ANOKHU SEVA KARYA in Gujarati Short Stories by bharatchandra shah books and stories PDF | અનોખું સેવા કાર્ય

Featured Books
Categories
Share

અનોખું સેવા કાર્ય

*અનોખું સેવા કાર્ય*

સ્થાનિક અખબારના બે પત્રકારો બચુભાઈના ઘરે અચાનક આવી ચઢ્યા જેની જાણ ખુદ બચુભાઇને નહોતી. અચાનક આવેલ આગંતુકોને જોઈ બચુભાઇ ડઘાઈ ગયા. પત્રકારોએ પોતપોતાની ઓળખાણ આપી અને શેના માટે આવ્યા તે જણાવ્યું.

બચુભાઈ શહેરના એક પરા વિસ્તારમાં મધ્યમ વર્ગની રહેણાંક વિસ્તારમાં એક ચાર માળના એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ૧ બેડરૂમ હોલ કિચનમાં પત્ની અને બે બાળકો એમ ચાર જણ પરિવાર સાથે રહેતા હતા.

દિનકરભાઈ રાજપરા ઉર્ફે બચુભાઈ ૬૦ વર્ષની ઉંમરે પોતાનો નાનો ઇલેક્ટ્રીક રીપેરીગનો વ્યવસાય કરતા હતાં. મોટો દીકરો કોલેજ ભણતો હતો. નાનો બારમા ધોરણમાં ભણતો હતો.પત્ની દિવ્યાબેન ઘરકામ કરતાં હતાં.

પત્રકારે પૂછ્યું : તમે ક્યારથી આ અનોખી સેવાનું કાર્ય કરો છો? તે પણ આવું કર્યા .જરા હટકે ?

લોકો જાતજાતની સેવા કાર્ય કરતા હોય છે. કોઈ શિક્ષક ગરીબ છોકરાઓને મુફ્તમા ભણાવે છે.

કોઈ તબીબ ગરીબ લોકોને મફત સેવા અને દવા આપે છે. એક તબીબ તો એવા છે કે જે બહેને દીકરીને જન્મ આપ્યો હોય તો એ તબીબ એક પૈસો નથી લેતા.

એક ગામડામાં તો એક ભાઈ પોતાની બાઈકને એમ્બ્યુલન્સ જેવી બનાવી કોઈ પણ સ્ત્રી કે પુરુષને પોતાની એ એમ્બ્યુલન્સમા સુવડાવી શહેરના હોસ્પિટલ સુધી મફત લઈ જાય છે.

એક વેપારી તો મરણ ક્રિયાનો સામાન વગર પૈસે આપે છે.

કોઈ ધનવાન શેઠીઓ ગરીબ,મજૂરની દીકરી પરણવા જતી હોય તો હોંશે હોંશે
પોતાની દીકરી છે એમ સમજી કન્યાદાન કરે છે.

બચુભાઈ જવાબ આપતા બોલ્યાં," વાત એમ છે સાહેબ કે હું જ્યારે નાનો હતો લગભગ ૫ થી ૭ વર્ષનો ત્યારે હું શહેરમાં જૂના વિસ્તારમાં મારા માતાપિતા સાથે રહેતો હતો. અમારી ઘરની બાજુમાં એક ઘરડા કાકા તેમની પત્ની સાથે રહેતા હતાં. તેમના બે પુત્રો હતા પણ લગ્ન કરી વિદેશમા ૨૦-૨૨ વર્ષથી રહેતા હતાં.કાકા અચાનક માંદા પડ્યા. માંદગીએ ગંભીર સ્વરૂપ લઇ લીધું હતુ. કાકા પોતાના પેન્શન પર ગુજરાન ચલાવતા હતા. બંને છોકરાઓ પૈસા નહોતા મોકલતા. કાકાની સારવાર કરી પણ કઈ ફેર ના પડ્યો. ડોક્ટરોએ મોટી હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું હતું પણ પૈસાની ખેંચને લીધે દાખલ કર્યા નહોતા. ફળિયામાં બે ત્રણ વડીલો અને સેવાભાવી માણસોએ દવાખાનાનો ખર્ચ ઉઠાવ્યો હતો. તેમાં મારા પિતાજીએ પણ યોગદાન આપ્યું. એમના દીકરાઓએ નનૈયો ભણી દીધો.

