Sambandho ni aarpar - 45 in Gujarati Love Stories by PANKAJ books and stories PDF | સંબંધો ની આરપાર.....પેજ - ૪૫

The Author
Featured Books
Categories
Share

સંબંધો ની આરપાર.....પેજ - ૪૫

સંબંધો નાં સમીકરણોમાં અંજલિ, અદિતી ને તેના ઘર ની પુત્રવધુ તરીકે સ્વીકાર કરી લે છે. અંજલિ નાં મુખે ફોન પર ખુશી નાં સમાચાર સાંભળી ને અદિતી ની આંખોમાં ખુશી સભર આંસુઓ છલકાઈ જાય છે. અંજલિ,અદિતી ના સ્વરૂપ માં તેનાં ઘર ની વહુ ની સાથે એક દીકરી અને પ્રયાગ ગ્રુપ ની ધરા અદિતી નાં સહયોગથી પ્રયાગ અને અદિતી નાં હાથ માં સોંપ્યા પછી વધુ સારી રીતે વિસ્તારસે તેવું અનુભવી ને નિશ્ચિત થઈ જાય છે.
********(હવે આગળ-પેજ-૪૫)**********
અંજલિ હજુ પણ ફોન પર અદિતી ને કહી રહી છે કે તે હવે પ્રયાગ હાઉસ નો હિસ્સો છે.ત્યારે હજુ પણ અદિતી ની આંખો માં પરોવાયેલા આંસુઓ મોતી બનીને અદિતી ની ખુબસુરત પાંપણો પર બાઝી ગયેલા છે. અદિતી તેની થનારી સાસુની વાત ને ખુબ શાંતિ થી સાંભળી રહી હતી...
અંજલિ ને અદિતી તરફથી કોઈ પ્રતિભાવ નહીં મળતા તરતજ અંજુ સમજી ગઇ હતી કે અદિતી રળી રહી છે..તેની વાત ને અડધે થી રોકી લીધી અંજુ એ... બેટા હું એવુ ઇચ્છું છું કે આજે તારી આંખોમાં થી જે આંસુ વહી રહ્યા છે તે ફકત ખુશી નાં આંસુ જ હોય...અને હવે તુ અંજલિ ઝવેરી નાં પરિવાર નો હિસ્સો બનવાની છું...અને મારા ઘર કે પરિવાર ના સભ્યો ની આંખોમાં ભગવાન જો દુઃખ કે તકલીફ નાં આંસુ આપે તો તે સૌથી પહેલા મારી જ આંખોમાં હોવા જોઈએ.મારા પરિવાર ને ભગવાન ઓછા પૈસા આપશે તો ચાલશે પણ ખુશી, સંતોષ,ખુમારી,લાગણી, સ્નેહ,પ્રેમ,સમજ,જતુ કરવાની ભાવના આપે બસ.તથા આપણાં થી નાનાં અને આપણે જેમના માટે નિમિત બન્યા હોઈએ તે સર્વે નું કલ્યાણ થાય તેવી પ્રભુને પ્રાર્થના.
અદિતી ને આમ અચાનક અંજલિ ને તેનાં રળ્યા ની ખબર પડી ગઈ છે તે જાણી ને સુખદ આશ્ચર્ય થયું. હજુ તો તેણે એકેય ડુસકું પણ ભર્યું નહોતું...તો પછી ???
રળવાને લીધે અદિતી નો અવાજ ભારે થઈ ગયો અને હજુ તેનું ગળુ તેને કશુ બોલવા ની રજા નહોતું આપતું,જ્યારે મન અને મગજ કહેતું હતું કે તેણે તરતજ અંજલિ ની વાત નો જવાબ આપવો જોઈએ.ગળા ની વાત ની અવગણના કરી અને સહેજ ભારે અવાજે અદિતી બોલી...જી.....(મમ્મી જી...)પણ એ મમ્મી જી શબ્દ મનમાં જ બોલી)
બેટા...સ્હેજ પાણી પીલો તમે.....પછી સહેજ વાત કરુ તમને.
