Maari Matrubhasha in Gujarati Moral Stories by joshi jigna s. books and stories PDF | મારી માતૃભાષા

Featured Books
Categories
Share

મારી માતૃભાષા

મારી માતૃભાષા
-જોશી જિજ્ઞા એસ.
બાળકને માતા તરફથી મળેલી ભાષા, પોતીકી લાગતી ભાષા, સહજતા થી પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક સૌ પ્રથમ શબ્દ બોલે, સૌ પ્રથમ સાંભળે, ત્યારબાદ તે ભાષાનું શબ્દભંડોળ વધતા તેના પર પ્રભુત્વ મેળવે. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાની, લાગણીઓ વ્યક્ત કરવાની અને વિચારો પ્રદર્શિત કરવાનાં એટલે જ આપણી માતૃભાષા. કોઈ પણ પરિસ્થિતિ સુખ -દુઃખ, આનંદનું દર્શન આપણી માતૃભાષા કરાવે છે.
જેમ આપણી મા ની તુલના આપણે કોઈ સાથે ન કરી શકીયે તેમજ માતૃભાષા પણ અજોડ છે તેની પણ તુલના કોઈ સાથે ન થાય.
ભારતમાં બંધારણ માન્ય ભાષા 22છે પરંતુ સમગ્ર દેશમાં બે હજારથી વધુ બોલી બોલાય છે. ગુજરાતી ભાષાના ઉદભવ મૂળભૂત ગ્રેટર ઈન્ડો યુરોપિયન ભાષાઓના પરીવારમાં બોલાતી ભાષાઓ માંથી ઈન્ડો આર્યનમાંથી ગુજરાતી ભાષાનો ઉદભવ કાળક્રમે થયો હોવાનું માનવામાં આવે છે. ઈ. સ. 1100 થી ઈ. સ. 1500 ની વચ્ચે થયો હોવાનું માનવામાં આવે છે. ગુજરાતી શબ્દોનો સૌથી પહેલો ઉપયોગ કવિ પ્રેમાનંદે ઈ. સ. 1600-1700 માં તેમનાં સાહિત્યમાં કર્યો હોવાનું માનવામાં આવે છે. આજે દુનિયાની 7000 થી વધુ ભાષામાંથી અડધી ભાષા લુપ્ત થવાને આરે છે ત્યારે આપણી માતૃભાષાને સાચવવી અને તેનો પ્રચાર અને પ્રસાર કરવો એ આપણી નૈતિક ફરઝ છે. માતૃભાષા સાથેનો સબંધ એટલે મા અને બાળકનો સબંધ.
મા, માતૃભૂમિ અને માતૃભાષાનો અન્ય કોઈ વિકલ્પ ન હોય. દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેને સમજવા માટે દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષમ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે. દરેક સંસ્કૃતિના માણસોને પોતાના મૂળ સાથે જોડવા માટે માતૃભાષાજ એક વિકલ્પ છે. માતૃભાષા છે તોજ લોકબોલી અને લોકસંકકૃતિ જીવિત છે.
મને મારી ભાષા ગમે છે કારણકે.
બા ને હું બા કહી શકું છું
મને મારી ભાષા ગમે છે કારણકે
મને મારી બા ગમે છે’
-વિપિન પરીખ

ગુજરાતમા દરેક જગ્યાએ અલગ -અલગ ગુજરાતી બોલાય છે અને દરેક બોલીની પોતાની આગવી ઓળખ છે. એક અલગ લિજ્જત છે. જે તે પ્રદેશના લોકગીત અને લોકસાહિત્યનું આગવું પ્રદાન છે.
અમને વ્હાલી ગુજરાતી,
છે મા બોલી ગુજરાતી,
હેમચંદ્રની ગુજરાતી,
નરસિંહ, મીરાની ગુજરાતી,
વીર નર્મદની ગુજરાતી,
ધન્ય ધન્ય છે ગુજરાતી.
-ગિરીશ પરીખ

ગુજરાતી ભાષા ઉંચ નીચમાં માનતી નથી એટલેજ તો ગુજરાતી ભાષામાં કેપિટલ કે સ્મોલ લેટર નથી હોતા. માતૃભાષાથી દૂર જવું કે તેને ભૂલી જવી એટલે આપણે આપણા વિચારોથી દૂર જવું. માતૃભાષા જમીન પર સ્થિર ઉભા રહેવાનો આત્મ વિશ્વાસ શીખવે છે. માતૃભાષામાં માનવજીવનના તમામ પાસા નો સમન્વય છે. વિચાર, લાગણી અને અભિવ્યક્તિ. ફાધર વાલેશના મત મુજબ
“ભાષા જશે તો સંસ્કૃતિ જશે “
ગુજરાતી ભાષા ખુબજ ગૌરવશાળી ભાષા છે અરદેશર અલી ખબેરદાર કહે છે કે
“જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળગુજરાત”
જયારે ઉમાશંકર જોશી કહે છે કે
“સદા સૌમ્ય શી વૈભવ ઉભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી
કવિ દલપત રાયે કહયું કે
“ રૂડી ગુજરાતી વાણી રાણીનો હું વકીલ છું “ આમ, ગુજરાતી સાહિત્યનો વારસો અમૂલ્ય છે. આપણે માતૃભાષા ને વંદન કરીએ છીએ પણ હવે થોડું વ્હાલ અને જતન કરવાની જરૂર છે. આપણે ભાષાને જીવાડશું તો માના હેતથી માતૃભાષા આપણને જીવાડશે. ગુજરાતી ભાષાનું ગૌરવ દર્શાવતી શ્રી ઉમાશન્કર જોશીની આ અમર રચના યાદ આવે છે
જે જન્મતા આશિષ હેમચંદ્રની,
પામી, વિરાગી જિન સાધુએ,
નાચી અભંગે નરસિંહ -મીરા,
અર્થેલ કાન્તે, દલપત પુત્રે,
તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા,
ગાંધી મુખે વિશ્વ માંગલ્ય ધાત્રી.
-ઉમાશન્કર જોશી

આપણે સૌ ગર્વથી કહીએ કે હું ગુજરાતી છું અને ગુજરાતી મારી માતૃભાષા છે. મને ગુજરાતી હોવાનો ગર્વ છે અને માતૃભાષા પ્રત્યે મને પ્રેમ છે
“એ વિચારી ફૂલે જગ જગ છાતી,
હું ને મારી ભાષા બને ગુજરાતી “