હોસ્પિટલમાં લઈ જાય કોણ ને કોણ પૈસા કાઢે? છતાંય પાછા ફળિયામાં બધા ભેગા થયા અને માનવતાને ધોરણે પૈસા ભેગા કરી મોટી હોસ્પિટલમાં દાખલ કર્યા. ચાર પાંચ દિવસ હોસ્પિટલમાં રાખ્યા પણ કઈ ફેર નહોતો પડતો એટલે રજા આપી દીધી. ઘરે થોડાક જ દિવસ રહ્યા અને એક દિવસે અવસાન પામ્યા. તેમની પત્ની ફળિયામાં બધાને કહેવા આવ્યા કે મારા પતિ ગુજરી ગયા. સ્મશાને લઈ જવા છે બધા ભેગા થાઓ . માંડ માંડ પંદરેક જણ ભેગા થયા. કાંધ આપી સ્મશાને લઈ ગયા. આ પંદરેક જણમાં મારા બાપુજી પણ હતાં. મરનાર વડીલના કોઈ ખાસ સગા સંબંધી નહોતા. તે દિવસે પેલા માજીનું રુદન, કલ્પાંત, આજીજી જોઈ મારું દિલ દ્રવી ઉઠ્યું. મારા કુમળા માનસ પર તેની ગંભીર અસર થઈ. મારી ઉંમર અને સમજ કરતા મે બહુ આગળનું વિચારી લીધું હતું.

એવોજ બનાવ ફરીથી બન્યો જ્યારે હું કોલેજમાં ભણતો હતો. બસ..ત્યારથીજ મે મનોમન નક્કી કર્યું કે કોઈ પણ અવસાન પામે પછી એ જાણતો હોય કે નહી જાણતો હોય કાંધ આપવો અને સ્મશાન સુધી જવું. લગભગ ૨૫ વર્ષની ઉંમરથી હું આજ કાર્ય કરું છું. આજે ત્રીસ વર્ષ થયા ઘણાં મૃતકોને મે કાંધ આપી સ્મશાન હું સુધી ગયો છું. મે જાત પાત ધર્મ જ્ઞાતિ કશું જ જોયું નથી. મુસ્લિમ ખ્રિસ્તી તેમજ પારસી અને પંજાબી લોકોના અવસાન પામેલ લોકોને કાંધ આપી સ્મશાને ગયો છું. મને આ સેવા કાર્યમાં અદ્ભુત શાંતિ મળે છે.

પત્રકારે પૂછ્યું કે , " કોઈ અવસાન પામ્યું તે તમને કેવી રીતે ખબર પડે કોઈ કહેવા આવે સ્પેશિયલ કે કોઈના મારફત ખબર પડે?

જવાબ આપતા બચું ભાઈ બોલ્યાં, " એવી વાત તો છુપી રહેતી નથી. તરત ફેલાઈ જાય છે. જે લોકોને ખબર છે કે હું આ સેવા કાર્ય કરું છું તે લોકો મને કહેવા આવે છે. અથવા એક બીજા મારફત પણ ખબર પડી જાય છે. ઘણા લોકો એવા હોય છે કે તેમને. ઠાઠડી પણ નથી બાંધતા આવડતી કે નથી કોઈ રિવાજ ખબર હોતો. એટલે મને ખાસ બોલાવવામાં આવે છે અને હું મારું વ્યવસાયિક કામ છોડી તરત દોડી જાઉં છું. બસ ત્યારથી જ લોકો મને બચું ડાઘુ નામથી ઓળખતા થયા અને બોલાવતા થયા."

"બચુ ડાઘુ"? તમને ખોટું નથી લાગતું આ નામથી બોલાવવામાં આવે તે? “ પત્રકાર નવાઈ પામતા બોલ્યો.

" ના..મને કશું જ ખોટું નથી લાગતું. ઉલ્ટાનું મારી નવી ઓળખ ઉભી થઈ છે.
Hi
બચુભાઈની વાત સાંભળી પત્રકારે તેમના વખાણ કર્યા અને તેમની તસવીર લીધી અને થોડોક મસાલો ભભરાવી આ વાત છાપામાં પ્રકાશિત કરવાની ખાત્રી આપી છૂટ્યા પડ્યા.

જતી વેળાએ પત્રકારે કહ્યું, " બચુભાઈ આ ધરતી ઉપર તમેજ એવા એકલવીર છો જે આ માનવતાની મહેક ફેલાવતું સેવા કાર્ય કરો છો.તમારા આ સેવા કાર્યને અમો દેશના દરેક ખૂણામાં પહોંચાડવાનું કામ કરીશું.

પત્રકારોને મસાલેદાર સમાચાર મળતા ખુશખુશાલ જણાતા હતા.

બચુભાઈની વિદાય લઈ ઝડપ ભેર ત્યાંથી રવાના થયા.

____________________________
સમાપ્ત..
.......... ભરત ચંદ્ર શાહ.........