જી...કહીને અદિતી એ પોતાની બાજુમાં જ પડેલો પાણીનો ગ્લાસ હાથ માં લીધો અને એકજ ઘુંટડે પી ગઈ,એટલે અવાજ માં સહેજ સ્વસ્થતા આવી...એટલે બોલી ...જી..મેડમજી..
જુઓ બેટા હવે આ મેડમજી વાળો સંબંધ જ જો આપણી વચ્ચે રહેશે, તો હું મારા ઘરની પુત્રવધુને જે કહેવા માંગુ છું તે નહીં કહી શકું, એટલે તમે મને હવેથી મમ્મી કહી શકો છો,અને હમણાં કદાચ તમને બોલવા માં સંકોચ થતો હોય કે શરમ આવતી હોય તો આન્ટી કહી શકો છો,પણ આ મેડમજી ને તિલાંજલિ આપો તો સારૂ.
અંજલિ ની વાત સાંભળી ને અદિતી હસી પડી...અને અદિતી નાં તે રળવાની સાથે સાથે હસવાનો અવાજ સાંભળીને અંજલિ પણ હસી પડી..!!! બસ...બેટા આમજ હસતા રહેજો.
જી....(હજુ પણ અદિતી નાં મુખે મમ્મીજી નાં નિકળ્યું..એટલે) જી...આન્ટીજી...
પણ આન્ટીજી હું ઈચ્છુ છું કે તમારા ઘર માં હું એક પુત્રવધુ બની ને આવી રહી છું, પરંતુ મને તમે તમારી દીકરી સમજીને જ રાખજો,જ્યાં અને જ્યારે જ્યારે મારાથી કોઈપણ જાતની ભૂલચૂક થાય તો અવશ્ય મારું ધ્યાન દોરજો, હું આપને તથા અંકલને મારા મમ્મી પપ્પા થી પણ વધારે માન આપીશ તથા મારો આપનાં પ્રત્યે નો પ્રેમ અને લાગણી પણ મારાં પેરેન્ટ્સ જેવાજ રહશે. મારી ભુલ થાય તો આપને હક છે કે મને ઠપકો પણ આપી શકોછો. અને ખાસ તો મને પોતાની પુત્રવધુ અથવા દિકરી આપ મને જે કંઈ સમજો પરંતુ આપ મને આમ માનથી નાં બોલાવો....
આન્ટીજી હું એવું સમજું છું કે આપણાં પોતાના, કે જે ઉંમર માં તમારા થી નાના હોય તેમને તમે ખાલી નામ થી બોલાવો તો પોતાના લાગે છે અને પ્રેમ વધે છે.
બેટા...મારા માટે તો તમે દીકરી કરતા પણ વિશેષ રહેશો.આ ઘર માં વર્ષો વિત્યા કોઈ દિકરી નું આગમન નથી થયું...એટલે પુત્રવધુ ની સાથે સાથે પુત્રી નાં પણ હક્ક તમારા જ છે.
આન્ટી જી...તમારા નહીં પણ...તારા કહેસો ને તો તે વધુ સરસ લાગે છે.
ઓ.કે.બેટા તારા બસ...!! આ ઘર નો રીવાજ છે કે દરેક ને માન થી બોલાવવા...ભલે પછી ઉમ્મરના ફરક હોય કે નાં હોય. પણ હવેથી મારે માટે જેવો મારો પ્રયાગ તેવી જ તું. એટલે તને પણ પ્રયાગ જેવો જ પ્રેમ મળશે.
જી...થેન્કસ આન્ટીજી.
બેટા....યાદ રાખજે જીવન માં ઘણાં ઉતાર ચઢાવ આવશે તો ક્યારેય ગભરાતાં નહીં. તારા અને પ્રયાગ બન્ને વચ્ચે ક્યારેય કોઈ નાનો મોટો અણબનાવ નાં બને તેની તકેદારી રાખજે. તેમ છતા પણ આ લગ્ન જીવન છે...તો ક્યારેક નાની મોટી વાત બની જાય તો થોડુ જતું કરજે, એકજણ ગુસ્સો કરે તો બીજા એ શાંતિ રાખવી આ નિયમ હંમેશા અપનાવજે. તારા અને પ્રયાગ બન્ને નાં સ્વપ્ન એકજ હોય તે બહુજ જરુરી છે,નહી તો...( અંજલિ ને તેનું પોતાનું જ ઉદાહરણ યાદ આવી ગયું)
અંજલિ ચુપ થઈ ગઈ...કશું જ ના બોલી શકી...પણ પરિસ્થિતિ નો સ્હેજ પણ ખ્યાલ જો અદિતી ને આવી જાય તો તે હાલ ના સમયે સારૂ નહીં તેનું પુરું ધ્યાન હતું અંજુને,એટલે બીજી જ ક્ષણે વાત ને વાળી લીધી,અને તરતજ અદિતી ને આગળ વાત સમજાવા લાગી.
