Grahan in Gujarati Magazine by Jayesh Shah books and stories PDF | ગ્રહણ: ઋષિ-મુનિઓની માન્યતાઓ પાછળ રહેલું વિજ્ઞાન

Featured Books
Categories
Share

ગ્રહણ: ઋષિ-મુનિઓની માન્યતાઓ પાછળ રહેલું વિજ્ઞાન

આ પોસ્ટ વાંચો તે પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં કે જે બધું પ્રાચીન છે તે બધું જ સાચું છે તેમ હું વ્યક્તિગત રીતે માનતો નથી તેવી જ રીતે જે આધુનિક છે તે બધું ખોટું છે તેમ પણ હું માનતો નથી. પરંતુ એક વાત દ્રઢતાથી કહેવા માંગુ છું કે હિન્દુઓના ધર્મગ્રંથો અંગે જ કેમ ભ્રમણાઓ ફેલાવવામાં આવે છે? હિન્દુઓના ધર્મગ્રંથોને જ કેમ કલ્પના અને અંધશ્રદ્ધા માત્ર ગણવામાં આવે છે? હિન્દુઓના ધર્મગ્રંથોની રચનાના સમયગાળામાં ધર્મનો આધાર લઈને કેટલાંક નિયમો અને સિદ્ધાંતો ઘડવામાં આવ્યા હતાં. તેની રચના પાછળ શું રહસ્ય છે તે અંગે કેમ કોઈ વિસ્તૃત સંશોધન કરવામાં નથી આવતું? શું તેમ કરવામાં “વિચારધારા” આડી આવે છે?
.
હિંદુ ધર્મશાસ્ત્ર સ્વયમ એક વિજ્ઞાન છે. “શાસ્ત્ર પ્રમાણ” પોતે જ મહાન પ્રમાણ છે. આપણા ધર્મશાસ્ત્રોને અન્ય વૈજ્ઞાનિકોનું પ્રમાણપત્ર અનિવાર્ય અને જરૂરી નથી. તેમ છતાં હવે શાસ્ત્રાજ્ઞાનો ઉલ્લેખ કરીને “शास्त्रवाक्य प्रमाणं” કહેવાનો આ યુગ નથી.ધાર્મિક માન્યતાઓ પ્રત્યે સમ્યક ચિંતન કરવું એ એકવીસમી સદીની અત્યંત આવશ્યક જરૂરીયાત થઇ ગઈ છે. પ્રાચીન ઋષિ-મુનિઓએ માનવ સભ્યતાને સુસંસ્કૃત કરવા માટે ધર્મનો આધાર લઈને કેટલાંક નિયમો અને સિદ્ધાંતો ઘડ્યા હતાં. લોકો એનું આચરણ કરે તે માટે સ્વર્ગ-નર્કની લાલચ અને ભય બતાવ્યો હતો. પરંતુ આજની એકવીસમી સદીમાં આજના યુવાનો અને કિશોરો સ્વર્ગ-નર્ક, પાપ-પુણ્ય, ધર્મ-અધર્મને નથી માનતા. તેથી જ સંખ્યાબંધ પ્રશ્નો આજના યુવાનના મનમાં ઉભા થાય છે. અને તેથી જ આજના યુવાનના WHYનો પુરાવા-આધાર સહિત ઉત્તર આપવો જરૂરી બની ગયો છે. એટલે જ ચાલો આજે ગ્રહણ અને તેની પાછળ રહેલી ધાર્મિક માન્યતાઓ પાછળ કયું વિજ્ઞાન રહેલું છે તેને આધુનિક વિજ્ઞાન અને ધર્મશાસ્ત્રો સાથે સરખામણી કરીને ચકાસીએ.
.
