Mrutyu pachhinu jivan - 18 in Gujarati Fiction Stories by Amisha Rawal books and stories PDF | મૃત્યુ પછીનું જીવન - ૧૮

Featured Books
Categories
Share

મૃત્યુ પછીનું જીવન - ૧૮

મૃત્યુ પછીનું જીવન—૧૮

આપણે જોયું કે મૃત્યુ પછીનાં એક પછી એક અસહાય અનુભવોમાંથી પસાર થયાં પછી હિંમત અને બુદ્ધિબળથી રાઘવ ફરી જીત તરફ આગળ વધી રહ્યો છે; એનાં પરિવારને કેશુભાના કાંડ વિશે વાકેફ કરવામાં રાઘવ સફળ થાય છે. બીજી તરફ કેશુભાને શંકા જાય છે કે એણે કરેલ ચોરી વિશે આ લોકોને જાણ થઇ ગઈ છે. હવે આગળ ...

ત્રણેય જણને ઓફીસરુમમાંથી બહાર નીકળતાં જોઇને કેશુભા થોડાં બોખલાઈ જાય છે અને હોલમાં આમથી તેમ ફરવાં મળે છે. અને પછી મોટાં સામે જોઈને બગડેલી બાજી સુધારવાની કોશિષમાં કે પછી એમનાં મનને ટટોળવાનાં ઈરાદે મધ ટપકતાં શ્વરે બોલ્યાં,

"અરે તમે બધા અહીં , એકસાથે ? બધું બરાબર છે ને બેટા ?"

મોટો સંયમ અને સ્વસ્થતાથી બોલ્યો,

“બધું બરાબર છે , ભા ...આ તો જરા બેસણાની ચર્ચા ..માને પુછીએ નહી તો ખરાબ લાગે એને ! ચાલો જમવાનું પતાવીએ ? ”

મોટાના ચહેરા પરની સ્વસ્થતા જોઇને કેશુભા વિચારતાં થઇ ગયા. ‘કદાચ મારો વહેમ પણ હોય , આ લોકોને કઈ ખબર પડી હોય એવું લાગતું નથી..પણ હોશિયાર તો રહેવું જ પડશે.’

આ બાજુ રાઘવને હવે એ જાણવામાં રસ હતો કે એનો ખૂની કોણ છે?

' રાશીદ કે કેશુભા, કે પછી એનો લંગોટીયો યાર સુજ્જુ ઉર્ફે એસીપી સુજીત તો નહી ? નહી નહી ,સુજ્જુ તો નહી જ હોય ..પણ જીંદગીએ રાઘવને બધું જ બતાવી દીધું , કેશુભા પર પણ આવુ જ કઈ વિચારીને વિશ્વાસ મુકેલો ; કેશુભા છે ને મિત્રથી વિશેષ , પણ એ પણ જોઈ લીધું આજે ! વિધિની વક્રતા તો જુઓ, જેમનાં પર એને શંકા હતી, એ ત્રણેય એક સમય એનાં નજીકનાં મિત્ર હતાં.

“હમે તો અપનોને લુંટા ગૈરો મેં કહાં દમ થા

અપની કસ્તી વહાં ડુબી, જહાં પાની કમ થા”

મારો શાયર મિત્ર સાચું જ કહેતો હતો, પણ એનાં દર્દને હું હંમેશા હસી કાઢતો, આજે સમજાય છે કે આ શબ્દોની શું ગહેરાઈ હતી...!