પરંતુ તે દરમ્યાન ચબરાક અદિતી ને ખ્યાલ આવી ગયો કે તેની થનારી સાસુએ વાત ને ફેરવી દીધી...પણ કદાચ આન્ટીજી એ મને કોઈ વાત જે નાં કહીશકાય તેવી હશે,એટલા માટે જ નહીં કીધી હોય..અદિતી એ આખો પ્રસંગ સાવ નોર્મલ જ લીધો હતો.
બેટા...જો બન્ને નાં સ્વપ્ન જો અલગઅલગ હશે તો ભવિષ્યમાં તમે બંન્ને અલગ વિચાર ધરાવતાં હશો, એટલે તમારા બન્ને નાં બિઝનેસ પણ અલગઅલગ હોય તો તેવા સંજોગોમાં તમે એકબીજાને વધારે સમય પણ નાં આપી શકો.અને જો સાથે હોવ તો કંપની નું સારી રીતે ધ્યાન રાખી શકાય અને કંપની નો પ્રોગ્રેસ પણ સારો અને ઝડપી થાય.
જી આન્ટીજી....એકદમ સાચી વાત છે આપની.
બેટા એક અગત્યની વાત કે ક્યારે પણ ઘર ની વાત બહાર નાં જાય તેનું ધ્યાન રાખજે, અને તને ક્યારે પણ જો આપણાં ઘરમાં કોઈપણ જાતની તકલીફ હોય કે પ્રયાગ સાથે કોઈ મનદુ:ખ હોય તેની રજુઆત તુ મને કરજે પણ તે બાબતે આચાર્ય સાહેબ અથવા તારી મમ્મી સુધી તે વાત નાં પહોંચે તેનું ધ્યાન રાખજે.તુ જ્યારે આપણાં ઘરની પુત્રવધુ થઈ ને આવીશ ત્યારે તુ આપણાં ઘર ની લક્ષ્મી પણ થઈશ, અને હું પોતે મારા ઘર ની લક્ષ્મી ને ક્યારેય દુઃખ નાં પહોંચે તેનું ધ્યાન રાખીશ.
જી આન્ટીજી....તમે પોતે જ્યારે એવુ કહો છો કે હું દુઃખી નાં થઉ તેનું ધ્યાન તમે પોતે રાખશો,ત્યારે હું તે દરેક શબ્દો ની કિંમત સમજું છું કે આ ફક્ત બોલવા માટે કે કહેવા માટે ની વાત નથી,તમારા મુખે થી નીકળેલા શબ્દો માત્ર બ્રહ્મ વચન હોય છે.અને જ્યારે આપ પોતે મને સુખી રાખવાની વાત કરતા હોવ તો આપનાં કરતા પણ વધારે આપનાં પ્રત્યે,અંકલ પ્રત્યે તથા પ્રયાગ પ્રત્યે ની મારી જવાબદારી વધી જાયછે જે હું સારી રીતે સમજું છું. હું પણ આપને વચન આપુ છું કે આજીવન ક્યારે પણ ઘરની એકપણ વ્યક્તિ ને હું જાણી ને દુઃખ નહી પહોંચાડુ, અને જો ભૂલે ચૂકે પણ મારાથી કોઈ ભૂલ થઈ જાય તો આપ સૌ ઘર નાં સભ્યો મારા થી મોટા જ છો, તો મને માફ કરશો તથા તેવી કોઈ ભૂલ જણાય તો મારું ધ્યાન દોરશો જેથી ભવિષ્યમાં તેને હું સુધારી શકું.