વિજ્ઞાન એટલે विशिष्ट ज्ञानं इति विज्ञानम् વિશેષ પ્રકારનું વ્યવસ્થિત જ્ઞાન વિજ્ઞાન કહેવાય છે. कार्यकारण संबन्ध ज्ञानं इति विज्ञानम् જે વિષયમાં કાર્યકારણ સંબંધોનું એકદમ સ્પષ્ટ જ્ઞાન થાય તેને વિજ્ઞાન કહેવાય છે અને पुन: पुन: परीक्षित ज्ञानं इति विज्ञानम् અનેક પરીક્ષણ કર્યા પછી જેનું પરિણામ એક સરખું આવે તે બધા વિષય વિજ્ઞાનની શ્રેણીમાં આવે.
.
ભારતમાં હજારો વર્ષથી ગ્રહણની આગોતરી ગણતરી કરવાની વિદ્યા હતી અને તેનો ઉલ્લેખ છેક ઋગ્વેદથી પ્રાપ્ત થાય છે. એનો સીધો અર્થ છે કે લગભગ આઠ હજાર વર્ષ અગાઉ આપણા ઋષિ-મુનિઓ આ ગણતરી જાણતા હતા. આજના આધુનિક જગતના “કહેવાતા સુધરેલા” ભારતને અંધશ્રધ્ધાળુ માનતા હોય અને વેદમાં દર્શાવેલી હકીકતો અને બાબતો કપોળ-કલ્પિત ગણતા હોય તો તેઓને આધુનિક વિજ્ઞાન સાથે ધર્મશાસ્ત્રોની બાબતો અને સિદ્ધાંતોને સાંકળીને સમજાવી શકાય છે.
.
બૌધ્ધિકો અને વૈજ્ઞાનિકોના નામે એવું વારંવાર કહેવાયું કે ‘ગ્રહણ એ માત્ર વૈજ્ઞાનિક ખગોળીય ઘટના’ છે ગ્રહણ અંગે ભારતમાં જે કાંઈ માન્યતાઓ,વિચારો અને ધાર્મિક વિધિ-વિધાનો છે તે નર્યા તૂત છે. ભારત જેવા પછાત દેશ અને હિંદુ ધર્મ જેવા જૂનવાણી ધર્મને ગ્રહણ અંગે કશી ગતાગમ નથી. ગ્રહણ અંગે જો કોઈએ કશું કહેવાનું હોય તો તે કહેવાનો હક્ક માત્ર આધુનિક વૈજ્ઞાનિકોને છે. ગ્રહણ અંગે આધુનિક વિજ્ઞાન દ્વારા જે કહેવાયું છે તેનાથી વધુ ગ્રહણની કોઈ અસર હોઈ શકે નહીં. ટૂંકમાં ગ્રહણ માત્ર ભૌતિક જગતમાં બનતી ઘટનાથી વધુ કાંઈ નથી. આવું સતત કહેવામાં આવી રહ્યું છે.
.
આની સામે હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણનો મહિમા ગવાયેલો છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે ગ્રહણ સમયે જે અદ્દભૂત વાતાવરણ સર્જાય છે તે આધ્યાત્મિક અને ધાર્મિક સિદ્ધિઓ મેળવવા માટેની અલભ્ય ક્ષણો છે. હિંદુ શાસ્ત્રો ગાઈ વગાડીને કહે છે કે ગ્રહણોની અસરો લાંબા સમય સુધી વાતાવરણમાં રહે છે અને પૃથ્વી પર અનેક પ્રકારના શુભ-અશુભ કુદરતી આવેગો-પેદા કરે છે. જેને પરિણામે પૃથ્વી પર મોટી-મોટી સારી અને આઘાતજનક ઘટનાઓ પણ બનતી હોય છે. ટૂંકમાં હિંદુ ધર્મ કહે છે કે ગ્રહણની અસર બહુઆયામી છે. આધુનિક વૈજ્ઞાનિકો સમજે છે તેમ ગ્રહણ માત્ર ભૌગોલિક અને ભૌતિક ઘટના નથી.
.
આવો સૌ પહેલા જે વૈજ્ઞાનિક અભિગમનાં નામે હિંદુ ધર્મ પર પ્રહારો કરાય છે તે અંગે આધુનિક વિજ્ઞાનના અને ઋષિ-મુનિઓના જ્ઞાનની કક્ષાની વાત કરીએ. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણની એડવાન્સ ગણત્રી કરવી હોય, એનો સ્પષ્ટ સમય કાઢવો હોય અને તે પૃથ્વીના કયા ભાગમાં દેખાશે તેની ગણત્રી કરવી હોય તો તે વૈજ્ઞાનિક પાસે આટલા મુદ્દાની સચોટ માહિતી હોવી જોઈએ:
.
