Hasta nahi ho bhag 13 in Gujarati Comedy stories by પ્રથમ પરમાર books and stories PDF | હસતા નહીં હો! - 13 - પતંગ ચગાવતા શીખો

Featured Books
Categories
Share

હસતા નહીં હો! - 13 - પતંગ ચગાવતા શીખો


"જો,આમ જો આ દાદીમાં પણ પતંગ ચગાવે છે પણ તું પતંગ ચગાવતા ન શીખ્યો.આખો દિવસ આ ડોસાના પુસ્તક વાંચ્યા કરે છે."મકરસંક્રાંતિએ જાણીતા અને મારા પ્રિય હાસ્યલેખક વિનોદ ભટ્ટનો જન્મદિવસ હોય છે એથી એના પર ઉપકાર કરવા અથવા તો એને જન્મદિવસની ભેટ આપવા હું એનું પુસ્તક વાંચતો હોઉં છું ત્યારે તરત જ મારા ઘરના વડીલો ઈન્સ્ટાગ્રામમાં આવેલા રિલ્સ બતાવીને મને ઉપર મુજબ કહીને તબડાવે છે.આમ તો મારા પ્રિય એવા વિનોદ ભટ્ટને 'ડોસો' એવું કહેનારા વડીલ પર મને ચીડ ચડી પણ ખેર,મેં જવા દીધું કારણ કે વિનોદ ભટ્ટ ખોટું લગાડે એવા નથી.

હું જાહેરમાં અનેક વખત સ્વીકારી ચુક્યો છું કે મને પતંગ ચગાવતા આવડતી નથી ને મને કોઈ શોખ પણ નથી.બાળપણમાં હું આમ તો બધા જ વિષયમાં નબળો જ હતો પણ ખાસ વિજ્ઞાન અને ગણિત નબળું-અથવા કહો કે નબળું શબ્દ પણ શરમાય જાય એટલું નબળું!તમે એક બાજુથી દોરી ખેંચ્યા કરો ને પતંગ ઉપર ઉડયા કેમ કરે એ બાબતે કુતુહલ હોવાથી મેં અનેક વખત પતંગ ચગાવવા પ્રયત્ન કરેલો.અરે ત્યાં સુધી કે મારા હાથના સ્નાયુઓ જ્યાં સુધી મને ગાળો ન આપે ત્યાં સુધી હું એ પ્રયત્ન કર્યા જ કરતો.પણ આખરે મારી પતંગ ઊડતી પણ આકાશમાં નહિ,અગાસીની લાદી પર!

આખરે હું કંટાળી પતંગ ચગાવવાનું છોડી દેતો.પણ હા, એક કામ મેં ભીષ્મ પિતામહની મૃત્યુતિથીને દિવસે એ ભીષ્મવૃત્તિથી કરેલું-બીજા લોકોના ફિરકા પકડવાનું. "તારી બાયડી પતંગ ચગાવશે ને તારે ફિરકો પકડવો પડશે."એવી ધમકી ઉર્ફે કલ્પના પણ કેટલાક મારા મોટેરાઓ કરતા.પણ હું તો વાત કરતો હતો આજની!એટલે મારે તો તમને એટલું જ કહેવાનું છે કે શીર્ષકમાં જણાવ્યા મુજબ જો તમારા ધ્યાનમાં કોઈ પતંગ ચગાવતા શીખવે એવું હોય અથવા એના વર્ગો ચાલતા હોય તો મને જણાવજો-પણ શરત એટલી કે 'મફત' હોવું જોઈએ અને ન મળે તો મારા વિનોદ ભટ્ટ મને ક્યાં ના પાડે છે!ખરેખર,વિનોદ ભટ્ટમાં ના પાડવાની તાકાત જ ઓછી હતી.છેલ્લે વિનોદ ભટ્ટની જ એક વાતથી મારુ બડબડ બંધ કરું છું:-

વિનોદ ભટ્ટ કહેતા કે જે દિવસે ભીષ્મ પિતામહે 'exit' લેવાનો વિચાર કર્યો ત્યારે મેં પૃથ્વી પર 'entry' લીધી.
(હવે આ વાક્ય મારુ)
પણ ભીષ્મની જેમ જ હાસ્યલેખકોને પણ બાણશૈયા પર સુઇને જ ચાલવું પડે છે.

અહીંથી 500 શબ્દ પુરા કરવા જ મેં ઢસડયું છે આથી વાંચવું જરૂરી નથી.

તા. ક.:-

વિલિયમ શેક્સપિયરે કહ્યું છે કે,
"Humour is a dry tear!'

"The source of humour is sorrow,not joy."

આપણી એક માન્યતા હોય છે કે હાસ્ય આનંદ આવે ત્યારે ઉદભવે છે પણ ખરેખર તો હાસ્ય જ્યારે દુઃખ પડે ત્યારે જન્મે છે.દુઃખમાંથી હાસ્ય જન્મે એ જરા ઝટ ગળે ન ઉતરે એવી વાત છે પણ સત્ય એ જ છે.દુઃખમાંથી હાસ્ય જન્મે અને સુખમાંથી અધ્યાત્મ.જેના માટે કે જેના પર આપણે હસીએ છીએ એના માટે તો કરુણા છે પણ બીજા માટે હાસ્ય છે.પ્રાચીન મુનિ ભરતજીએ 'નાટ્યશાસ્ત્ર'માં હાસ્યરસને શૃંગાર રસની આડપેદાશ કહે છે.ખાસ કરીને પશ્ચિમના હાસ્યકારોએ આ પ્રકાર ખેડયો છે.

હું દાવો કરી શકું એમ છું કે કવિતા કરતા પણ હાસ્યનો આધાર અંત:સ્ફુરણા પર વધારે અધાર રાખે છે.પરિશ્રમથી કવિતા થાય,હાસ્ય તો પ્રેરણા અને વેદના થકી જ મળે.હાસ્યનું શાસ્ત્ર જાણવું જરૂરી છે પણ એની એક ખાસિયત છે કે એને શીખી શકાતું નથી.એ તો કુદરતે જ રેડેલું હોય છે અને દરેક ભાષામાં હાસ્યકારોની ઓછી સંખ્યા એની સાક્ષી પૂરે છે.નવલરામે જ્યારે 'ભટનું ભોપાળુ' લખેલું ત્યારે નર્મદે ટીકા કરેલી.ત્યારે નવલરામે નર્મદને કહેલું કે,"કવિ તમે હાસ્યનું શાસ્ત્ર જાણતા નથી."

દલપતરામથી માંડીને આજ સુધી હાસ્ય ઓછું - પ્રમાણની દ્રષ્ટિએ નહિ તો ગુણવત્તાની દ્રષ્ટિએ - ખેડાતું આવ્યું છે.એની વાત બહુ લાંબી છે જો વાચકની ઈચ્છા હોય તો એના નામે એક લેખ ફાળવવો છે.જો વાચક ખરેખર ઈચ્છે તો નીચે કોમેન્ટમાં જણાવો.