અંજલિ તથા અદિતી બન્ને વાતો કરી રહ્યા છે.બીજી બાજુ આચાર્ય સાહેબ તથા તેમની પત્ની બન્ને જણાં હજુ પણ મુંઝવણ માં જ છે.જ્યારે પ્રયાગ હવે નિશ્ચિત થઈ ને તેનાં કામમાં વ્યસ્ત થઈ જાય છે.
અદિતી બેટા...એક બીજી વાત...હું એવું માનું છું કે જ્યારે બે વ્યક્તિ એટલે કે છોકરો અને છોકરી એકબીજા સાથે લગ્ન કરીને જોડાય છે ત્યારે ફક્ત બે વ્યક્તિ જ નહીં પણ બે પરિવાર એકબીજા સાથે જોડાય છે, એટલે આચાર્ય સાહેબ ને જણાવીદેજે કે તે સ્હેજપણ ચિંતા નાં કરે, હું તેમને સારી રીતે જાણું છું તે ક્યારેય મને તારા માટે પ્રયાગ ની વાત નહીં કરે, અને તુ હવે આપણાં ઘર ની પુત્રવધુ થવાની છું ત્યારે તારા પપ્પા અને મમ્મી તથા સમગ્ર પરિવાર નું સામાજિક રીતે માન જળવાઇ રહે તે આપણે પણ જોવાનું હોય. હું પોતે જ સામેથી આચાર્ય સાહેબ પાસે મારા પ્રયાગ માટે તારો હાથ માંગીશ જેથી તેમને કોઈ ચિંતા નાં રહે.
અંજલિ ની આ વાત સાંભળી ને અદિતી ની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા....ગળે ડૂમો બાઝી ગયો.તેની થનારી સાસુ નાં વિચારો કેટલા શુદ્ધ છે, અને આ બધુ તે સાચા દિલ થી જ કરતા હતાં,સામાજ માં કોઈને દેખાડવા કે બતાવવા ની ભાવના ક્યારેય અંજુ માં નહોતી.પોતે કેટલી ભાગ્યશાળી છે કે આવા સાસુ મળ્યા છે તેવું મનમાં જ અદિતી બોલી.
ફરીથી પાણી નો ગ્લાસ લઈને ઝડપથી પી ગઈ અદિતી, આન્ટીજી આપ મહાન છો,જે વ્યક્તિ આટલુ સારું અને કોઈને પણ તકલીફ નાં પડે તેમ વિચારીને જીવન જીવતા હોય તેમનાં ઘર નાં મહેમાન હોવું પણ મોટી વાત છે,જ્યારે હું તો કેટલી ભાગ્યશાળી છુ કે આપની દિકરી સમાન પુત્રવધુ બની ને આપના ઘરે આવોશ, મને એક માં કરતા પણ વિશેષ સાસુમા મળ્યા છે.અને મારાં પપ્પા તો નાહકના જ કેટલુ બધુ ટેન્શન કરી રહ્યા હતા.
બેટા એમ નાહક ના વખાણ નાં કરીશ મારા, તારી થનારી સાસુ ખુબ સાધારણ રીતે જીવવા વાળી વ્યક્તિ જ છે, બસ જે કંઈપણ છું અને મારા માં જે કંઈ સારું છે અથવા સારપ છે તે બધુજ મને અનુરાગ સર દ્વારા પ્રાપ્ત થયેલ છે, તેમની શીખામણ અને તેમની સાથે રહી ને જીવન વિશે તથા વ્યાપાર વિષે જે કંઈ સમજાયું છે તેનું જ પરિણામ છે કે તમારો બધાનો આટલો પ્રેમ મને મળી રહ્યો છે. હું તો આજીવન તેમની આભારી રહીશ કે જેમના લીધે મારા ઘર અને જીવનમાં ખુશી કાયમ રહીછે.
જી....આન્ટીજી....હું પણ આપની આ આપની આ વાત ને યાદ રાખીશ.
જી બેટા....ચાલો હવે સૌથી પહેલું કામ તુ એ કર કે, આચાર્ય સાહેબનું ટેન્શન દુર કરીદે, તેમને ફોન કરીદે પહેલા...અને ખુબજ જલદી થી હું તમને મળવા માટે અમેરિકા આવી રહી છું.