(૧) પૃથ્વી- ચંદ્ર સૂર્યની આસપાસ ફરે છે. તેવું જ્ઞાન હોવું (૨) પૃથ્વી- સૂર્ય અને ચંદ્રની દર સેકન્ડે ઝડપ, તેમની ભ્રમણકક્ષા, તેમના ક્ષેત્રફળ,તેમના કદ (૩) પૃથ્વીથી સૂર્ય અને ચંદ્રનું અંતર (૪) સૂર્ય- ચંદ્ર અને પૃથ્વીની ભ્રમણની દિશા (૫) પ્રકાશની ગતિ અને પ્રકાશની ગતિના નિયમોનું જ્ઞાન (૬) પૃથ્વી સપાટ નહીં ગોળ છે તેવું સ્પષ્ટ જ્ઞાન અને પૃથ્વી પર દરેક દેશનું સ્થાન એટલે કે અંક્ષાશ અને રેખાંશનું પણ પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. (૭) આ ગણત્રી માટે સમય માપવા માટે પ્રમાણભૂત ઘડિયાળ અને લંબાઈ માપવા માટેનું આધારભૂત સાધન હોવું જરૂરી છે (૮) સૂર્યની આસપાસ ફરતી પૃથ્વીની લંબગોળ ભ્રમણકક્ષાને ચંદ્રની ભ્રમણકક્ષા જે બે બિંદુઓને છેદે છે તે “કલ્પિત છેદન બિંદુઓ” એટલે કે “રાહુ અને કેતુ”ના સ્થાનની ગણત્રી મુકવાનું જ્ઞાન.
.
ટૂંકમાં કહીએ તો સૂર્ય અને ચંદ્ર ગ્રહણની ગણત્રી માટે પદાર્થ વિજ્ઞાનના તમામ મોટા નિયમોનું જ્ઞાન હોવું જરૂરી છે.
.
આવો હવે જોઈએ કે ગ્રહણ ગણવા માટેના ઉપર જણાવેલ નિયમોનું ભારતને કયારે જ્ઞાન હતું. આપણા પૂર્વજો વૈજ્ઞાનિક સાધનો વગર પણ કેવું જ્ઞાન ધરાવતા હતા કે હજારો વર્ષો પહેલા પણ ગ્રહણ જેવી અવકાશી ઘટનાઓના ચોક્કસ સમયની ગણતરી કરી શકતા હતા. ગ્રહણનો પ્રાચીનતમ ઉલ્લેખ વેદોમાં મળે છે. ઋગ્વેદ કે જેને વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ જાહેર કરવામાં આવ્યો છે તેમાં ગ્રહણ વિષે દર્શાવવામાં આવેલ છે. ઋગ્વેદમાં પૂનમને ‘રક’ અને અમાસને ‘સિનિવલી’ કહેવામાં આવતું હતું. (સાયણ ભાષ્ય અને ઋગ્વેદ). અત્રિ ઋષિ ચાર ઋક મંત્રોનું ઉચ્ચારણ કરીને ગ્રહણનો અંધકાર દુર કરતાં હતા એમ દર્શાવેલ છે (ઋગ્વેદ ૫/૪૦/૫ અને ૬) તે એવું સૂચવે છે કે તેઓને ગ્રહણ અંગે સુક્ષ્માતિસુક્ષ્મ જ્ઞાન હતું. આ ચાર ઋક મંત્રોમાં પહેલા ચરણમાં દુર કરવામાં આવતો અંધકાર લાલ બની જતો. બીજા ચરણમાં દુર કરવામાં આવતો અંધકાર ચાંદી જેવો થઇ જતો. ત્રીજા ચરણમાં વળી પાછો લાલ બની જતો અને અંતિમ ચરણમાં સફેદ થઇ જતો. આ વાત લગભગ ૮,૦૦૦ વર્ષ જુના અને દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથમાં કરવામાં આવી છે. તેવી જ રીતે આજથી હજારો વર્ષ પહેલા રચાયેલા નારદ-પુરાણમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે અને તેની કેવી રીતે ગણત્રી કરવી તેની સંપૂર્ણ ફોર્મ્યુલા ઉપલબ્ધ છે અને તે પણ માત્ર ૧૨ શ્લોકોમાં એટલે કે ૨૪ પંકિતઓમાં (નારદપુરાણ- પૂર્વ ભાગ, દ્વિતીય પાદ, અધ્યાય ૫૪, શ્લોક ૫૧ થી ૬૨) નારદ પુરાણના આ ૫૪મા અધ્યાયમાં નવે ગ્રહોની ગતિ અને ભ્રમણકક્ષા અંગે પૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું છે. નારદ-પૂરાણમાં માત્ર ૧૨ શ્લોકોમાં ગ્રહણ કેવી રીતે થાય છે ત્યાંથી માંડીને તે ક્યારે શરૂ થશે ક્યારે સૂર્ય - ચંદ્રનો મોક્ષ થશે અને પૃથ્વીના કયા ભાગમાં દેખાશે તે તમામ ગણિત આપી દેવાયું છે.
.
હજારો વર્ષ પૂર્વે મહાભારતમાં જયારે અર્જુનના હાથે જયદ્રથનો વધ થયો તે પ્રસંગમાં પણ સૂર્યગ્રહણની શ્રીકૃષ્ણને એડવાન્સમાં માહિતી હતી તેવું સ્પષ્ટ થાય છે. વિશ્વમાં જયોતિષ અને ખગોળનું જ્ઞાન સૌ પ્રથમ ભારતમાં પ્રગટ થયું અને ભારતમાંથી ઈજીપ્તમાં થઈ રોમ મારફતે પશ્ચિમમાં ગયું એવું તો આખી દુનિયા સ્વીકારે છે. આ પશ્ચિમના વૈજ્ઞાનિકો તો આજથી માત્ર ૫૦૦ વર્ષ પહેલાં છાતી ઠોકીને કહેતાં હતાં કે પૃથ્વી સપાટ છે. ગેલિલિયો (ઈ.સ. ૧૫૬૪માં જન્મ અને ઈ.સ. ૧૬૪૨માં મૃત્યુ)એ જયારે કહ્યું કે પૃથ્વી ગોળ છે અને સૂર્યની આસપાસ ફરે છે ત્યારે તેને જેલમાં નાંખવામાં આવ્યો હતો. આધુનિક વિજ્ઞાનને ૪૫૦ વર્ષ પહેલાં સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ ગણતાં પણ આવડતું ન હતું. કારણ કે તેમની પાસે ગ્રહણ ગણવા માટે જોઈતું બેઝિક જ્ઞાન જ ન હતું. જે સમાજ એમ માનતો હોય કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે. તે સૂર્ય કે ચંદ્રગ્રહણ કેવી રીતે ગણી શકે?
.
એટલે ગ્રહણ અંગે આધુનિક વિજ્ઞાનનું જ્ઞાન માંડ વધારેમાં વધારે ૫૦૦ વર્ષનું જ છે. જયારે ભારતમાં આદિકાળથી આ જ્ઞાન ચાલતું આવ્યું છે અને તે લગભગ ૮,૦૦૦ વર્ષ પુરાણું તો છે જ. એટલું જ નહી ધૂમકેતુ અને નજરે નહિ પડતા ગ્રહોનું અસ્તિત્વ પણ તેમણે શોધી કાઢયું હતું. બીજી અગત્યની વાત એ છે કે ભારતે આદિકાળથી મનોવિજ્ઞાન, પરાવિજ્ઞાન, આધ્યાત્મ જગતનું ઊંડાણથી ખેડાણ કર્યુ હતું. ભારતમાં યોગ- ધ્યાનની પ્રક્રિયાથી મનની બુધ્ધિની પેલે પારના જગતમાં જવાની પ્રક્રિયા પણ શોધી કઢાઇ હતી. આધુનિક વિજ્ઞાન આજે પણ એ વાતો પૂરેપૂરી સમજી શકયું નથી અને તેના ઉપર હજી વિસ્તૃત સંશોધન કરી રહ્યા છે.
