ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 9

  • 2.2k
  • 1
  • 1.3k

૯ તૈયારી ઉદયન રાજદરબારમાંથી પાછો આવ્યો ત્યારે કાકભટ્ટ એની રાહ જ જોતો હતો. એને મનમાં એક નિરાંત હતી – ત્રિલોચનપાલને સાધુનો કાંઈ પત્તો મળ્યો ન હતો. ઉદયન આવે તો એણે જલદી કોઈ નિર્ણય લેવાનો હતો. એણે મંત્રીશ્વરને આજના જેવો શાંત-સ્થિર ક્યારેય જોયો ન હતો. એણે લાગ્યું કે ચોક્કસ રાજદરબારમાં કંઈક ઊથલપાથલ થાય તેવાં પગલાનો નિર્ણય આજે થયો જણાય છે.  તેને જાણવા માટે બહુ વાર રાહ જોવી પડી નહિ. બેઠકખંડ તરફ જતાં ઉદયને ચારે તરફના મેદાનમાં એક દ્રષ્ટિ નાખી લીધી. કાક તેની પાછળપાછળ ગયો. મંત્રીશ્વરે ખંડને પણ એક ચકોર દ્રષ્ટિથી માપી લીધો. એની આજની બધી હિલચાલ કાક બારીકીથી જોઈ રહ્યો હતો.