ઓહહહ...ધેટ્સ અ ગ્રેટેસ્ટ ન્યુઝ આન્ટીજી.અને હા પપ્પા સાથે હું હાલ જ વાત કરી લઉ છુ.
ઓ.કે.બેટા...આપણે ફોન મૂકીએ તો..જય શ્રી કૃષ્ણ અને જય અંબે.
જી....આન્ટીજી જયશ્રી કૃષ્ણ અને જય અંબે...અદિતી અને અંજલિ નો પહેલી જ વખત નો સાસુ અને વહુના સંબંધ રુપે ફોન પર નો વાર્તાલાપ પુરો થયો...બન્ને ફોન મુકાઇ ગયા.
અંજલિ એ ફોન પુરો કર્યો અને ઓફીસ જવા માટે નીકળી.
જ્યારે અદિતી એ તરતજ પહેલા તેનાં પપ્પા ને ફોન લગાવ્યો,ત્યારે આચાર્ય સાહેબ હજુ પણ ચિંતાતૂર હતા...અદિતી નો ફોન ફ્લેશ થતા ની સાથેજ આચાર્ય સાહેબ થોડા સ્વસ્થ થઈ ને અદિતી સાથે વાત કરી..હા....બેટા બોલ શું થયું હવે ???
પપ્પા તમે એકલા જ છો કે મમ્મી પણ સાથે છે ??
આ પરિસ્થિતિમાં તો બન્ને વધારે નજીક હોઈએ ને બેટા...આચાર્ય સાહેબે તેમની પત્ની ની સામે જોઈને અદિતી ને ફોન પર જવાબ આપ્યો.
ફાઈન પપ્પા....તો ફોન ને હેન્ડસફ્રી પર રાખો ....અને મમ્મી ને પણ સંભળાવો...અદિતી નાં અવાજમાં ખુશી છલકાતી હતી,જેનો આચાર્ય સાહેબ ને ખ્યાલ આવી ગયો હતો.
હા બેટા લે...ફોન ને હેન્ડસ ફ્રી મોડ પર કર્યો છે હવે..
મમ્મી...પપ્પા....જય શ્રી કૃષ્ણ..
આચાર્ય સાહેબ તથા તેમના પત્ની બન્ને સાથે જ જયશ્રી કૃષ્ણ બોલ્યા.
પપ્પા...મમ્મી...હમણાં જ મને અંજલિ મેડમજી નો ફોન આવ્યો હતો.
અજલિ મેડમ નો ફોન આવ્યો હતો તે સાંભળી ને આચાર્ય સાહેબ ના ચહેરા પર થોડો તનાવ આવ્યો..કપાળ ની રેખાઓ પર સ્પસ્ટ નજર આવતું હતું કે પોતે તનાવ માં છે.થોડા ગભરાતા સ્વરે પૂછ્યું અદિતી ને...તેમણે,
બેટા....શુ કહેતા હતા મેડમજી ?
પપ્પા આમ ચિંતા ના કરશો,તમારો અવાજ એવુ કહેછે કે તમે ચિંતા માં જ છો.
તે બેટા એતો દરેક છોકરી નાં માં બાપ ને ચિંતા તો થાયજ ને.
નાના...પપ્પા...અંજલિ મેડમે કહ્યું છે કે તમે સહેજ પણ ચિંતા કરશો નહીં, અને તેમણે તમારી અદિતી ને પોતાની પુત્રવધુ તરીકે સ્વીકારી લીધી છે. અને આશીર્વાદ આપી ને સાથે જીંદગી ની થોડી સમજ પણ આપી છે. અને સાથેસાથે એવુ પણ કહેતા હતા કે આચાર્ય સાહેબ ને કહેજે કે તે ચિંતા નાં કરે, સમય આવે તે પોતેજ તેમના પ્રયાગ માટે મારો હાથ...તમારી પાસેથી માંગશે જેથી આપને કોઈ વ્યક્તિ કશુંજ નાં કહી શકે.પપ્પા અંજલિ મેડમ નાં જીવન નાં સિધ્ધાંતો અને કાયદા ખુબ સુંદર છે, તે ક્યારેય જાણીને કોઈના પણ દિલ ને ઠોસ પહોંચાડે તેવા નથી.
