ બધી વાત કાર્તિકને સમજાવ જે.
કમલજીત સરે કહ્યું અહીં કોઇ વાદ વિવાદ ના કરો. સિધ્ધાર્થ સરને આવી જવા દો એમનાં આવ્યાં પછી નક્કી કરીએ ત્યાં સુધી શાંતિ રાખો.
અને ત્યાંજ સિધ્ધાર્થની જીપ વાવ તરફ આવી જીપમાંથી નીકળી સિધ્ધાર્થ અને વિક્રમસિંહજી બંન્ને આવ્યાં. દેવાંશ પાપાને જોઇને બોલ્યો પાપા તમે અહી ? તમે તો મીટીંગમાં જવાનાં હતાં ને ? આજે તમારું શીડ્યુલ તો બીઝી હતું વિક્રમસિંહજીએ કહ્યું હા નવરાત્રી અંગેની બધી ચોક્સાઇનું આયોજન ચાલે છે પણ અહી અર્ધ બળેલી લાશ મળી છે. એટલે અમે બંન્ને અહીં આવ્યા છીએ. દેવાંશે કહ્યું પાપા આ લાશ મિલીંદનાં ઘરઘાટી નોકર રામુની છે મને એનું વધારે આષ્ચર્ય છે.
વિક્રમસિંહજીએ કહ્યું એ અહીં કેવી રીતે આવ્યો. દેવાંશે કહ્યું કંઇ ખબર નથી રહસ્ય ઉપર રહસ્યજ દેખાય છે પણ કોઇક તો છે આની પાછળ.
વિક્રમસિંહજી કમલજીત સરને જોઇને કહ્યું તમે બધાં અહીં આવ્યા છો તો તમને કોઇ તાગ હાથ લાગ્યો ? અહીં આગ કેવી રીતે લાગી હતી ?
કમલજીત સરે કહ્યું અમને તો કંઇ સમજાતું નથી સર..પણ દેવાંશ વ્યોમાની વાતો સાંભળીને આષ્ચર્ય થાય છે હવે આ અર્ધબળેલી લાશનું રહસ્ય તમારેજ જાણવું પડશે. મારો આખો સ્ટાફ અહીં છે પણ કોઇને કોઇ કારણ નથી મળી રહ્યું ત્યાંજ વ્યોમાએ જોરથી ચીસ પાડી અને બધાની નજર જીપ તરફ ગઇ....
વધુ આવતા અંકે - પ્રકરણ - 42