.
આમ દર્શાવવા પાછળ મારો કહેવાનો મતલબ એ છે કે ગ્રહણ અંગે હિંદુ ધર્મ દ્વારા જે વાતો કહેવાય છે તે વધુ ઓથેન્ટીક છે નહીં કે આધુનિક વૈજ્ઞાનિકોની. આધુનિક વિજ્ઞાને હજી ઘણી લાંબી સફર ખેડવાની છે અને ત્યારે જ તેઓ હિંદુ ધર્મશાસ્ત્રોએ જે વાત કરી છે તેને તેઓ અનુમોદન આપશે. ત્યાં સુધી તેઓ તેને કલ્પના માત્ર છે એવું જ કહેશે.
.
હવે વાત રહી અંધશ્રધ્ધાને નામે ભારતને બદનામ કરવાની. ભારતના ઋષિ-મુનિઓ ગ્રહણ જોવાને કારણે અંધત્વ આવે છે. એટલું જ નહીં પ્રકાશવિહીન “રેડીએશન” વધુ ખતરનાક હોવાનું તેઓ જાણતા હતાં. તે સમયે કોઈ મીડિયા હતું નહીં. તેથી પંચાંગ અનુસાર ધર્મના બહાને ગ્રહણ આવે ત્યારે ગ્રહણ સમયે ઘરમાંથી બહાર નીકળવાની ના પાડવામાં આવી હતી.
.
ભારતના ઋષિ-મુનિઓએ પૃથ્વી અને ચંદ્રની ભ્રમણકક્ષાનાં છેદન બિંદુઓ શોધી કાઢયાં અને આકાશમાં તેમના ચોક્ક્સ સ્થાન નક્કી કર્યા અને તે પછી તેમને રાહુ અને કેતુ એવા નામ આપ્યા અને સૂર્યગ્રહણ અમાસે એટલે કે રાહુપાત બિંદુ પર અને ચંદ્રગ્રહણ પૂનમે એટલે કે કેતુપાતબિંદુ પર જ થાય છે તેવું પણ શોધી કાઢયું હતું. યાદ રહે કે આકાશમાં પૃથ્વી ચંદ્રની ભ્રમણકક્ષા માત્ર કલ્પિત માર્ગ છે અને તેના છેદન બિંદુઓ પણ તે કલ્પિત માર્ગ પરના કલ્પિત બિંદુઓ છે તેનું પણ ભારતિય ઋષિઓને પૂર્ણ જ્ઞાન હતું. તો તે ઋષિ-મુનિઓ રાહુ- કેતુને રાક્ષસ માનીને તેઓ સૂર્ય- ચંદ્રને ગળી જાય છે તેવી બેવકૂફી ભરી વાત કેવી રીતે કરી શકે? આ વાતો મૂળ જ્ઞાનને ધર્મના માધ્યમથી સમજાવવા માટે ઉદાહરણરૂપે કરેલી હોઈ શકે છે.
.
હિંદુ ઋષિઓએ કોઈપણ વેધશાળા, ટેલિસ્કોપ, અવકાશયાન કે અન્ય કોઈપણ સાધનોની મદદ વગર આ બધુ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એટલું જ નહિ આજે મોટી-મોટી વેધશાળાઓમાં સુપર કોમ્પ્યુટરોની મદદથી ગ્રહણની ગણતરી કરાય છે જ્યારે જૂના જમાનામાં ગામડે ગામડે બ્રાહ્મણો જાતે જ આ બધી જ ગણતરીઓ કરવા સક્ષમ હતાં.
.