આચાર્ય સાહેબ નો તંગ ચહેરો અદિતી ની વાત સાંભળી ને ખીલી ઉઠે છે, મન માં ને મન મા જ તેમની તકદીર ની વાહવાહી કરેછે,અને મનોમન તેમના જેવા સામાન્ય માણસ ની દીકરી ને આટલું સારુ ઘર અને આવો સરસ જમાઈ મળ્યો તેનાં માટે ઈશ્વર નો આભાર માને છે.
આચાર્ય સાહેબ કશું બોલી શકતા નહોતા...આચાર્ય સાહેબ નાં પત્ની પણ આનંદ વિભોર થઈ જાય છે.
પપ્પા....મમ્મી...કેમ તમે કંઈ જવાબ નથી આપતા ?? અદિતી બોલી
ગદગદીત અવાજમાં આચાર્ય સાહેબ બોલ્યા...બેટા...આ સુદામા ની ઝોળી માં અંજલિ મેડમે આજે સાક્ષાત કૃષ્ણ ભગવાન સ્વરૂપે તાંદુલ ની સાથે સાથે ખુશીઓ ભરીને મને તેમનો જીવનભર નો ૠણી તો હતોજ પણ હવેતો આવતા ભવ નો પણ ૠણી બનાવી દીધો.તને ભણાવવા મોકલી ને આપણાં પર તેમનું જે અહેસાન હતું તે ઓછુ હશે તો....હવે વળી મારા જેવાં નાના માણસ નાં બગીચાના ફૂલ ને તેમનાં ઘર ની શોભા બનાવવા રાજી થયા છે.બેટા તુ ખુબજ ભાગ્યશાળી છું કે તને આવુ ઘર,આવા સાસુ રુપે બીજી મમ્મી અને જીવનસાથી તરીકે પ્રયાગ સર જેવા વ્યક્તિ મળ્યા,મારા દિકરા તારી સાથે અમે પણ ખરેખર બહુજ નસીબદાર કે અંજલિ મેડમજી ને તને સોંપીને અમારે તો અંહિયાજ તીર્થ ધામ થઈ જશે.મારી તો સઘડી ચિંતા ઓ હવે સદાયને માટે દૂર થઈ ગઈ હોં બેટા...ખુબ ભાવનાશીલ થઈ ગયા હતા આચાર્ય સાહેબ...
અદિતી પણ ભાવવિભોર થઈ ગઈ હતી.તેનાં ભવિષ્ય ને લઈને જે રીતે તેનાં પપ્પા તેને કહી રહ્યા હતા તે જાણીને મનોમન ઈશ્વરનો આભાર માન્યો અદિતી એ. મમ્મી તુ તો કંઈક બોલ....
અદિતી ની મમ્મી બહુજ શાંત સ્વભાવ નાં હતા...મનમા ખુશી હતી પણ એક માં હતી જેનાં સંસ્કાર ને લીધે જ આજે અંજલિ મેડમ નાં મનમાં અદિતી એ પોતાનું સ્થાન વધારે મજબુત બનાવી દીધું હતું.તે મનોમન ચિંતા કરતા હતા...અદિતી નાં કહેવાથી પોતે બોલ્યા...
બેટા ખુબજ સુખી થજે, અને તારા માતા પિતા નાં સંસ્કાર ને ક્યારેય ઉણી આંચ નાં આવે તેનું હંમેશા ધ્યાન રાખજે.ભલે તુ ગમેતેટલી મોટી થઈ જાય છતા અમારી તો તુ દિકરી જ રહેવાની છું. અને તુ આજીવન કંઈ પણ કરીશ, સારુ કે ખરાબ...તેમાં તારી સાથે સાથે તારા માં બાપ નું નામ પણ આવવાનું છે માટે હંમેશાં ચિવટ થી બોલજે.એવુ કહેવાય છે કે માણસ નું મન હંમેશા સારું કે ખરાબ વિચારતુ હોય છે, અને તેનાં મુજબ માણસ વર્તન કરેછે, પણ સાથે સાથે જો મન પર તથા જીભ પર તુ કાબુ કરીશ તો તને ક્યારેય કોઈ તકલીફ નહીં પડે.અમારા સંસ્કારો નો વારસો તારે જ જાળવવાનો છે.પણ બેટા...(અટકી ગયા અદિતી નાં મમ્મી)
હાં...મમ્મી શુ થયું ??? કેમ આ પણ ?? પપ્પા...જરા પુછો તો મમ્મી ને શું કહેવા માંગે છે તે ?