ખબર નહી, કઈ અવળી ઘડીએ સુજ્જુને દોસ્તમાંથી દુશ્મન બનાવી દીધો. રાઘવને આજે પણ એ વાતનો અફસોસ હતો. જો જીંદગી રીવાઈન્ડ કરીને ફરી એક વાર જીવવાનો ચાન્સ મળે, તો હું મારી ને સુજ્જુની યારીને અમર કરી દઉ...! શું સુજ્જુને કઈ પણ યાદ નહી રહ્યું હોય? એક જ કુંડીમાં સાથે નાહવું, એક જ બાના હાથનાં કોળિયા સાથે ભરવા, સાથે એક થાળીમાં ....અમને બન્નેને એક સ્ત્રીએ ભેગા કર્યા અને બીજી એક સ્ત્રીએ જ છુટા કર્યા ...સુજ્જુને બીજી કોઈ ન ગમી? એણે મને કહ્યું હોત તો હું પહેલેથી જ દૂર થઇ જાત..હીનાએ કેમ આવું કર્યું , એને તો ખબર હતી બધી ? કદાચ હીના પ્રેમ મને કરતી રહી અને જીવતી રહી સુજ્જુ સાથે...એક ચોર, માફિયા જગતનાં માણસ સાથે જીવન જીવવા એ તૈયાર નહોતી. કદાચ એ મને કહેતે , તો આ ગુનાભરી જીંદગી છોડીને નવી શરૂઆત કરતે , પણ એ તો સીધી એસીપી સુજીતનો હાથ પકડીને મારી સામે આવી ઊભી રહી ગઈ. એ દિવસે મેં એકસાથે બે ય સહારાને ગુમાવ્યા ,જે બંનેને મારા જીવનનાં આધાર સ્તંભ માનતો હતો. હું સાવ તૂટી ચુક્યો હતો .વિશ્વાસને અને મારે જાણે દૂર દૂર નો ય સંબંધ નથી; પહેલાય નહોતો અને આજે ય નથી . ત્યારથી મારી અંદરની લાગણીઓ પથ્થર બનતી ગઈ જાણે... પણ આ બધામાં વાંક કોનો હતો ....આ ઉપર જે બેઠો છેને, જે બધાંની જીંદગીની સ્ક્રીપ્ટ લખે છે એ જ ...એટલે જ હું એને પગે પડતો નથી ,પહેલાં એ બધાંને રડાવે , પછી નમાવે , પછી એ ખુશ ...મારે એને ખુશ કરવો જ નથી ..જાઓ ..!

એ પછી હું અને સુજ્જુ ક્યારેય નહી મળ્યાં. ક્યારેક સુજ્જુ મારા માલ પર છાપો મારતો, તો ક્યારેક હું સુજ્જુને ઊંધી બાજુ દોડાવતો , બાતમીદારો સાથે ઊંધી માહિતી મોકલીને. ક્યારેક એ જીતતો , ક્યારેક હું. નાનપણની હાઇડ એન સીક ની રમત અમે હજુ ય રમતાં જ રહેતાં, અને અમને બહુ મજા આવતી આમાં , નાનપણની એ રમતની જેમ જ ..! પોતે જીતવા કરતાં વધારે, બીજાને હરાવવાની મજા આવતી ...હા , ફરક એ પડ્યો હતો કે હવે પહેલાની જેમ સુલહ કરાવવા વચ્ચે હીના નહોતી આવતી ...! પણ ક્યારેય એકબીજાને મારવા સુધી તો વાત પહોંચી જ નથી.

પણ રાશીદ...! હા.....! એ પણ એક સમયે મારો મિત્ર હતો..ખુબ સારો મિત્ર ..! એવો મિત્ર કે પોતે ભૂખ્યો રહી મને ખવડાવે , પોતે જોખમ લઈને મને બચાવે ..અને આજે મારા મર્ડર ની આશંકાથી હું એનાં અડ્ડા પર જઈ રહ્યો છું... જોયું ? એટલે જ હું એને નમતો નથી , જેણે મારી લાઈફની આવી અટપટી સ્ક્રીપ્ટ લખી છે .... ફરી ઉપર આંગળી ચીંધી રાઘવ બોલ્યો.

‘તે દિવસે હું પહેલી વાર પેલી જૂની હવેલી પાસે ગયો ; ત્યારે પેલા સુટ- બુટમાં ઉભેલાં દાઢીવાળા અંકલ જ નહી, એમના માણસો પણ મને એમની ટીમમાં આવકારવા તૈયાર જ ઊભા હતાં, મારો જુસ્સો અને જુનુન જોઇને..અને તેમાનો એક રાશીદ.... મારા જેવો જ જુસ્સો , મારી જ ઉમર, મારો જ સ્વભાવ, મારું જ પ્રતિબિંબ જોઈ લો ...ધીમે ધીમે અમારા બેની જોડી બની ગઈ, જય અને વીરુ જેવી..પછી તો અંકલે સોંપેલા બધાં કામ અમે સાથે જ કરતાં. ઘણી વાર મારી બુધ્ધિથી તો ઘણીવાર એનાં ગુસ્સાથી , પણ સામે આવતી સમસ્યાઓનો સામનો કરતાં કરતાં અમે આગળ વધતાં ગયાં અને એક દિવસ અંકલ અમને હાજી મસ્તાન પાસે લઇ ગયાં. એમ ને એમ અમે હેરાફેરીના ધંધામાં બીજું પગલું સાથે ચઢી ગયાં. ' -અમીષા રાવલ

----------------------------------------------------------------------------------------------------------------------------------------
રાઘવ રાશીદનાં અડ્ડા પર પહોચી શકશે? કેશુભાની આગલી ચાલ શું હશે ? રાઘવનો ખૂની કોણ છે? આ બધા સવાલોનાં જવાબ મેળવવા વાંચતાં રહો અને આપનાં રેટીંગ આપતાં રહો.