ભાગવત રહસ્ય - 83

ભાગવત રહસ્ય-૮૩   સ્કંધ-3 (સર્ગ લીલા) સંસાર બે તત્વોનું મિશ્રણ છે.જડ અને ચેતન.શરીર જડ છે અને આત્મા ચેતન છે. આત્મા શરીરથી જુદો છે-એવું બધા જાણે છે. પણ તેનો અનુભવ કોઈક જ કરી શકે છે. અતિશય ભક્તિ –કરે ,પરમાત્માના નામમાં તન્મય બને –(જ્ઞાન ક્રિયાત્મક બનાવે-કોઈ પણ સાધન કરે)-તો –જ-આનો અનુભવ થઇ શકે.બાકી-ઘણાં પુસ્તકો વાંચવાથી કે શાસ્ત્રો ભણવાથી-આનો અનુભવ થઇ શકતો નથી. પણ માત્ર જ્ઞાન વધે છે.   શુકદેવજી કહે છે-રાજન,તમે જેવા પ્રશ્નો કરો છો-તેવા પ્રશ્નો-વિદુરજીએ મૈત્રેયજી ને કર્યા હતા. આ વિદુરજી –એ એક એવા ભક્ત છે-કે ભગવાન તેમને ત્યાં –વગર આમંત્રણે ગયા હતા. પરીક્ષિત પૂછે છે-વિદુરજીને મૈત્રેયજીનો ભેટો ક્યાં થયો હતો?