અદિતી ની મમ્મી નો અવાજ સહેજ ચિંતા વાળો થયો...બેટા તારા પપ્પા એ જે છોકરા ને તારા માટે જોયેલો છે તેને તો અમે ગમેતેમ કહીને સમજાવી લઈશું, પણ તુ જ્યારે આ આટલા મોટા ઘર ની વહુ બનીને જવાની તો તેમના વ્યવહાર આપણે કેમ કરીને સાચવીશુ ??
અરે તમે તો કંઈ બોલો....અદિતી ની મમ્મી એ આચાર્ય સાહેબ ની સામે નમ આંખો એ જોયું.
પરિવાર નાં ત્રણેય સભ્યો એક સાથે તે બાબતે ચિંતા કરવા લાગ્યા. પરંતુ થોડીક મિનિટો પહેલા જ અંજલિ મેડમ સાથે કરેલી વાતો અદિતી ના યાદ આવી ગઈ..અંજલિ આન્ટી એ એવું કહ્યુ હતું કે આચાર્ય સાહેબ પણ આપણાં પરિવાર નો હિસ્સો જ બનવાનાં છે, તારા પેરેન્ટ્સ ને પણ સામાજીક અડચણ નાં નડે તે જોવાની જવાબદારી પણ આપણી જ છે,તો પછી આગળ વ્યવહાર સાચવવાનું આપણાં કરતા પણ અંજલિ આન્ટી ને વધારે ચિંતા હશે.આન્ટી ક્યારે પણ મારાં પરિવાર કે મારા પેરેન્ટ્સ ને નીચું જોવું પડે તેવું કરે જ નહી.
પપ્પા...મમ્મી મને એવુ લાગે છે કે આ વાત આપણે અંજલિ મેડમજી પર જ છોડીશું,મને તેમના પર અને તેમના નિર્ણયો પર સંપૂર્ણ શ્રધ્ધા છે કે તે આપણને સમાજમાં સહેજપણ નીચું જોવું પડે તેવા વ્યવહાર નહીં કરે તથા નહીં જ કરાવે. આન્ટીએ જ મને કીધું હતું કે હવેથી આચાર્ય સાહેબ નુ સમાજમાં માન સચવાય તે જોવાની જવાબદારી પણ આપણીજ છે, એટલે આન્ટી ક્યારેય પણ એવા વ્યવહાર નહીં કરાવે જેથી ભવિષ્યમાં આપણે સમાજમાં સહેજપણ નીચું જોવું પડે.

અદિતી ની વાત સાંભળી ને ઘડીભર અદિતી નાં મમ્મી ને પણ થયું કે વાહ કેવા ઉચ્ચ વિચારો ધરાવતા વ્યક્તિ નાં ઘર માં મારી દીકરી જશે.અને સાચી વાત જ હતી કે આપણાં જેવા સામાન્ય ઘર નાં માણસ ની દીકરી ને તેમનાં ઘર ની પુત્રવધુ તરીકે સ્વીકાર કરવો તે આજનાં સમયમાં તો ખુબ મોટી વાત જ કહેવાય.નહી તો તેમના જેવા ધનાઢ્ય પરિવાર માટે મોટાં મોટાં ઘર નાં લોકો પણ તેમની દીકરી માટે માંગુ લઈને દોડતા જાય, આ બધા ભગવાન નાં આશીર્વાદ વિના શક્ય જ નાં બને, અને આવા સારા અને ઉચ્ચ વિચારો વાળા વ્યક્તિ પણ ચોક્કસ પણે ઈશ્વર માં ખુબ આસ્થા રાખનારા જ હોય નહી તો તેમને પણ આવા વિચારો નાં સુઝે.અદિતી નાં મમ્મી મનોમન જ પોતાની જાત સાથે વાતો કરી રહ્યા હતા.