ટૂંકમાં ગ્રહણના નામે હિંદુ ધર્મને માથે માછલાં ધોવા નિકળેલા બુધ્ધિજીવીઓ સમજી લે કે હિંદુઓનું વિજ્ઞાન અને જ્ઞાન આધુનિક વૈજ્ઞાનિકો કરતાં હજારો વર્ષ આગળનું છે. એટલે જેમને હિંદુ ધર્મની કોઈ વાત સમજાય નહીં તો હિંદુ ધર્મને બદનામ કરવાને બદલે સો-બસો વર્ષ રાહ જોવી. આવતા સો-બસો વર્ષમાં આધુનિક વિજ્ઞાન પ્રગતિ કરશે અને તે પ્રગતિના કારણે હિંદુ ધર્મશાસ્ત્રોની વાતો આપોઆપ સમજાઈ જશે. હજારો વર્ષ પહેલા રચાયેલા નારદ-પૂરાણમાં ગ્રહણનું સંપૂર્ણ જ્ઞાન દર્શાવેલ છે. આજે સુપર કોમ્પ્યુટર પર ગ્રહણની ગણત્રી કરતાં વૈજ્ઞાનિકોની સામે ભારતીય ઋષિઓનું ગ્રહો અને ગ્રહણોનું જ્ઞાન કેટલું વિશાળ હતું તે સાબિત થઈ જાય છે
.
શાસ્ત્રો કહે છે કે ગ્રહણ દરમિયાન ભોજન ન લેવું. હવે આજના વૈજ્ઞાનિક સંશોધનો પણ જણાવે છે કે ચન્દ્રના કિરણોથી ભોજન દૂષિત થઈ જતું હોવાથી ચન્દ્રગ્રહણ દરમિયાન ભોજન કરવાથી અપચા જેવી સમસ્યા સર્જાય છે.
.
શાસ્ત્રો મુજબ ગ્રહણ સમયે ઊંઘવું અશુભ માનવામાં આવે છે. આધુનિક વિજ્ઞાન કહે છે કે ગ્રહણ સમયે ઊંઘવાથી વ્યક્તિને વિવિધ પ્રકારના રોગો થઇ શકે છે.
.
શાસ્ત્રો કહે છે કે ગ્રહણ દરમિયાન જાપ અને ધ્યાનમાં બેસવું શુભ અને ફળદાયી છે. સાથે સાથે એવું પણ કહે છે કે બ્રાહન દરમિયાન ઘરની બહાર જવાનું ટાળવું. આધુનિક વિજ્ઞાન કહે છે કે ગ્રહણ દરમિયાન જે ઉર્જા ફેંકાય છે તે મનુષ્ય માટે હિતકારી નથી.
.
શાસ્ત્રો કહે છે કે ગ્રહણ દરમિયાન કહેવાય છે કે બધાએ ઉંચા અવાજે મંત્રોચ્ચારણ કરવું જોઈએ. શાસ્ત્ર પ્રમાણે ઉંચા અવાજે સમુહમાં મંત્રોચ્ચારણ કરવાથી ઉઠનારા તરંગો ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ફરતો કર છે. ઉંચો સ્વર હોવાના કારણે વ્યક્તિનું મગજ માત્ર મંત્રોને જ સમજે છે અને સાંભળે છે. આધુનિક વિજ્ઞાન કહે છે કે ગ્રહણ દરમિયાન નકારાત્મક ઊર્જા ફેંકાય છે.
.
બોલો.... ગ્રહણ અંગે હિંદુ ધર્મ દ્વારા જે વાતો કહેવાય છે તે વધુ ઓથેન્ટીક છે કે આધુનિક વૈજ્ઞાનિકોની...??? હવે આ વાંચ્યા પછી તમે જાતે જ નક્કી કરો. મારું એવું દ્રઢપણે માનવું છે કે હિન્દુઓના પ્રાચીન ગ્રંથોમાં જે દર્શાવેલ છે તેને કલ્પના કહેવી એ સત્ય નથી. જરૂર છે વધુ સઘન સંશોધનની કે જેથી આવનારી પેઢીને પુરાવા અને સાબિતીઓ સાથે ભારતના પ્રાચીન વારસાની વૈજ્ઞાનિકતા ઉજાગર કરી શકાય.