પપ્પા...કેમ કોઈ જવાબ નથી આપતું ? મમ્મી ???
આચાર્ય સાહેબે તેમની પત્ની ને ખભે હાથ મૂક્યો...અને બોલ્યા..અરે સાંભળોછો કે ?? અદિતી તમને કંઈક કહેછે...
તેમના પત્ની વિચારો મા થી બહાર આવ્યા...અરે નાના આતો જરા...બેટા...કહુ છુ આમ તો અદિતી કહેછે તેવુ જ જો તમારા મેડમજી કહેતા હોય તો તો આપણે બહુ ચિંતા કરવા જેવી નથી લાગતી, અને તેમ છતા પણ આપણે રહ્યા નાના માણસ અને તેમાં પણ તમે એમની કંપની માં જોબ કરો છો, એટલે આપણે જ મેડમજી પાસે આપણે શુ કરી શકીશું તે તેમને જણાવી દઈશુ.
આચાર્ય સાહેબ બોલ્યા....બેટા એ બધુ સમય આવે સમજી લઈશું, મને પણ અંજલિ મેડમ માં પરો વિશ્વાસ છે, તે જે કરશે તે શ્રેષ્ઠ જ કરશે અને કરાવશે.
જી પપ્પા.....મને પણ એવુ જ લાગે છે, પણ હાલ તો એ બધી બાબત ઉદભવી જ નથી તો અત્યારે તેની ચિંતા જ શુ કામ કરવાની ??
ઠીક છે બેટા...આચાર્ય સાહેબ ને ઓફીસ જવાનો સમય થઈ ગયો હતો, એટલે દિવાલ પર લાગેલી વોલ ક્લોક પર નજર દોડાવી અને અદિતી ને કીધું ...બેટા...તુ તારી મમ્મી ના ફોન પર ફરી થી ફોન જોડી ને તેની સાથે વાત કર...મારે ઓફીસે જવા નીકળવું પડશે.
પપ્પા.. એક કામ કરો તમે ઓફીસ જવા નિકળો મારે પણ હજુ પ્રયાગ સાથે વાત કરવાની બાકી છે તો હું પહેલા તે કામ પુરૂ કરું, આપણે આવતી કાલે ફરીથી વાત કરીશું.
ઓ.કેબેટા....ભગવાન નો ખુબ ખુબ આભાર...જય શ્રી કૃષ્ણ.
જી પપ્પા...મમ્મી...જય શ્રી કૃષ્ણ...કહીને અદિતી એ ફોન મુક્યો...
આચાર્ય સાહેબ ને મન માં નવી ચિંતા ઉભી થઈ કે હવે તો અંજલિ મેડમજી ને બધી વાત ની ખબર છે, ઓફીસે જઈશ એટલે તેમની પાસે તો કામ થી જવુ જ પડશે, કેવી રીતે તેમની સામે જવાશે ? કંઈ પણ પૂછે તો શું જવાબ આપીશ ?? અરે અદિતી ની મમ્મી...મેડમ કશુ પુછે તો શુ કહેવું ???
જી....એ તમે સમય અનુસાર જે સાચો અને સારો અને કોઈનું મન નાં દુભાય કે કોઈનું ખરાબ નાં દેખાય તે રીતે યોગ્ય જવાબ આપજો,બાકી તો બધું ઈશ્વર પર છોડી દેવાનુ, તેમણે જ આટલુ આટલું સારૂ ઘર અને આવા સરસ જમાઈ શોધી આપ્યા તો કંઈક તો મારા ભગવાને પણ વિચારીને જ નક્કી કર્યું હશે ને.
હા....એ વાત તો તમારી સાચી.. ચલો ઠીક છે હું ઓફીસ જવા નીકળું છું. જય શ્રી કૃષ્ણ...કહીને આચાર્ય સાહેબ ઓફીસ જવા નીકળ્યા.
ત્યાં અદિતી એ પ્રયાગ ને ફોન લગાવ્યો છે.
*********** (ક્રમશ:) ************